Opinion Magazine
Number of visits: 9446368
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધર્મ ગમે તે હોય, ઈશ્વર તો એક જ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|5 July 2020

ગયા સપ્તાહના લેખનું સમાપન કરતા મેં લખ્યું હતું કે મહાત્મા ફૂલેએ જ્યારે ભારતીય રાષ્ટ્રવાદ સર્વસમાવેશક નથી, પણ પૃથકતાવાદી છે એમ કહીને તેને નકારવા માંડ્યો અને બ્રાહ્મણો કપટી છે અને તેમનો ઈજારાશાહી એજન્ડા છે એમ કહેતાં ભાષણો કરવા માંડ્યા અને પુસ્તકો પણ લખ્યાં, તેઓ ખુલ્લી અંગ્રેજોની તરફદારી કરવા લાગ્યા ત્યારે; દયાનંદ સરસ્વતી, બંકિમચંદ્ર ચેટરજી, સ્વામી વિવેકાનંદ, મહાદેવ ગોવિંદ રાનડે, દેવેન્દ્રનાથ ઠાકુર વગેરે થોડા આગળપાછળના સમયમાં હયાત હતા, પરંતુ તેમણે કોઈએ હાંસિયાની પ્રજાના અવાજને નહોતો સાંભળ્યો. જ્યારે હજુ તો આકાર પામી રહેલા ભારતીય રાષ્ટ્રવાદને કોઈ નકારતું હોય ત્યારે કોઈ કહેતાં કોઈને એમ નહોતું થયું કે આપણે તેમની વાત સાંભળવી જોઈએ.

આમ તો રાષ્ટ્રવાદનો જન્મ પશ્ચિમમાં થયો હતો અને તેની પાછળનો ઉદ્દેશ આક્રમક લૂટનો હતો એ આગળ આ શ્રેણીમાં કહેવાઈ ગયું છે. ‘આપણે અને આપણા હિતમાં’ એ રાષ્ટ્રવાદનો પાયાનો મંત્ર છે. દેખીતી રીતે ‘આપણે’ની શોધ શરૂ થઈ અને ‘આપણે'નું મહિમામંડન કરવામાં આવ્યું. ઇતિહાસમાં ક્યારે ય ભાળ્યા નહોતા એવાં ગુણોનું આરોપણ થવા લાગ્યું. અને ‘આપણા હિતમાં’નો દેખીતો અર્થ છે; માત્ર આપણા જ હિતમાં બીજાના હિતમાં નહીં અને એમાં કોઈનું અહિત થતું હોય તો પણ વાંધો નહીં. આમ આ આપણે અને આપણા હિતમાંના વિચારે અને વલણે યુરોપને એટલું આક્રમક બનાવ્યું કે તેમણે લગભગ આખી દુનિયા કબજે કરી લીધી. વીસમી સદીમાં બે વિશ્વયુદ્ધ થયાં એ પણ આ આપણે અને આપણા હિતમાંવાળા રાષ્ટ્રવાદનું જ પરિણામ હતું.

૧૯મી સદીમાં જ્યારે ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ લાગુ કરવામાં આવ્યું અને પહેલી-બીજી શિક્ષિત પેઢી અસ્તિત્વમાં આવવા લાગી ત્યારે પશ્ચિમને જોઇને તેઓ પણ ‘આપણે’ની શોધ કરવા લાગ્યા. એ ‘આપણે’ની શોધ કરનારા મુખ્યત્વે બ્રાહ્મણો, નાગરો, કાયસ્થો જેવા સવર્ણો હતા અને તેમને વિચાર સુધ્ધાં આવ્યો નહોતો કે ‘આપણે’નો વિસ્તાર કરવો જોઈએ. નેહરુ અને દિનકર ભૂલી જાય તો ૧૯મી સદીના સુધારકોની ક્યાં વાત કરવી! તેમનો ‘આપણે’ એટલે બ્રાહ્મણો, કાયસ્થો, નાગરો. વળી આગળ કહ્યું એમ આપણે સાથે આવતું હતું ‘આપણા હિત’માં. આમ ૧૯મી સદીનું સુધારાનું આંદોલન સવર્ણો દ્વારા, સવર્ણોના હિતમાં, સવર્ણ-કેન્દ્રિત હતું. ઠીકઠીક પ્રમાણમાં જાણીબૂજીને અને ઠીકઠીક પ્રમાણમાં અનાવધાને, જેમ નેહરુ અને દિનકરની બાબતમાં બન્યું હતું એમ.

તો રાષ્ટ્રવાદનો પાયાનો મંત્ર છે ‘આપણે અને આપણા હિત’માં. ભારતમાં પણ ‘આપણે અને આપણા હિત’માંની જદ્દોજહદ શરૂ થઈ અને એ રીતે ભારતીય રાષ્ટ્રવાદનો જન્મ થયો. ‘આપણે અને આપણા હિત’માં એ જ ‘રાષ્ટ્રના હિત’માં એવું સમીકરણ એટલે રાષ્ટ્રવાદ. આનો અર્થ એ થયો કે ‘આપણે’ અને ‘રાષ્ટ્ર’ને એકબીજાના પર્યાય તરીકે જોવામાં આવ્યા. આપણા હિતમાં  રાષ્ટ્રનું હિત આવી જ જાય છે અને રાષ્ટ્રના હિતમાં જે કાંઈ હોય એ આપણા હિતથી વિરુદ્ધ ન જ હોય.

૧૯મી સદીમાં રાષ્ટ્રવાદની આવી મમળાવવી ગમે એવી મનમોહક વિચારધારા વિકસવા લાગી. સ્વરાજ સુધીનાં સપનાં લોકો જોવા લાગ્યા. યુરોપની બરાબરી કરવાનાં સપનાં જોવાવા લાગ્યાં. આર્યસમાજીઓ અને બીજા રિવાયવલિસ્ટો ભારત વિશ્વગુરુ બનવા નિર્માયેલું છે એવા સપનાં જોવા લાગ્યા. અહીં સુધી તો જાણે ઠીક છે, પરંતુ આશ્ચર્ય એ વાતનું છે કે તેમને જ્યારે પડકારવામાં આવ્યા ત્યારે તેમણે એ પડકારને નહોતો સાંભળ્યો. પડકારનારાઓ શા માટે પડકારે છે, તેમને શું કહેવાનું છે, તેમને કઈ વાતનો વાંધો છે અને તેઓ શું કહેવા માગે છે એ જાણવા-સમજવાની પણ દરકાર નહોતી કરી.

હજુ તો આકાર પામી રહેલા, ઉછરી રહેલા, લગભગ પાપા-પગલી ભરી રહેલા ભારતીય રાષ્ટ્રવાદને કોઈક પડકારી રહ્યું છે તો શા માટે એ જાણવાની કોઈને જરૂર નહોતી લાગી. તમારો રાષ્ટ્રવાદ સર્વસમાવેશક નથી, પૃથકતાવાદી છે એવો સીધો આરોપ કરવામાં આવ્યો હોવા છતાં આરોપ કરનારાઓ સાથે સંવાદ કરવામાં નહોતો આવ્યો. હજુ તો રાષ્ટ્રવાદનો છોડ ઉજર્યો પણ નથી ત્યાં તેની સામે પડકાર શરૂ થયા છે તો બગીચો કેવી રીતે વિકસશે એવો વિચાર પણ કોઈને નહોતો આવ્યો.

રાજા રામમોહન રોય પછીથી ધીરે ધીરે ઉછરી રહેલા ભારતીય રાષ્ટ્રવાદના શિલ્પીઓ હતા; દેવેન્દ્રનાથ ટાગોર (જન્મ ૧૮૧૭ – મૃત્યુ ૧૯૦૫), ઇશ્વરચન્દ્ર વિદ્યાસાગર (૧૮૨૦-૧૮૯૧),  દયાનંદ સરસ્વતી (૧૮૨૪-૧૮૮૩), કેશબચન્દ્ર સેન (૧૮૩૮-૧૮૮૪), બંકિમચંદ્ર ચેટરજી (૧૮૩૮-૧૮૯૪), મહાદેવ ગોવિંદ રાનડે (૧૮૪૨-૧૯૦૧), ગોપાલ ગણેશ આગરકર (૧૮૫૬-૧૮૯૫), લોકમાન્ય તિલક (૧૮૫૬-૧૯૨૦), સ્વામી વિવેકાનંદ (૧૮૬૩-૧૯૦૨) વગેરે. આ બધા મહાનુભાવોનાં જન્મનાં વર્ષ પર નજર કરશો તો ધ્યાનમાં આવશે કે તેઓ ૧૮૧૭થી ૧૮૬૩ની વચ્ચેનાં વર્ષોમાં જન્મ્યા હતા. તેઓ બધા પોતપોતાની રીતે પોતપોતાના અભિગમ સાથે ભારતીય રાષ્ટ્રવાદને આકાર આપી રહ્યા હતા. તેમની વચ્ચે મતભેદો હતા જે અહીં કહેવામાં આવ્યું છે એમ મૂળશંકર-મૂળશંકર વચ્ચેના અને મૂળશંકર-જટાશંકર વચ્ચેના મતભેદો હતા. એકંદરે તેમનો ભારતીય રાષ્ટ્રવાદ સવર્ણકેન્દ્રી હતો.

હવે એક નજર વિકસી રહેલા ભારતીય રાષ્ટ્રવાદને તે ખરા અર્થમાં ભારતીય નથી, સર્વસમાવેશક નથી એમ કહીને પડકારનારાઓ ઉપર કરીએ. એમાં બે વ્યક્તિ મુખ્ય હતી. એક હતા સર સૈયદ અહમદ ખાન અને બીજા હતા મહારાષ્ટ્રના જ્યોતિબા ફૂલે. સર સૈયદનો જન્મ ૧૮૧૭માં થયો હતો અને મૃત્યુ ૧૮૯૮માં થયું હતું. જ્યોતિબા ફૂલેનો જન્મ ૧૮૨૭માં થયો હતો અને મૃત્યુ ૧૮૯૦માં થયું હતું. આનો અર્થ એ થયો કે બંનેનો જન્મ ભારતમાં અંગ્રેજી શિક્ષણ લાગુ કરવામાં આવ્યું એ પહેલાં થયો હતો અને બંને ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની ૧૮૮૫માં સ્થાપના કરવામાં આવી એ પછી અવસાન પામ્યા હતા. બીજા શબ્દોમાં કહીએ તો બંનેનો જન્મ ભારતીય રાષ્ટ્રવાદનું બીજ પણ નહોતું ફૂટ્યું એ પહેલા થયો હતો અને બંનેનું મૃત્યુ ભારતીય રાષ્ટ્રવાદ કૉંગ્રેસના નામે રાજકીય સ્વરૂપ પામ્યો એ પછી થયું હતું. ઉપર કહ્યા એ ભારતીય રાષ્ટ્રવાદના બધા જ શિલ્પીઓ સર સૈયદ અને ફૂલેના ઓછાવત્તા પ્રમાણમાં આગળપાછળના સમકાલીન હતા.

હું મુદ્દો એ સિદ્ધ કરવા માગું છું કે ભારતીય રાષ્ટ્રવાદનું હજુ તો માંડ ખેડાણ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે જ તેમાંની ઉણપો બતાવી આપવામાં આવી હતી. એવું નહોતું કે વૃક્ષ બહુ મોટું થઈ ગયું હતું અને એ બધાને છાંયો કે ફળ નથી આપતું એવી ફરિયાદ કરવામાં આવી હોય. પ્રારંભમાં જ. શ્રીગણેશ સાથે જ. એવો કયો ભરસો હતો કે ભારતીય રાષ્ટ્રવાદના શિલ્પીઓએ તેમાં ઉણપ બતાવનારાઓની ઉપેક્ષા કરી હતી? મહાત્મા ફૂલે દયાનંદ સરસ્વતી કરતાં ઉંમરમાં ત્રણ વરસ નાના હોવા છતાં જાહેરજીવનમાં તેમના કરતાં વહેલા પ્રવેશ્યા હતા. ભારતીય રાષ્ટ્રવાદના શિલ્પકાર તરીકે ઉપર જે નામ ગણાવ્યાં છે એમાંથી દેવેન્દ્રનાથ ટાગોર અને ઇશ્વરચન્દ્ર વિદ્યાસાગરને છોડીને બાકીના તેમના પછી જાહેરજીવનમાં સક્રિય થયા હતા. આમ પડકારનારો સિનિયર પણ હતો અને છતાં ય જુનિયરોએ તેની ઉપેક્ષા કરી હતી.

ખરું પૂછો તો સર સૈયદ અહમદ ખાનની અને મહાત્મા જ્યોતિબા ફૂલેની તુલના થઈ શકે નહીં.  મહાત્મા ફૂલે સર સૈયદ કરતાં દસ વરસ નાના હોવા છતાં અને આઠ વરસ વહેલા મૃત્યુ પામ્યા હોવા છતાં તેમની દૃષ્ટિ ક્યાં ય વિશાળ હતી. સર સૈયદની ભૂમિકા મુસલમાનોના વકીલની તરીકેની એક મુસલમાનની હતી. તેઓ માત્ર મુસલમાનોના હિત-અહિતનો જ વિચાર કરતા હતા. સર સૈયદ ૧૮૫૭ના વિદ્રોહની નિષ્ફળતા પછી અંગ્રેજોએ મુસલમાનોને પાઠ ભણાવવાનું શરૂ કર્યું ત્યારે સર સૈયદ મુસલમાનોનો કેસ રજૂ કરવા સક્રિય થયા હતા. તેમના વિચારોમાં કોમી દૃષ્ટિકોણ હતો, અખંડતા નહોતી. પાકિસ્તાનનાં બીજ સર સૈયદની ભૂમિકામાંથી મળે છે. તેમનાથી ઊલટું મહાત્મા ફૂલેની ભૂમિકા માનવીય હતી. તેઓ બહુજન સમાજના વકીલ હતા, બહુ આકરા વકીલ હતા, સવર્ણો પર આકરા પ્રહારો કર્યા હતા, સર સૈયદની માફક અંગ્રેજરાજની તરફદારી કરી હતી; પરંતુ તેની પાછળની તેમની ભૂમિકા માનવીય હતી. ન્યાયની હતી. નાગરિકની હતી.

સૈયદ અહમદ ખાનને અંગ્રેજોએ સરની ઉપાધી આપી હતી, પરંતુ સર સૈયદની માફક જ અંગ્રેજરાજના સમર્થક હોવા છતાં મહાત્મા ફૂલેને નહોતી આપી. ગોપાલ ગણેશ આગરકરે તેમને રેવરન્ડ ફૂલે તરીકે ઓળખાવ્યા હોવા છતાં પણ નહીં. શા માટે? કારણ કે તેમની દૃષ્ટિમાં હિંદુ સુધારકોને, સર સૈયદને અને અંગ્રેજોને પણ ન પરવડે એવી વ્યાપકતા હતી. મહાત્મા ફૂલે કહી ગયા છે :

૧. આપણી રાજકીય અને સામાજિક અવનતિનાં મૂળ અવનતિ પામેલા આપણા ધર્મમાં રહ્યા છે. માટે ધર્મસુધારણા અનિવાર્ય છે.

૨. એક ધર્મ છોડીને બીજા ધર્મમાં પ્રવેશ કરવાથી કાંઈ વળવાનું નથી, કારણ કે દરેક ધર્મ ક્ષતિગ્રસ્ત છે અને કોઈ ધર્મ નિર્દોષ નથી. સત્ય-શોધન કરવા માગતા માણસે દરેક ધર્મમાં જે શ્રેષ્ઠ હોય એ અપનાવવું જોઈએ.

૩. જ્યાં સુધી જાતિભેદ અને સ્ત્રીઓની પરવશતા દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી સમાજ નિરોગી થવાનો નથી. પરંતુ આ બંને કુરૂઢિને ધર્મનું અનુમોદન હોવાથી ધર્મ-વચનોનો પ્રતિકાર કરવો જરૂરી છે.

૪. ધર્મ ગમે તે હોય, ઈશ્વર એક જ છે.

૫. મૂર્તિપૂજા નિરર્થક છે.

હવે વિચારો, આટલી વ્યાપક ભૂમિકાએ રહીને ૧૯મી સદીમાં કોણે વાત કરી હતી? સ્ત્રીઓ માટે પહેલી સાર્વજનિક શાળા મહાત્મા ફૂલે અને તેમનાં પત્ની સાવિત્રીબાઈ ફૂલેએ શરૂ કરી હતી જેમાં બ્રાહ્મણની સ્ત્રીને પણ પ્રવેશ આપવામાં આવતો. બ્રાહ્મણોએ બ્રાહ્મણની સ્ત્રીને ભણવા મળે એવી શાળા તો દાયકાઓ પછી શરૂ કરી હતી.

આવો વ્યાપક વિચાર કરનારો માણસ જ્યારે એમ કહેતો હોય કે તમારો રાષ્ટ્રવાદ કેટલાક લોકોને બહાર રાખનારો અધૂરો છે અને એ માણસ પાછો ઉંમરમાં સિનિયર હોય, કૃતિશીલ અને પ્રતિષ્ઠિત હોય અને તે છતાં પણ તેમના જુનિયર સુધારકો તેમના પડકાર તરફ ધ્યાન ન આપે તો એ કયા ભરોસે?

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 05 જુલાઈ 2020

Loading

5 July 2020 admin
← Mahatma Gandhi, Race and Caste
મુશ્કેલ સમયમાં (29) →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved