‘ગાંધી સ્મૃતિ ભવન’ સુરતનું સાંસ્કૃતિક કેન્દ્ર હતું, પણ તે 2019માં રિપેરિંગ માટે બંધ કરાયું. 12 જુલાઇ, 2019ના રોજ કોઈ શો ન હતો એવા સમયમાં પ્રેક્ષક ગેલરીના પી.ઓ.પી.નો પોપડો તૂટી પડ્યો હતો. આ બનાવ પછી ભવન બંધ કરીને તેને ઉતારી પાડવાનું નક્કી કરાયું હતું. હવે તો બાજુનું મલ્ટિલેવલ પાર્કિંગ પણ જમીન દોસ્ત કરાયું છે. આમ તો 2019ની આ વાત, પણ 2022 સુધી કોરોનાને કારણે ખેંચાઈ હોય એમ બને. સરકારી કામ કોને કહ્યું છે ! ગાંધી સ્મૃતિ ભવન 1980માં ખુલ્લું મુકાયું હતું. એ વાતને ય 41 વર્ષ થયાં. 2011ની આસપાસ મોટું રિપેરિંગ નીકળ્યું હતું, ત્યારે પણ તે થોડો સમય માટે બંધ રહ્યું હતું એવો ખ્યાલ છે. એ ઉપરાંત ચોમાસામાં નાનાંમોટાં રિપેરિંગ તો નીકળ્યાં જ છે, પણ ત્યારે ભવન બંધ રહ્યું નથી. ટેકનોલોજીના આટલાં વિકાસ પછી બાંધકામ બાબતે આપણે ખરેખર ઘણો વિકાસ કર્યો છે. આપણાં સેંકડો વર્ષોથી ઊભેલાં સ્થાપત્યો જોઈએ છીએ ત્યારે થાય છે કે એ સમયના લોકો ટેકનોલોજીના અભાવમાં મૂરખ જ જણાય છે. કેવી રીતે આવું હજારેક વર્ષ ચાલે એવું તકલાદી બાંધકામ તેમણે કર્યું તે નથી સમજાતું. એ આજના બાંધકામની સામે તો કૈં જ નથી. આ ગાંધી સ્મૃતિ ભવન 41 વર્ષમાં નવું કરવું પડે એવી આધુનિક સગવડોનો લાભ એ પૂર્વજોના નસીબમાં ન હતો. ક્યાં આ આજનું 41 વર્ષનું મજબૂત બાંધકામ ને ક્યાં પેલાં સેંકડો વર્ષ જૂનાં તકલાદી સ્થાપત્યો !
જો કે, હવે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને નવું ઓડિટોરિયમ હેરિટેજ થીમ પર બનાવવાનું નક્કી કર્યું છે. હેરિટેજ થીમ એટલે આજથી જ તેને હેરિટેજ ગણવું એવું નહીં, પણ એનો લુક હેરિટેજનો હોય એટલું જ ! એનો અર્થ એવો તો નહીં જ કે બાંધ્યા પછી એને હેરિટેજમાં ખપાવવું પડે. 41 વર્ષમાં ગાંધી સ્મૃતિ ભવન ખાસું ધમધમ્યું જ છે. જો બંધાશે તો ફરી ધમધમશે જ એમાં શંકા નથી. બાકી, હેરિટેજનું માન આપવા ઇમારત પણ તો સામે હોવી જોઈએને ! એટલું ખરું કે ઇમારત બાંધવાની વિધિવત જાહેરાત બુધવારની સભામાં થઈ છે. આમ તો 2019થી ભવન બંધ પડ્યું છે ને હવે તે બાંધવાની વાત પાકે પાયે બહાર આવી છે એટલે એ બંધાશે કે કેમ એવી શંકા હવે રહેતી નથી. એ વાત જુદી છે કે ભવનનાં બાંધકામની જાહેરાત કરતાં ત્રણ વર્ષ લાગ્યાં, પણ સારી વાત એ છે કે જાહેર બાંધકામ સમિતિમાં ભવન બાંધવાનું મંજૂર થયું છે, એટલે હવે ટેન્ડરો બહાર પડાશે, તે મંજૂર થશે ને બાંધકામ શરૂ થશે ને શક્ય છે કે થોડાં જ વર્ષોમાં હેરિટેજ થીમ સાકાર થાય. બંધાતાં બંધાતાં જ હેરિટેજ ન બનતું જાય તેની કાળજી પણ કોર્પોરેશન લેશે એવી શ્રદ્ધા છે. જો કે, બંધાઈને તૈયાર થશે ત્યારે તેની આભા જુદી જ હશે, કારણ આ આખી ઇમારત માટે 24 મહાનુભાવોની સમિતિ બનાવાઇ છે ને તેનાં માર્ગદર્શનમાં આ સ્થાપત્ય તૈયાર થવાનું છે. આ ઈમારતનું નિર્માણ હેરિટેજ લુક ગ્રેહા રેટિંગ સાથે થવાનું છે તે તેની વિશેષતા છે. તેને માટે 46 કરોડથી વધુ રકમ ફાળવવાનું સભામાં નક્કી કરાયું છે. આ રકમ વધશે પણ ખરી, કારણ કે આ ઇમારત કૈં રાતોરાત તો બંધાઈ જવાની નથી. એ બંધાઈ રહે ત્યાં સુધીમાં ભાવો ડબલ ન થાય તો જ નવાઈ ! તેનો અંદાજ અત્યારથી તો કેમ આવે? ભાવો ડબલથી ય વધે તો થોડો જ કૈં કોઈનો હાથ પકડાવાનો હતો ! જો કે, કોર્પોરેશન સજાગ છે એટલે આનો વિચાર પણ તેણે કર્યો જ હશે તે નક્કી છે.
એની વે, ઇન્ટિરિયર પાછળ 5.58 કરોડ, વીજળિક કામો માટે 5.79 કરોડ, ફાયર ફાઇટિંગ સિસ્ટમ માટે 1.65 કરોડ, ઓડિટોરિયમ સિસ્ટમ સંદર્ભે 2 કરોડ, સ્ટેજ લાઇટિંગ્સ, પડદા વગેરે માટે 1.48 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. વીસેક કરોડ સિવિલ વર્કના અંદાજાયા છે. ટૂંકમાં, ગાંધી સ્મૃતિ ભવન થશે કે કેમ તેની દહેશત હતી, તે હવે દૂર થઈ છે ને એવી આશા બંધાઈ છે કે કરોડોને ખર્ચે પણ તે થશે તો ખરું જ !
આ ભવન થવું જ જોઈએ, કારણ અહીં નાટક, સાહિત્ય, સંગીત, નૃત્ય … વગેરે કાર્યક્રમો હજારોની સંખ્યામાં થયા છે. એ અત્યારે બંધ છે. એમાં હાલનું કારણ કોરોનાનું તો ખરું જ ! અન્ય પ્રવૃત્તિઓની જેમ, કોરોનાએ કળાકીય પ્રવૃતિઓને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે ને માંડ બધું થાળે પડ્યું છે ત્યારે આ ભવન હવે વહેલી તકે સજીવ થવું જોઈએ. અહીં સપ્તર્ષિ, ઓર્બિટ, રાષ્ટ્રીય કલાકેન્દ્ર, આવિષ્કાર જેવી અનેક સ્થાનિક સંસ્થાઓએ સંગીત, નાટક, નૃત્યના ઢગલો કાર્યક્રમો કર્યાં છે ને સુરતની પ્રજાએ તેને મન ભરીને માણ્યા પણ છે. અહીં જ ગુલામ અલી, શિવકુમાર શર્મા, હરિપ્રસાદ ચૌરસિયા, ઝાકિર હુસેન જેવા અનેક રાષ્ટ્રીય, આંતર રાષ્ટ્રીય સ્તરના કલાકારો રજૂ થયા છે. મધર ટેરેસા, ગુણવંત શાહ, ભગવતીકુમાર શર્મા જેવાં અનેકોનાં અહીં વ્યાખ્યાનો થયાં છે. આમાંના કેટલાક કાર્યક્રમો તો કોર્પોરેશનની વ્યાખ્યાનમાળાઓ અંતર્ગત થયા છે. આ ઉપરાંત બહારથી આઈ.એન.ટી., કાંતિ મડિયા જેવાનાં નાટકોએ અનેક પ્રેક્ષકોને હસાવ્યા, રડાવ્યા છે. આ ભવન સાથે સુરતી પ્રજાની આત્મીયતા બંધાયેલી છે ને એ અત્યારે આથમી જવા પર છે, ત્યારે થાય છે કે ગાંધી સ્મૃતિ ભવને કોઈ વરદાનની જેમ વહેલી તકે પ્રગટ થવું જોઈએ.
વિશ્વમાં કોઈ નગર પાલિકા 45થી વધુ વર્ષથી પૂર્ણ કદનાં નાટકોની સ્પર્ધા કરતી હોવાનું જાણમાં નથી. એ સ્પર્ધા સાડા ચાર દાયકાથી ય વધુ સમયથી સુરત મહાનગર પાલિકા કરતી આવી છે. એ સ્પર્ધાઓ કોરોના પહેલાંથી બંધ પડી છે. એમાં જીવ આવવો જ જોઈએ. વિશ્વ રંગભૂમિ દિને આ શહેર સળંગ ત્રણ દિવસ પરફોર્મિંગ આર્ટ્સ સેન્ટરમાં ‘રંગહોત્ર’ને નામે 65થી વધુ નાટકો કરીને રંગદેવતાનું અનુષ્ઠાન કરે છે. આવું જગતમાં બીજે ક્યાં થતું હશે? સાચું તો એ છે કે આ શહેરનાં લોહીમાં કળા છે. આમ તો નાટય સ્પર્ધા કૈં કોર્પોરેશનનું કામ નથી, પણ ગટર, પાણી ને રસ્તાની સાથોસાથ જ કોર્પોરેશને સાહિત્યિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ કરી. અનેક મહાનુભાવોનાં વ્યાખ્યાનો, સન્માનો થયાં. એ બધું વર્ષોથી બંધ છે. ઘણાં નહીં જાણતા હોય, પણ આ જ કોર્પોરેશને એકાંકી અને પૂર્ણકદનાં નાટકોની લેખન સ્પર્ધાઓ પણ વર્ષો સુધી કરી. એ વર્ષોથી બંધ છે. જો સાંસ્કૃતિક સમિતિ જીવંત હોય તો આ બધું પણ જીવંત થવું જોઈએ. કોર્પોરેશન આગલાં પાનાં ફેરવશે તો તેને આ બધું થયું છે એની ને હવે કેમ નથી થતું એની પણ ખબર પડશે. કોર્પોરેશન પાસે ભજવણી અને લેખનની સ્પર્ધાઓ નિમિત્તે દર વર્ષે ઓછામાં ઓછી પચાસેક સ્ક્રિપ્ટ જમા હશે. એ સ્ક્રિપ્ટ જો ગેરવલ્લે ન ગઈ હોય તો સેંકડો સ્ક્રિપ્ટ એકાંકીની, દ્વિઅંકી-ત્રિઅંકીની, મૌલિક કે રૂપાંતરની ભેગી થઈ હશે. એ ધારે તો સ્ક્રિપ્ટ બેન્ક તૈયાર કરી શકે. યાદ રહે, આ ખજાનો જગતની કોઈ કોર્પોરેશન પાસે નથી. આ સ્ક્રિપ્ટ હોય તો તેની જાળવણી અંગે કોર્પોરેશને ગંભીરતાથી વિચારવું જોઈએ.
કોર્પોરેશનને એ પણ ખબર હશે જ કે અહીંની સ્પર્ધાઓને કારણે જ કેટલા ય લેખકો, દિગ્દર્શકો, અભિનેતાઓ, અભિનેત્રીઓ સક્રિય થયાં ને રાજ્યમાં ને રાજ્યની બહાર પણ, તેમણે સુરતનું નામ ઉજાળ્યું. કેટલી ય નવી સંસ્થાઓ ઊભી થઈ અને એને પ્રાણવાયુ કોર્પોરેશનની સ્પર્ધાઓએ પૂરો પાડ્યો. ગાંધી સ્મૃતિ ભવનને કારણે આ શહેરની સાંસ્કૃતિક આબોહવા ઊભી થઈ હતી, એ હવે કેવળ સ્મૃતિઓ રૂપે તો નહીં રહી જાયને એવો પ્રશ્ન થાય છે.
આજે છુટીછવાઈ પ્રવૃત્તિઓ તો થાય છે, પણ તેને સાંસ્કૃતિક જળ છંટકાવની જરૂર છે. તે થોડો વખત ખીલીને મુરઝાઈ જાય તે બરાબર નથી. આજની સ્થિતિ એવી છે કે આ શહેર સાહિત્યિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે નિર્જીવ થવા પર છે. એક સમયે અહીં કવિઓ, લેખકો, કળાકારોની કદી ખોટ ન હતી, પણ આજે એક સારો વાર્તાકાર, સારો નિબંધકાર, સારો નવલકથાકાર, સારો વિવેચક ખોળવો પડે એ સ્થિતિ છે. નર્મદ, નંદશંકર, નવલરામ, જ્યોતીન્દ્ર દવે, ચં.ચી., ‘ગની’ દહીંવાલા, રતિલાલ ‘અનિલ’, જયંત પાઠક, મનહરલાલ ચોક્સી, ભગવતીકુમાર શર્મા, સરોજ પાઠક, રમણ પાઠક, જ્યોતિ વૈદ્ય, વસંત ઘાસવાલા જેવાં અનેક સાહિત્યકારો, નાટ્યકારો આ શહેરે આપ્યાં છે. યાદ રહે, અર્વાચીન ગુજરાતી સાહિત્યનો એકડો સુરતમાં ઘૂંટાયો છે ને આજે આ શહેરનો સાહિત્યિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે નાભિ શ્વાસ ચાલતો હોય એવી સ્થિતિ છે. એ કમનસીબી છે કે બહુ જ ટૂંકી દૃષ્ટિના, અંગત લાભ શોધનારા ને સૂંઠને ગાંગડે સાહિત્યકાર થઈ જનારાઓની ચોમેર ભીડ ફેલાયેલી છે. પોતાની આરતી ઉતરાવવા થોડું ઘણું થતું પણ હશે, પણ ગુણવત્તા હવે આઉટ ડેટેડ થઈ ગઈ છે. ઘણાંને માથે વેચાણ કિંમતની ટેગ લાગેલી છે ને બધાં જ વેચાવાની રાહ જોઈને ઊભાં હોય એવો સીનારિયો છે. એમાં સાહિત્ય ને શરમ સિવાય બધું જ છે.
આવી સ્થિતિમાં ગાંધી સ્મૃતિ ભવન એક સીમા સ્થંભને સ્થાને હતું. આ શહેર ભલે મેટ્રો કે વર્લ્ડ ક્લાસ વિકાસમાં ગમે તેટલો રસ લે, પણ તેની સાંસ્કૃતિક, સાહિત્યિક ધરોહરને ન ભૂલે. એના પર બુલડોઝર ન ફરે તેટલું અનિવાર્યપણે જોવાવું જોઈએ. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એ બધી જ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરે જે તેણે અગાઉ કરી જ છે ને આ શહેરને સાંસ્કૃતિક ખંડેરમાંથી બહાર કાઢી નવપલ્લવિત કરે તો તેનો આ શહેર પર ઉપકાર જ હશે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 જૂન 2022