Opinion Magazine
Number of visits: 9446897
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિકાસની વ્યાખ્યા અને દિશા બદલવા સિવાય માણસ પાસે કોઈ વિકલ્પ નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|14 May 2020

ગુજરાત સાથે ઘનિષ્ટ સંશોધકીય સંબંધ ધરાવનારા ખ્યાતનામ સમાજશાસ્ત્રી ડૉ. સુધીર ચન્દ્રએ એક વક્તવ્યમાં કહ્યું હતું કે જગત કોરોના સામેની જદ્દોજહદને યોગ્ય રીતે જ યુદ્ધ તરીકે ઓળખાવે છે અને યુદ્ધ ક્યારે ય એકપક્ષીય હોતું નથી. સામે કુદરત પણ યુદ્ધે ચડી છે. તેમનું આ કથન સાંભળીને વિચાર આવ્યો કે વાસ્તવમાં યુદ્ધે કોણ ચડ્યું છે, માનવી કે કુદરત? કોણ આક્રમણકર્તા છે અને કોણ બચાવકર્તા છે? કુદરત યુદ્ધે ચડી છે અને તેની પાસે યુદ્ધે ચડવાનાં કારણો છે. આધુનિક યુગમાં માણસ એમ માનીને ચાલે છે કે તે સૃષ્ટિનું એક અંગ નથી, પણ તે સૃષ્ટિના કેન્દ્રમાં છે અને આખી સૃષ્ટિ એના લાભાર્થે છે. માનવીય ભૌતિક સુખને માનવીય પુરુષાર્થ માની લેવામાં આવ્યો છે.

કુદરત આ બધું અનેક વર્ષોથી સહન કરતી આવી છે. તેને મન દરેક સમાન છે અને દરેકની વચ્ચે સંતુલન આવશ્યક છે. આવશ્યક નહીં, અનિવાર્ય છે. જેટલો ઉપયોગી અને મહત્ત્વનો માનવી છે એટલું જ મહત્ત્વનું અને ઉપયોગી અળસિયું પણ છે. આ પૃથ્વી ઉપર જેટલાં જીવ છે એમાં માનવી સૌથી વધુ બૌદ્ધિક શક્તિ ધરાવે છે એટલે તેણે તેનો ઉપયોગ કરીને સૃષ્ટિમાંના દરેક ઉપયોગી ઘટકોનું શોષણ કરવાનું અને તેને હાંસિયામાં ધકેલવાનું શરૂ કર્યું. કુદરત સહન કરતી આવી. જ્યાં સુધી સૃષ્ટિ પોતે પોતાની જાતે જરૂરી સંતુલન સ્થાપિત કરી શકતી હતી ત્યાં સુધી માનવીની હરકતોને ચલાવી લીધી. જ્યારે ધૃતરાષ્ટ્ર અને દુર્યોધને પાંડવો માટે પાંચ ગામ પણ છોડવાની ના પાડી દીધી ત્યારે મહાભારતનું યુદ્ધ થયું હતું. અત્યારે આ જગતમાં પણ આ જ બની રહ્યું છે. માનવરૂપી કૌરવો કાંઈ જ છોડવા માગતા નથી એટલે ધર્મયુદ્ધ અનિવાર્ય બની ગયું છે.

તો પહેલી વાત તો એ યુદ્ધે કુદરત ચડી છે અને માણસ તો જીવ બચાવવા લડી રહ્યો છે. કોરોનાની જ વાત લઈએ તો કોરોનાનો ઉપદ્રવ આ સદીમાં આ ત્રીજો છે. વીસ વરસમાં ત્રીજો. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જેને ‘કોવીડ-૧૯’ નામ આપ્યું છે એનું સત્તાવાર નામ તો છે : એસ.એ.આર.એસ.-સી.ઓ.વી.-૨. એસ.એ.આર.એસ.નો અર્થ થયો સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ. સી.ઓ.વી. એટલે કોરોના વાઈરસ. આ બીજી વખતનો છે એટલે બેનો આંકડો. વાચકને હવે યાદ આવી હશે ૨૦૦૨માં આવેલી સાર્સની બીમારી.

યોગાનુયોગ હોય કે બીજું કાંઈ; પણ કોરોના-૧ અથવા કોવીડ-૨૦૦૨ કે પછી એસ.એ.આર.એસ.-સી.ઓ.વી.-૧નો પ્રારંભ પણ ચીનથી જ શરૂ થયો હતો. પહેલીવાર એક એવો વાઈરસ જોવા મળ્યો જે શ્વાસને રૂંધતો હતો. રૂંધામણની સ્થિતિને સિવિયર અને એક્યુટ તરીકે ઓળખાવવામાં આવી છે. સાર્સની બીમારી માત્ર ૮,૪૩૯ જણને લાગુ પડી હતી જેમાં ૮૧૨ જણાનાં મૃત્યુ થયાં હતાં અને મૃત્યુનો દર ૯.૬ ટકાનો હતો. કોવીડ-૧ વાઇરસ શરીરમાં પ્રવેશ્યા પછી પાંચમાં દિવસે શરદી-ઉધરસ-તાવ અને શ્વાસની રૂંધામણ થતી હતી.

એ પછી ૨૦૧૨માં પશ્ચિમ એશિયાના દેશોમાં એમ.ઈ.આર.એસ.-સી.ઓ.વી. નામની બીમારી ફેલાઈ હતી. શરૂઆત સાઉદી અરેબિયાથી થઈ હતી. એમ.ઈ.આર.એસ. એટલે મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કોરોના વાઈરસ અથવા કોવીડ ૨૦૧૨. આમાં પણ શરદી-કફ-તાવ અને શ્વાસની રૂંધામણ થતી હતી. એમ.ઈ.આર.એસ.-સી.ઓ.વી.નો ચેપ માત્ર ૨.૫૧૯ જણને લાગ્યો હતો જેમાંથી ૮૬૬ જણાના મૃત્યુ થયાં હતાં અને મૃત્યુદર ૩૪.૩ ટકાનો હતો. એમ.ઈ.આર.એસ.-સી.ઓ.વી.ના સંક્રમણ ઊંટ દ્વારા પણ થતો હતો એમ કહેવાય છે, પણ તે સિદ્ધ થયેલી હકીકત નથી.

કોરોનાના પહેલા બે હુમલા મર્યાદિત હતા, પણ બીમારીનાં લક્ષણ ત્રણેયમાં એક સરખાં છે. એક સરખાં એટલે ડીટ્ટો એક સરખાં. બીજું પહેલા બે હુમલા વખતે કોઈ ચોક્કસ દવાએ કામ નહોતું કર્યું અને આજ સુધી તેની રસી પણ શોધાઈ નથી. પહેલા બે કોવીડપ્રકોપ મર્યાદિત હતા એટલે વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને ગંભીરતાથી લીધા નહોતા અને ડબ્લ્યુ.એચ.ઓ.ના વડાએ જગતને સધિયારો આપ્યો હતો કે ચિંતા કરવાની જરૂર નથી. ડબ્લ્યુ.એચ.ઓ.એ શું, જગતના કોઈ દેશે તેને ગંભીરતાથી લીધો નહોતો. ઇઝરાયેલના આરોગ્ય પ્રધાન અને બ્રિટનના વડા પ્રધાન લોકો સાથે હાથ મિલાવતા હતા. ભારતના વડા પ્રધાને ફેબ્રુઆરી મહિનામાં નમસ્તે ટ્રમ્પનો તાયફો યોજ્યો હતો. ઇટલી અને સ્પેઇનના શાસકોએ પ્રારંભમાં તેને ગંભીરતાથી લીધો નહોતો. દરેકને એમ લાગતું હતું કે કોવીડના આગળના બે હુમલા જેવો જ આ હુમલો નીવડશે.

કોવીડ-૧૯ વાઈરસ બે બાબતમાં આગલા બે વાઈરસથી જુદો પડે છે. એક તો એ કે એ માનવશરીરમાંથી બહાર નીકળ્યા પછી એ ઓછામાં ઓછા આઠ કલાકથી લઈને જો ઉષ્મા હોય તો ૬૦ કલાક સુધી જીવતો રહે છે. બીજું એ કે માનવશરીરમાં પ્રવેશ્યા પછી એ દસ કે બાર દિવસે પોતાની હાજરી બતાવે છે. ત્યાં સુધીમાં સંક્રમિત માનવ બીજા લોકોને ઘણું મોટું નુકસાન પહોંચાડે છે. આ વાઈરસ માનવીને છેતરી રહ્યો છે. સ્થિતિ ડરાવનારી છે અને વધારે ડરાવનારી એટલા માટે છે કે આ પહેલાના કોરોનાની જાતને જેર કરવાની દવા કે રસી હજુ સુધી શોધાઈ નથી.

કોવીડ-૧૯ની લપેટમાં અત્યાર સુધીમાં જગતના ૨૧૨ દેશોના ૪૩,૪૨,૮૪૯ લોકો આવ્યા છે અને ૨,૯૨,૮૯૯ લોકો મરણ પામ્યા છે અને હજુ અટકવાનું નામ નથી લેતો. સંક્રમિત લોકોની કુલ સંખ્યામાં અમેરિકા પહેલા ક્રમે છે અને ભારત ૧૨માં ક્રમે છે. એક્ટિવ કેસીસની ગણતરીએ અમેરિકા પહેલા ક્રમે છે, બ્રિટન બીજા ક્રમે છે, રશિયા ત્રીજા ક્રમે છે, ફ્રાંસ ચોથા ક્રમે છે, બ્રાઝીલ પાંચમાં ક્રમે છે ઇટલી છઠ્ઠા ક્રમે છે, સ્પેઇન સાતમા ક્રમે છે અને ભારત (૪૭,૪૫૭) આઠમા ક્રમે છે. આમાંથી સીરિયસ અને ક્રીટિકલ કન્ડિશનમાં કેટલા દરદી છે એનો આંકડો વીસ હજાર કરતાં વધુ સંક્રમિત દરદીઓ ધરાવનારા જગતના ૨૮ દેશોમાં એક માત્ર ભારતે આપ્યો નથી. આ આંકડો શા માટે આપવામાં નથી આવતો, એવો પ્રશ્ન થવો અને એ વિશે શંકા થવી સ્વાભાવિક છે.

આ તો કોરોનાની વાત થઈ. કોરોના સિવાયના બીજા વાઈરસ સમયાંતરે ત્રાટકતા રહે છે. આ ઉપરાંત પૂર, કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, દુકાળ, હિમાલયમાં જોવા મળતો અજંપો, પ્રચંડ ગરમી અને ઠંડી, ઉષ્માપ્રકોપ વગેરે પણ કુદરતના માનવી સામેના યુદ્ધનાં પ્રકાર છે. ૨૧મી સદીમાં જગતમાં એકેય પ્રદેશ અને એકેય વરસ એવું ગયું નથી કે કુદરતે લાત ન મારી હોય. ટૂંકમાં એમ લાગે છે કે યુદ્ધે માનવ નથી ચડ્યો પણ કુદરત ચડી છે અને માનવ બચવા માટે વળતી લડત આપી રહ્યો છે.

તો પછી વિકલ્પ શું છે માનવજાત પાસે? એક વિકલ્પ છે વિકાસની વ્યાખ્યા અને દિશા બદલવાનો. આમાં સમય લાગશે પણ બીજો ઉપાય નથી. અત્યારે પહેલી સમસ્યા તો એ છે કે હજુ માનવી એ સ્વીકારવા તૈયાર જ નથી કે કુદરત વિફરી છે અને તે હારી રહ્યો છે. હજુ સુવિધાપરસ્ત વિકાસ માટેનો મોહ અકબંધ છે. એટલે હજુ વધુ ઝાપટની જરૂર છે. બીજું ખોટી દિશામાં લાંબી મજલ કાપ્યા પછી રાતોરાત પાછા ફરી શકાતું નથી. એ યુ ટર્ન પણ ખાસ્સો પહોળો હશે.

બીજો તાત્કાલિક વિકલ્પ છે માનવીના વિકાસને પ્રાથમિકતા આપવાનો. કુદરતના ખોફથી માણસે બચવાનું છે એટલે તેને સશક્ત બનાવવો પડશે. માનવીય સશક્તિકરણનો માર્ગ માનવીય વિકાસ છે, કેવળ ભૌતિક વિકાસ નથી. માનવીય વિકાસ માટે શાસકોએ શું કરવું જોઈએ એ કહેવાની જરૂર નથી, તમે જાણો છો.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 14 મે 2020

Loading

14 May 2020 admin
← ગાંધીજીની કલમે ફ્લૉરેન્સ નાઇટિંગેલનું સેવાકાર્ય
શરમ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved