કોરોનાને બહાને કોમવાદ ફેલાવવા બદલ સરકારોની અને મીડિયાની ઝાટકણી કાઢતી અદાલતો
“જ્યારે મહામારી કે મુશ્કેલી આવે છે ત્યારે એક રાજનીતિક સરકાર બલિનો બકરો શોધવાની કોશિશ કરે છે. જે પ્રકારની સ્થિતિ ઊભી કરવામાં આવી હતી તેનાથી એ પ્રકારની સંભાવના છે કે આ વિદેશીઓને (દિલ્હીસ્થિત મરકઝના તબલિઘી જમાતીઓને) બલિના બકરા બનાવવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ સ્થિતિ અને ભારતમાં કોરોના સંક્રમણના તાજા આંકડા દર્શાવે છે કે આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરવી જોઈતી નહોતી. હવે વિદેશીઓ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી બાબતે પશ્ચાતાપ કરીને જે પ્રકારની કાર્યવાહી કરી છે, તેનાથી થયેલ નુકસાન ભરપાઈ કરવા કેટલાક સકારાત્મક પગલાં ભરવાનો આ ઉચિત સમય છે.”
”શું આપણે હકીકતમાં આપણી મહાન સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે કામ કરીએ છીએ? કોવિડ-૧૯ દરમિયાન આપણે અધિક સહિષ્ણુતા દાખવવાની જરૂર હતી. આપણે વિદેશી મહેમાનો પ્રતિ વધુ સંવેદનશીલ બનવાની જરૂર હતી. પણ આપણે તો તેમને મદદ કરવાને બદલે જેલમાં પૂર્યા હતા.“
આ કઠોર શબ્દો છે બૉમ્બે હાઇકોર્ટની ઓરંગાબાદ પીઠના ન્યાયાધીશ ટી.વી. નલવાડે અને એમ.જી. સેવલિકરના. મહારાષ્ટ્ર સરકારે તબલિઘી જમાતના જે વિદેશીઓની ધરપકડો કરી તેમની સામે આરોપો મૂક્યા હતા, તેનાથી તેમને મુક્ત કરતાં તા. ૨૧-૦૮-૨૦૨૦ના ચુકાદામાં તે ઉચ્ચારાયા હતા.
યાદ રહે કે જ્યારે ભારતમાં કોરોના સંક્રમણનો આરંભ થયો અને સરકારની તેની સામે લડવાની તૈયારીઓ પાંખી હતી ત્યારે, કોર્ટે કહ્યું છે તેમ, તેણે બલિનો બકરો શોધી મુસ્લિમો અને મરકઝ પર દોષનો ટોપલો ઢોળી દીધો હતો. એ સમયે સરકારે મહામારીનું સંપૂર્ણ સાંપ્રદાયિકરણ કર્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રેસ બ્રિફિંગમાં તબલિઘીઓના સંક્રમણના આંકડા જુદા દર્શાવીને એવું સાબિત કરાતું હતું કે ભારતમાં કોરોના ફેલાવવાનું કામ તબલિઘી જમાત અને મુસ્લિમો કરી રહ્યા છે. એ પણ નોંધવું જોઈએ કે કેન્દ્રની ભા.જ.પ. સરકારને દિલ્હીની આમઆદમી પાર્ટીની સરકાર, તમિલનાડુની એ.ડી.એમ.કે. સરકાર અને મહારાષ્ટ્રની શિવસેના – એન.સી.પી. – કૉંગ્રેસની સંયુક્ત સરકાર સહિતની વિપક્ષીરાજ્ય સરકારોનું પણ સમર્થન હતું. વિપક્ષશાસિત રાજ્ય સરકારો પણ કોરોનાના કોમીકરણમાં જરા ય ઊણી ઉતરવા માંગતી નહોતી.
મહારાષ્ટ્રની શિવસેનાના નેતૃત્વવાળી મહાવિકાસ આઘાડી સરકારે અહમદનગરની મસ્જિદમાંથી વિદેશી મુસ્લિમ નાગરિકોની ધરપકડ કરી હતી. તેમના પર ગેરકાયદે વસવાટ, કલેકટરના સરકારી હુકમોનું ઉલ્લંઘન, મસ્જિદમાં રહી કોરોનાનું સંક્રમણ ફેલાવવા જેવા આરોપ, સાતેક કાયદાની વિવિધ કલમો હેઠળ, લગાવવામાં આવ્યા હતા. પોલીસ ફરિયાદ પરથી આ વિદેશીઓને ધરપકડો કરી લૉક ડાઉનના ગાળામાં અને તે પછી લાંબા સમયથી જેલમાં ગોંધી રાખ્યા હતા. ઈરાન, ઈન્ડોનેશિયા, ઘાના, તાંઝાનિયા, આઈવરી કોસ્ટ, જિબૂતી, બેનિન જેવા દેશોના ૨૯ વિદેશીઓ સામેની એફ.આઇ.આર. રદ્દ કરીને બૉમ્બે હાઇકોર્ટે તેમને તાત્કાલિક મુક્ત કરવા અને તેમના દેશોમાં જવા દેવાનો હુકમ કડક શબ્દોમાં આકરી આલોચના સાથે કર્યો છે.
મહામારી માટે મરકઝને કસૂરવાર ઠેરવવામાં મીડિયા સરકાર કરતાં પણ ઘણું આગળ હતું. આ મહામારી માટે માત્ર ને માત્ર મુસ્લિમો જ જવાબદાર હોય તેવા સમાચારો અને રિપોર્ટ સતત પ્રસારિત થતા હતા. બૉમ્બે હાઈકોર્ટેના ચુકાદામાં આ બાબતની પણ ગંભીર નોંધ લેતા જણાવવામાં આવ્યું છે કે, “પ્રિન્ટ મીડિયા અને ઈલેકટ્રોનિક મીડિયામાં મોટા પાયે મરકઝ દિલ્હીમાં સામેલ થયેલા વિદેશી નાગરિકો વિરુદ્ધ પ્રચાર કરવામાં આવ્યો. એવી છાપ ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે આ વિદેશીઓ ભારતમાં કોવિડ-૧૯ વાઇરસ ફેલાવવા માટે જવાબદાર છે. ખરેખર તો આમ કરીને આપણે આ વિદેશીઓનું ઉત્પીડન કર્યું છે.”
અદાલતે મરકઝ, ધર્મપ્રચાર કે ધર્મપરિવર્તનનું કામ નથી કરતું પણ ધર્મસુધારણાનું કામ કરે છે તેમ પણ તેના ચુકાદામાં નોધ્યું છે. આ વિદેશી આરોપીઓ ભારતમાં અંગ્રેજી, હિન્દી કે ઉર્દૂ ભાષાને બદલે ફ્રેન્ચ અને અરબી જ જાણતા-બોલતા હતા, ત્યારે કઈ રીતે ધર્માંતર કરતા હતા? તેવો સવાલ પણ કોર્ટે ઉઠાવ્યો છે. મહારાષ્ટ્ર પોલીસે આ વિદેશીઓને આશરો આપવા બદલ છ ભારતીય નાગરિકો અને મસ્જિદોના ટ્રસ્ટ્રીઓ વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ દાખલ કરીને તેમની ધરપકડો કરી હતી. અદાલતે તેની ટીકા કરતાં જણાવ્યું હતું કે, “ધાર્મિક સ્થળો પર જવું અને ધાર્મિક પ્રવચનોમાં સામેલ થવા જેવી સામાન્ય ગતિવિધિમાં ભાગ લેવા પર હાલના સુધારેલા મૅન્યુઅલ ઓફ વીઝામાં કોઈ પ્રતિબંધ નથી.”
અગાઉ બારમી જૂને મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બૅન્ચે પણ ૧૧ બાંગલાદેશના અને ૨૦ ઈન્ડોનેશિયાના તબલિઘી જમાતના વિદેશી નાગરિકોને જામીન આપ્યા હતા. જસ્ટિસ સ્વામીનાથન્ની પીઠે સિત્તેર દિવસ જેલમાં રહેલા વિદેશીઓ સામેની આપરાધિક કાર્યવાહી બંધ કરી તેમને તાકીદે ઘરે મોકલવાનો આદેશ કરતાં જણાવ્યું હતું કે, “તેમની વિરુદ્ધની કાર્યવાહી અતાર્કિક, અનુચિત અને અન્યાયપૂર્ણ છે. ઉચિત શરતો પર તેમની સામેની એફ.આઇ.આર. બંધ કરવાનો આદેશ જ ન્યાયના ઉદ્દેશો પૂર્ણ કરે છે.” તમિલનાડુની વિપક્ષી એ.ડી.એમ.કે. સરકારની પોલીસને કોર્ટે આદેશ કર્યો હતો કે આ વિદેશીઓ સિત્તેર દિવસ જેલમાં રહ્યા છે. હવે મનમાની ના કરો અને તેમના પર દયાદૃષ્ટિ રાખો. કોર્ટે તેના આદેશમાં વિદેશીઓને પણ ભારતના બંધારણના અનુચ્છેદ ૨૧(પ્રોટેકશન ઑફ લાઇફ એન્ડ પર્સનલ લિબર્ટી)ની જોગવાઈઓ લાગુ પડે છે તેમ જણાવીને, તેમની ધરપકડો અનુચ્છેદ ૨૧નો ભંગ હોવાનું જણાવ્યું છે. અદાલતે નાગરિક અને રાજનીતિક અધિકારો પર આંતરરાષ્ટ્રીય કરારના અનુચ્છેદ ૧૨(૪)નો પણ આ કિસ્સામાં ભંગ થતો હોવાનું નોંધીને તેની જોગવાઈ ટાંકી છે કે કોઈને પોતાના દેશમાં પ્રવેશના અધિકારથી વંચિત કરી શકાય નહીં.
તમિલનાડુ સરકાર આ વિદેશીઓને સેન્ટ્રલ જેલ, પુઝાલના ટ્રાન્ઝિટ યાર્ડમાં રાખવા માંગતી હતી. પરંતુ અદાલતે તે બાબત નકારીને તેમને મુક્ત કરી તેમના ઘરભેગા કરવા આદેશ કર્યો હતો. બૉમ્બે હાઈકોર્ટમાં આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર નારલીકરે પણ વિદેશી આરોપીઓને તત્કાળ મુક્ત કરીને તેમના દેશમાં મોકલી દેવાના આદેશ સામે મનાઈહુકમની માગણી કરી હતી તો અદાલતે તેને તત્કાળ નકારી દીધી હતી. અદાલતે સરકારની કાર્યવાહીમાં દ્વેષની બૂ હોવાનું અને રાજનીતિક મજબૂરીથી સરકારે દુર્ભાવનાપૂર્ણ કામગીરી કરી હોવાનું જણાવી વિદેશીઓને તાકીદે તેમના વતન દેશોમાં રવાના કરવા હુકમ કર્યો હતો. મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ પીઠે તેના ચુકાદામાં દેશના અગ્રણી કાયદાવિદ પ્રો. ઉપેન્દ્ર બક્ષીના શબ્દો ટાંક્યા: “અરજદારોને સામૂહિકરૂપે તબલિઘી કહેવાને અને દંડિત કરવાને બદલે તેમનાં વ્યક્તિગત દુ:ખો અને મુશ્કેલીઓ પણ ધ્યાનમાં લેવા જોઈએ.”
દિલ્હી અને અલાહાબાદ હાઇકોર્ટે પણ તબલિઘી જમાતના વિદેશીઓને જામીન આપ્યા છે. અલાહાબાદ હાઇકોર્ટે કેસની યોગ્યતા પર કોઈ મત વ્યક્ત કર્યા વિના આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા. સુપ્રીમ કોર્ટે બિહાર સરકારને તબલિઘીઓ સામેના કેસો રાજ્યની એક જ અદાલતમાં દાખલ કરવા અને પટણા હાઇકોર્ટને તાત્કાલિક આ કેસોની સુનાવણી હાથ ધરવા જણાવ્યું છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ એક કેસની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતમાં કેટલાક રાજ્યોની વડી અદાલતો સમાંતર સરકારોની જેમ કામ કરતી હોવાની ફરિયાદ કરી હતી. હવે જુદા જુદા રાજ્યોની વડી અદાલતોના તબલિઘી જમાતના વિદેશીઓ અંગેના ચુકાદા પછી તેમને શું કહેવાનું થશે? કેન્દ્ર સરકારે ૯૫૦ તબલિઘી જમાતના વિદેશીઓને બ્લેક લિસ્ટ કર્યા છે તે બાબત ગેરબંધારણીય હોવાનો કેસ સર્વોચ્ચ અદાલતમાં પડતર છે આ વરસે તાજિયાના જુલુસની માંગણી નકારતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેએ કહ્યું હતું કે, “દેશમાં તાજિયાના જુલુસ કાઢવાની મંજૂરી આપવાથી અરાજકતા ફેલાશે અને એક વિશેષ સમુદાયને વાઇરસ ફેલાવા માટે ટાર્ગેટ કરવામાં આવશે,” આજે દેશમાં ૪૦ લાખ કરતાં વધુ કોવિડ-૧૯ના પોઝિટિવ કેસો નોંધાયા છે તેમાં તબલિઘી જમાતના કેસો તો સાવ નગણ્ય છે. ત્યારે પોતાની નિષ્ફળતા ઢાંકવા કેન્દ્ર અને રાજ્યોની સરકારો કોઈ નવા બલિ કે નવા ટાર્ગેટની શોધમાં હશે કે?
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 07 સપ્ટેમ્બર 2020; પૃ. 09-11