ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા ખાતે આવેલ ખજૂરી ગામમાં એક મહિલા સાથે જે જઘન્ય અપરાધની ઘટના બની હતી, તે ઘટનાની જાતતપાસ માટે રાજ્યનાં વિવિધ મહિલાસંગઠનોના એક પ્રતિનિધિમંડળે ધાનપુર તાલુકાની તારીખ ૧૬ જુલાઈ, ર૦ર૧ શુક્રવારના રોજ રૂબરૂ મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિમંડળમાં અમદાવાદ વિમેન્સ ઍક્શન ગ્રૂપ (અવાજ) સંસ્થાનાં શ્રી સારાબહેન બાલદીવાલા અને શ્રી ફાલ્ગુનીબહેન પુરોહિત, ઑલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠનનાં શ્રી મીનાક્ષીબહેન જોશી, શ્રી રિમ્મી વાઘેલા અને શ્રી જૈવિકા વાઘેલા તેમ જ મજૂર મહાજન સંઘ – નારી વિભાગનાં શ્રી સ્મિતાબહેન પંડ્યા તેમ જ આનંદી સંસ્થાનાં શ્રી સીમાબહેન ગોધરાથી અમારી સાથે જોડાયાં હતાં તેમ જ ધાનપુરથી ઉત્થાન સંસ્થાનાં શ્રી વૈશાલીબહેન પણ આ પ્રતિનિધિમંડળમાં હતાં.
ઘટનાની ટૂંક વિગત :
ગુજરાતરાજ્યમાં આવેલ દાહોદ જિલ્લો મોટે ભાગે આદિવાસી વસ્તી ધરાવે છે. દાહોદ જિલ્લામાં આવેલ ધાનપુર તાલુકાના ખજૂરી ગામ ખાતે આ ઘટના બની હતી. આ ઘટનાની ટૂંકમાં વિગત આ મુજબ છે, જે રાજ્યનાં મોટા ભાગનાં અખબારોમાં પ્રસિદ્ધ થઈ હતી.
આ ઘટનામાં ભોગ બનનાર મહિલાની ઉંમર ર૩ વર્ષ છે. માધ્યમોમાં પ્રસિદ્ધ થયેલ સમાચારો મુજબ તેમ જ એફ.આઈ.આર.ની નકલ મુજબ ભોગ બનનાર બહેનનાં લગ્ન પાંચ વર્ષ અગાઉ ખજૂરી ગામના એક યુવક સાથે થયાં હતા. તેમને દોઢ વર્ષની એક દીકરી છે. આ વિસ્તારમાં રોજગારીની અન્ય તકો ના હોવાથી મોટા ભાગના લોકો આસપાસના વિસ્તારો તથા મોટેભાગે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખેતરોમાં મજૂરી કામ કરીને, ઈંટોના ભઠ્ઠા પર કામ કરીને પોતાનો જીવન નિર્વાહ ચલાવે છે. એક રીતે તેઓના જીવનમાં ઋતુગત વિસ્થાપન (Seasonal Migration) સહજ બાબત છે.
આદિવાસી સમુદાયમાં લગ્નસમયે કન્યાપક્ષ દ્વારા વરપક્ષને એક ચોક્કસ રકમની ચુકવણી કરવામાં આવે છે, જેને ‘દાવો’ કહેવામાં આવે છે. આ યુવતીનાં લગ્નસમયે પણ વરપક્ષ દ્વારા ૧,રપ,૦૦૦ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. આ પણ એક કારણ છે કે જો સ્ત્રી પોતાના પતિથી અલગ થવા ઇચ્છે તો પણ પૈસા લીધા હોવાથી પુરુષપક્ષ દ્વારા સરળતાથી છૂટાછેડા આપવામાં આવતા નથી. ઊલટાનું પૈસાની ચુકવણી કરી હોવાથી સ્ત્રીને એક ખરીદેલ મિલકતના ભાગ રૂપે જોવામાં આવે છે.
આ યુવતી પોતે જેને પસંદ કરે છે, તે યુવક સાથે તારીખ પ જુલાઈ, ર૦ર૧ ના રોજ જતી રહી હતી. પરંતુ તેમના પતિ અને પતિનાં કુટુંબીજનો દ્વારા યુવતી અને તેના સાથીદાર યુવક-બંનેને પકડી પાડવામાં આવ્યા. બંનેને પકડી પાડ્યા બાદ તારીખ ૬ જુલાઈ ર૦ર૧ના રોજ વહેલી સવારે ખજૂરી ગામે લાવવામાં આવ્યાં. ત્યાં યુવતીના સાથીદારને અલગ રાખીને તેને પણ મારવામાં આવ્યો. અને યુવતીને પણ તેના પતિ અને પતિનાં કુટુંબીજનો અને તેમના ફળિયાના લોકો દ્વારા ખૂબ જ હિંસક રીતે મારવામાં આવી. યુવતીના ખભા પર તેના પતિને બેસાડીને જાહેરમાં ફેરવવામાં આવી. ત્યાં સુધી કે યુવતીનાં કપડાં ફાડીને તેને જાહેરમાં નિર્વસ્ત્ર કરવામાં આવી અને મારપીટની સાથે-સાથે ટોળાં દ્વારા જાતીય સતામણી પણ કરવામાં આવી. આ ઘટના અગાઉ જણાવ્યું તેમ તારીખ ૬ જુલાઈના રોજ સવારે બની હતી. આ ઘટનાનો વીડિયો પણ ટોળાંમાં સામેલ લોકો દ્વારા ઉતારવામાં આવ્યો. અમે જ્યારે ત્યાં પહોંચ્યાં ત્યારે ત્યાં જ કામ કરતાં મહિલા આગેવાનો દ્વારા આ વીડિયો અમને પણ બતાવવામાં આવ્યો. બધાં જ અખબારોમાં આવેલા સમાચારથી આપણે જે જાણીએ છીએ, તેના કરતાં પણ વધુ વિકૃતિ આ વીડિયોમાં જોવા મળી. એક સ્ત્રીને નિર્વસ્ત્ર કરીને, અપમાનિત કરીને, તેના પર હિંસા આચરીને જાહેરમાં ફેરવવામાં આવી, ત્યારે સમાજના નામે હાજર રહેલું ટોળું કિકિયારીઓ સાથે ઘટનાનો વિકૃત આનંદ લઈ રહ્યું હતું. વાઇરલ થયેલા વીડિયોના કારણે પોલીસ સુધી આ ઘટના બન્યાની માહિતી પહોંચી અને ૧રમી તારીખે સાંજના સમયે પોલીસ દ્વારા આ ઘટનાના આરોપીઓની ધરપકડ કરવામાં આવી તેમ જ ઘટના સામેની ફરિયાદ પણ નોંધવામાં આવી. આ ઘટનામાં એફ.આઈ.આર.માં ૧૯ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યાર બાદ અન્ય એક વ્યક્તિનું નામ ખૂલતાં કુલ ર૦ વ્યક્તિઓની આ ગુનામાં સામેલગીરી છે.
પ્રતિનિધિ મંડળ દ્વારા કરવામાં આવેલ મુલાકાત અને મુલાકાતનો ઉદ્દેશ :
આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ ઘટનાની જાતતપાસની સાથે-સાથે ઘટના પાછળ જવાબદાર પરિબળોને સમજવાનો, ભોગ બનનાર મહિલાના પડખે ઊભા રહેવાનો, સાથે-સાથે ઝડપી કાનૂની કાર્યવાહી થાય તેમ જ ઝડપથી ન્યાય મળે, એ માટે તંત્ર પર દબાણ લાવવાનો હતો.
આ મહિલા પ્રતિનિધિમંડળ દ્વારા ઘટનાની તપાસ કરી રહેલ ઉચ્ચ મહિલા-અધિકારી સાથે પણ મુલાકાત કરવામાં આવી. આ મુલાકાત ખૂબ જ આશાસ્પદ રહી. ઘટનાની તપાસમાં સંવેદનશીલ મહિલા-અધિકારી હોવાના કારણે તમામ આરોપીઓ પોલીસની અટકાયત હેઠળ છે તેમ જ ચારે બાજુથી ઊઠેલા દબાણના કારણે પોલીસ હાલ તો ખૂબ જ સક્રિય ભૂમિકા નિભાવી રહી છે, એવું આ ઘટનામાં તો લાગી રહ્યું છે. જો કે આ મહિલા – અધિકારીએ ન્યાયતંત્રની લાંબી અને જટિલ પ્રક્રિયા સામે પણ પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો, જેને અહીં નોંધવાનું જરા પણ ચૂકી શકાય તેમ નથી.
આ ઘટનામાં ભોગ બનનાર ર૩ વર્ષીય યુવતી સાથે પણ અમારી મુલાકાત શક્ય થઈ. અમારું પ્રતિનિધિમંડળ ગામ જઈને યુવતીને (હાલ તે પોતાનાં માતા-પિતા સાથે છે) મળવા માંગતું હતું, પરંતુ અમને જાણ થઈ કે તબીબી સારવાર અને અન્ય કાર્યવાહી માટે યુવતીને ધાનપુર તાલુકા પોલીસ-સ્ટેશન ખાતે લાવવામાં આવી રહેલ છે, એટલે અમારી મુલાકાત પણ પોલીસ-સ્ટેશનમાં જ ગોઠવાઈ.
પોલીસ-સ્ટેશનનો જે માહોલ હતો, તે કોઈ પણ વ્યક્તિને અસહજ અને અસ્વસ્થ બનાવવા પૂરતો હતો. હવાઉજાસ વગરનું, ગંદું, અસ્વચ્છ મકાન! જેવા પોલીસ-સ્ટેશનમાં દાખલ થઈએ તેવા સામે જ બે લૉકઅપરૂમ દેખાય. એક પુરુષો માટેનો લૉકઅપ રૂમ અને એક સ્ત્રીઓ માટેનો લૉકઅપ રૂમ. બંને સાવ અંધારિયાં. સ્ત્રીઓ માટેના લૉકઅપમાં જૂની ફાઇલોનાં પોટલાં બાંધેલાં પડ્યાં હતાં. તો પુરુષો માટેના લૉકઅપ રૂમમાં આ ઘટનાના દોષિતોને રાખેલા હતા.
જ્યારે ઘટનામાં ભોગ બનનાર યુવતી દાખલ થઈ રહી હતી, ત્યારે અમે જોયું કે તે પોતાની જાતે ચાલી શકવા પણ સક્ષમ નહોતી, એટલી હિંસા એના પ્રત્યે આચરવામાં આવી હતી. પોલીસ-સ્ટેશનમાં એવો એક પણ ખંડ નહોતો કે જ્યાં એકાંતમાં સહજપણે વાતચીત કરી શકાય અને એટલે અમારું પ્રતિનિધિ – મંડળ, આ યુવતી અને તેનાં માતા સાથે આ મકાનના ધાબા ઉપર મળ્યું. ધાબુ પણ સાવ અસ્વચ્છ! તેમાં એક ખૂણે છાંયડામાં અમે સહુ બેઠાં. સારાબહેન, મીનાક્ષીબહેન, ફાલ્ગુનીબહેન, સ્મિતાબહેન, સીમાબહેન, સહુએ અમારા આવવાનો ઉદ્દેશ યુવતી અને તેનાં માતાને જણાવ્યો. અને ખૂબ સહજતાથી તેમની સાથે વાતની શરૂઆત કરી. શરૂઆતમાં ખચકાટ અનુભવ્યા બાદ યુવતી અને તેની માતા બન્નેએ પોતાની વાત અમને શાંતિથી કરી. યુવતીના જણાવ્યા અનુસાર તેના પતિ તેના ચરિત્ર પર વારંવાર શંકા કરતા હતા, મારઝૂડ પણ કરતા હતા. પોતાના પતિને છોડીને બીજા યુવક સાથે જવા પાછળનું આ એક મુખ્ય કારણ હતું.
આ યુવતી જ્યારે વાત કરતી હતી, ત્યારે એના ચહેરા ઉપર ડર અને ગભરામણ સ્પષ્ટ દેખાતાં હતાં. તેના જણાવ્યા અનુસાર તેની સાથે ભયંકર મારઝૂડ કરવામાં આવી હતી. એટલું જ નહીં, ચાર દિવસ સુધી ખજૂરી ગામ ખાતે તેના પતિના ઘરે તેને ગોંધી રાખવામાં આવી હતી. ત્યાં સુધી કે તેની દોઢ વર્ષની દીકરીને દૂધ પિવડાવવાની પણ તેને મનાઈ ફરમાવવામાં આવી હતી. યુવતી અને તેના સાથીદારને જ્યારે પકડી પાડવામાં આવ્યા, ત્યારે યુવતીના પિતાએ બંને જણને પોલીસ-સ્ટેશને લઈ જઈ કાયદાકીય રીતે આ પ્રશ્નને ઉકેલવા માટે જણાવ્યું હતું. યુવતીનો પતિ અને તેનાં કુટુંબીજનો આ વાત સાથે સહમત પણ થયા હતા. આ માટે યુવતીના પિતા દ્વારા વાહન ભાડે કરવા માટે ૧પ,૦૦૦ રૂપિયા પણ યુવતીના પતિને ચૂકવવામાં આવ્યા હતા. પરંતુ છેતરપિંડી કરીને તેમને પોલીસ-સ્ટેશન લઈ જવાના બદલે ખજૂરી ગામ ખાતે લઈ જવામાં આવ્યાં અને ત્યાં આ અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો.
વાત કરતાં કરતાં એ યુવતીની આંખમાંથી આંસુ અટકતાં નહોતાં. એક જ વાત એ દૃઢતાથી કહી રહી હતી કે તે હવે ફરીથી ક્યારે ય તેના પતિ સાથે નહીં જાય અને છૂટાછેડા લઈને જ રહેશે. અલબત્ત, તેને એ વાતનો ખૂબ જ સંકોચ હતો કે આ રીતે તેનો વીડિયો વાઇરલ થવાથી તે પોતાની ઈજ્જત ગુમાવી બેઠી છે. જો કે અમારા પ્રતિનિધિમંડળે તેને સાંત્વના આપતાં સમજાવ્યું કે ઈજ્જત, ખરાબ કૃત્ય કરનાર વ્યક્તિ ગુમાવે છે, ગુનાનો ભોગ બનનાર વ્યક્તિ નહીં.
તમામ આ પ્રકારે આ યુવતી અને તેની માતાના પડખે ઊભાં રહેવાની ખાતરી આપી અમે અમદાવાદ પરત ફર્યાં.
અન્ય બનાવો :
૧. ઊચવાન ગામે પણ આ પ્રકારનો એક બનાવ તાજેતરમાં બન્યો હતો. બે બાળકની માતાને પતિ સતત મારઝૂડ કરતો હોવાથી તે અન્ય એક પુરુષ સાથે રહેવા લાગી. પતિએ ફરિયાદ કરતા બંનેને પોલીસ-સ્ટેશન લાવવામાં આવ્યાં. ત્યાંથી તે સ્ત્રીએ નારીકેન્દ્રમાં જવાનું પસંદ કર્યું. નારીકેન્દ્રમાં બે મહિના રહ્યાં બાદ તે સ્ત્રી પોતાનાં માતા-પિતા સાથે રહેવા લાગી. અંતે ફેબ્રુઆરી માસમાં પોતાની પસંદના પુરુષ સાથે જતી રહી. હજુ ગામમાં પરત આવ્યાના બે જ દિવસમાં તેના પતિ, પતિનાં કુટુંબીજનો આવીને મારતાં મારતાં બંનેને લઈ ગયાં, તેમના વાળ કાપીને, ભયંકર મારઝૂડ કરીને આખા ગામમાં ફેરવવામાં આવ્યાં.
ર. ખિલોડી ગામમાં પણ આ પ્રકારની અન્ય એક ઘટના બની હતી. સ્ત્રીને તેનો સાથી મળવા માટે આવ્યો હતો. તેથી, બંનેને ઝાડ સાથે બાંધીને મારવામાં આવ્યાં હતાં. તે વીડિયો પણ વાઇરલ થયો હતો. આ કેસમાં છેક એસ.પી. સુધી રજૂઆત કરવામાં આવ્યા બાદ દામાવાવ પોલીસે તપાસ હાથ ધરી હતી અને ૧૯ લોકોની ધરપકડ કરી હતી.
૩. ગોદલી ગામે સ્ત્રીને તે જ ગામમાં રહેતા અને સંબંધમાં કૌટુંબિક મામા થતા યુવક સાથે પ્રેમસંબંધ હતો. બન્ને સહજીવન શરૂ કરવાનાં સપનાં સાથે ગામમાંથી ચાલી નીકળ્યાં હતાં. પરંતુ બંનેને પકડી પાડવામાં આવ્યાં. મામા-ભાણીનો સંબંધ પવિત્ર કહેવાય, એવું ઠરાવીને તે સંબંધની પવિત્રતા પાછી મેળવવા માટે જાહેરમાં તે મહિલાને, તે ભાઈને સ્તનપાન કરાવવાની ફરજ પાડવામાં આવી હતી.
આવા કિસ્સાઓ અવારનવાર બને છે, પરંતુ સામાજિક રૂઢિઓ, રીત-રિવાજો અને પરંપરાઓના નામે આવા કિસ્સાઓ દબાઈ જતાં હોય છે અને પોલીસ પહોંચે, ત્યાં સુધીમાં તો બહુ આટોપાઈ જતું હોય છે.
અત્યાર સુધી આપણે એવું સમજતા હતા કે આદિવાસી સમુદાયમાં લગ્ન અને છૂટાછેડા બાબતે સ્ત્રીઓને ઘણી સ્વતંત્રતા છે, પરંતુ આ ઘટનાઓ બતાવે છે કે આ બાબત સંપૂર્ણપણે સત્ય નથી.
મહિલાઓ પર અત્યાચાર, તેમને નિર્વસ્ત્ર કરી ગામમાં ફેરવવી. તેમના માથાના વાળ બળજબરી પૂર્વક ઉતારવા, પુરુષોને મહિલાના ખભે બેસાડીને તેમને ગામમાં ફેરવવી, ઝાડ સાથે બાંધી જાહેરમાં લોકો દ્વારા મારપીટ કરવી ગાળો આપી અપમાનિત કરવાં, મહિલાઓનાં સન્માન અને ઇચ્છા વિરુદ્ધ સમાજના કહેવાતા આગેવાનોની મરજી મુજબના સ્થળે રહેવા ફરજ પાડવી, મહિલા અને યુવતીની હરાજી, વહેમ, દારૂ અને પૈસાની લેવડદેવડ કરી મહિલાઓ પ્રત્યે પાશવી કૃત્ય કરવા, હત્યા અને ગુનાના પુરાવાઓનો નાશ કરી કાનૂની કાર્યવાહી ન થવા દેવી, વગેરે જેવી અસંખ્ય ઘટનાઓ વારંવાર સામે આવે છે.
ઘટના પાછળનાં જવાબદાર પરિબળો :
શરૂઆતમાં જ્યારે માધ્યમોમાં સમાચાર ચમકે, ત્યારે તંત્રની સક્રિયતા નજરે પડે છે, પરંતુ સામાજિક દબાણ, ઘણી વાર રાજકીય દબાણના કારણે ગુનેગારોને જે રીતે તાત્કાલિકપણે કડક સજા થવી જોઈએ, તે થતી નથી અને અંતે તેઓ છૂટી જાય છે. પરિણામે સમાજમાં કોઈ દાખલો પણ બેસતો નથી કે મહિલાઓ પ્રત્યે આ પ્રકારનો ગુનો આચરવાથી કડક સજા થઈ શકે છે.
આ સમુદાયમાં લગ્નસમયે કન્યાપક્ષને પૈસા ચૂકવવામાં આવતા હોવાથી પુરુષો સ્ત્રીઓને પોતાની ખરીદેલી મિલકત સમજે છે અને એટલે જ જ્યારે પરંપરાગત પદ્ધતિથી વિપરીત કોઈ ઘટના બને છે, ત્યારે સ્ત્રીને મિલકત સમજીને તેના પ્રત્યે ભયંકર ગુનો આચરવામાં આવે છે.
સામાજિક વિકાસમાં પાછળના ક્રમે રહી ગયેલા સમુદાયોમાં આધુનિક ઉપકરણો-મોબાઇલ વગેરે વાપરવાનું પ્રમાણ વધ્યું છે, પરંતુ તેની સાથે આધુનિક વિચારો વિકસ્યા નથી. પરિણામે સમાજ હજુ એ જ જૂનાં પરંપરાગત સામંતી મૂલ્યોથી પરિચાલિત છે.
અમારાં સૂચનો :
• દેશમાં મહિલાઓ વિરુદ્ધ અત્યાચારો સામે રક્ષણ આપતા કાયદા, તમામ સમુદાયો, કોમ, ધાર્મિક ઓળખ ધરાવતાં વિવિધ જૂથો, સામાજિક જૂથો, તમામ પર સમાન રીતે લાગુ પાડવામાં આવે.
• બાળકોમાં દેશનાં બંધારણીય મૂલ્યોના માર્ગદર્શન હેઠળ માનવ-અધિકાર અને મહિલાઓના અધિકારો પ્રત્યે જાગૃતિ કેળવાય એ મુજબ પહેલા ધોરણથી જ શાળાકીય અભ્યાસક્રમ ઘડવામાં આવે.
• આ પ્રકારની ઘટનાઓમાં ન્યાયીક વિલંબના બદલે ઝડપી કાર્યવાહી કરીને ગુનેગારોને તાત્કાલિક દાખલારૂપ સજા આપવામાં આવે. તેમ જ મહિલાઓ વિરુદ્ધના ગુનામાં જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ ફાસ્ટટ્રૅક કોર્ટ દ્વારા કાયદાકીય કાર્યવાહી ઝડપી બનાવવામાં આવે.
• મહિલા પોલીસ-સ્ટેશનો અને મહિલા પોલીસ-અધિકારીઓની સંખ્યા વધારવામાં આવે. તેમ જ સમગ્ર પોલીસતંત્ર અને વહીવટીતંત્રમાં લોકશાહી – મૂલ્યોના પ્રચાર અને પ્રસાર માટે બંધારણીય મૂલ્યોના માર્ગદર્શન હેઠળ માનવઅધિકારો અને મહિલાઓના અધિકારો પ્રત્યે જાગૃતિ કેળવતા તાલીમ-કાર્યક્રમો મોટા પાયે શરૂ કરવામાં આવે.
• બાળલગ્નો નોંધવામાં આવે અને અટકાવવામાં આવે.
• લગ્ન સમયે રિવાજ અને પરંપરાના નામે કોઈ પણ પ્રકારની આર્થિક લેવડદેવડ પર પ્રતિબંધ મૂકવામાં આવે.
• રાજ્યમાં મહિલાઓ પર થતા અત્યાચાર વિરુદ્ધ અગ્રણી મહિલા – કર્મશીલોની એક Watchdog Committeeની રચના કરવામાં આવે.
તા.ક. આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરમાં યુવતીઓના ગેરકાયદેસર રીતે ગર્ભપાત થતા હોય તેવી ઘટના સામે આવી છે. તો છોટાઉદેપુર તાલુકામાં ચિલિયાવાટ ગામે પ્રેમી યુવકયુવતીને ઝાડ સાથે બાંધી જાહેરમાં ક્રૂરતાપૂર્વક માર મારવાની ઘટના પણ સામે આવી છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2021; પૃ. 13-14