રૂસના રાજનેતા ખ્રુશ્ચો માંધાતા સ્તાલિનના અમલના ગુનાઓનો ભાંડો ફોડ્યો, ત્યારે નવા રાજકર્તાઓ સમક્ષ સ્તાલિનરાજના જોરજુલમને લગતાં કેટલા ય કિસ્સા રજૂ થવા લાગ્યા. મોટા ભાગના કિસ્સા એકબીજાને મળતા આવતા હતા. એક જ કિસ્સો રજૂ કરવાથી સમજી શકાશે કે સ્તાલિનનો વિરોધ કરનારાઓની શી દશા થઈ હશે.
૧૯૫૪માં એક મહિલાને જેલમાંથી છોડાવવામાં આવી. અગાઉ તો એ પક્ષની સભાસદ પણ હતી. પત્રકારો એને ઘેરી વળ્યા અને એની ધરપકડનું કારણ પૂછ્યું. એ બહેને જણાવ્યું : “મારો પતિ પણ પાર્ટીનો આગેવાન ગણાતો. એ એક કારખાનામાં કામ કરતો.
એક દિવસ એ ઘેર જમવા ન આવ્યો, એટલે મેં એનો જમવાનો ડબ્બો કારખાને પહોંચાડ્યો. પછી તો દરરોજ મારે કારખાને ડબ્બો પહોંચાડવાનો થયો. હું સમજી ગઈ કે એને ચોવીસે કલાકની મજૂરીનો હુકમ મળ્યો છે.
“પરંતુ એક દિવસ કારખાનાના ઝાંપાવાળા ચોકીદારે ડબ્બો લેવાનો ઇન્કાર કર્યો. હું સમજી ગઈ કે હવે મારે ખાવાનું ક્યાં પહોંચાડવાનું હતું.”
“ક્યાં ?” પત્રકારોએ પૂછ્યું.
“જેલમાં ! અને તે દિવસથી હું રોજ જેલને ઝાંપે ખાવાનું પહોંચાડવા લાગી. પણ એક દિવસ જેલને ઝાંપે ડબ્બો લેવોનો ઇન્કાર થયો. હું સમજી ગઈ કે મારા પતિનું શું થયું હતું.”
“શું થયું હતું ?” પત્રકારોએ પૂછ્યું.
“જ્યાં હું ખાવાનું પહોંચાડી ન શકું, ત્યાં તેમને મોકલી દેવામાં આવ્યા હતા.”
“પણ ક્યાં ?”
“સ્વર્ગમાં.”
“પછી તમે ફરિયાદ ન કરી ?”
“ફરિયાદ કરું, ત્યારે પહેલાં તો મારી પણ ધરપકડ થઈ ગઈ.”
“કયા આરોપસર ?”
“પક્ષદ્રોહીને … અને રાષ્ટ્રદ્રોહીને ખાવાનું પહોંચાડીને રાષ્ટ્રદ્રોહમાં મદદ કરવાના આક્ષેપસર.”
(ખુલાસો : આ કિસ્સો રૂસનો છે, પુનઃ યાદ કરનાર : યશવંત મહેતા)
નારાયણનગર, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2020; પૃ. 13