સૌને નૂતન વર્ષનાં હૃદયપૂર્વકનાં અભિનંદનો અને હાર્દિક શુભેચ્છાઓ !
દીપાવલીનું પર્વ પ્રકાશનું પર્વ છે, આનંદોલ્લાસનું પર્વ છે. આમ તો આનંદની તકો આપણી પાસે ઓછી જ છે. તે એટલે કે આપણી સગવડોએ આપણને કામમાં નાખી દીધાં છે. આપણને નવરાશ જ નથી ને સાચું પૂછો તો ખાસ કામ પણ નથી. આપણી સગવડો વધી, એથી સુખ વધ્યું, પણ આનંદ વધે એવું દરેક બાબતમાં બન્યું નથી. એટલો પૈસો જરૂર વધ્યો કે સુગર ફેક્ટરી નાખી શકાય, એથી સુખ વધ્યું, પણ ડાયાબિટીસને કારણે ખાંડ ન ખાઈ શકાવાથી મીઠાશનો આનંદ ગયો. આપણે સગવડોથી સુખ વધાર્યું ને આનંદ ઘટાડયો એવું નથી લાગતું?
આપણે દિવાળીના દિવસોમાં કેટલી બધી શુભેચ્છાઓ એકબીજાને પાઠવી, નૂતન વર્ષનાં કેટલાં અભિનંદનો પાઠવીશું ય ખરા, ફોન પર ફોન થશે, ફોન પર ફોન આવશે, પણ એમાં સચ્ચાઈનો રણકો સંભળાય છે? સાચો ઉમળકો અનુભવવાય છે? આપણે સવારથી સજીધજીને નવો ચહેરો કરાવીને આમથી તેમ દોડીએ છીએ, એ ચહેરાની પાછળ જે સંતાયેલી વ્યથા છે, તે ચહેરાને તો ચમકતો રાખે છે, પણ પેલી ચમકને દંભમાં ફેરવી નાખે છે. આજની સૌથી મોટી સચ્ચાઈ એ છે કે આપણે સાચાં નથી. ઢાંકવું, સંતાડવું એ આપણી ટેવ છે. નથી આપણે સચ્ચાઈ કોઈને બતાવી શકતા કે નથી કોઈ તે બતાવવા કે જોવા ય રાજી! આજે પ્રમાણિકતાથી જાત સામે કબૂલીએ કે આપણે નકલીને જ અસલી બનાવી દીધું છે ! એટલે જ આપણાં અભિનંદનો ને શુભેચ્છાઓમાં ઉમળકો નથી. જે છે તે દેખાડો છે. અભિનંદનો ને શુભેચ્છાઓના ઢગલા મેસેજોમાં આપણો પોતાનો શબ્દ છે? મોટે ભાગે તો આપણે આવેલો મેસેજ બીજાને ફોરવર્ડ કરીને ફરજ બજાવી લઇએ છીએ. એ આખું ઉધારનું તંત્ર છે. આપણને મોકલાયેલો મેસેજ પૂરો વંચાતો ય નથી ને બીજાને તે ફોરવર્ડ કરી દઇએ છીએ. આવું કરવાનું કોઈ કહેતું નથી, પણ આપણે કરીએ છીએ. આ એક ભીડ છે ને એમાં આપણે પાછળ ન રહી જઈએ એટલે ખેંચાઈએ છીએ, દોડીએ છીએ. કેટલુંક કરવું પડે એ સમજી શકાય, પણ બધું કરવું જ જોઈએ એવું ક્યાં ય લખેલું નથી. આમાં બધું જ ખોટું છે, એવું પણ નથી. કેટલુંક મનથી, હૃદયથી થતું પણ હશે ને ત્યારે એનું અજવાળું જુદું જ હશે. એવું નથી લાગતું કે હજારો દીવાઓ પછી પણ આપણે અંધારામાં જ હોઈએ છીએ? ને ક્યારેક એવું પણ બને છે કે અંધકારમાં જ હોઈએ અને દીવાની જરૂર જ ન લાગે !
એક સમય હતો જ્યારે વીજળી ન હતી ને દીવાના ઉજાસથી જ અંધકારને દૂર રાખવાનો પ્રયાસ થતો હતો. ટોડલે દીવો મૂકાતો હતો ને લીપેલી ઓકળીઓ એના ઉજાસમાં વર્તુળાતી જતી હોય એ જ આધાર હતો – રાતનો. એ પછી ફાનસો આવ્યાં. એમાં ધ્રૂજતું અજવાળું સચવાયું. એ કામ દીવા માટે હથેળીઓ કરતી. બે હથેળી વચ્ચે જ્યોત સચવાતી ને હથેળીને પાર પણ અજવાળું નીકળવા મથતું તો એ હથેળીઓ પણ રક્તના ઉજાસથી તગતગી ઊઠતી ! આજે કેટલી બધી ઇલેક્ટ્રિક રંગીન રોશનીઓથી ઘરો ઝગમગતાં હોય છે, ગગનને ભેદી શકાય એટલું અજવાળું આપણે ઉછાળી શકીએ એમ છીએ, છતાં દિવાળીના દિવસોમાં આપણે માટીનાં કોડિયાં પ્રગટાવીએ છીએ. કેમ? આટલી બધી ટ્યૂબલાઇટ્સ ઘરની બહાર ને અંદર ઝબૂકતી હોય પછી માટીનો મામૂલી દીવો કરવાની જરૂર કેમ પડે છે? હવે તો ઇલેક્ટ્રિક જ્યોત પણ મળે છે. સ્વિચ પાડો કે જ્યોત ધ્રૂજવા લાગે ! પણ આરતીના ઉજાસની તોલે એ આવે એમ છે? આમ તો આરતી કરવાની જ જરૂર કેટલી? પણ જેમને ઘીના પૂમડાંનું અજવાળું ગમે છે એ નકલી અજવાળાંથી રાજી નહીં થાય. હવે તો દિવેટ, પૂમડાં પણ તૈયાર મળે છે ! આરતીનું નકલી ઘી સસ્તું મળે છે ને એની આરતી આપણે લક્ષ્મી કે સરસ્વતી કે દુર્ગા પૂજામાં કરીએ છીએ. કોઈ દેવી કે કોઈ ભગવાન દીવો કે આરતી કરવાનું કહે છે? દીવો ન કરવાથી કોઈ ભગવાને કોઈને કદી શાપ આપ્યો નથી, પણ આપણે ડરીને કે ભક્તિભાવથી આ બધું કરીએ છીએ. હવે જ્યારે કરીએ જ છીએ તો વેઠ ઉતારવાની જરૂર ખરી? આપણે આ બધું યાંત્રિક રીતે, ફરજ સમજીને કરીએ છીએ. સાચું તો એ છે કે જે કરીએ તેમાં જીવ હોય ! તો જ તેનો આનંદ અનુભવાય, એવું ખરું? બાકી, તો આરતીનું અજવાળું જોવાનો આપણી પાસે બહુ સમય જ હોતો નથી.
આપણને શાંત, ધીમો, સ્નિગ્ધ પ્રકાશ જોવાનો બહુ ખ્યાલ જ નથી. કોઈ વાર સાવ અંધારામાં એકલાં બેસવા જેવું છે. એટલાં બધાં અજવાળાંમાં આપણે રહીએ છીએ કે અંધારું શોધવું પડે. એકાએક લાઇટ ન જાય તો આપણે અંધારું કરવા બહુ રાજી નથી હોતાં. કદાચ ડરીએ છીએ અંધકારથી, પણ જે સાચું સમજવા માંગે છે તે ઉજાસ જેટલું જ અંધકારને ય માને છે. સાવ એકલાં, અંધારામાં બેસવામાં આપણે, આપણી જ વધારે નજીક આવીએ છીએ. તે એટલે કે આપણે, એકાંતમાં જ આપણને યાદ આવીએ છીએ. આપણે બીજાને વિષે વિચારવામાં ઘણો સમય કાઢી નાખીએ છીએ, એમાં પોતાને વિષે વિચારવાનું બહુ બનતું નથી. એ એકલાં પડીએ ત્યારે જ બને છે. સામે અરીસો પણ ન હોય, ત્યારે આપણે, આપણને સમજાઈએ છીએ. એમાં જો અંધકારથી ઘેરાઈએ તો એ આપણને અજવાળે છે, આપણને માંજે છે. રાખથી વાસણ મંજાય એમ અંધકાર આપણને માંજે છે, ઊજળાં કરે છે ને આપણે, આપણા ઉજાસમાં દેખાવા લાગીએ છીએ. કદાચ એ આપણું સાચું સ્વરૂપ છે. અહીં અરીસો નથી ને આપણાં અજવાળામાં આપણે જ દીવો થઈને ઝળહળીએ છીએ. આત્મ દીપો ભવ – કે – તું જ તારા દિલનો દીવો થા – એમ જ નથી કહેવાયું. આટલાં અજવાળાં વચ્ચે જેમ દીવાનું તેજ છે, એમ જ આટલી ભીડ વચ્ચે પણ મનુષ્યને તેનું પોતીકું તેજ છે. તે તેણે પ્રમાણવાનું રહે. અંધકારમાં દીવો પ્રમાણે એમ જ મનુષ્ય, અંધકારમાં પોતાનું તેજ પ્રમાણી શકે છે.
આ તો એકલ મનુષ્યની વાત થઈ, પણ માણસ સામાજિક પ્રાણી છે એવું જે કહેવાયું છે, એ પણ એટલું જ સાચું છે. તહેવાર અને વહેવાર માણસને સમૂહમાં રાખે છે. એકબીજા સાથે જોડે છે. દીપોત્સવ પણ એક જ તહેવાર નથી, તે તહેવારોનો સમૂહ છે. અગિયારસથી શરૂ થતી દિવાળી, દેવદિવાળી સુધી ચાલે છે. આમ જુઓ તો દિવાળીમાં દેવીઓનો મહિમા વધારે છે. વાણીની દેવી સરસ્વતીનો ઉત્સવ વાક્ બારસ તરીકે ઉજવાય છે, તો, આદિવાસીઓમાં દુર્ગાના વાહન તરીકે વાઘનો મહિમા પણ થાય છે. ધનતેરસ કુબેરનો લક્ષ્મીનો ઓચ્છવ છે. જે આજે તો વાહન ખરીદી કે દાગીના ખરીદી પર આવીને અટક્યો છે. સંપત્તિનું પ્રદર્શન જ જાણે મુખ્ય વાત થઈ પડી છે. ભલે, એમ તો એમ ! કાળીચૌદસ કાલિનું, હનુમાન ભક્તિનું પર્વ છે. એ અઘોરીઓનું, મેલી વિદ્યાનું પર્વ પણ મનાય છે. સાધના તો દુરિતની ય કરવી જ પડે છે. એને પડકારાય છે, તો ય એ સાધના પણ ચાલે તો છે જ ! દિવાળી અયોધ્યા સાથે જોડાયેલી છે. રામ, લંકા વિજય પછી અયોધ્યા પાછા ફર્યા ત્યારે જાણે અધૂરો રહેલો રાજ્યાભિષેક પૂર્ણ થયો. અયોધ્યાવાસીઓએ, રામનો વનવાસ પૂર્ણ થતાં, આખી નગરીને અનેક દીપજ્યોતિનાં તેજમાં તરતી મૂકી. કેટલી બધી કથાઓ ને ઉપકથાઓ આપણા તહેવારો સાથે જોડાયેલી છે. એ માનીએ કે ન માનીએ, પણ કોઈક સ્તરે કોઈ તર્ક આપણને સ્પર્શે છે ને એ આપણા ચિત્તમાં ક્યાંક સચવાઈ રહે છે. નવું વર્ષ દર વર્ષે આવે છે ને આપણે એ જ, વર્ષો જૂની શુભેચ્છાઓ પાઠવીએ છીએ, ખબર છે કે આપણી ખરીખોટી શુભેચ્છાઓથી કૈં થવાનું નથી, તો ય ‘સાલ મુબારક’ કે ‘નૂતન વર્ષાભિનંદન’ બોલાઈ જ જાય છે, એમાં સારું એ છે કે અજાણતાં ય કોઈનું અશુભ થાય એમ આપણે નથી ઇચ્છતાં. ભલે આ ટેવ વશ, રીતિ પ્રમાણે કહેવાતું હોય, તો પણ આપણને અશુભની ટેવ નથી પડી એ કેટલી મોટી વાત છે, નહીં તો ‘સાલ મુબારક’ની ટેવ જેવો ‘સર્વનાશ મુબારક’નો લવારો થયો હોત, પણ એવું થયું નથી તે હજી કશુંક શુભ તત્ત્વ બચ્યું છે તે વાતની સાક્ષી પૂરે છે.
કમ સે કમ દિવાળીના તહેવારોની એક વાત એ છે કે તે સૌને ભેગાં કરે છે. એક તરફ દીવો છે, તે એકલાં રહેવાનો ને પ્રગટવાનો મહિમા કરે છે તો બીજી તરફ રોજ રાત્રે ટમટમતાં તારાઓ આકાશ ઝગમગાવે, એમ કુટુંબની નાનીમોટી વ્યક્તિઓ ગમે ત્યાંથી દિવાળીએ ઘરે આવી રહે છે ને આખું ઘર કનકતારાની જેમ ઝગમગી ઊઠે છે. આકાશના તારલાઓની સ્પર્ધામાં હોય તેમ ધરતી અનેક દીવાઓથી ટમટમી ઊઠે છે ત્યારે ધરતીને પણ આકાશ થવાનું ગૌરવ પ્રાપ્ત થાય છે ને દીપોત્સવના કેફમાં એ પણ કહેતી હશે, આકાશને – નૂતન વર્ષાભિનંદન ! ને આકાશ પણ આનંદથી થોડા તારલાઓ, જ્યાં દીવા ન થયા હોય ત્યાં અજવાળું કરવા મૂકી જતું હશે. દીવાઓની જેમ આપણી ઇચ્છાઓ, સપનાંઓ ઝગમગતાં, ઝળહળતાં રહે તેવી ફરી એક વાર સૌને શુભેચ્છાઓ –
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 નવેમ્બર 2021