ક્રિકેટની કોમેન્ટ્રી બંધ પડી છે, પણ આપણા નેતાઓ, કમિશનરો, મીડિયા … વગેરે એની ખોટ સાલવા દેતા નથી. બધા કોરોનાનો સ્કોર, કોઈ સિદ્ધિ હોય તેમ જાહેર કરતા રહે છે – વિશ્વમાં દોઢ કરોડથી વધુ લોકો કોરોનાનો ભોગ બન્યા છે ને મૃતકોનો આંક લગભગ સવા છ લાખ પર પહોંચ્યો છે. ગુરુવારે મીડિયાએ જાહેર કરેલા આંકડા મુજબ ભારતમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૧૨,00,000 તરફ જઈ રહ્યો છે ને મૃતકોનો આંકડો ૨૮,૦૦૦ને આંબી ગયો છે. જૂનના પ્રારંભે ભારતમાં લગભગ ૯,૦૦૦ કેસ હતા. તેમાં ૫૦ દિવસમાં ૩૦૦ ટકાનો વધારો થયો છે. ગુજરાતનો સ્કોર ૫૧,૦૦૦થી વધુ થયો છે ને મૃતકોની સંખ્યા ૨,૨૦૦ને પાર કરી ગઈ છે. સુરતનો આંકડો ૯,૦૦૦ને આંબવામાં છે ને મૃતકોની સંખ્યા ૫૦૦ની નજીક છે. આમ તો રોગની ભયાનકતાનો ખ્યાલ આના પરથી આવવો જોઈએ, પણ લોકો અને તંત્રો જાણકારી મેળવીને કે આપીને ફરજ બજાવી લેતા હોય એવું લાગે છે.
એક તરફ શિક્ષણ વિભાગ સ્કૂલો, યુનિવર્સિટીઓ બંધ રાખવાની વાત કરે છે ને બીજી બાજુએ ૯થી ૧૨ ધોરણની પરીક્ષાઓ ૨૯-૩૦ જુલાઈએ ફરજિયાત લેવાશે જ એની જાહેરાત પણ કરે છે. ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા મર્યાદાઓ વચ્ચે ચાલે છે ને એનું ભવિષ્ય કેવું છે તેનો એક જ દાખલો જોઈએ. વોટ્સએપ પર શિક્ષકો રેકોર્ડેડ વીડિયો મૂકીને અંતર્ધ્યાન થઈ જાય છે ને વિદ્યાર્થીઓ ફાંફાં જ મારતા રહે છે.
હાઇકોર્ટે સ્કૂલો ચાલુ ન થાય ત્યાં સુધી ફી ન લેવાનો હુકમ ફરમાવ્યો છે. એ સારી વાત છે, પણ ખાનગી સ્કૂલોના શિક્ષકોને પગાર કોણ ચૂકવશે એની કોઈ સ્પષ્ટતા નથી. રાજ્ય સંચાલક મંડળે તો જાહેર કરી દીધું છે કે સ્વનિર્ભર સ્કૂલોએ ફી જ ન લેવાની હોય તો ઓનલાઈન એજ્યુકેશન બંધ કરવું ને સ્ટાફને છૂટો કરવો. આમ પણ ખાનગી સ્કૂલો ફી લેવા છતાં શિક્ષકોનું હોલસેલમાં શોષણ કરતી જ હતી તો હવે ફી નહીં મળે તો આવી સ્કૂલો શિક્ષકોનું પેટ પાળે એમ બનવાનું નથી. સંચાલક મંડળના હોદ્દેદારો તો શિક્ષકો ભૂખે મરશે તેવી આગાહી કરીને દરમાં ભરાઈ ગયા છે. એમણે એવી તટસ્થતાથી વાત કરી છે કે શિક્ષકો સાથે એમને સ્નાન સૂતકનો ય સંબંધ ન હોય.
એમ લાગે છે કે આભ ફાટ્યું છે ને તંત્રો થીંગડાં મારે છે ને નથી સૂઝતું ત્યાં મનસ્વી નિર્ણયોથી કામ લે છે, એમ કરતાં હાલત વધારે ખરાબ થાય છે. આખો દેશ રઘવાયો થયો હોય તેમ, જેને જેમ ફાવે તેમ સૌ વર્તે છે. એમ લાગે છે કે આખું જગત કોઈનું પણ ગળું કાપીને કોરોના કાળમાં વધારે ને વધારે કમાઈ લેવામાં પડ્યું છે ને એમાં રોગ બેફામ રીતે વકરી રહ્યો છે તે તરફ ધ્યાન ખાસ જતું જ નથી.
ભારત લોકશાહી દેશ છે એ સાચું, તે સ્વતંત્ર દેશ છે એની પણ ના નથી, તો પણ પ્રજા હિતમાં કેટલાક નિર્ણયો સરકારોએ લોકડાઉનના લીધા. એ નિર્ણયોને પ્રજાએ માન્ય પણ રાખ્યા. એવા જ કેટલાક નિર્ણયો અત્યારે સરકારે લેવાની જરૂર છે.
સરકારે બે કામ કરવાં જેવાં છે. એક, કોઈ પણ પ્રકારનું શિક્ષણ ને તેને લગતી પરીક્ષાઓ, સ્થિતિ થોડી પણ સામાન્ય ન થાય ત્યાં સુધી પૂર્ણપણે બંધ રાખવાં અને બે, જ્યાં સ્થિતિ ખરાબ છે ત્યાં તમામ ધાર્મિક સ્થાનો જડબેસલાક રીતે બંધ રાખવાં. યાદ રહે, આમાં શિક્ષણ કે ધર્મનો જરા જેટલો પણ વિરોધ નથી. સ્થિતિ સામાન્ય કરવામાં આ પગલાં મહત્ત્વનાં બની રહે તેમ છે, તેટલા પૂરતું જ તેનું મહત્ત્વ છે.
અત્યારે સ્કૂલો શરૂ ન થાય ત્યાં સુધી ફી ન લેવાનું હાઈકોર્ટે ઠરાવ્યું છે તે સારી વાત છે, પણ ખાનગી સ્કૂલો ફી ન લેવાની હોય તે સંજોગોમાં શિક્ષકોનો પગાર કેવી રીતે થશે તે અંગે પણ સ્પષ્ટતાઓ સરકારે કરવાની રહે. વારુ, સરકારે સ્પષ્ટતાઓ કરીને અટકી જવાનું નથી, તેણે નક્કર આર્થિક સહયોગ પણ એવી રીતે કરવાનો છે જેથી શૈક્ષણિક સ્ટાફ રસ્તે ન આવી જાય. આમાં થોડી મદદ વાલીઓ પણ કરી જ શકે. સ્કૂલોમાં વેકેશનની ફી લેવાતી જ હતી ને વાલીઓ તે આપતા પણ હતા, એ ક્રમ ચાલુ રાખી શકાય ને અડધી ફી વાલીઓ આપે ને અડધી મદદ સરકાર અને સંચાલકો કરે તો રસ્તો નીકળે એમ છે. શરત એટલી કે એક પણ સભ્યને છૂટો ન કરવો કે ન તો તેને વેતનથી વંચિત રાખવો. સંચાલકો આમાં આડા ફાટી શકે ને કહી શકે કે તેમની પાસે પૈસા નથી. આમ કહેવામાં સચ્ચાઈ સિવાય બધું જ હશે. દુનિયા જાણે છે કે ખાનગી સ્કૂલોએ અનેક બહાને હોજરી ફાડતી ફી ઉઘરાવી જ છે ને ઓનલાઈનને નામે પણ એમાં ઓટ આવી નથી. એની સામે શિક્ષકોને શું ને કેટલું આપ્યું છે તે સંચાલકોએ, જો હોય તો અંતરાત્માને પૂછી જોવા જેવું છે. કેટલાક અપવાદોને બાદ કરતા આજે પણ સંચાલકો શિક્ષકોને પાળી શકે એમ છે, જો દાનત સાફ રાખે તો!
રહી વાત ધાર્મિક સ્થાનોને બંધ કરવાની તો વાત ધર્મ બંધ કરવાની નથી, સ્થાનક બંધ કરવાની છે. અત્યારે ભીડ ન કરવા પૂરતું જ ધાર્મિક સ્થાનોને બંધ રાખવાનું કહેવાનું છે. પ્રજા તરીકે આપણે વખતો વખત સાબિત કર્યું છે કે ગમે તે કારણે આપણે બધા નિયમો બાજુ પર મૂકીને ભયંકર ભીડ કરી શકીએ છીએ. એમાં શરૂઆત રાજકારણીઓથી થાય છે. ચૂંટણીસભા હોય, શક્તિ પ્રદર્શન હોય કે રેલી-રેલા હોય ભીડ કરવાનો કોઈને સંકોચ થતો નથી. એમાં વળી કોઈ તહેવાર ઉજવવાનો રહી જવાનો હોય તો તેનો અફસોસ મીડિયા વ્યક્ત કરીને ધ્યાન ખેંચે છે. જેમ કે અંબાજીની ભાદરવી પૂનમની જાત્રા બંધ રહેવાની. તો ,બંધ ન રહે ને જોખમ વધારે, એમ? આ વખતે ગોવિંદા મટકી નહીં ફોડી શકે તે જાણે જીવનમરણનો પ્રશ્ન હોય તેમ ચગાવવામાં આવે છે. એ મટકી ફોડવા જતાં ઘણાની મટકી ચકલે ફૂટી જાય તે કેમ સમજાતું નથી?
શ્રાવણ મહિનો શરૂ થાય એટલે ભગવાન પ્રગટ થાય તે પહેલાં ભક્તો પ્રગટ થાય છે ને ભીડમાં ધક્કામુક્કી કરવામાં ધન્યતા અનુભવે છે. એ સંજોગો સામાન્ય હોય તો, ભલે એનો આનંદ લેવાય, પણ અત્યારે એ કરવા જેવું છે? બધા નિયમો પળાતા હોય તો પણ દરેક વખતે લોકો નથી જ માનતા તે અનુભવ હોવા છતાં સરકાર નથી જ સમજતી. બીજાની શું વાત કરીએ, આપણા મંત્રીશ્રી પણ કોરોના કાળમાં સોમનાથમાં માથું ટેકવી જ આવ્યા છેને! પછી બીજાનો શો દોષ કાઢવો?
શ્રાવણનો પહેલો દિવસ હતો ને ભક્તોએ સોમનાથમાં એટલી ભીડ કરી કે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. હવે આમાં ક્યા નિયમો, માસ્કના કે અંતર જાળવવાના પળાયા? ભગવાને એવું ક્યારે કહ્યું કે રોગચાળો ચાલતો હોય ત્યારે પણ મારા દર્શને આવવું જ? એવું કોઈ ભગવાન કહે કે? ભક્તો એટલા ‘પવિત્ર’ છે કે ભગવાનને ય કોરોનાનો ચેપ લગાવી શકે. આ ભક્તિ છે? ધર્મ છે? જો સરકાર જાણતી જ હોય કે ભક્તો ગમે ત્યારે ભીડ કરીને ભગવાનને ત્રાસ કરી શકે એમ છે જ તો મંદિરો ચાલુ રખાવીને તે ડહાપણનું કામ નથી કરી રહી તે નક્કી છે. મંદિરનાં ટ્રસ્ટીઓએ સ્વેચ્છાએ સોમનાથ મંદિર બંધ રાખવું જોઈએ તેને બદલે પાસ સિસ્ટમ દાખલ કરીને રોજના ૧૦,૦૦૦ ભક્તોને દર્શનનો લાભ આપવાની પેરવી કરી છે. તેનાથી બધા નિયમો પળાશે જ તેની કોઈ ખાતરી નથી. વળી આ પાસ મફત અપાશે એવું પણ જાહેર થયું નથી. બને કે એની ફી રખાઈ હોય અને લોકોની ભીડે કમાણીની નવી વ્યવસ્થા કરી આપી હોય એવું ખરું કે કેમ? મંદિરોને આવક અટકી હોય એટલે એ તો ખુલ્લું રાખવાનું વિચારે જ, પણ સરકારને એમાં શું મળવાનું છે તે નથી સમજાતું.
ખરેખર તો આ દેશના મંદિરોએ સરકારની, સેવા સંસ્થાઓની મદદમાં આવવું જોઈએ, કારણ આ દેશના મંદિરો એટલી આવક તો ધરાવે જ છે કે તે આખા દેશને આરામથી ચલાવી શકે, તેને બદલે કમાણીના નવા નુસખા શોધાય ત્યારે ધર્મને નામે કેટલો અધર્મ થઈ શકે, તેનો જ દાખલો પૂરો પડાય છે.
એક તરફ અમરનાથ શ્રાઈન બોર્ડે મંગળવારે અમરનાથ યાત્રા રદ કરી અને એ જ દિવસે સોમનાથ યાત્રા એવી ભીડે ચડી કે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. જો એ જ ધર્મનું સાચું સ્વરૂપ હોય તો અમરનાથ યાત્રા બંધ કરનારા અધાર્મિક છે એમ કહીશું? જો ઈશ્વર અત્ર, તત્ર સર્વત્ર છે તો ઘરમાં ઈશ્વર નથી એવું કેમ માનીએ છીએ? જો માનીએ છીએ તો વારતહેવારે મંદિરોમાં ભીડ કરીને એ જ ઈશ્વર પર ધસી કેમ જઈએ છીએ? એવા કેટલા ય કિસ્સાઓ છે જેમાં કચડાઈ જવાને કારણે અનેકોએ જીવ ગુમાવ્યા છે. કોઈ ધર્મ કે ઈશ્વર એમ ઈચ્છે કે તેના ભક્તો જીવનું જોખમ ઉઠાવીને ભક્તિ કરે? માનવધર્મ જેવું પણ જગતમાં કંઈ છે ને અત્યારે સૌથી વધારે અનાદર માણસનો થઈ રહ્યો છે. દુખ એ છે કે આપણને એનું દુખ નથી.
૦
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 જુલાઈ 2020
e.mail : ravindra21111946@gmail.com