વિનાયક દામોદર સાવરકરે પોતાના આત્મચરિત્રમાં લખ્યું કે ૧૭ વરસની ઉંમરે તેમણે નાસિકમાં તરુણોને સંગઠિત કર્યા હતા અને સશસ્ત્રક્રાંતિની એવી મશાલ પ્રગટાવી હતી કે તે જોઇને સરકારી અમલદારો થરથરવા લાગ્યા હતા, પોતાને શહાણા સમજનારાઓ ક્રાંતિકારી તરુણોને હથિયાર હાથમાં નહીં લેવાની શાણી સલાહ આપતા હતા અને તિરસ્કારતા હતા અને સ્વજનો તેમ જ હિતચિંતકો ગળે વળીને રડતા હતા.
સવાલ એ છે કે સાવરકર દાવો કરે છે એમ ૧૯૦૦ની સાલ સુધીમાં તેમના પ્રયત્નોનાં કારણે નાસિકમાં ક્રાંતિની મશાલ પ્રગટી ચૂકી હતી, તો તેને દેશભરમાં ફેલાવવાની જગ્યાએ તેઓ નાસિક છોડીને તરત જ બીજા જ વરસે ૧૯૦૨ની સાલમાં પહેલાં પૂના અને પછી ૧૯૦૬ની સાલમાં લંડન ભણવા માટે કેમ જતા રહ્યા? આવો સાદો અને સ્વાભાવિક સવાલ તેમના હિન્દુત્વવાદી ચરિત્રલેખકોએ કર્યો નથી. એટલે જવાબ આપવાનો તો સવાલ જ નથી. સવાલ તો એ પણ છે કે તેમના જીવન ન્યોચ્છાવર કરવા ઉત્સુક શિષ્ય સમાન તરુણોને તેઓ કોના ભરોસે છોડીને ગયા હતા? કોઈ સાચો ક્રાંતિકારી નેતા સાથીઓને છોડીને આમ ઉચ્ચ શિક્ષણ માટે જાય ખરો?
સાવરકરે પોતે જ તેમના આત્મચરિત્ર(સમગ્ર સાવરકર ભાગ એક, પૃષ્ઠ ૧૭૭)માં લખ્યું છે : ‘બે-પાંચ અંગ્રેજોને મારવાથી તેઓ ડરીને ભાગી જશે એવી ભોળી સમજ તેઓ ધરાવતા નહોતા. પરંતુ ૩૦ કરોડ લોકોના આ દેશમાં જો બે લાખ તરુણો ગુપ્ત સંગઠનો રચે, અચાનક છાપામારી કરે, કાવતરાં રચે, હાર્યા વિના કે નિરાશ થયા વિના અવિરત લડત આપે તો રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય મળે જ મળે. કોઈ તેને મળતું રોકી ન શકે.’ આમ તેઓ જાણતા તો હતા જ કે સશસ્ત્રક્રાંતિ દ્વારા આઝાદી મેળવવા માટે શું કરવું જોઈએ, પરંતુ તેમણે પોતે એ માર્ગ અપનાવવાની જગ્યાએ પહેલાં પુનાનો અને એ પછી લંડનનો માર્ગ અપનાવ્યો હતો.
શા માટે? એક તો એ કે તેઓ દાવો કરે છે એવી કોઈ ક્રાંતિની ચિનગારી નાસિકમાં પેદા નહોતી થઈ. કોઈ સમકાલીન અહેવાલો તેને પુષ્ટિ આપતા નથી. એ માત્ર શૌર્યપરક આત્મગૌરવ છે અને સાવરકરનાં લખાણોમાં તમને એ અવારનવાર જડી આવશે. એ તેમનો સ્થાયીભાવ છે. બીજું મહત્ત્વનું કારણ એ કે તેઓ પોતે કોઈ જોખમ ઉઠાવવા માગતા નહોતા. તેઓ માત્ર લખાણો લખીને અને ભાષણો આપીને યુવકોને ઉત્તેજિત કરતા હતા. તેમણે આખી જિંદગીમાં પિસ્તોલ તો બાજુએ રહી, લાઠી પણ હાથમાં લીધી નહોતી. ત્રીજું એટલું જ મહત્ત્વનું કારણ એ કે શ્યામજી કૃષ્ણવર્માની અને બીજાઓની માફક તેમની પણ એવી સમજ હતી કે જ્યાં સુધી પોતે કાયદો હાથમાં ન લે ત્યાં સુધી બ્રિટનની ભૂમિ ભારત કરતાં વધુ સલામત છે. બ્રિટનમાં સુરક્ષિત વાણીસ્વાતંત્ર્ય છે, એટલે ગમે તે લખી-બોલી શકાય એમ છે. ભારતમાં રાજ્યદ્રોહના કાયદાઓ નડે છે. લંડન જવા પાછળ આ કારણો હતાં. સાવરકરને ઉશ્કેરણીજનક લખવા-બોલવાની અબાધિત આઝાદી જોઈતી હતી, એમાં જ તેમની ફાવટ હતી, તેઓ પોતે શસ્ત્ર હાથમાં લેવા માગતા નહોતા, જ્યાં હિંસક ઘટનાઓ બનતી હતી તેની નજીક પણ તેઓ રહેતા નહોતા એટલે તેમણે વિચાર્યું કે બ્રિટન સૌથી સલામત ભૂમિ છે. લોકમાન્ય તિલક અને શ્યામજી કૃષ્ણવર્માનો હવાલો આપીને તેમણે એ લખ્યું પણ છે.
પણ તેમના દુર્ભાગ્યે આ ગણતરી ખોટી નીવડી. તેમણે લખવા-બોલવામાં અને યુવકોને ઉશ્કેરવામાં થોડી વધારે પડતી છૂટ લીધી જેમાં તેઓ ફસાઈ ગયા.
૧૯૦૬ના જૂન મહિનામાં સાવરકર લંડન ગયા. ત્યાં તેઓ શ્યામજી કૃષ્ણવર્મા દ્વારા સ્થાપિત ઇન્ડિયા હાઉસમાં રહેતા હતા. ત્યાં બીજા પણ કેટલાક ભારતીય યુવકો રહેતા હતા. મદનલાલ ઢીંગરા પણ એ જ વરસમાં મિકેનિકલ એન્જિનિયરીંગ ભણવા માટે આવ્યો હતો. બીજા યુવકોની માફક ઢીંગરા પણ દેશદાઝ ધરાવતો હતો. ઢીંગરાની ભાવનાશીલતા જોઇને સાવરકરે તેને પોતાની પાંખમાં લીધો હતો. ઢીંગરા એટલો બધો સાવરકરથી પ્રભાવિત થયો હતો કે તે સાવરકરના આદેશ મુજબ ગમે તે કરવા તૈયાર હતો અને પહેલી જુલાઈ ૧૯૦૯ના રોજ તેણે કર્ઝન વાઈલી નામના ભારતમાં લશ્કરમાં નોકરી કરી ચુકેલા નિવૃત્ત બ્રિટિશ અધિકારીનું ખૂન કર્યું હતું.
મદનલાલ ઢીંગરાએ કરેલું વાઈલીનું ખૂન સાવરકર દ્વારા કરવામાં આવેલી ઉશ્કેરણીનું પરિણામ હતું એની બ્રિટિશ સરકારને ખાતરી હતી. બ્રિટિશ સરકાર શું, યુરોપમાં, લંડનમાં અને ઇન્ડિયા હાઉસમાં રહેતા ભારતીયોને પણ તેની જાણ હતી. એટલે તો બ્રિટનમાં વસતા ભારતીયોએ સભા કરીને વાઈલીખૂનની નિંદા કરી હતી. વાઈલીનું ખૂન કરવામાં આવ્યું એ પછીના બીજા અઠવાડિયે ગાંધીજી ૧૦મી જુલાઈએ દક્ષિણ આફ્રિકાના કામે લંડન ગયા હતા. તેમણે ૧૬મી જુલાઈ ૧૯૦૯ના રોજ ‘ઇન્ડિયન ઓપીનિયન’ માટે એક લેખ લખ્યો હતો જેમાં ગાંધીજી લખે છે : ‘ … તેણે (ઢીંગરાએ) નકામાં લખાણો ઉપરટપકે વાંચીને આ કામ કર્યું છે. ને બચાવ પણ ગોખી રાખેલો જણાય છે. સજા તો તેને શીખવનારને થવી જોઈએ. તેને તો હું નિર્દોષ ગણું છું. ખૂન તે નશામાં થયેલું કામ છે. નશો કાંઈ માત્ર દારુભાંગનો જ નથી હોતો, અમુક ગાંડા વિચારનો પણ નશો હોઈ શકે છે. …' (ગાંધીજીનો અક્ષરદેહ ભાગ-૯, પૃષ્ઠ ૩૬૧)
‘સજા તો તેને શીખવનારને થવી જોઈએ.’ ગાંધીજીનો આ ઈશારો સાવરકર તરફ હતો અને સાવરકરે એનો ખાર આજીવન રાખ્યો હતો, તે ત્યાં સુધી કે ગાંધીજીની હત્યામાં સાવરકરનો હાથ હતો. અદાલતે સાવરકરને નિર્દોષ ઠરાવ્યા એ જજની ભૂલ હતી એમ સાવરકરના અવસાન પછી રચવામાં આવેલા કપૂર કમિશને પુરાવા સહિત નોંધ્યું છે. આ સ્થિતિમાં રાજનાથ સિંહ કહે છે એમ ગાંધીજીની સલાહને અનુસરીને સાવરકરે બ્રિટિશ સરકારની ઉપરાઉપર માફીઓ માગી હતી એ વાત ગળે ઉતરે એવી નથી. પણ એ વાત અહીં બાજુએ રાખીએ.
શું સાવરકરે મદનલાલ ઢીંગરાને ઉશ્કેર્યો હતો? સાવરકર પોતે શું કહે છે?
સાવરકર એ સમયે તેમના ‘અભિનવ ભારત’ નામના સામયિક માટે ‘લંડનચી બાતમીપત્રે’ એવા શીર્ષક સાથે પત્રો લખતા હતા. એ પત્રો પણ સાવરકર સમગ્ર વાંગ્મયમાં સંગ્રહિત છે. એ પત્રોમાં ઢીંગરા વિષે લખાણ છે, પણ એમાં કોઈ જગ્યાએ સાવરકરે લખ્યું નથી કે ઢીંગરા તેમના પ્રભાવમાં હતો અને તેમણે તેને ખૂન કરવાની સલાહ આપી હતી. આ તો જાણે સ્વાભાવિક છે અને સાવરકર માટે વધુ સ્વાભાવિક છે.
સાવરકરે ઢીંગરાના બચાવનામામાં કરેલા નિવેદનનો એકથી વધુ વાર ઉલ્લેખ કર્યો છે. એ બચાવનામું સાવરકરે લખી આપ્યું હતું જેનો ઉલ્લેખ ઉપર ગાંધીજીએ, ‘ને બચાવ પણ ગોખી રાખેલો જણાય છે.’ એ વાક્યમાં કર્યો છે. ‘લંડનચી બાતમીપત્રે’માં સાવરકરે ત્યારે લખ્યું નહોતું કે ઢીંગરાનું બચાવનામું તેમણે લખીને આપ્યું હતું. પરંતુ બન્યું એવું કે જે દિવસે ઢીંગરાએ પોતાનું બચાવનામું અદાલતમાં પેશ કર્યું એ દિવસે જજે આદેશ આપ્યો હતો કે કોઈ ભારતીયને અદાલતમાં પ્રવેશ આપવામાં ન આવે. સાવરકરે પોતે જ આ લખ્યું છે. બીજું એ બચાવનામાને ખુલ્લી અદાલતમાં જજે રેકર્ડ પર લીધું નહોતું એ પણ સાવરકરે નોંધ્યું છે. તો પછી એ બચાવનામાની સંપૂર્ણ વિગત અક્ષરસઃ એ જ દિવસે અખબારો સુધી પહોંચી કેવી રીતે? કોણે પહોંચાડી હતી? સાવરકરે એ વિગત અખબારો સુધી પહોંચાડી હતી એમ પત્રકારોએ કહ્યું હતું. એ પછી ઢીંગરાનું કૃત્ય એ સાવરકરની ચડામણીનું પરિણામ છે એની બ્રિટિશ સરકારની માન્યતા વધારે દ્રઢ થઈ હતી. ભારતમાં પણ (મુંબઈ પ્રાંતના થાણે, પૂના અને નાસિક જિલ્લાઓમાં) હિંસાની દરેક નાનીમોટી ઘટનાઓના સગડ સાવરકર સુધી જતા હતા એ તો હું ‘વિસાવ્યા શતકાચા મહારાષ્ટ્ર’ નામના પુસ્તકનો હવાલો આપીને કહી ચુક્યો છું. સરકારને એક રીતે પુરાવો મળી ગયો હતો, પરંતુ હજુ એ પૂરતો નહોતો.
હવે આનો પાકો પુરાવો કોણ આપે છે? એક સપ્તાહ માટે શ્વાસ રોકી રાખો. સાવરકરીય નીતિશાસ્ત્ર અનોખું છે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 18 નવેમ્બર 2021