ઘણા લોકો સવાલ કરે છે કે હજુ છ મહિના પહેલાં લોકસભાની ચૂંટણીમાં ત્રણસો કરતાં વધુ બેઠક આપ્યા પછી પ્રજાનો આટલો ઝડપથી મોહભંગ કેમ થયો? આ સવાલ તો લગભગ દરેકના મોઢે છે, પછી તે નરેન્દ્ર મોદીના સમર્થક હોય કે વિરોધી. બીજા, જે કેટલાક વિચારવાની ક્ષમતા ધરાવે છે એ પૂછે છે કે મુસલમાનો અને હિંદુઓની વચ્ચે ધ્રુવીકરણ કરવાના પ્રયોગનો આટલો બહુમતી હિંદુઓ જ કેમ પ્રતિકાર કરી રહ્યા છે? આવું જગતના બીજા દેશોમાં બહુ સહજ રીતે જોવા મળતું નથી. રાજકારણીઓ ધ્રુવીકરણ કરે છે અને પ્રજા હોંશે હોંશે બે છાવણીમાં વહેંચાય જાય છે, દાયકાઓ સુધી એકબીજાનું લોહી રેડે છે. આમાં દેશ બરબાદ તો થાય છે, પણ માનવતા નીચલા સ્તરે ઊતરે છે. ૨૦મી સદીમાં બનેલી આવી ઘટનાઓનું ઉદાહરણ આપવું હોય તો એક બે નહીં અસંખ્ય ઉદાહરણ આપી શકાય એમ છે. પ્રજાને ‘અમે’ અને ‘તમે’નું વિભાજન ગમે છે. તો પછી એવું શું છે કે ભારતમાં હિંદુઓ જ ધ્રુવીકરણનો પ્રતિકાર કરી રહ્યા છે? એવું શું છે કે બહુમતી હિંદુઓ લઘુમતી મુસલમાનોની પડખે ઊભા રહ્યા છે.
કેટલાક ભક્તો બિચારાઓ ભોળે ભાવે સવાલ પૂછી રહ્યા છે કે સરકારે હિંદુઓનું કાંઈ બગાડ્યું નથી, ઊલટું હિંદુઓની સરસાઈ સ્થાપિત કરી રહી છે અને મુસલમાનોને તેમની જગ્યા બતાવી રહી છે તો પણ હિંદુ રાજી થવાની જગ્યાએ આડો ચાલે? મુસલમાનને તેની જગ્યા બતાવે તેમાં હિંદુના બાપનું શું જાય છે? ભક્ત હિંદુને આજે પોતાના હિંદુ ભાઈ ઉપર જ ગુસ્સો આવે છે. તેમને ખરેખર એ વાત સમજાતી નથી કે કોઈ મોટોભાઈ થવાની ના પાડે અને નાનાની ભેર તાણે.
અહીં જે ત્રણ સવાલ ટાંક્યા છે એ ત્રણ પ્રકારના લોકોના છે. પહેલો સવાલ એ લોકો પૂછી રહ્યા છે જે મતદાતાના માનસને પ્રભાવિત કરનારા સમાજજીવનના પરિબળોને સમજવા માગે છે. આવું કેમ બને? આવું ઇન્દિરા ગાંધીની સાથે પણ ૧૯૭૪માં બન્યું હતું અને આવું રાજીવ ગાંધીની સાથે પણ ૧૯૮૭માં બન્યું હતું. ઇન્દિરા ગાંધી ૧૯૭૧માં બંગલાદેશનું યુદ્ધ જીતી આપનારાં દુર્ગા હતાં અને રાજીવ ગાંધી ભારતના ઇતિહાસમાં લોકસભામાં સૌથી વધુ (૫૧૪માંથી ૪૦૪ બેઠકો લગભગ ૮૦ ટકા) બેઠકો મેળવીને વડા પ્રધાન બન્યા હતા. આમ છતાં માત્ર બે વરસમાં પ્રજાનો મોહભંગ થવા લાગ્યો હતો અને લોકો સામે પડ્યા હતા.
ઇન્દિરા ગાંધીની સામે યુવાનો પડ્યા હતા અને રાજીવ ગાંધીની સામે કહેવાતું તુષ્ટિકરણ પામેલા કે નહીં પામેલા સમૂહો પડ્યા હતા. એ સમય પછીથી હિંદુઓને એમ લાગવા માંડ્યું હતું કે હિંદુઓ બહુમતીમાં હોવા છતાં હિંદુઓને અન્યાય થઈ રહ્યો છે અને કૉન્ગ્રેસ મત મેળવવા મુસલમાનોનું તુષ્ટિકરણ કરી રહી છે. બી.જે.પી. દ્વારા કરવામાં આવતી દલીલો એ પછીથી ધીરે ધીરે લોકોને ગળે ઊતરવા લાગી હતી.
આજે અહીં પહેલા સવાલનો પહેલાં જવાબ શોધીએ. હજુ છ મહિના પહેલાં લોકસભામાં ૩૦૩ બેઠકો બી.જે.પી.ને જીતાવી આપનાર નરેન્દ્ર મોદી વિશે લોકોનો મોહભંગ આટલો જલદી કેમ થયો?
આ એકાએક થયેલો મોહભંગ નથી. સાધારણ રીતે એકાએક મોહભંગ થતો નથી. એ ધીરે ધીરે થતો રહે છે અને એ પછી એક દિવસ તે પ્રગટ થાય છે. ઊંટની પીઠ પર તણખલાનો અર્થ સમજતા હશો. જ્યારે બેશુમાર બોજો નાખવામાં આવે અને વજન વેઠવાની હદ આવી જાય ત્યારે એક તણખલું પણ ઊંટ ખમી શકતું નથી. આમ અત્યારે જે મોહભંગ નજરે પડી રહ્યો છે એ જામિયા મિલિયાની ઘટનાનું સીધું પરિણામ નથી, એ તો ઊંટની પીઠ પરનું છેલ્લું તણખલું છે. નરેન્દ્ર મોદીની બાબતમાં પણ એવું જ બન્યું છે.
૨૦૧૪ની સાલમાં કહેવામાં આવ્યું હતું કે મેં ગુજરાતની કાયાપલટ કરી નાખી છે અને જો મને મોકો આપશો તો હું ગુજરાતની જેમ ભારતની પણ કાયાપલટ કરી શકું એમ છું. મતદાતાએ ભરોસો કર્યો હતો. તેમને કોઈને ગુજરાતમાં ખરેખર કેટલી કાયાપલટ થઈ છે તેની ખાતરી કરવાની જરૂર નહોતી લાગી. જ્યારે મોટા મોટા ઉદ્યોગપતિ, પ્રતિષ્ઠિત બાવાઓ, પત્રકારો, કેટલાક વિદ્વાનો એમ કહેતા હોય કે ગુજરાતની કાયાપલટ થઈ ગઈ છે તો થઈ જ હોવી જોઈએ. આવા મોટા માણસો ખોટું થોડા બોલતા હોય! જાણકારોએ તેમને વગાડી વગાડીને કહ્યું હતું કે આ બધા લોકો લાભાર્થી છે, આંગળિયાત છે, ખરીદવામાં આવેલા છે અને ખાસ રચવામાં આવેલા ઓરકેસ્ટ્રાના વાજિંત્રો છે, પણ લોકો માનવા તૈયાર નહોતા. આ બધા લોકોએ તેમની કુલ પ્રતિષ્ઠાનું એક વ્યક્તિની તરફેણમાં રોકાણ કર્યું હતું અને આજે તેઓ પણ પ્રતિષ્ઠાનું અભૂતપૂર્વ સંકટ અનુભવી રહ્યા છે. તેમની દયા ખાવાની જરૂર નથી, કારણ કે તેમણે પ્રતિષ્ઠા કરતાં લાલચને વધુ મહત્ત્વ આપ્યું હતું.
૨૦૧૪માં લોકોએ માન્યું હતું કે ગુજરાત જેવું ભારત બનવાનું છે અને ગુજરાતની કાયાપલટની ફોર્મ્યુલા નરેન્દ્ર મોદી લાગુ કરવાના છે. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા એ પછી માત્ર છ મહિનામાં પહેલો ઝટકો દસ લાખ રૂપિયાનું સૂટ જોઈને લાગ્યો હતો જેની દરેક ધારી પર નરેન્દ્ર દામોદાર મોદી લખેલું હતું. આવો તો કોઈ વડો પ્રધાન હોય! એવો પ્રશ્ન દરેકના મનમાં પેદા થયો હતો. આમ છતાં લોકોએ વિચાર્યું હતું કે હશે, કોઈકે આપ્યું હશે અને ભૂલમાં પહેરી લીધું હશે. એ પછી જ્યારે ને ત્યારે બોલવામાં છબરડાના ઝટકા તો અનેક લાગ્યા હતા. તેમની સરેઆમ જૂઠ બોલવાની ક્ષમતા પણ લોકોની નજરમાં આવી હતી, પણ મતદાતાએ મન મનાવી લીધું હતું કે કયો રાજકારણી જૂઠ નથી બોલતો! વડા પ્રધાને જૂઠ ન બોલવું જોઈએ અને જો બોલવું પડે તો પકડાઈ ન જવાય એ રીતે જૂઠ બોલવું જોઈએ એ વાત સાચી પણ જવા દો; આવી કોઈ નાનકડી વાતે દિવસમાં માત્ર ત્રણ જ કલાક સુનારા કર્મપુરુષને નકારવો ન જોઈએ.
એ પછીનો વળી પાછો મોટો ઝટકો નોટબંધીનો હતો. એ વખતે અસહ્ય વેદના લોકોએ ખમી લીધી હતી એમ સમજીને કે ઉદ્યોગપતિઓનું, કાળા બજારિયાઓનું, રાજકારણીઓનું, ભ્રષ્ટ અધિકારીઓનું અનીતિનું ધન ધોવાઈ જવાનું છે. બન્યું એનાથી ઊલટું. બધાનું ધન સફેદ થઈ ગયું. નકલી નોટો પણ અસલી બની ગઈ. શાસક પક્ષના કેટલાક નેતાઓએ, ખાનગી બેન્કોના અને સહકારી બેન્કોના અધિકારીઓ અને સંચાલકોએ મળીને માત્ર અઠવાડિયામાં કરોડો રૂપિયા કમાઈ લીધા. આમ છતાં લોકોએ એ ઝટકો ખમી લીધો હતો. ગુજરાતની કાયાપલટ કરનારાએ અને ઉદ્યોગપતિઓ, પત્રકારો તેમ જ બાવાઓએ જેમને વધાવ્યા છે તેમણે જ્યારે આવડું મોટું પગલું લીધું છે તો જરૂર સમજી વિચારીને લીધું હશે!
આમ લોકોને એક પછી એક ઝટકા લાગતા હતા, પરંતુ શંકાનો લાભ આપીને તેઓ આંખ આડા કાન કરતા હતા. નરેન્દ્ર મોદીની પહેલી મુદ્દતમાં નાના-મોટા મળીને ઓછામાં ઓછા સો ઝટકા લાગ્યા હતા પણ એ દરેક મોટા ભૂકંપ પહેલાના ભૂકંપના આંચકા જેવા હતા. એમાં નિરર્થક વિદેશ પ્રવાસો, મોકો મળે ત્યાં જયજયકાર કરાવનારા તમાશાઓનું આયોજન, બેફામ બોલવું, જૂઠાણું પકડાય તો જાણે કે બોલ્યા જ નથી એમ ચૂપ રહેવું, શરમજનક ઘટના બને ત્યારે મૂંગા રહેવું, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની પાછળ પડી જવું, કોડીની વિદ્વતા ન હોય એવા લોકોને યુનિવર્સિટીઓમાં કુલપતિ તરીકે બેસાડવા, પાઠ્યપુસ્તકો સાથે ચેડાં કરવાં, વિદ્યાર્થીઓને વિચાર કરતા રોકવા અને બુદ્ધિની વિરુદ્ધ દિશામાં લઈ જવાનો પ્રયાસ કરવો, પ્રધાનો અને બી.જે.પી.ના નેતાઓ કાંઈ પણ બોલે અને એ છતાં ટપારવા પણ નહીં, નિસ્તેજ માણસોનું પ્રધાનમંડળ, પ્રધાનોને કામ કરવાની જગ્યા જ ન આપવી, ગોરક્ષા અને બીફના નામે કાયદો હાથમાં લેવાની હિન્દુત્વવાદીઓની પ્રવૃત્તિ, યેનકેન પ્રકારેણ સરકારો રચવી, વિરોધ પક્ષોને કચડી નાખવા, ચૂંટણીફંડ માટે બોન્ડ દાખલ કરીને બીજા પક્ષોને કોઈ નાણાકીય સહાય ન કરે તેવી તજવીજ કરવી વગેરે અલગ અલગ પ્રકારના સો કરતાં પણ વધુ ઝટકાનો અનુભવ પ્રજાએ કર્યો હતો. આમ છતાં મતદાતાને એમ લાગતું હતું કે હજુ વધુ સમય આપવો જોઈએ.
આમ વિચારવા માટે બે કારણ હતાં. જે માણસે ગુજરાતની કાયાપલટ કરી છે એ દેશની કેમ ન કરે? આજે નહીં તો કાલે કરશે. અમુક રીતની પ્રતિકૂળતા હશે જે આપણને ન સમજાતી હોય. બીજું કારણ એ હતું કે વિરોધ પક્ષમાં નરેન્દ્ર મોદીની જગ્યા લઈ શકે એવું છે કોણ? આમ અજાણ્યાને કસવા કરતાં કસાયેલા ઉમેદવારને વધુ એક તક અને વધુ અનુકૂળતા આપવી જોઈએ. પેલા ઝટકાઓનું ભાન તો દિમાગમાં કોઈક જગ્યાએ પાછળના ભાગમાં હતું જ, પણ એ છતાં બીજી તક આપી હતી.
બીજી મુદ્દતમાં સરકારે ખબર નહીં કઈ ગણતરીએ પણ ઝટકા આપવાની ઝડપ વધારી અને એ આજની સ્થિતિનું મુખ્ય કારણ છે. વળી, બીજી મુદ્દતમાં તુમાખી પણ આસમાને હતી. મહારાષ્ટ્રમાં જે રીતે સરકાર રચવામાં આવી એ આનું પ્રમાણ છે. બીજી બાજુ આર્થિક સંકટ વધી રહ્યું છે. હવે લોકોને એમ લાગવા માંડ્યું છે કે સરકાર પાસે વિકાસનો તો કોઈ એજન્ડા નથી, પણ તૂટી રહેલા વિકાસને રોકવાની પણ કોઈ યોજના નથી. કદાચ એ કારણે ઝટકા આપવાની ઝડપ અને પ્રમાણ વધાર્યા હોય એવું પણ બને. એ ગમે તે હોય, લોકોનો હવે ધીરે ધીરે મોહભંગ થઈ રહ્યો છે એ નક્કી.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 16 જાન્યુઆરી 2020