સંસદના અંદાજપત્ર સત્ર દરમિયાન લોકસભામાં નાણાં ખરડો રજૂ કરતાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે નવી પેન્શન યોજનાની સમીક્ષા માટે સમિતિ રચવાની જાહેરાત કરી હતી. નાણાં સચિવના વડપણ હેઠળની આ સમિતિ નવી પેન્શન યોજનાથી કર્મચારીઓ ખુશ છે કે કેમ તે જાણશે. કમિટી કર્મચારીઓ-અધિકારીઓની જરૂરિયાતોને રાજકોષીય ઉપલબ્ધતાના સંદર્ભે ચકાસીને ભલામણો કરશે. સમિતિની રચના અને તેની સંસદમાં જાહેરાતનું કારણ છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર અને રાજ્યોના અધિકારીઓ-કર્મચારીઓ નવી પેન્શન યોજનાનો વિરોધ કરીને જૂની પેન્શન યોજનાની માંગણી કરી રહ્યા છે તે છે. દેશભરના ચારસો કર્મચારી મંડળોની સંકલન સમિતિએ સરકારની આ જાહેરાતનો વિરોધ કર્યો છે અને જૂની પેન્શન યોજનાની માંગણીનું તેમનું આંદોલન જારી રાખ્યું છે. કર્મચારી સંગઠનોએ તેમની માંગણી સ્વીકારવા સરકારને ત્રણ મહિનાનું આખરીનામુ આપીને જો માગણી નહીં સ્વીકારાય તો આગામી ઓગણીસમી સપ્ટેમ્બરે ભારત બંધની ઘોષણા કરી છે.
ભારતમાં પેન્શનની શરૂઆત બ્રિટિશરાજમાં, ૧૯૨૪માં, થઈ હતી. ૧૯૩૫ના હિંદ સ્વાતંત્ર્ય ધારામાં પેન્શન યોજના સમાવી લેવાતાં આઝાદી પછી પણ પેન્શન યોજના ચાલુ રહી. એટલે કર્મચારી-અધિકારીઓ માટેની જૂની પેન્શન યોજના આઝાદી કાળથી અમલી છે. પેન્શનનો હેતુ નિવૃત્તિ પછીની વૃદ્ધાવસ્થામાં આર્થિક સલામતી પૂરી પાડવાનો છે. વય નિવૃત્ત વ્યક્તિ તેની સરકારી નોકરી દરમિયાનની જીવનશૈલી આવક ઘટતાં અપનાવી ના શકે અને તેને લીધે તાણ તથા અસુરક્ષા અનુભવે તે અંશત: દૂર કરવાનો પણ પેન્શન યોજનાનો ઉદ્દેશ છે.
ઓલ્ડ પેન્શન સ્કીમમાં સરકારી કર્મીને તેની નોકરીના છેલ્લા બેઝિક પગારના પચાસ ટકા પેન્શન મળે છે. તે ઉપરાંત મોંઘવારી ભથ્થું, મેડિકલ એલાઉન્સ, ગ્રેજ્યુઈટી, હક્ક રજાનું રોકડ રૂપાંતર અને મોટી બીમારી કે સર્જરીના કિસ્સામાં મેડિકલ રિએમ્બર્સમેન્ટ પણ મળે છે. જૂની પેન્શન યોજનામાં મળતી રકમ એકંદરે પર્યાપ્ત અને સન્માનજનક છે. વળી આ પેન્શન સરકાર તરફથી મળે છે અને તે માટે સરકારી કર્મચારીએ કોઈ આગોતરી કપાત કરાવવાની રહેતી નથી.
સરકાર અને કેટલાક અર્થશાસ્ત્રીઓને લાગ્યું કે સરકારના બજેટનો મોટો ભાગ પગાર અને પેન્શન પાછળ ખર્ચાઈ જાય છે, તેથી વિકાસ કામો માટે નાણાં બચતાં નથી. સરકારનું પેન્શનનું આર્થિક ભારણ હળવું કરવા ૨૦૦૩માં કેન્દ્રની કાઁગ્રેસ સરકારે ઓલ્ડ પેન્શન યોજનાને બદલે નવી પેન્શન યોજનાનો વિકલ્પ વિચાર્યો હતો. જેનો અમલ તેની અનુગામી અટલબિહારી વાજપાઈના નેતૃત્વ હેઠળની બી.જે.પી. સરકારે કર્યો હતો. નેશનલ પેન્શન સિસ્ટમ તરીકે જાણીતી આ નવી પેન્શન યોજના ૧લી જાન્યુઆરી ૨૦૦૪થી સરકારી નોકરીમાં જોડાયેલ તમામને લાગુ પડે છે.
જૂની પેન્શન યોજનામાં કર્મીએ કોઈ કપાત કે રોકાણ કરવાનું નહોતું અને તેને સરકારી તિજોરીમાંથી પેન્શન મળવાનું સુનિશ્ચિત હતું. જ્યારે નવી પેન્શન યોજનામાં કર્મચારીએ તેના પગારમાંથી માસિક દસ ટકાની કપાત કરાવવાની છે. એટલે કે તેના ભાવિ પેન્શન માટે તેણે સમગ્ર નોકરી દરમિયાન આર્થિક રોકાણ કરવાનું છે. કર્મચારીના જેટલી જ સરકારની કપાત તેના ખાતામાં જમા થતાં નિવૃત્તિ વખતે તેમાંથી તેને પેન્શન મળશે. કર્મચારીના રોકાણનાં નાણાંનું સરકારે એક ફંડ બનાવ્યું છે. સરકાર આ ફંડનાં નાણાંનું શેરમાં રોકાણ કરે છે અને તેમાંથી પેન્શન ચુકવવામાં આવશે. એટલે સરકારે કર્મચારીઓને શેર બજારના હવાલે કરી દીધા છે. સરકારે SBI, UTI અને LICના શેરમાં રોકેલાં નાણાંનું જોખમ કર્મચારીના માથે હોય છે. તેના શેરની સ્થિતિ મુજબ પેન્શન મળી શકે છે. વળી આ પેન્શનની રકમ જૂના પેન્શનની તુલનાએ અતિ અલ્પ હોય છે. તેમાં મોંઘવારી ભથ્થું, તબીબી ભથ્થું જ મળતું નથી તો પછી મેડિકલ રિએમ્બસમેન્ટની તો કલ્પના જ ક્યાંથી થાય ? સરવાળે નવી પેન્શન યોજનામાં કર્મચારીઓને મોટો ગેરફાયદો છે. પેન્શનનો મૂળભૂત હેતુ નિવૃત્તિ પછીની આર્થિક સુરક્ષાનો અહીં છેદ ઊડી જાય છે. ભારત સરકારના સત્તાવાર પોર્ટલમાં એન.પી.એસ.નો હેતુ કર્મચારીઓમાં તેમના સુરક્ષિત ભવિષ્ય માટે રોકાણ અને બચતની ટેવ કેળવવાનો છે તેમ જે જણાવ્યું છે તે ઘા પર મીઠા જેવું છે.
જૂની-નવી પેન્શન યોજના રાજકીય કે ચૂંટણી મુદ્દો બની ગઈ છે. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ સરકારે આરંભથી જ તેમના રાજ્યોમાં નવી પેન્શન યોજના દાખલ કરી નથી. જ્યારે રાજસ્થાન, છતીસગઢ, ઝારખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશની વિપક્ષશાસિત રાજ્ય સરકારોએ નવીને બદલે જૂની પેન્શન યોજના દાખલ કરી છે. હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીનો મહત્ત્વનો મુદ્દો જ પેન્શન હતો. ભા.જ.પ.ને બદલે ત્યાં કાઁગ્રેસ સત્તામાં આવતાં તેણે તરત જ જૂની પેન્શન યોજના અમલી બનાવી છે. જો કે ત્રિપુરાની ડાબેરી સરકારને હરાવી સત્તાનશીન થયેલી બી.જે.પી. સરકારે તે રાજ્યમાં જૂનીને બદલે નવી પેન્શન યોજના અમલી કરી છે. એ રીતે પેન્શનનો પ્રશ્ન સત્તા પક્ષ વિરુદ્ધ વિપક્ષનો કે બી.જે.પી. અને તેના સમર્થિત પક્ષો વિરુદ્ધ કાઁગ્રેસ અને અન્ય વિપક્ષોનો બની રહ્યો છે.
પેન્શન રાજ્યોનું આર્થિક ભારણ વધારે છે, લાંબા ગાળે રાજ્યોને દેવાદાર બનાવશે અને વિકાસ કામો માટેનાં નાણાં સરકારી પેન્શનરો લઈ જાય છે તેવી દલીલોને ચકાસવી જોઈએ. ગુજરાત સરકારના વરસ ૨૦૨૩-૨૪ના અંદાજપત્રમાં જણાવ્યા મુજબ રાજ્યમાં ૫,૧૩,૭૧૬ પેન્શનરો છે. તેમના પેન્શનનો અંદાજિત ખર્ચ રૂ. ૨૪,૯૭૮ કરોડ છે જ્યારે રાજ્યનું કુલ બજેટ રૂ. ૩,૦૧,૦૨૨ કરોડનું છે. એટલે કુલ બજેટમાં પેન્શન ખર્ચ માત્ર ૮.૩૦ ટકા જ છે. એ જ રીતે ભારત સરકારના ૨૩-૨૪ના રૂ. ૪૫,૦૩, ૦૯૭ કરોડના કુલ બજેટમાં પેન્શનનો અંદાજિત ખર્ચ રૂ. ૩,૧૫,૮૬૫ અર્થાત ૭.૦૧ ટકા જ છે. વર્ષ ૨૦૨૩-૨૪માં ગુજરાતમાં ૬૪.૨૧ ટકા નાણાં વિકાસકામો પાછળ ખર્ચાવાનાં હોય અને પેન્શન ખર્ચ માત્ર ૮.૩૦ ટકા જ હોય તો પેન્શનને લીધે વિકાસકામોને સહન કરવું પડતું હોવાની દલીલ પણ યોગ્ય નથી. જૂની પેન્શન યોજના આર્થિક ભારણને ઘટાડવા બંધ કર્યાનું કારણ જરા ય સાચું નથી અને ખુદ સરકારી આંકડાઓની સરાણે ચકાસતા તે તથ્યહીન જણાય છે.
ભારત સરકારે નવી પેન્શન યોજના ૨૦૦૯થી દેશના તમામ નાગરિકો માટે જાહેર કરી છે. અટલ પેન્શન યોજના પણ તેનો ભાગ છે. પરંતુ સશસ્ત્ર સેનાઓ માટે જૂની પેન્શન યોજના જ ચાલુ રાખી છે. સેનાના નિવૃત્ત વિકલાંગકર્મીઓને પેન્શન ઉપરાંત સરેરાશ ૨૦થી ૫૦ ટકા વિકલાંગતા પેન્શન મળે છે. ‘કેગ’ના રિપોર્ટમાં ૧૫થી ૧૮ ટકા જવાનો દિવ્યાંગ છે, પરંતુ સેવા નિવૃત્ત ૩૦થી ૪૦ ટકા સેના અધિકારીઓ વિકલાંગતા પેન્શન મેળવે છે અને તેમાં ૪૫ ટકા તો સેનાના ડોકટરો છે, તેમ જે જણાવ્યું છે તે પેન્શનના નામે થઈ રહેલી લૂંટ છે. ધારાસભ્યો અને સાંસદોને પણ અગાઉના જેવું જ પેન્શન મળે છે. એક કરતાં વધુ ટર્મનું પણ મળવું યથાવત છે.
વિધવા, વિકલાંગ, વૃદ્ધને મળતા સરકારી પેન્શનની રકમ મજાક જેવી છે. ઔદ્યોગિક કામદારોને મળતું પેન્શન સાવ નગણ્ય છે. ખેડૂતો, ખેતકામદારો, કારીગરો, વેપારીઓ અને ગૃહિણીઓને કોઈ પેન્શન મળતું નથી. દેશમાં માત્ર ૧૨ ટકા લોકો જ પેન્શન મેળવે છે. બાકીનો ૮૮ ટકાનો મોટો સમૂહ કોઈ પણ પ્રકારનું પેન્શન મેળવતો નથી. પરંતુ પેન્શન મેળવતો વર્ગ બોલકો છે, સરકારોને રાજકીય નુકસાન પહોંચાડી શકે તેવો લોકમત ઘડવામાં પાવરધો છે એટલે તેની વાત કદાચ સંભળાશે.
e.mail : maheriyachandu@gmail.com