Opinion Magazine
Number of visits: 9450445
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગરમીમાં રેબઝેબ પૃથ્વી આગની જ્વાળાઓનો શિકાર બની રહી છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|12 January 2020

ક્લાઇમેટ ચેન્જની ચેતવણી પર્યાવરણનો બેફામ દુરુપયોગ કરનારાના બહેરા કાને નથી પહોંચતી

જંગલ સાથે સંકળાયેલા બે શબ્દો છે, એક અડાબીડ અને બીજો દાવાનળ, કમનસીબે આપણે અડાબીડને બદલે દાવાનળમાં સપડાયેલા જંગલોની વાત કરવાનો વખત ચાલ્યો છે જે અટકી જ નથી રહ્યો. ૨૦૧૯નું વર્ષ આગ ઝરતું રહ્યું. ગયા વર્ષે ઠેર ઠેર ભડકે બળેલી ધરાની આગ હજી ઠરી નથી. એમેઝોનથી માંડીને આર્કટિક સુધી આખી દુનિયામાં જંગલો આગની જ્વાળાની લપેટમાં આવી ચૂક્યાં છે. એમેઝોનનાં અને બ્રાઝીલનાં જંગલોમાં લાગેલી આગ હંમેશાં ફેલાતા દાવાનળથી એંશી ટકા વધારે હતી. ઑસ્ટ્રેલિયાનાં જંગલોમાં પ્રસરેલો દાવાનળ આ લખાઇ રહ્યું છે ત્યારે હજી શમ્યો નથી. ક્લાઇમેટ ચેન્જની ચેતવણી પર્યાવરણનો બેફામ દુરુપયોગ અને હાનિ કરનારાના બહેરા કાને નથી પહોંચતી.

એમેઝોન અને ઇન્ડોનેશિયાનાં જંગલોમાં લાગેલી આગ માનવ સર્જીત અને જાણી જોઇને ફેલાવવામાં આવેલી આગ છે – ગેરકાયદેસર વન-નાબૂદી અને ખેતીની જમીન માટે જંગલો સાફ કરનારાઓને ક્લાઇમેટ ચેન્જ સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી. ઉષ્ણકટિબંધિય એટલે કે ટ્રોપિકલ જંગલોમાં ભેજનું પ્રમાણ ખૂબ હોવાથી ત્યાં દાવાનળ ફેલાવાની શક્યતાઓ ઓછી જ હોય છે અને ત્યાં સૂકી મોસમ હોય ત્યારે પણ ત્યાં એટલો ભેજ તો હોય જ છે કે કેમ્પ ફાયર કે સિગારેટનો તણખો ભડકા કે આગમાં ન ફેલાય. પરંતુ કૃષિ ઉદ્યોગો માટે જંગલોનાં મોટા વણસ્પર્શ્યા પ્રદેશોનો ખાત્મો બોલાવી દેવાય છે, વળી ઢોરો ચરી શકે તે માટે જરૂરી જમીન મેળવવા માટે પણ જંગલો સાફ કરવામાં આવે છે. આમ કરવા માટે મોટે ભાગે ભેજવાળા વાતાવરણમાં વૃક્ષો કાપી નખાય છે અને પછી યાંત્રિક કુહાડીઓ વાપરીને બચ્યા કુચ્યા ડાળખાં કાપીને પછી એકાદ મહિનો તેમને આમ જ સુકાવા દેવાય છે અને અંતે બાળી નખાય છે, જેથી ઢોરો અને ખેતી માટે જમીન સાફ થઇ જાય.

જો કે નુકસાન આટલેથી નથી અટકતું, રેઇનફોરેસ્ટ જંગલોમાં થતી આ તારાજીને કારણે ત્યાંની આબોહવા પર ઊંડી અસર પડે છે કારણ કે મુંડાતા જંગલોને પગલે રેઇન ફોરેસ્ટ પ્રદેશો પાણીને શોષી લઇ, તેનો સંગ્રહ કરવાની અને તેનો પુનઃઉપયોગ કરીને તેનો વરસાદ પાડવાની ક્ષમતા ખોઇ બેસે છે. જે જંગલ કુદરતી રીતે આગ રોકવા સક્ષમ હોય છે તેની જમીન સાવ સૂકી પડી જાય છે અને વૃક્ષો વગરનાં આ જંગલો ગમે ત્યારે આગની જ્વાળામાં સપડાઇ જાય તેવાં થઇ જાય છે. બ્રાઝીલનાં જંગલોની વલે થઇ છે કારણ કે ત્યાંની સરકારે નફ્ફટાઇથી જાહેરાત કરી છે કે ત્યાંનાં રેઇન ફોરેસ્ટનો ‘વિકાસ’ માટે સફાયો કરવો પડે તો તેમને વાંધો નથી. ઑસ્ટ્રેલિયાનાં જંગલોમાં દાવાનળ ફેલાવો કંઇ નવી વાત નથી પણ આ વખતની આગ ૬૩ હજાર સ્ક્વેર કિલોમીટર એટલે કે ૬.૩ મિલિયન હેક્ટરમાં ફેલાઇ છે જે કાયમ લાગતી મોસમી આગ કરતાં કંઇક ગણી વધારે છે. પરિપ્રેક્ષ્યમાં સમજવું હોય તો કહી શકાય કે ઑસ્ટ્રેલિયાનાં જંગલોમાં ઇંગ્લેન્ડના કદ જેટલો વિસ્તાર ભડકે બળી ચુક્યો છે. ઑસ્ટ્રેલિયાનાં જંગલોમાં લાગેલી આગ પાછળ સૂકી આબોહવા, ઝડપથી ફુંકાતા વાયરા અને લાંબો સમય ચાલેલા દુકાળ કારણભૂત છે. ૨૦૧૮માં કેલિફોર્નિયાનાં જંગલોમાં લાગેલી આગ ૮ લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં પ્રસરી હતી. જંગલોમાં અણધારી આગ માનવસર્જીત છે એમ જ કહેવું પડે પછી ભલે એ દુનિયાના કોઇપણ ખૂણે લાગી હોય કારણ કે ક્લાઇમેટ ચેન્જ એ માનવસર્જીત આફત છે અને તેનાં પરિણામ આખા ધરતી પર વર્તાઇ રહ્યાં છે. કાર્બન ડાયોક્સાઇડનું સ્તર દિવસે દિવસે વધી રહ્યું છે અને આપણા ગ્રહનું સામાન્ય તાપમાન પણ આ સાથે વધી રહ્યું છે. ઑસ્ટ્રેલિયા, યુરોપ અને અન્ય દેશોમાં ધાર્યા કરતાં વધારે આકરો ઉનાળો લોકોને વેઠવો પડી રહ્યો છે. સૂકો અને ગરમ ઉનાળો જંગલ પ્રદેશોમાં દાવાનળના વિસ્તારમાં પણ વધારો કરે છે.

પર્યાવરણનાં અસંતુલનમાં જંગલોની નાબૂદીનો પ્રભાવ પડે જ તે સ્વાભાવિક છે. આપણે આપણા ઘરમાં એ.સી. સામે કે પંખા નીચે બેઠાં એમ વિચારીએ કે આ જંગલોની આગથી આપણને શી લેવા દેવા ત્યારે આપણને એ નથી યાદ આવતું કે કડકડતી ઠંડીની મોસમમાં પણ આપણે હવે પંખા અને એ.સી.નાં આધીન છીએ. ક્લાઇમેટ ચેન્જના બોજ તળે દબાઇ રહેલી પૃથ્વી પર રાતોરાત નવાં જંગલો ઊગાડવા શક્ય નથી. માણસ જો વિચારે કે પોતે જંગલ ઊગાડી તેને આપમેળે કુદરતી રીતે ઉછરવા દેવા માગે છે તો એમ કરવામાં એક સદી જેટલો સમય લાગી શકે છે. જો જમીનનો કોઇ હિસ્સો માણસનાં હસ્તક્ષેપથી વંચિત હોય તો ૬૦૦થી ૧,૦૦૦ વર્ષનાં સમયમાં ત્યાં આપમેળે જંગલ ઊગી નીકળશે. જો કે આપણી પૃથ્વી જે સ્થિતિમાં મુકાઇ રહી છે તે જોતાં આપણને દસ વર્ષમાં ઊગી શકે તેવાં જંગલોની તાતી જરૂર છે. અકીરા મિયાવાકી જેવા વૈજ્ઞાનિકોએ એક દાયકામાં જ ઊગી અને ઉછરી શકે તેવા જંગલો માટે અનિવાર્ય કુદરતી પ્રક્રિયાઓ પર કામ કર્યું છે. શુભેન્દુ શર્માની એફોરેસ્ટ જેવી ફોર-પ્રોફીટ કંપનીઓ પોતાનાં કોર્પોરેટ ગ્રાહકોને ડિમાન્ડ અનુસાર તેમનાં વિશાળ પ્લાન્ટ્સની આસપાસ જંગલો ઊગાડી આપવાનું કામ કરે છે અને આ જંગલો દસ વર્ષના ગાળામાં ઉછરે છે.  શુભેન્દુ શર્માએ પોતાનાં ઘરની પાછળના વિસ્તારમાં ઉછેરેલા જંગલમાં બે જ વર્ષમાં પંખીની સાત જાતોમાં બીજી દસનો ઉમેરો જોયો છે તો ભૂગર્ભ જળનાં પ્રમાણમાં પણ વધારો જોયો છે.

આપણે વૃક્ષો પર ચલાવેલી કુહાડીઓ આપણાં પગે જ વાગી છે અને તે આપણા ગ્રહને લોહી લુહાણ કરી રહી છે. જંગલોની સાથે કેટકેટલાં ય જીવો આપણે ગુમાવી રહ્યાં છીએ. વૈશ્વિક સ્તરે આબોહવાની કથળેલી સ્થિતિમાં હકારાત્મક ફેરફાર લાવવામાં જંગલોનો બહુ મોટો ફાળો હોય છે. કાર્બનનાં સંગ્રહની ક્ષમતા વિના આપણે પૃથ્વીની ગરમી પર નિયંત્રણ નહીં રાખી શકીએ. રાજકીય સ્તરે નીતિઓમાં ફેરફાર, લોકોનાં અભિગમમાં ધરમૂળથી ફેરફાર અને વ્યવહારિક શૈલીઓમાં પરિવર્તન નહીં કરાય તો પરિસ્થિતિ હાથમાંથી જશે અને પછી એ તબક્કે પાછા વળવું શક્ય નહીં હોય. ભારતનાં આસામનો જાદવ મોલાઇ પાયેન્ગ છે જેણે જિંદગીનાં ત્રીસ વર્ષ માત્ર ઝાડ ઊગાડવામાં ગાળ્યા છે અને ઉજ્જડ જમીન પર ૫૫૦ હેક્ટર્સનું માનવ સર્જીત જંગલ ખડું કર્યું છે, દુનિયાને આવા લાખો પાયેન્ગની જરૂર છે. જંગલોની રાખ થતા સમય નથી લાગતો પણ કુંપળ ફૂટે ને ત્યાંથી ઘટાટોપ ઝાડ ઊગે તેમાં તો ચોક્કસ લાંબો સમય લાગે છે. હાથનાં કર્યા હૈયે આપણને તો નહીં જ વાગે એવા ખોટા ગુમાનમાં આપણે ધાર્યા કરતાં વધારે ખોઇ બેસીએ એ પહેલાં જ જાગી જવાની જરૂર છે.

બાય ધી વેઃ

પૃથ્વી ભડકે બળી રહી છે અને આપણને બધાંને દીપિકા પાદુકોણની ફિલ્મનો વિરોધ કરવાની ચળ ઉપડે છે. જંગલ નાબૂદીનો મુદ્દો જેટલો દૂર લાગે છે તેના કરતાં કંઇક ગણો નજીક છે. દુનિયાભરનાં જંગલોમાં લાગેલી આગની ઝાળ આપણને ક્યારે અને કેવી રીતે દઝાડશે તેનો આપણને ખ્યાલ સુદ્ધાં નહીં આવે. જ્યારે ખબર પડશે ત્યારે હંમેશની માફક છેલ્લી ઘડીએ કૂવો ખોદવા બેસીશું પણ ભૂગર્ભ જળ પણ નહીં હોય એટલે પાણી ય નહીં મળે. આ તો આપણે ત્યાં નથી થયું કહેનારાઓએ યાદ રાખવું પડશે કે તેઓ હજી પણ આ જ ગ્રહ પર જીવી રહ્યાં છે. ૨૦૧૯માં માણસે સમુદ્ર અને વાતાવરણમાં દર વખત કરતાં ઘણો વધારે કાર્બન વહેતો કર્યો છે. માણસને કારણે પૃથ્વીનું અડધોઅડધ ગ્રીન કવર તો ખતમ થઇ ચૂક્યું છે. આપણો પર્યાવરણીય વિનાશ ત્યારે જ અટકી શકશે જ્યારે આપણે વૈચારિક વિનાશનાં માર્ગે ચાલવાનું અટકીને ‘વિકાસ’ નહીં પણ શક્યતાઓના અવકાશ ભણી નજર નાખીશું.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 જાન્યુઆરી 2020

Loading

12 January 2020 admin
← બે ચાર જણ પોતાનાં
Citizenship Amendment Act and Religious Minorities in South Asia →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved