ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના નેશનલ ઇન્ફોમેટિક્સ સેન્ટરે વિકસિત કરેલી 'આરોગ્ય સેતુ' એપ્લિકેશનને લઈને વિવાદ પેદા થયો છે. તેને સરકારી અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે ફરજિયાત કરવામાં આવી છે. અહેવાલ પ્રમાણે સામાન્ય જનતા માટે પણ તે ફરજિયાત કરવામાં આવશે. એવા પણ અહેવાલ છે કે તેને મોબાઈલ હેન્ડસેટમાં પ્રિ-લોડ કરવામાં આવશે. મતલબ કે તમે બજારમાંથી નવો ફોન ખરીદશો, તો તેમાં એમાં આ એપ્લિકેશન પહેલેથી જ હશે.
મૂળભૂત રીતે આ કોન્ટેક્ટ ટ્રેસિંગ એપ્લિકેશન છે. તે ફોનની જી.પી.એસ. અને બ્લુટુથ સિસ્ટમના માધ્યમથી મોબાઈલ ધારકની અવરજવર પર નજર રાખે છે, અને તે જો કોઈ બીમાર વ્યક્તિના સંપર્કમાં આવે, તો તે ફોન-ધારકને તે વ્યક્તિ વિષે એલર્ટ કરી દે છે. તે ઉપરાંત, તેમાં તમારા સ્વાસ્થ્યને લાગતો અંગત ડેટા ભરવાનો હોય છે, જેની જાણકારી સરકારી સ્વાસ્થ્ય વિભાગ પાસે હોય છે. ૨જી એપ્રિલે આ એપ લોન્ચ કરવામાં આવી, તે પછી નવ કરોડ લોકોએ તેને તેમના ફોનમાં ડાઉનલોડ કરી છે.
'આરોગ્ય સેતુ' એપ્લિકેશનનો ઉદેશ્ય ઉમદા છે, પણ તેમાં નાગરિકોની પ્રાઇવસીને લઈને પ્રશ્નો ઊઠ્યા છે. 'એલિયોટ એલ્ડરસન' ઉપનામ ધરાવતા ફ્રેન્સ સાઈબર સુરક્ષા નિષ્ણાત અને હેકરે તો ૫મી મેના રોજ તેના ટ્વીટર એકાઉન્ટ પર દાવો કર્યો હતો કે એપ્લિકેશનમાં તેને સુરક્ષાની ખામી નજર આવી છે. તે પછી નેશનલ ઇન્ફોમેટિક્સ સેન્ટર અને ઇન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે એલિયોટ એલ્ડરસનનો સંપર્ક કર્યો હતો અને તેમાં એપ્લિકેશનની સંભવિત ખામીની ચર્ચા કરવામાં આવી હતી. એલિયોટ એલ્ડરસને કહ્યું છે કે તે અમુક સમય સુધી રાહ જોશે, અને જો ખામી દૂર નહીં થાય, તો તે ટ્વીટર પર તેને જાહેર કરશે. સરકારે જો કે તેના દાવાને નકારી કાઢ્યો છે. સરકારે જો કે એમ પણ કહ્યું છે કે જાણકાર લોકો એપની ખામી બતાવે તે આવકાર્ય છે, તેનાથી એપ વધુ સુરક્ષિત બનશે.
‘આરોગ્ય સેતુ’માં તેના યુઝર્સની જે અંગત માહિતીઓ અપલોડ કરવામાં આવે છે, તે ડેટા કેટલો સુરક્ષિત છે, તે કોના હાથમાં છે, તેને બીજા કોઈની સાથે શેઅર કરવામાં આવે છે, કયા હેતુથી શેઅર કરવામાં આવે છે, તેવા સવાલો નિષ્ણાતો ઊઠાવે છે. આ એપ મારફતે દર ૧૫ મિનિટે સર્વર પર ડેટા અપલોડ થાય છે. સર્વર પર તે ડેટા આજીવન રહેશે? આ એપ બનાવનાર માયગવર્મેન્ટઇન્ડિયાના સી.ઈ.ઓ. અભિષેક સિંઘે કહ્યું છે કે આ ડેટા મેડિકલ સિવાયના કોઈ હેતુ માટે ઉપયોગમાં નહીં લેવાય અને ૩૦ દિવસ પછી તે ડિલીટ થઇ જશે.
બીજો પ્રશ્ન એ ઊઠાવવામાં આવે છે કે સર્વોચ્ચ અદાલતે પ્રાઇવસીના અધિકારને બુનિયાદી અધિકાર તરીકે સ્વીકાર્યો છે, પરંતુ સ્વાસ્થ્યને લગતા ડેટાની પ્રાઇવસીને લઈને આપણે ત્યાં કોઈ કાયદો નથી. એમાં ચિંતા એ છે કે એપની પ્રાઇવસી પોલિસી ભવિષ્યમાં યુઝર્સને જાણ કર્યા વગર ગમે ત્યારે બદલાઈ શકે છે. ત્રીજી ચિંતા એવી વ્યક્ત થઇ રહી છે કે એપને ફરજિયાત કરવાથી નાગરિકોના ઘણા હક્કો પર સ્વયંભૂ નિયંત્રણ આવી શકે છે. દાખલા તરીકે મારા મોબાઈલમાં ‘આરોગ્ય સેતુ’ એપ્લિકેશન ના હોય, તો મને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો, બેન્કિંગ સેવાનો કે સરકારી સસ્તા અનાજની સેવાનો ઇન્કાર થઇ શકે?
એપ્લિકેશન શરૂ થઇ, તે પછી આવા સવાલો ઊઠ્યા હતા અને સરકારે નીમેલા જૂથે હવે ‘આરોગ્ય સેતુ ડેટા એક્સેસ એન્ડ નોલેજ શેરિંગ પ્રોટોકોલ,’ એટલે કે આરોગ્ય સેતુ એપ મારફતે કેવી રીતે ડેટા એકત્ર થાય છે, કેવી રીતે તેનું વિશ્લેષણ થાય છે અને કેવી રીતે તેનું શેરિંગ થાય છે, તેની માર્ગદર્શિકા બહાર પાડી છે. પરંતુ આ મુદો માત્ર એક એપ્લિકેશન કે ભારત પૂરતો મર્યાદિત નથી. આરોગ્ય સેતુને લઈને જે ચર્ચાઓ ઊભી થઇ છે, તેવી જ ચર્ચાઓ દુનિયાભરમાં સંબંધિત ટેકનોલોજીઓને લઈને થાય છે.
આપણે એકવીસમી સદીના ટેકનોલોજીકલ યુગમાં પ્રવેશ્યા છીએ. ઉત્તરોત્તર આપણા રોજીંદા જીવનમાં ટેકનોલોજીકલ ડિવાઇસીસની હાજરી વધતી જાય છે. તે ડિવાઇસીસની પાછળ અનેક લોકો, કોર્પોરેશનો અને સરકારી વિભાગો હોય છે. એ ક્યાંક દૂર દિલ્હી-મુંબઈ-બેંગલોર કે સિલિકોન વેલીમાં બેઠા છે. એટલે પરોક્ષ રીતે બહુ બધા લોકો આપણા જીવનની દેખરેખ રાખી રહ્યા છે. આપણને ખબર છે કે એ લોકો કોણ છે અને શું કરી રહ્યા છે?
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ હવે વૈજ્ઞાનિક કલ્પના નથી. એ હવે એક જીવતા જાગતા હાડમાંસના માણસ જેટલું જ અસલી યંત્ર બની રહ્યું છે. દુનિયાભરમાં ઉત્તરોત્તર એવી ટેકનોલોજીઓ વિકસિત થઇ રહી છે, જે મારી બાહ્ય ગતિવિધિઓથી લઈને મારી અંદર શું થઇ રહ્યું છે, તેની પર દેખરેખ રાખી શકે છે. અગાઉની સરકારો હું ક્યાં જાઉં છું અને કોને મળું છું, તેનું ધ્યાન રાખતી હતી. હવે મારું બ્લડ પ્રેસર કેટલું છે અને મને કોઈ રોગ છે કે નહીં, તેની દેખરેખ પણ સરકાર રાખી શકે છે. ઈઝરાયેલી ઇતિહાસકાર યુવલ હરારી કહે છે કે જો ટેકનોલોજી મને તાવ કે ખાંસી આવે, તે પણ નોંધી શકતી હોય, તો મને હસવું આવે કે ગુસ્સો આવે તે પણ રેકોર્ડ કરી શકે. પછી ક્યા કારણથી હસવું આવ્યું અને ક્યા કારણથી રડવું આવ્યું, તે પણ શોધવામાં આવી શકે.
એક તંદુરસ્ત સમાજ પેદા કરવા માટે ટેકનોલોજીનો આ ઉપયોગ આવકાર્ય છે, પણ એમાં ચિંતાની વાત એ છે કે આ દેખરેખ એક પક્ષીય છે. મતલબ કે કોઈક કોર્પોરેશન કે સરકારી વિભાગ પાસે મારી તમામ માહિતી હોઈ શકે, પણ એ કોર્પોરેશન કે વિભાગની તમામ માહિતી મારી પાસે છે? હું તેનું ઓડિટ કરી શકું? મારો જે ડેટા છે, તે કોના હાથમાં છે અને તેનું શું થાય છે, તે જાણવાની મારી પાસે કોઈ સિસ્ટમ છે? જે લોકો મારા ડેટાના ચાર્જમાં છે, તેમની ગતિવિધિ પર હું નજર રાખી શકું? આના કોઈ જવાબ નથી.
નાઈન/ઈલેવનની ઘટના પછી દુનિયાભરની સરકારો એટલી ગભરાઈ ગઈ હતી કે એકદમ કડક જાપ્તો કરવા લાગી હતી. અમેરિકન સરકાર સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્યોની જાસૂસી કરતું હતું અને બ્રિટને એમનેસ્ટી ઇન્ટરનેશનલ જેવા માનવાધિકાર સંગઠનોની વાતચીત પર કાન રાખ્યા હતા. અમેરકાની નેશનલ સિક્યુરિટી એજન્સી(એન.એસ.એ).ના અત્યંત ગુપ્ત દસ્તાવેજો જાહેર કરનાર ‘વ્હીસલ-બ્લોઅર’ એડવર્ડ સ્નોડેને કહ્યું હતું કે મોટા ભાગની આ જાસૂસી સિસ્ટમ ગેરકાનૂની હતી એટલું જ નહીં, સારા-ખરાબ માણસો વચ્ચે ફર્ક પણ કરતી ન હતી. એ તો એવી આશામાં જેટલું નજરે/કાને પડ્યું તેટલું ભેગું કરતી હતી કે હશે તો ભવિષ્યમાં કામ આવશે!
ટેકનોલોજીનું જો લોકતાન્ત્રિકરણ ના થાય, મતલબ કે સરકાર મારા પર દૂરબીન લગાવીને બેસે અને હું સરકાર પર દૂરબીન લગાવીને ના બેસું, તો પછી ગમે તેટલી સોફિસ્ટિકેટેડ અને લાભદાયી ટેકનોલોજી હોય, તેનો દુરુપયોગ થવાની સંભાવના વધી જાય છે. જેમ બધી સત્તા જનતાના હાથમાં આપી ના દેવાય, તેમ બધી સત્તા સરકારના ચરણે પણ ના મૂકી દેવાય. બંને કેસમાં નિરંકુશ બની જવાય.
પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 17 મે 2020