દેશ અત્યારે બે ભાગમાં વહેંચાઈ ગયો હોય તેવી સ્થિતિ છે. એક ભાગમાં સરકાર અને તેનું ભક્ત મંડળ છે. સરકાર એક પછી એક વિકાસનાં કામો ગણાવતી જાય છે, આયોજનો, ઉદ્ઘાટનો, લોકાર્પણોનો સિલસિલો ચાલે છે, સરકાર બહુ મહત્ત્વનાં કાર્યો કરી રહી હોય એવું વાતાવરણ છે ને પ્રજાનો મોટો ભાગ તાળીઓ પાડી પાડીને સરકારનું ગુણ સંકીર્તન કરી રહી છે. એને સરકારની કોઈ ખામી જ નથી દેખાતી. બીજો ભાગ એવો છે જેમાં સરકારની કામગીરી સામે અસંતોષ વધતો આવે છે. એમાં વિપક્ષો જ છે એવું નથી, એમાં પ્રજા પણ છે. એને સરકારનું કશું સારું જ નથી દેખાતું. આ બંને સ્થિતિ કુદરતી નથી, કેળવાયેલી છે. ભા.જ.પ.ની સરકારમાં કશું સારું થયું જ નથી એવું નથી, તો બધું જ સારું થયું છે એવું પણ નથી. આ સ્થિતિ માટે પ્રજા જવાબદાર નહીં, પણ નિમિત્ત બની છે. નિમિત્ત એ રીતે કે તેણે 2014માં અને 2019માં ભા.જ.પ.ને એટલી સીટો આપી કે વિપક્ષ ઝાંખોપાંખો જ રહી ગયો. જે કાઁગ્રેસે દાયકાઓ સુધી શાસન કર્યું હતું એ પક્ષ અત્યારે મરવાને વાંકે જીવી રહ્યો છે. જો કાઁગ્રેસની જ આ હાલત હોય તો અન્ય પક્ષોની તો વાત જ શી કરવાની? એને બદલે જો વિપક્ષ ખમતીધર હોત તો શાસકો કાબૂમાં રહ્યા હોત. ભા.જ.પ.ને વિપક્ષ તરીકે પૂરતું મહત્ત્વ સંસદમાં મળ્યું ન હોત તો તે આજની સ્થિતિએ પહોંચ્યો ન હોત. વિપક્ષ મજબૂત હતો એટલે યુ.પી.એ. સરકાર પર એક પ્રકારનું નિયંત્રણ આવ્યું હતું. વિપક્ષ મજબૂત હતો એટલે જ એ 2014માં પ્રચંડ બહુમતીથી સત્તા પર પણ આવ્યો. આજે વિપક્ષ એ સ્થિતિમાં છે કે સત્તામાં આવે? પ્રજાએ એક બોધપાઠ લેવા જેવો છે ને તે એ કે કોઈને પણ એટલી સીટ ન આપવી કે વિપક્ષ જેવું જ ન રહે ને એટલી ઓછી સીટ પણ ન આપવી કે ગઠબંધનવાળી સરકાર જ જન્મે.
અગાઉ ક્યારે ય ન હતો એટલો વિપક્ષ અત્યારે પાંગળો બન્યો છે ને તે વધુ પાંગળો થાય એમાં શાસકોને રસ છે. એટલે જ જ્યાં ભા.જ.પ.ની સરકાર નથી, ત્યાં ચાલતી સરકાર પાડવાના અને ભા.જ.પ.ને સત્તામાં લાવવાના પ્રયત્નો થાય છે. વિપક્ષના સભ્યોને કરોડોની લાલચો આપીને, તેને પોતાની તરફ ખેંચવાના પ્રયત્નો થાય છે ને લાલચુ સભ્યો એ રીતે ખેંચાઈને પક્ષ જોડે દગો કરે પણ છે. વફાદારી આમ પણ હવે આઉટડેટેડ થઈ ગઈ છે એટલે રાજકીય બજારોમાં વેચાણ કિંમત અને ખરીદ કિંમત પર જ વેપાર ચાલે છે. સચ્ચાઈ અને અચ્છાઈ દૂર દૂર સુધી નજરે નથી ચડતી. કોઈ પણ સરકાર પોતાની સત્તા અકબંધ રહે એને માટે મથતી હોય છે ને એમાં કશું ખોટું પણ નથી, પણ કોઈ પોતાને વશ ન થાય તો તેને પાઠ ભણાવવાની વૃત્તિ યોગ્ય નથી. જે તે પક્ષના સભ્યો પોતાનાં પક્ષમાં ન આવે ને કોઈ લાલચને વશ ન થાય તો તેને ઉખાડી ફેંકવાની નીતિ બદલાની વાતને જ આગળ કરે છે.
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કાઁગ્રેસની મમતા સરકારને ચૂંટણી વખતે જે વીત્યું છે તે કોઇથી અજાણ્યું નથી. 23 જુલાઈએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઇડી) મંત્રી પાર્થ ચેટર્જીના સહયોગી અર્પિતા મુખરજીના ઘરેથી 29 કરોડની રોકડ ને 5 કિલો સોનું જપ્ત કર્યાં. એ જ રીતે અગાઉ પંજાબમાં પણ મુખ્ય મંત્રી ચન્નીના ભત્રીજા પાસેથી 19 જાન્યુઆરીએ 4 કરોડ જપ્ત કર્યા હતા. 19 ઓગસ્ટે દિલ્હીના ડેપ્યુટી સી.એમ. અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાને ત્યાં સી.બી.આઇ.ની ટીમે દરોડા પાડયા. આ અગાઉ પણ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને ત્યાં તપાસ થઈ હતી, પણ કશું મળ્યું ન હતું. આ ઉપરાંત 24મી ઓગસ્ટે બિહારમાં સી.બી.આઇ. અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થવાનો હતો એ દિવસે જ આર.જે.ડી.ના ચાર નેતાઓને ત્યાં દરોડા પાડયા. હવે પછી પણ બીજે પણ દરોડા પડે એમ બને.
કોઈ પણ શકમંદને ત્યાં તંત્રો દરોડા પાડે અને તેની બેનામી સંપત્તિ કબજે કરે એને માટે તંત્રોને અને સરકારને બિરદાવવી જ પડે. એવી સંપત્તિ રાખનાર કોઈ પણ ચમરબંધનો બચાવ ન જ હોય. તંત્રો પણ શુદ્ધ બુદ્ધિથી એ પ્રવૃત્તિમાં પરિણામ મેળવે એનો ય આનંદ જ હોય, પણ તંત્રો આ બધું શુદ્ધ બુદ્ધિથી જ કરે છે કે કેમ એ પ્રશ્ન જ છે. એવો વહેમ જાય છે કે આ બધું કોઈકને ઇશારે થાય છે. એમ હોય તો તે શરમજનક છે. સિસોદિયાને પક્ષ બદલવાની ઓફરો મળી હોવાનો ખુદ સિસોદિયાનો દાવો છે. તેમને દિલ્હીના મુખ્ય મંત્રી બનાવવાની લાલચ અપાયાની વાત પણ છે. જો ઓફર નહીં માનવામાં આવે તો દરોડા પાડવાની વાતો પણ ચર્ચામાં છે. કાલના જ સમાચારમાં આપ પાર્ટીનો દાવો છે કે ભા.જ.પ. તરફથી તેના ચાર ધારાસભ્યોને વીસ વીસ કરોડની ઓફર થઈ છે ને જો એ નહીં સ્વીકારવામાં આવે તો તેમની સામે સી.બી.આઇ. અને ઇ.ડી. દ્વારા ખોટા કેસ કરાશે. કેજરીવાલે એ ચાર ધારાસભ્યોને પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કર્યા હતા ને તેમણે રાજઘાટ પર અંજલિ આપતાં ઉમેર્યું હતું કે ચાળીસ ધારાસભ્યોને તોડવાની કોશિશ ભા.જ.પ. દ્વારા થઈ રહી છે ને એમને વીસ વીસ કરોડની ઓફર પણ થઈ છે. આમ થાય તો આપની સરકાર પડે એમાં શંકા નહીં. આનો ભા.જ.પે. રદિયો આપતા કહ્યું છે કે આવી કોઈ ઓફર ભા.જ.પે. આપી નથી, બને કે આવી ઓફર આપને દારૂ માફિયાઓએ આપી હોય. સાચું ખોટું તો સમય જ કહી શકે.
એક વાત સ્પષ્ટ છે કે મનીષ સિસોદિયા દિલ્હીના શિક્ષણ મંત્રી તરીકે ગુજરાત પણ આવી ગયા છે ને તેમણે શિક્ષણ સંદર્ભે ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને પડકાર પણ ફેંક્યો હતો. આ ઉપરાંત આપના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં આવી રહેલી ચૂંટણી સંદર્ભે, અનેક મફત યોજનાઓ અંગે વાત કરી ચૂક્યા છે. સુરતમાં આપને 23 સીટો મળી એટલે ગુજરાતની ચૂંટણીમાં તે સારો દેખાવ કરવા કટિબદ્ધ છે. આ બધી વાતો ભા.જ.પ.ની ચિંતા વધારે ને તે, આપની ચિંતા કઇ કઇ રીતે વધે તે માટે પ્રયત્ન કરે એમાં નવાઈ નથી. એ જ રીતે બિહારમાં વિપક્ષોને સાથે લઈને નીતીશકુમારે મહાગઠબંધનની સરકાર રચી એ વાતે ભા.જ.પ. નારાજ છે. નીતીશકુમારની વફાદારી તો પોતાની સાથે જ નથી, ત્યાં તેઓ ભા.જ.પ. પર ભરોસો રાખે એ મુશ્કેલ છે. એવામાં ભા.જ.પ.ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પ્રાદેશિક પક્ષોને નાબૂદ કરવાની વાત કરી. એ વાતે નીતીશકુમાર ચોંક્યા ને તેમણે ભા.જ.પ. સાથેનો છેડો ફાડી પ્રાદેશિક પક્ષોને સાથે લઈ મહાગઠબંધનની સરકાર રચી. દેખીતું છે કે એનાથી ભા.જ.પ.ને તેલ રેડાય ને રેડાયું પણ ! જે દિવસે નીતીશકુમારની સરકારનો ફ્લોર ટેસ્ટ હતો એ જ દિવસે આર.જે.ડી.ના ચાર નેતાઓને ત્યાં દરોડા પડ્યા. ભા.જ.પે. આ દરોડા પડાવ્યા એવું તો કોઈ ના કહે, પણ જે રીતે દરોડાનો સિલસિલો ચાલ્યો છે એ કુદરતી કે આકસ્મિક નથી. આર.જે.ડી.ના રાબડીદેવીએ દરોડા સંદર્ભે કહ્યું કે દરોડા ડરાવવા માટે જ પડાયા છે.
ચોક્કસ સમયે ચોક્કસ સ્થળે પડતા દરોડા આકસ્મિક નથી તે આ વિગતો પરથી પણ કળી શકાય એમ છે ને એની પાછળ કોનો હાથ છે તે સ્વયંસપષ્ટ છે. એ સાથે જ કેન્દ્રીય દોરીસંચારથી જે રીતે એકાએક ફેરફારો ભા.જ.પ. તેનાં મંત્રીઓ બાબતે ને રાષ્ટ્રીય નેતાગીરી સંદર્ભે કરે છે તેમાં સ્વસ્થતા જણાતી નથી. ગયે વર્ષે એકાએક ગુજરાતના મુખ્ય મંત્રી બદલી કઢાયા ને એ સાથે જ આખી કેબિનેટ બદલી કાઢવામાં આવી, તેનું કારણ આજ સુધી બહાર આવ્યું નથી. હવે ગુજરાતના પ્રદેશમંત્રી બદલવાની પણ વાત છે. એ સાથે જ ગુજરાતના બે મંત્રીઓ પૂર્ણેશ મોદી અને રાજેન્દ્ર ત્રિવેદીના ખાતાં આંચકી લેવામાં આવ્યા તેનું પણ કોઈ કારણ બહાર આવ્યું નથી. ગયા સપ્ટેમ્બરમાં મંત્રીઓ બદલાયા એ વાતને વર્ષ પણ થયું નથી ને બે મંત્રીઓનાં ખાતાં લઈ લેવામાં આવ્યાં એની પાછળનો તર્ક અકળ છે. ગુજરાતની ચૂંટણી સામે હોય ત્યારે આ પ્રકારની ખાતાકીય છેડછાડ દ્વારા મોવડી મંડળ ખરેખર કશુંક સિદ્ધ કરવા માંગે છે કે એ ધ્યાન ખેંચનારું છમકલું જ છે તે સમજવાનું મુશ્કેલ છે.
આવા ફેરફારો રાજકીય સ્તરે જ છે, એવું નથી. ભા.જ.પ. સંસદીય બોર્ડમાંથી નીતિન ગડકરી અને શિવરાજસિંહ ચૌહાણની બાદબાકી કરવામાં આવી. એ સાથે જ બંને મંત્રીઓને તથા શાહનવાઝ હુસેનને ભા.જ.પ.ની કેન્દ્રીય ચૂંટણી સમિતિમાંથી પણ દૂર કરવામાં આવ્યા. આવાં ફેરફારોની કોઈ અસર નથી થતી એમ માનવાની જરૂર નથી. બીજા મંત્રીઓની તો ખબર નથી, પણ ગડકરીએ તો ભા.જ.પ.ની સરકારમાં જ મંત્રી રહીને પોતાનો અણગમો જાહેર કરવા માંડ્યો છે. ભા.જ.પ.ની રાજ્ય સરકારોને નિશાન બનાવીને ગડકરીએ ખાડાવાળા રસ્તા સારા બનાવવાની વાત કરી છે. ગડકરીએ મોદીને કારણે ભા.જ.પ. સત્તામાં છે એ વાતનો પણ છેદ ઊડાડીને એનું શ્રેય વાજપેયી, અડવાણી અને દીનદયાળ ઉપાધ્યાયને આપ્યું છે. સરકાર સમયસર નિર્ણય નથી લેતી એવી ફરિયાદ પણ ગડકરીએ કરી હતી. આ વાતો પોતાની બાદબાકી થઈ એટલે જ ગડકરીએ કરી છે એમ કહી શકાશે નહીં, પણ એ બાદબાકી પછી જ આ કહેવાનું થયું છે એ વાતને નકારી શકાય એમ નથી.
ભાજપે 2024 સંદર્ભે એ વિચારવાનું રહે જ છે કે વિપક્ષો ન રહે, એવી સ્થિતિ તો તે કદાચને કરી પણ શકે, પણ પોતાનાં જ પક્ષમાં વિરોધનો સૂર ઊઠે તો તેને કેમ કાબૂ કરવો તે અંગે વિચારવાનું રહે ને એવું નથી કે કોઈ વિરોધ જ નહીં કરે, કારણ ગડકરીની ફરિયાદ તો સામે આવી જ છે. આજે આ એક ફરિયાદ છે, કાલે બીજી નહીં જ ઊઠે એવી આગાહી કરવાનું મુશ્કેલ છે.
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 ઑગસ્ટ 2022