વ્હાઈટ હાઉસ ખાતે, અમેરિકાના પ્રમુખની હાજરીમાં 22 જૂન 2023ના રોજ, યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં ભારતના વડામપ્રધાનને Wall Street Journalના પત્રકાર Sabrina Siddiquiએ સવાલ પૂછ્યો કે : “ભારત હંમેશાં ખુદને દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર કહે છે. પરંતુ ઘણા માનવ અધિકાર સંગઠનો કહે છે કે આપની સરકારે ધાર્મિક લઘુમતી સાથે ભેદભાવ કર્યો છે. આપ આજે વ્હાઈટ હાઉસમાં ઊભા છો; જ્યાં દુનિયાના કેટલાં ય નેતાઓએ લોકતંત્રની સુરક્ષા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આપ અને આપની સરકાર લઘુમતીઓની રક્ષા માટે અને અભિવ્યક્તિની આઝાદીની રક્ષા માટે શું પગલાં લેશો?”
આ સવાલ સાંભળતી વેળાએ વડા પ્રધાનના ચહેરા પર અકળામણ જોઈ શકાતી હતી. વડા પ્રધાને હિન્દીમાં જવાબ આપ્યો : “મને આશ્ચર્ય છે કે આપ કહો છો કે લોકો કહી રહ્યા છે ! લોકો કહે છે, પરંતુ ભારત લોકતાંત્રિક દેશ છે. ભારતના DNAમાં લોકતંત્ર છે ! લોકતંત્ર અમારી રગોમાં છે, લોકતંત્રને અમે જીવીએ છીએ. અમારા પૂર્વજોએ એને શબ્દોમાં ઢાળ્યું છે અમારા સંવિધાન રૂપે. અમારી સરકાર લોકતંત્રના આધારે બનેલ સંવિધાનના આધારે ચાલે છે. અમે સિદ્ધ કર્યુ છે કે ડેમોક્રસી કેન ડીલિવર ! જ્યારે હું ડીલિવર કહું છું ત્યારે જાતિ, પંથ, ધર્મ કોઈ પણ પ્રકારના ભેદભાવની ત્યાં જગ્યા હોતી નથી ! જ્યારે આપ લોકતંત્રની વાત કરો છો તો જો હ્યુમન વેલ્યૂ ન હોય, હ્યુમેનિટી ન હોય, માનવ અધિકાર ન હોય, તો તે લોકતંત્ર જ નથી. અને જો લોકતંત્રને આપ સ્વીકાર કરો છો, લોકતંત્ર માટે જીવો છો તો પક્ષપાતનો કોઈ સવાલ જ નથી ઉઠતો ! માટે ભારત; સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા પ્રયાસ એ મૂળભૂત સિદ્ધાંતોને લઈને ચાલે છે. ભારત સરકારના જે બેનિફિટ છે, તે સૌને મળે છે, જે હક્કદાર છે. માટે ભારતના લોકતાંત્રિક મૂલ્યોમાં કોઈ ભેદભાવ નથી, ન ધર્મના આધાર પર કે ન જાતિના આધાર પર, ન ઉંમરના આધાર પર કે ન ભૂ-ભાગના આધાર પર.”
થોડાં પ્રશ્નો :
[1] વડા પ્રધાને હંમેશાં વિપક્ષને ઊતારી પાડવા જ પોતાની શક્તિ / સરકારની શક્તિ વાપરી છે; સવાલો ઊઠાવનાર એક્ટિવિસ્ટોને / વિદ્યાર્થી નેતાઓને / પત્રકારોને જેલમાં પૂરાવ્યા છે ! અસહમતિના અવાજને કચડી નાંખવા CBI / ED / ITનો દુરુપયોગ કર્યો છે; તે બધું વડા પ્રધાન ભૂલી ગયા હશે? અવાજ ઉઠાવનારને દેશદ્રોહી / અર્બન નક્સલ / ટુકડે ટુકડે ગેંગનો સિક્કો મારી જેલમાં પૂર્યા છે; શું આ લોકતાંત્રિક મૂલ્ય છે? વડા પ્રધાનની આલોચના કરનારાઓ પાછળ ગંદી ગાળો ભાંડવા ટ્રોલસેનાનો ઉપયોગ શું લોકતાંત્રિક છે?
[2] ‘ભારત સરકારના જે બેનિફિટ છે, તે સૌને મળે છે’ તે વડા પ્રધાનની કૃપાથી નથી મળતા, પરંતુ બંધારણના અધિકારથી મળે છે ! એટલે જ RSSએ બંધારણ અમલમાં મૂકાયું ત્યારે બંધારણની નકલો જાહેરમાં સળગાવી હતી; તે વડા પ્રધાન ભૂલી ગયા હશે?
[3] ‘ભારત સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા પ્રયાસ’ એ મૂળભૂત સિદ્ધાંતનો અમલ ભારતમાં થતો હોય તો ન્યૂર્યોર્કના રસ્તાઓ પર વડા પ્રધાનનો વિરોધ કેમ? 75 અમેરિકન સંસદસભ્યોએ વડા પ્રધાનની નીતિઓની આલોચના કેમ કરી? શું ‘સબ કા સાથ-‘નું સૂત્ર ભેદભાવવાળી નીતિના બચાવ માટેનું નથી? નફરતની નીતિને ઢાંકવા માટેનું આ કાગળી-સૂત્ર નથી?
[4] શું ગોદી મીડિયામાં રોજ હિન્દુ-મુસ્લિમની ડીબેટ થતી નથી? ‘હેટ સ્પીચ’ બાબતે સુપ્રિમકોર્ટે સરકારને નપુંસક કહીને નાક કાપ્યું છે; એ વડા પ્રધાન ભૂલી ગયા હશે?
[5] ‘જો હ્યુમન વેલ્યૂ ન હોય, હ્યુમેનિટી ન હોય, માનવ અધિકાર ન હોય, તો તે લોકતંત્ર જ નથી.’ આ ઉપદેશ વડાપ્રધાન કોને આપતા હશે? શું આ ઉપદેશ મુજબ વડા પ્રધાનની કરણી છે? વડા પ્રધાને BBC ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂક્યો; અને નફરત ફેલાવતી ફિલ્મને ટેક્સ ફ્રી કરી; શું આ લોકતાંત્રિક મૂલ્ય છે? અભિવ્યક્તિની સ્વતંત્રતાને કચડી નાખવા, BBCની દિલ્હી-મુંબઈ સહિત 20 ઓફિસ પર Income Tax ના દરોડા પડાવ્યા; એ હરકત શું સૂચવે છે? NDTVના પત્રકાર રવિશકુમારની આલોચના સહન થતી ન હતી એટલે અદાણીને કહીને NDTV ચેનલ જ ખરીદી લીધી; શું પ્રધાન મંત્રીના મોંમાં લોકતંત્રની વાત શોભે છે ખરી?
[6] માનવ અધિકારનું કામ કરતી સંસ્થા Amnesty Internationalની દિલ્હીની કચેરી વડાપ્રધાને બંધ કરાવી દીધી; ક્યા મોઢે માનવ અધિકારની વાત કરતા હશે?
[7] સુપ્રિમકોર્ટના 4 જસ્ટિસે 12 જાન્યુઆરી 2018ના રાજ પ્રેસ કોન્ફરન્સ કરીને લોકતંત્ર બચાવવા બૂમો પાડી હતી અને એ રીતે સરકારનું નાક કાપ્યું હતું; તે વડાપ્રધાન ભૂલી ગયા હશે?
[8] કિસાન આંદોલનમાં 700થી વધુ કિસાનોના જીવ ગયા ત્યારે વડા પ્રધાને કહ્યું હતું કે ‘એ લોકો મારા માટે થોડાં મર્યા છે?’ વડા પ્રધાને કિસાન નેતાઓને ‘આંદોલનજીવી’ કહીને લોકતંત્રની મશ્કરી કરી હતી તે વડા પ્રધાન ભૂલી ગયા હશે? સરકારે, કિસાન આંદોલન વેળાએ ટ્વિટરના CEO જેક ડોર્સીને ટ્વિટર બંધ કરવાની ધમકી આપેલ; તે ધમકી લોકતંત્રની સુરક્ષા માટે આપી હતી?
[9] મહિલા પહેલવાનો સામે પોલીસનો ઉપયોગ કર્યો અને યૌન શોષણ કરનાર બ્રિજભૂષણ સિંહને છાવર્યો ! ફેઈક એન્કાઉન્ટનો પર્દાફાશ કરનાર IPS અધિકારી સતિષ વર્માને શા માટે ડિસમિસ કરાવ્યા? 2002ના કોમી તોફાનોમાં ભોગ બનનાર સાથે ઊભા રહેનાર IPS અધિકારી આર. બી. શ્રીકુમારને શા માટે જેલમાં પૂરાવેલ? વડા પ્રધાન ક્યા આધારે કહેતા હશે કે ભેદભાવ થતો નથી?
[10] ‘ગોલી મારો લાલો કો’ કહેનારને કેબિનેટ મંત્રી બનાવો છો, ત્યારે ‘સબ કા સાથ’નો ઉપદેશ શોભે છે ખરો? હાઈકોર્ટ અને સુપ્રિમકોર્ટે નફરત ફેલાવનાર સામે પગલાં લેવા કહ્યું છતાં પણ ચૂપ રહેનાર વડા પ્રધાન ક્યા મોઢે ‘સબ કા સાથ’ની વાત કરતા હશે?
ભારતના અધિકારીઓએ વ્હાઈટ હાઉસના અધિકારીઓ પર દબાણ કરેલ કે ભારતના વડા પ્રધાન અને અમેરિકન પ્રેસિડેન્ટ લખેલું સંયુક્ત નિવેદન આપશે; પરંતુ વ્હાઈટ હાઉસના અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સનો આગ્રહ રાખ્યો, તો રસ્તો એ કાઢવામાં આવ્યો કે પ્રેસ કોન્ફરન્સમાં માત્ર બે જ પ્રશ્નો પૂછી શકાશે ! આ કેવી પ્રેસ કોન્ફરન્સ કે પ્રશ્નો પૂછવાની પણ ટોચ મર્યાદા ! બીજી બાજુ વડા પ્રધાન લોકતંત્રનો ઉપદેશ આપે છે ! વડા પ્રધાને સવાલ સાંભળતી વેળાએ ઈયરફોનનો ઉપયોગ કર્યો હતો; મતલબ કે સવાલ અંગ્રેજીમાં હોય તેથી તેનું ભાષાંતર થઈ શકે ! 13 વર્ષ CM અને 9 વર્ષ PM રહ્યા છતાં અંગ્રેજીમાં પૂછાયેલ સરળ પ્રશ્ન સમજી શકવાના ફાંફાં છે; પરંતુ ભક્તોને રાહુલ ગાંધી પપ્પૂ લાગે છે ! વડા પ્રધાનનો જવાબ એવો હતો જાણે કોઈ તાલુકાના મામલતદાર જવાબ આપી રહ્યા હોય ! પોતે દેશના વડા પ્રધાન છે, એને છાજે તેવો જવાબ પણ તેઓ આપી શક્યા ન હતા ! ભક્તો કહેતા થાકતા નથી કે ‘વડા પ્રધાને તો વિશ્વમાં ભારતનો ડંકો વગાડી દીધો છે !’ પરંતુ વડા પ્રધાનની અમેરિકા યાત્રાએ તો વિશ્વ-ડંકાની હવા જ કાઢી નાખી ! Sabrina Siddiquiએ લોકશાહીની વ્યાખ્યા પૂછી ન હતી; પરંતુ વડા પ્રધાન તો ભળતું જ બોલવા લાગ્યા ! જે બોલ્યા તેમાં શબ્દે-શબ્દે જૂઠ ટપકતું હતું ! મહાન દેશના વડા પ્રધાન દુનિયા સમક્ષ શરમજનક સ્થિતિમાં મૂકાઈ ગયા !
કરવા ગયા કંસાર, થઈ ગઈ થૂલી ! શું આ રીતે વિશ્વમાં ભારતનો ડંકો વાગશે?
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર