થોડા થોડા દિવસને અંતરે પણ બે સમાચાર લગભગ સાથે સાથે આવ્યા : સેન્ટ્રલ બોર્ડ ઑફ સૅકન્ડરી એજ્યુકેશને (CBSEએ) મહામારીના દિવસોમાં વિદ્યાર્થીઓ પરથી બોજ ઓછો કરવા વાસ્તે ત્રીસેક ટકા જેટલો કોર્સ એક વરસ પૂરતો કમી કર્યો છે, જેમાં નાગરિકતા, રાષ્ટ્રવાદ, વૈવિધ્ય, સમવાયવાદ, બિનસાંપ્રદાયિકતા જેવા વિષયોનો સમાવેશ થાય છે. પોતે દોડાવવા ધારેલ વિમર્શની રાજનીતિની દૃષ્ટિએ ભા.જ.પ.ને સારુ આ વાનાંની વ્યાપક સમજ અમથીયે અગરાજ રહેલ છે અને એને એ અંગે સતત અસુખ જ અસુખ રહેલ છે, એમાં માત્ર જોગાનુજોગ જ વાંચીએ તો ગોથું ખાવાનો સંભવ છે.
ગુજરાત સરકારે તરત જ સૂરમાં સૂર પુરાવ્યો છે કે અમે પણ એ રાહે વિચારીશું. રાજ્યની ભા.જ.પ. સરકારથી અલગ તરી આવતી પ્રતિક્રિયા પશ્ચિમ બંગાળની તૃણમૂલ સરકારની છે કે તમે સમવાયવાદ, નાગરિકતા, બિનસાંપ્રદાયિકતા જેવા વિષયો પડતા મૂકી જ કેમ શકો? ખરું જોતાં, વિદ્યાર્થી પર ‘બોજ’નો મુદ્દો હાલની નકરી પરીક્ષાલક્ષી ગોખણપટ્ટીની પદ્ધતિ સમસ્ત બાબત તપાસ અને નવેસર વિચાર માગી લે છે, પણ આ ક્ષણે આપણે એમાં નહીં જઈએ.
જે બીજા સમાચારની જિકર કરવા ચાહું છું એ સુપ્રતિષ્ઠ બાંગલા લેખિકા તસલીમા નસરીનની બહુ જાણીતી નવલકથા ‘લજ્જા’ની અનુગામી નવલકથાનો અંગ્રેજી અનુવાદ ‘શેઇમલેસ’ (નિર્લજ્જ) સુલભ થયો તે છે. ‘લજ્જા’નું વસ્તુ વાચકોને સપાટાબંધ સંભારી આપું? એ બાંગલાદેશના દુર્ભાગી દત્તપરિવાર વિશે છે – પિતાપુત્ર સુધામય અને સુરંજન, તેમ મા-દીકરી કિરણમયી અને માયા (નીલાંજના). ૧૯૯૨ના ડિસેમ્બરની બાબરી ઘટનાના જે પડઘા સીમાપાર પડ્યા, એમાં બાંગલાદેશના ઉશ્કેરાયેલા કેટલાક મુસ્લિમોએ જેમ બીજા તેમ આ હિંદુપરિવાર પર પણ હુમલો કર્યો. સુધામય તો શેખ મુજીબર રહેમાનની હિલચાલના સમર્થક હતા અને સુરંજન એના પ્રગતિશીલ માનવતાવાદી ઝુકાવને કારણે હિંદુમુસ્લિમ કૂંડાળાને ઓળાંડી જઈ મુસ્લિમમિત્રો પણ ધરાવતો હતો. આ પરિવારને ૧૯૯૨ના ઘટનાક્રમમાં વેઠવું પડ્યું. માયાનું હરણ થયું, બળાત્કારનો ભોગ બની અને છેવટે બાંગલાદેશની આઝાદીના ખયાલે રાજી આ પરિવારે કકળતી આંતરડીઓ અભય અને સુરક્ષાની શોધમાં હિંદુબહુલ ભારત ચાલ્યા આવવું પડ્યું. તસલીમા નસરીને માંડેલી આ વાર્તા, કેમ કે તે માનવતાથી અનુપ્રેરિત હતી અને કોમી હિંસા અંગે એની ભૂમિકા ટીકાત્મક હતી, બાંગલાદેશના કટ્ટરપંથીઓ એના પર આક્રમકપણે ઊડ્યા. એણે દેશબહાર આશરો શોધવાની નોબત આવી.
સ્વાભાવિક જ ૧૯૯૨ પછી તરતના ગાળામાં ભારતમાં તસલીમા માટે માન અને ખેંચાણની લાગણી હતી અને એમાં પણ હિંદુત્વ રાજનીતિના ઝંડાબરદારો તો બોલ્યા ઝલાતા નહોતા. આ લખનારે ત્યારે, જો કે, સૌ ઝંડાબરદારોને લગરિક ટપારવાપણું જોયું હતું કે કટ્ટરપંથી મુસ્લિમો લિબરલ માનવતાવાદી મુસ્લિમોને (તેઓ બિનમુસ્લિમોના બચાવમાં હોય ત્યારે સવિશેષ) અગવડમાં મૂકે છે—અને તમે તસલીમા માટે આ મુદ્દે વેઠનાર તરીકે આદર પ્રગટ કરો છો. પણ આપણે ત્યાં લિબરલ હિંદુઓ અંગેનું તમારું વલણ કેવું છે, તે તો જરી જાતમાં ઝાંખો.
હવે તસલીમા જે અનુભવ લઈને આવ્યાં છે, ‘શેઇમલેસ’, એનું વસ્તુ ભારત(પશ્ચિમ બંગાળ)માં સુરંજનનું શું થયું એને લગતું છે. ‘તમે ઓળખ્યો મને?’ એમ બારણે ટકોરા મારતું પાત્ર (સુરંજન) લેખિકાને બારણે આવી ઊભે છે અને પછી એની દાસ્તાં ચાલે છે. બાંગલાદેશના અનુભવથી આહત સુરંજન ભારતમાં કોઈ હિંદુત્વવાદી જૂથમાં સમાધાન શોધવા મથે છે, પણ દિલને ન તો એથી કરાર વળે છે, ન તો ભારતની આર્થિક વિટંબણાઓમાં એને ચેન પડે છે. હિંદુત્વ જૂથમાં ભળવું અને ખુલ્લા સમાજની ખેવના, બે વચ્ચેની કશ્મકશ છે. એકંદરે અસુખ જ અસુખ, અમૂંઝણ જ અમૂઝણ છે. ધરી ખસેલી ને ખસેલી છે, અને ગાડી પાટેથી ઊતરેલી છે ન સરહદની પેલી બાજુએ, ન સરહદની આ બાજુએ કશો નાગરિક સુરક્ષાનો અહેસાસ છે.
નવમી જુલાઈએ બરાબર છવ્વીસ વરસ થયાં દેશનિકાલ વતન છોડ્યાંને. ત્યારે ભારતમાં હજુ કાયમી નિવાસ નહીં મેળવી શકેલાં તસલીમાનું મનોવિશ્વ કેવુંક છે? હૃદયભાવ શા હશે? સુરંજનના ધરીચ્યૂત જીવતરમાં જો લેખિકાની ખુદની આંશિક ઝલક મળી રહે છે, તો, બીજે છેડે, ભારતનું બંધારણ સક્ષમ છે અને એમાં અધિકારગુંજાશ તેમ જ નાગરિકતાનો અહેસાસ છે, એવી પણ તસલીમાની એક લાગણી રહેલી છે, જે હજુ એક-બે મહિના પરની ‘હિંદુસ્તાન ટાઇમ્સ’ સાથેની એમની મુલાકાત પરથી સમજાય છે.
જે દોરમાંથી આપણે ગુજરી રહ્યા છીએ, એમાં કઈ ને કેવી બંધારણીય જોગવાઈઓ ને એમાંથી ઊપસતાં કયાં ને કેવાં મૂલ્યો આપણને સવિશેષ આકર્ષે અગર જીવનનો ઉલ્લાસ કે આસપાસની (અને આપસની) આશ્વસ્તિ બક્ષે? લગરિક પોરો ખાઈને વિચારીએ તો સામે આવતાં વાનાં વૈવિધ્યમંડિત સમવાયી ભારત અને ભેદભાવરહિત બિનસાંપ્રદાયિક ભારત જેવાં છે. જેમણે હિંદુ કે મુસ્લિમ હોવાને નાતે દેશની વિભાજક વ્યાખ્યા કરી, એમને ‘ઔર ભી ગમ હૈ જમાને મેં’ એવી સાદી કે બુનિયાદી સમજ કેમ નહીં પડતી હોય ?
આ અમૂઝણ સામે તમે સી.બી.એસ.ઇ.એ ભલે ટૂંકમુદત માટે પણ પડતા મૂકવા ધારેલા વિષયો જુઓ એટલે બે અને બે ચાર થઈ જશે. મારા વિધાનમાં દૂરાકૃષ્ટતા હશે, એવી ટીકાને અવકાશ અવશ્ય છે. માત્ર, હાલના હુકમરાનોને લાંબા પટ પર શું અભીષ્ટ છે, એ પ્રકારના અવલોકન તરીકે મારા વિધાનને જોવાની જરૂર છે, એટલું ચોક્કસ ઉમેરું.
e.mail : prakash.nireekshak@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 13 જુલાઈ 2020; પૃ. 03-04