જાણીતા રાષ્ટ્રવાદી આગેવાન બાળ ગંગાધર ટિળકનું કર્મસ્થળ પુના રહ્યું હતું. 1896માં જ્યારે પ્લેગ મહામારી હિન્દુસ્તાનમાં અને વિશેષ કરીને મુંબઈ-પુનામાં પ્રસરી હતી, ત્યારે હજારોની સંખ્યામાં મોત થયા હતા. માત્ર મુંબઈમાં ઓગષ્ટ, 1897 સુધી પ્લેગથી થયેલો મૃત્યુઆંક 10,813 હતો. તે વખતે પણ પ્લેગ 52થી વધુ દેશોમાં પ્રસર્યો હતો અને તેનાથી લાખો લોકોની જાન ગઈ હતી. હિંદુસ્તાનમાં બ્રિટનનું શાસન હોવાથી તેના પર કાબૂ મેળવવા માટે બ્રિટિશ સરકારે 1897માં ‘ધ એપેડેમિક ડિસિઝ એક્ટ’ ઘડ્યો હતો. આ કાયદાને અમલ માટે પુનાના તત્કાલિન આસિસ્ટન્ટ કમિશ્નર ડબલ્યુ.સી. રૅન્ડે પૂરા પુના શહેરનો ચાર્જ લીધો. ડબલ્યુ.સી. રૅન્ડે ચાર્જ સંભાળી ત્રણ સભ્યોની કમિટિ બનાવી અને શહેરને ખાલી કરવા માટે લોકો પર અત્યાચાર ગુજારવાનું શરૂ કર્યું. રૅન્ડના આ અત્યાચાર સામે પુના શહેરમાંથી વિરોધનો સૂર ઊઠ્યો. બાલગંગાધર ટિળકે પણ જોરશોરથી તેનો વિરોધ કર્યો અને પોતાના અખબાર ‘કેસરી’ (મરાઠી) અને ‘મરાઠા’(અંગ્રેજી)માં રૅન્ડ અને ત્રણ સભ્યોની કમિટિની આકરી ટીકા કરી.
ટિળકના આ લખાણથી પુનાના ચાપેકર પરિવારના દામોદર, બાલકૃષ્ણ અને વાસુદેવ ત્રણ ભાઈઓ ખૂબ પ્રભાવિત હતા. પુનામાં થયેલા અત્યાચારનો બદલો વાળવા તેઓએ રૅન્ડની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું અને 22 જૂન, 1897ના રોજ રૅન્ડની હત્યા કરી. આ ત્રણ ભાઈઓ પર તો કેસ ચાલ્યો પણ તેઓને ઉપસાવવા માટે ટિળકનાં લખાણને પણ જવાબદાર ઠેરવવામાં આવ્યું. અંગ્રેજો તો હત્યાના કેસમાં જ ટિળકને સંડોવવા માંગતા હતા પણ તેના કોઈ પુરાવા નહોતા. છેવટે ‘કેસરી’ અખબારના બે લેખોના આધારે ટિળક પર મુકદ્દમો ચલાવવામાં આવ્યો. અને નવ જજોની બેન્ચે ટિળકને અઢાર મહિનાની સખત કેદ ફરમાવી.
ટિળકે આ સજાની સામે અપીલ કરી, પરંતુ અંગ્રેજ સરકારે તેમની અપીલને ન સ્વીકારી. આ ગાળામાં અંગ્રેજ સરકારની સામે પડીને અને ચાપેકર ભાઈઓના પડખે રહીને ટિળક ખૂબ લોકપ્રિય થયા. આ લોકપ્રિયતા પછીના સમયમાં વધતી જ રહી અને ત્યાર બાદ તેમની લોકપ્રિયતા બીજી વાર 1908માં ખૂબ વધી જ્યારે તેમને છ વર્ષની સજા થઈ. બાળ ગંગાધર ટિળક ‘લોકમાન્ય’ બન્યા તેમાં પ્લેગની મહામારી પણ એક કારણ હતું. જો કે એક વાત નોંધવી રહી કે, પ્લેગે ટિળકને અંગત જીવનમાં મસમોટું નુકસાન કરાવ્યું હતું, 1903માં તેમનો સૌથી મોટા દીકરા વિશ્વનાથનું મૃત્યુ પ્લેગના કારણે જ થયું હતું.
e.mail : kirankapure@gmail.com