‘ઓર્ગેનાઇઝર’ કહે છે કે કેવળ બ્રાન્ડ મોદી અને હિંદુત્વ પર બધો વખત મદાર રાખી શકાય નહીં. ધોરણસરનું શાસન (ગવર્નન્સ) અને પ્રાદેશિક નેતૃત્વને અવકાશ પણ નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સૂચિત અમેરિકા યાત્રાને એમની ઈમેજ-સુધાર બલકે ઇમેજ-નિખારની આશા અપેક્ષાએ એમના ખાસ વર્તુળોમાં જોવાઈ રહી છે. આમ પણ, રાહુલ ગાંધીની અમેરિકા યાત્રાની પિછવાઈ પર અને એમાં ય વડા પ્રધાનને પક્ષે તો નવ વરસમાં પહેલી જ વાર સત્તાવાર મુલાકાત હોવાની છે – આ મુલાકાત મહત્ત્વની તો છે જ. એમાં પણ તત્કાળ સંદર્ભની રીતે કર્ણાટકના પરિણામ પછી ‘ડેમેજ કન્ટ્રોલ’ની રીતે કશુંક તો હાંસલ થતું અનુભવાવું જોઈએ એ મુદ્દો બાજુએ મૂકી શકાય એવો અલબત્ત નથી. હવે યુનિફોર્મ સિવિલ કોડની બાબત હાથ પર લેવાઈ રહી છે, અને રામ મંદિરનું નિર્માણ પણ સપાટાબંધ થઈ રહ્યું છે. કહેવું હોય તો કહી શકાય કે અમેરિકા યાત્રા, સિવિલ કોડ અને મંદિર એ ત્રણના જોર પર 2024ની ચૂંટણી વૈતરણી પાર કરવાની ગણતરી હોઈ શકે છે.
બીજી પાસ, આ પક્ષપરિવારના નાભિકેન્દ્ર શી સંઘ થિંકટેન્ક કે પછી આલાકમાન જેવી કોઈ વિધિસર-અવિધિસર જોગવાઈ હોય તે વામનનાં આ ત્રણ કદમ અને ફતેહ છે આગે, એ પ્રકારે કદાચ આશ્વસ્ત જણાતી નથી. લગભગ સત્તાવાર કહી શકાય એવો એનો સીધો સંકેત ‘ઓર્ગેનાઇઝર’માં પ્રફુલ્લ કેતકરના તાજા લેખ વાટે મળ્યો છે. આ પત્ર સંઘ પરિવારના મુખપત્ર જેવો દરજ્જો ધરાવે છે. જનસંઘ મારફતે સંઘના સીધા રાજકીય પ્રવેશની ચર્ચા આ પત્ર ઉપાડી હતી તેમ એની ફાઈલોમાંથી પસાર થતા જણાય છે. છેલ્લે ગોવાના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે જાહેરમાં જણાયેલા કેવલ મલકાની આરંભકાળે ‘ઓર્ગેનાઇઝર’ના તંત્રી હતા, અને પ્રત્યક્ષ રાજકીય પ્રવેશની ચર્ચાના આરંભકારો પૈકી હતા. સ્વરાજના અરસામાં શરૂ થયેલ આ પત્રને સંઘ શ્રેષ્ઠીઓ કેટલું મહત્ત્વ આપતા હશે તે કેતકરના પુરોગામી બાલાશંકરને 2013માં કાચી મિનિટે રૂખસદ અપાઈ હતી તેના પરથી સમજાય છે. હજુ સંઘ શ્રેષ્ઠીઓ ચોક્કસ નહોતા અને નેતૃત્વ માટે નીતિન ગડકરી તરફ કદાચ વધુ ઢળેલા હતા ત્યારે ‘ઓર્ગેનાઇઝર’માં સહસા નરેન્દ્ર મોદીનું નામ આગળ કરવાની ચેષ્ટા થઈ તેને પરિણામે ‘ઓર્ગેનાઇઝર’ના તંત્રીપદેથી બાલાશંકરે વિદાય લેવી પડી હતી. એ સંજોગોમાં વચગાળાની કામચલાઉ ગોઠવણ પછી તરત કેતકરની તંત્રીપદે વિધિવત પ્રતિષ્ઠા થઈ હતી. તાજેતરનાં વર્ષોનો આ ઘટનાક્રમ જોતાં કેતકરે કરેલી માંડણી, એક ફીલર તરીકે અગર અન્યથા, પોતીકી પહેલથી ન હોય પરંતુ નાગપુર વિચાર મંડળીને આભારી હોય એમ માનીને ચાલવામાં હરકત નથી.
તંત્રી કેતકરની વિગતવાર માંડણીને મુખતેસર મૂકી આપવી હોય તો એનો સાર એ છે કે કર્ણાટકનાં પરિણામોએ (ભા.જ.પ.ના પરાજયે) દર્શાવી આપ્યું છે કે હવે કેવળ મોદી અને હિંદુત્વથી નહીં જીતી શકાય. કેતકરની આ બેબાક ટિપ્પણી અગત્યની એટલા માટે છે કે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ વગેરે રાજ્યોની ચૂંટણીઓનો લગભગ સેમિફાઈનલ જેવો કોઠો વટાવીને 2024ની લોકસભા ચૂંટણી લગી પહોંચતાં કેટલે વીસે સો થાય એ એની આકરી તાવણી સંભવિત છે. એમાં પણ દક્ષિણનાં રાજ્યોમાં ભા.જ.પે. હજુ પ્રભાવિક હાજરી પુરાવવાની બાકી છે.
કેતકરની, પ્રકાશન્તરે સંઘ શ્રેષ્ઠીઓનું કહેવું છે કે, રાજ્યોમાં જઈએ ત્યારે છેવટ જતાં શાસન ને સુરાજ(ગવર્નન્સ)નો પ્રશ્ન મહત્ત્વનો બની રહે છે. કર્ણાટકમાં ભા.જ.પ. સરકારની ભ્રષ્ટાચારી રીતિનીતિના મુદ્દે લડી રહેલી કાઁગ્રેસ સામે મોદી (બ્રાન્ડ), હિંદુત્વ અને એની ફરતેના મુદ્દા ઓછા ને પાછા પડ્યા. બીજું, ભારત જોડો યાત્રા પછી, એમની બધી મર્યાદા છતાં, રાહુલ અને કાઁગ્રેસની પ્રતિમા કંઈક ઊંચકાઈ છે એની યે નોંધ સંઘશ્રેષ્ઠીઓએ અલબત્ત લીધી જણાય છે. ઉત્તર-દક્ષિણ એવા વિભાગો વચ્ચે સેંગોલ પ્રકારના મનોવૈજ્ઞાનિક ઉપચારો ઉપરાંત પણ અંતર કાપવું રહે છે.
આ સંજોગોમાં સંઘ પોતે મોદીનો કોઈ વિકલ્પ ઇચ્છે છે, નિપજાવી શકે છે, વગેરે અનુમાનોને અવકાશ હોય તો પણ તે કદાચ અસ્થાને છે, કેમ કે સત્તારૂઢ મોદીની એકંદર પકડ સરળતાથી સંઘાધીન નયે હોય. અગત્યનો મુદ્દો એ છે કે બ્રાન્ડ અને ઉગ્ર વિચારધારાવાદ કોઈક તબક્કે હાંફવા લાગે છે.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : “દિવ્ય ભાસ્કર”; 15 જૂન 2023