= = = = મારો અનુભવ એમ કહે છે કે વર્તમાન ક્ષણને રોકીને જો જરા જીવી લઈએ અને જીવનના અ-મૃતનો સ્વાદ કરાવી ગયેલી ક્ષણોને લગીર યાદ કરીએ, તો સારું લાગે છે = = = =
પેલાના ચિત્તમાં ચોરીછૂપીથી ઘૂસેલો નિત્શેનો એ ડીમન – રાક્ષસ – એને એવા મતલબનું પણ પૂછે છે કે — જીવનમાં જો એ-નું-એ જ થવાનું છે તો તને નથી લાગતું કે તું નિરાશ થઈ જઈશ? તું ભાંગી પડીશ? જો એવું થાય એનો અર્થ એ કે તારા જીવનથી તને સુખ નથી મળ્યું.
આમાંથી પ્રેરણા એ મળે છે કે — તું તને પૂછ કે તું તારી જાતને કેવી રીતે જુએ-અનુભવે છે. બીજું, એ વિચાર કે હવે પછીની જિન્દગી તું કેવી રીતે જીવવાનો છું. હાલ જે કરે છે એ જ કર્યા કરવું છે? એ-નું-એ જ જીવવું છે? છે એ જ તને બરાબર લાગે છે? કે પછી તારે નિરન્તરના એ જીવનચક્ર વચ્ચે જુદી રીતે જીવતાં શીખવું છે?
નિત્શેની ‘આમોર ફાતિ’ વિભાવનામાં એ શીખ સંભરી છે. એ વિભાવના ‘ઇટર્નલ રીકરન્સ’ જેટલી જ જાણીતી છે. મારી દૃષ્ટિએ એ પણ અતિ નૉંધપાત્ર ગ્રાન્ડ નૅરેટિવ છે.
‘Amor’ એટલે અંગ્રેજીમાં Love, ‘પ્રેમ’. ’Fati’ એટલે અંગ્રેજીમાં Fate, ‘નિયતિ’. નિયતિને વિશેનો પ્રેમ. કહો કે ભાગ્ય કે વિધિને વિશેની ચાહત. એવી ચોખ્ખી અવસ્થા જેમાં માણસ પોતાની નિયતિને મનોમન વ્હાલ કરતો હોય છે.
Picture Courtesy : wishaatar.org
નિત્શેને એમના જ શબ્દોમાં સાંભળીએ; કહે છે :
મનુષ્યની મહાનતાને માટેની મારી કારિકા – ફૉર્મ્યુલા – ‘આમોર ફાતિ’ છે : નિયતિનો ચાહક જન પોતે હોય તેથી કોઈ કાળે જુદો પડવા નથી માગતો – ન તો ભૂતકાળમાં – ન તો ભવિષ્યમાં. કશી જરૂરિયાતથી દોરવાશે પણ નહીં – માત્ર નિયતિને, બસ ચાહશે. કેમ કે એ જ છે એનું અને મનુષ્યમાત્રનું જીવન.
આ વિભાવના પણ એમના ‘ગે સાયન્સ’-માં, ‘ધસ સ્પોક જરથુષ્ટ્ર’-માં તેમ જ ‘એક્સ હોમો’-માં વર્ણવાઈ છે.
નિત્શેએ એમ પણ કહ્યું છે :
ઈશ્વર હાજર નથી તો ‘આમોર ફાતિ’-થી જીવન માટે જે ‘પવિત્ર હા’ – ‘સૅક્રેડ યસ’ – પ્રગટે છે એથી આપણે સુધરી જવું જોઈએ.
કહે છે : પછી તો આપણે જોઈ શકીએ છીએ કે આપણા બારામાં બનતી દરેક વસ્તુ કેવી તો પૂર્ણ અનુભવાય છે – દિવસરાત બસ એની જ રટણા ચાલુ થઈ જાય છે. હવામાન ખૂશનુમા હોય કે ખરાબ, મિત્રને ગુમાવ્યો હોય, માંદા પડી જવાયું હોય, બદનામી થઈ હોય, અપેક્ષિત પત્ર ન આવ્યો હોય, ઘૂંટીમાં મોચ આવી ગઈ હોય, દુકાન અમસ્તી જ જોવાઈ હોય, દગો થયો હોય, કોઈ પુસ્તકનો પ્રારમ્ભ, કશી દલીલ, કોઈ સ્વપ્ન – એ બધું જ તરત કે થોડી જ વારમાં મજાથી અનિવાર્ય અનુભવાતું હોય છે. થાય કે આમ તો થવું જ જોઈતું’તું – ચુકાય કેમ? થાય કે આપણા જીવન માટે ઉપકારક છે આ ઘટનાઓ, બહુ જ મહત્ત્વની છે.
મારું મન્તવ્ય છે કે નિયતિને ચાહવાની વાતનો અર્થ નિત્શેમાં બહુ જ જુદો છે. એ તો છે જીવનનો પૂરા દિલથી થનારો સમ્પૂઊર્ણ સ્વીકાર. ‘વિધાતા વડે પ્રારબ્ધમાં જે લખાયું હશે તે થશે’ પ્રકારનો એ પ્રારબ્ધવાદ નથી. ‘નસીબમાં હશે તે ખરું’ પ્રકારનો એ નસીબવાદ નથી. ‘જોયું જશે’ પ્રકારની એ લાચારી પણ નથી. માણસે નમાલા થઈને બેસી નથી રહેવાનું. ‘ધાર્યું ધણીનું થાય છે’ એમ જૂઠી આશા બાંધીને છૂટી પડવાનું નથી. ‘સુખ-દુ:ખ મનમાં ન લાવીએ’ પ્રકારનો એ વૈરાગ્યભાવ પણ નથી. 'ચિત્ત તું શિદને ચિન્તા કરે' પ્રકારનો સુસ્ત ભરોસો પણ નથી સેવવાનો. ‘આ આજે મારાથી નહીં થાય, કાલે કરીશ’ પ્રકારે બધું મુલતવી પણ નથી રાખવાનું.
નિત્શે અનુસાર, આદર્શ લાગતી એવી બધી વ્યવહારુ વાતો એક અર્થમાં તો જૂઠાણાં છે. ઇટર્નલ રીકરન્સ ભલે છે, જીવનમાં ભલે એ-નું-એ બન્યા કરે, નિત્શે એમ સૂચવે છે કે એ ચક્રમાંથી ક્ષણને ઝડપી લેવાની છે. એ ક્ષણ સુખદ હોય કે દુ:ખદ, એને ભેટવાનું છે બલકે દુ:ખને તો સામેથી ચાહવાનું છે.
મારો અનુભવ એમ કહે છે કે વર્તમાન ક્ષણને રોકીને જો જરા જીવી લઈએ અને જીવનના અ-મૃતનો સ્વાદ કરાવી ગયેલી ક્ષણોને લગીર યાદ કરીએ, તો સારું લાગે છે. અનુભવાય છે કે આજ સારી છે તો આવતી કાલ પણ સારી હશે. નિયતિને ચાહવાની ટેવ પાડવાથી વર્તમાનમાં તો સારું લાગે જ છે પણ ખરેખર એમ છે કે એમ જીવવાથી માણસનું ભવિતવ્ય સુદૃઢ થાય છે.
નિત્શેએ પોતાના સુપરમૅનમાં આ ચાહતનું, આ સ્વીકારનું, સામર્થ્ય ભાળ્યું હતું.
ગીતા-કથિત સ્થિતપ્રજ્ઞ પણ એવા સામર્થ્યવાળો ભાસે છે.
જો કે આ ગ્રાન્ડ નૅરેટિવને પણ કોરોના અને કોવિડ-૧૯ નષ્ટભ્રષ્ટ કરી રહ્યા છે. જીવનને રોજે રોજ મરણશરણ કરતી આ મહામારીથી કશી ‘હા’ – ‘યસ’ – નથી પ્રગટતી. એવી નિયતિને શી રીતે ચાહવી? વર્તમાન ઢીલુંઢાલું છે. ભવિતવ્ય શી રીતે સુદૃઢ થવાનું? બહુ મુશ્કેલ છે આ સમય, અને આપણે, નથી સુપરમૅન કે નથી સ્થિતપ્રજ્ઞ.
= = =
(December 26, 2020: USA)