૮૪ વર્ષ એક પછી એક આવ્યાં
અને એક પછી એક ચાલી ગયાં.
કેટલી બધી ગઈકાલો આવી અને ગઈ.
દરેક બર્થડે કહેતી ગઈ કે મળીશું
આવતા વરસે, કદાચ.
હું ક્યાં હતો ને ક્યાં પ્હૉંચી ગયો.
કેવો હતો ને કેવોક થઈ ગયો.
કેટલાં બધાં મળ્યાં હળ્યાં ને ચાલી ગયાં.
હવે કોણ આવશે કોણ જશે, નથી ખબર.
ચિત્તમાં થોડાંક બચ્યાં છે, છબિઓ રૂપે,
એ રહેશે અને એ લઈને જઈશ.
મને આજે એ વાતનો સંતોષ વળે છે કે
મેં જેને ચાહ્યાં, હમેશાં દિલોદિમાગથી.
મારા શ્વાસોચ્છ્વાસમાં એ હોય,
હર ઘડી, હર પળ;
એમાં ન કિંચિત્ પણ જૂઠ,
ન લેશમાત્ર અપ્રામાણિકતા.
હું આભારવશ છું કે અનેકો તરફથી
પ્રેમ સ્નેહ આદર પામ્યો છું.
પ્રથમદૃષ્ટિનો પ્રેમ પણ પામ્યો છું,
એને પૂરી જિગરથી ઝીલી જાણ્યો છે.
સમય અને શ્વાસનાં ગૂંચળાં વાળી
ધડકતા હૃદયે કોઇપણ મિલન માટે દોડી ગયો છું.
જીવલૅણ વિરહની વ્યથાને પણ વેઠી છે,
એના ચાસ હજી છે હૃદય પર
સારું છે કે આછાપાતળા થઈ ગયા છે
અવનિનું અમૃત? ના, મેં કદી નથી ચાખ્યું.
મેં તો આ બધું જોયું છે :
હિન્દુ-મુસ્લિમ વચ્ચેના ખૂંખાર ભેદ.
અસ્પૃશ્યતાનું અધમ કલંક.
માથે મૅલું ઉપડાવવાનું ઘોર પાતક.
નારીશોષણ અને નારીની અવમાનનાઓ.
કારકિર્દી દરમ્યાન અવારનવાર
આ-ના-આ જ વિષયો વિશે જાણ્યું છે :
-દેશના કરુણ ભાગલા.
-કશ્મીરનું ગૂમડું.
-નાઝીઓની જ્યુઝ પ્રત્યેની દર્દનાક ઘૃણા.
-મહાયુદ્ધો અને ન્યુક્લીયર બૉમ્બાર્ડમૅન્ટ.
-એથી અને આતંકવાદથી મરેલા લાખો નિર્દોષો.
-એ મૃતકોનાં હયાત સ્વજનોની વેદના
-ઇથોઇપિયાનો ભૂખમરો.
એ પછી પણ, માણસ મને ગમ્યો છે, ગમે છે.
ધર્મ કોમ સમાજ દેશ વંશ જાતિ કે લિન્ગ
વગેરે ભેદો કદી મને આંતરી શક્યા નથી.
આ પૃથ્વી પર જે મનુષ્યવ્યક્તિ મને
નાનો-મોટો અનુભવ આપવા ચાહે,
હું એનું સ્વાગત કરી શકું છે; અને એ સત્ય છે.
વિવિધ ફિલસૂફીઓ, શાસ્ત્રો કે સિદ્ધાન્તો
મને રસ પડે એમ પોતાની સાથે બાંધે છે,
હું એટલા જ રસથી બંધાઉં છું,
અને એક ચક્ર એમ ચાલ્યા કરે છે.
એનાં નિષ્ઠાપૂર્વકનાં અધ્યયન પછી,
એનાં સત્યોને આત્મસાત્ કર્યા પછી,
આજે મને એમાં કશો એવો સાર નથી ભળાતો,
જેને ચિરંજીવી કહી શકાય.
મને પ્રકૃતિસૌન્દર્ય ગમે છે,
વૃક્ષો, પુષ્પો, પંખીઓ, વરસાદ અને સ્નો.
સાહિત્યકલાએ સરજેલું સૌન્દર્ય વધારે ગમે છે;
એટલા માટે કે એ મને મનુષ્યપ્રકૃતિનો
પરિચય કરાવે છે.
સાહિત્યકલાનો મોટો કે નાનો કોઈપણ અનુભવ
મને માણસની વધુ ને વધુ નજીક લઈ જાય છે.
સાહિત્યકલાના આનન્દને હું શ્રેષ્ઠ ગણું છું પણ
સાહિત્ય જો માણસને પ્રેમ કરતાં ન શીખવે
તો મારે મન વ્યર્થ છે, વિશ્વસનીય નથી.
કેમ કે મને એક જ વસ્તુ સમજાઈ છે;
એ કે માણસને પ્રેમ જોઈએ છે,
એથી જુદું એને ખપતું નથી.
છતાં, આંસુ હોય તો હું સમજું કે પ્રેમ છે.
મેં અન્યનાં આંસુ લૂછ્યાં છે,
છતાં જો સૂકાઈ જાય
એ મને કદી ગમ્યું નથી.
કેમ કે, પછી શું?
આંસુ મને પ્રેમનો પર્યાય લાગે છે.
પ્રેમ ન હોય તો જીવન માણસ માટે
ખારું ને અકારું થઈ જાય છે.
મને સતત લાગ્યું છે કે હું એવો માણસ છું,
એટલે જ હું પ્રેમભિક્ષુક રહ્યો છું,
અલબત્ત, ભિખારી નહીં.
તેમછતાં, જુગારી હારે એમ,
પ્રેમ-સમ્બન્ધોમાં હાર્યો છું.
મૈત્રી, સ્નેહ કે વાત્સલ્યના પ્રસંગોમાં છેતરાયો છું.
એથી સ્ફુરેલી અસંગતિના હુમલા વેઠ્યા છે.
મારા ન હોય એ દોષ પણ પ્રેમવશ
મારા ગણીને ઓઢી લીધા છે.
મારા સત્યની એ રીતે થયેલી રક્ષાથી
હમેશાં મને સાતા જ વળી છે.
જો કે જીવનમાં જ્યારે જ્યારે લાગ્યું કે
કોઈક મને છેતરી કે છોડી ગયું છે, હવે નથી,
ત્યારે ત્યારે એ છેહથી જનમેલી
એકલતાના નાશ માટે
હું મારામાંના સર્જક પાસે ગયો છું.
એના શબ્દે મને ઉગારી લીધો છે,
કદી મને નિરાશ નથી કર્યો.
એ ન મળ્યો હોત તો હું કદાચ
આટલે લગી હૅમખેમ ન પ્હૉંચ્યો હોત.
આ સઘળી ખટમીઠી વેદનાને
ખિસ્સામાં ભરીને જોડે લઈ જવા માગું છું,
રસ્તામાં ભૂખ-તરસ લાગે તો કામ આવે…
= = =
(11/01/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર