જેને શીખવું છે તે ગમે ત્યાંથી શીખી શકે છે. ગુરુ દત્તાત્રેયે જે ૨૪ ગુરુ બનાવેલા એમાં દરિયો, પૃથ્વી, સૂર્ય જેવા ભવ્ય ગુરુઓ ઉપરાંત કબૂતર, પતંગિયું અને હરણ જેવાં (ક્ષુલ્લક લાગી શકે તેવાં) વન્ય ગુરુઓ પણ હતાં.
આ વાત યાદ આવવાનું કારણ છે એક તાજું પુસ્તક, જેનું શીર્ષક છેઃ એન ઇકોનોમિસ્ટ વોક્સ ઇન્ટુ અ બ્રોથલ (જ્યારે એક અર્થશાસ્ત્રીએ ગણિકાલયની મુલાકાત લીધી).
આ પુસ્તકના અર્થશાસ્ત્રી-કમ-પત્રકાર એવાં લેખિકા એલિસન શ્રેગરે જીવનમાં (ખાસ તો આર્થિક બાબતોમાં) ક્યારે અને કેટલું જોખમ કઈ રીતે લેવું એ સમજવા માટે થોથાપંડિત અર્થશાસ્ત્રીઓને મળવાને બદલે ગણિકાઓ, જુગારીઓ, જાદુગરો, ફ્લ્મિનિર્માતાઓ, ઘોડાના બ્રીડરો અને ફૈજીઓની મુલાકાત લીધી. આ બધાં લોકો ઓછામાં ઓછા જોખમે વધુમાં વધુ વળતર મેળવવા શું કરે છે એ વિશે એલિસને એમની સાથે વાતો કરી.
આઇડિયા અચ્છા હૈ. જોખમ વિશે જાણવું હોય તો જે ખરેખર જોખમો ખેડે છે એમને પૂછવા જેવું ખરું. માત્ર પુસ્તકો અને થિયરીમાં રચ્યાપચ્યા રહેતા અર્થશાસ્ત્રીઓ કરતાં રિયલ લાઈફ સાથે રિયલ પનારો પાડતા રિયલ લોકો પાસેથી રિયલ સામગ્રી મળી શકે એ તો સ્વીકારવું જ રહ્યું.
તો, લેખિકાએ ભળતાં-સળતાં લોકોને મળીને જોખમો ખેડવા વિશે જે મુખ્ય પાંચ પદાર્થ-પાઠ તારવ્યા છે તે આ પ્રમાણે છે.
૧) લેખિકાને સર્ફર્સ (ઊંચા દરિયાઈ મોજાંમાં પાટિયા પર સરકતા બહાદુરો) સાથેની વાતચીતમાંથી જાણવા મળ્યું કે એમાંના મોટા ભાગના સર્ફર્સ હેપી-ગો-લકી (હળવાં ફૂલ, મોજમસ્તી પ્રેમી, સાહસ શોખીનો) નહોતા, બલકે કંટ્રોલ ફ્રિક હતા, બધું પ્રોપર્લી થવું જોઈએ, પરિસ્થિતિ પર અમારો શક્ય તેટલો અંકુશ હોવો જોઈએ … આવો આગ્રહ રાખનારા હતા. સર્ફર ગંભીર માણસ હોય એ જરૂરી છે, કારણ કે સર્ફિંગમાં જરા પણ બેદરકાર રહેનાર મરી પણ શકે છે. તો આ સર્ફર્સને ગુરુ બનાવીને આપણે પણ અઠ્ઠેગઠ્ઠે, આડેધડ જોખમ ન ખેડવાંનો પાઠ શીખવો જોઈએ. માણસ ક્યારેક બેચેનીથી દોરવાઈને, જીવનને હચમચાવી નાખવાના ઇરાદા સાથે બસ એમ જ મોટું જોખમ ખેડી નાખે છે તેની સામે ચેતવતાં લેખિકા કહે છે કે જોખમ ખેડતી વખતે સૌથી પહેલાં એ સ્પષ્ટતા તો હોવી જ જોઈએ કે આમાંથી મને શું મળવાનું છે.
૨) હું બહેકી જાઉં છું એની ખબર હોવી… પોકર(પત્તાંની એક રમત)નો જુગાર રમનારા લોકો પાસેથી લેખિકાએ જાણ્યું કે ઘડાયેલો, મંજાયેલો, પ્રોફેશનલ પ્લેયર બધેબધી બાજી નથી ખેલતો. તેને જે બાજી મળે છે એમાંથી એ સરેરાશ બાર ટકા બાજીઓ જ ખેલે છે, કારણ કે અગાઉ (ખાસ તો જુવાનીમાં) જે બાજી હાથમાં આવે તે ખેલી નાખવાને લીધે ખાધેલા માર બાદ તેઓ શીખે છે કે મારે બહેકી ન જવું જોઈએ … બહેકી જવાના મારા સ્વભાવ વિશે મારે સભાન રહેવું જોઈએ.
૩) વધારે પડતું જોખમ ન જ ખેડવું. બધા પૈસા એક જ ઇન્વેસ્ટમેન્ટમાં ન લગાડી દેવા. લેખિકાના શબ્દોમાં: જરૂર કરતાં વધારે રિસ્ક સરવાળે ઓછું વળતર અપાવે છે.
૪) વીમો પહેલો … કંઈક આસમાની-સુલતાની થઈ ગઈ અને પડી જવાય ત્યારે વાગે નહીં એ માટે વીમાની સુરક્ષા-જાળીની ગોઠવણ સૌથી પહેલી કરવી. જોખમ ખેડવું હોય ત્યારે બેસ્ટ પોલિસી આ છેઃ ડાઉનસાઈડ પ્રોટેક્શન વિથ અનલિમિટેડ અપસાઈડ (પડીએ તો વાગે નહીં એવી રીતે આભને આંબવા મથવું).
૫) અણધાર્યું તો થવાનું જ. તમે ગમે તેટલી ગણતરી કરીને આગળ વધો તો પણ અણધારી ઘટનાઓ ઘટવાની જ અને જીવનમાં માર તો પડવાનો જ. માટે, મારની તૈયારી રાખવી. લેખિકા આ મુદ્દે વધુ સ્પષ્ટતા કરવા ઇઝરાયલી કર્નલ મીર ફ્ક્નિલનું અવતરણ ટાંકે છેઃ યુદ્ધના મેદાનમાં સૌથી મહત્ત્વનો ગુણ અણધાર્યા ફ્ટકા પછી જલદી બેઠા થઇ શકવું તે છે.
અલબત્ત, આ બધી કોમન સેન્સની વાતો છે, પરંતુ લેખિકા એલિસન શ્રેગરના પુસ્તકને મળેલો પ્રતિસાદ કોમન – સામાન્ય નથી. લગભગ તમામ સમીક્ષકોએ પુસ્તકને ખૂબ જ ઉમળકા સાથે વધાવ્યું છે. બુકલિસ્ટ નામના એક પ્રકાશને આ પુસ્તક વિશે લખ્યું છે, રિસ્ક મેનેજમેન્ટ વિશે આટલું રસપ્રદ પુસ્તક અગાઉ ક્યારે ય નથી લખાયું.
આ પુસ્તક તો મેં નથી વાંચ્યું, પરંતુ એમાંની સામગ્રી વિશે જે કંઈ જાણવા મળ્યું એ ખરેખર રસપ્રદ છે. જેમ કે, લેખિકા એલિસને જ્યારે અમેરિકાના નેવાડા પ્રાંતનાં સત્તાવાર (લાયસન્સધારી) ગણિકાલયની મુલાકાત લીધી, ત્યારે તેમને જાણવા મળ્યું કે ગેરકાયદે કોઠા કરતાં લિગલ બ્રોથલ(સત્તાવાર ગણિકાલય)માં એકસરખા કામના (દિવસમાં સરખેસરખી સંખ્યામાં ગ્રાહક એટેન્ડ કરવામાં) ઘણી વાર તો ફ્ક્ત ૫૦ જ ટકા કમાણી થતી હોવા છતાં ગણિકાઓ લિગલ બ્રોથલ વધુ પસંદ કરે છે. આવું કેમ? આવા ‘ખોટના સોદા’નું કારણ સમજાવતાં ગણિકાઓએ લેખિકાને કહ્યું કે લિગલ બ્રોથલમાં સિક્યુરિટી ગાર્ડ્સ રાખવાનું ફરજિયાત હોવાને લીધે અહીં ગણિકાઓ સુરક્ષિત હોવાનું અનુભવે છે. વળી, દરેક કમરામાં પેનિક બટન પણ હોય છે. કસ્ટમર બહુ વિચિત્ર અને માથાફરેલ હોય તો પેલું બટન દબાવીને મદદ માગી શકાય છે. ઇવન ગ્રાહકોને પણ લિગલ બ્રોથલ ઓછું જોખમી લાગે છે.
મહત્તમ કમાણી વિશે ગણિકાઓએ લેખિકાને માહિતી આપી કે સૌથી વધુ કમાણી મધ્યમ વયની ગણિકા મેળવી શકે છે, કારણ કે તેમની સાથે ગ્રાહક વધુ કર્મ્ફ્ટ અને ઇન્ટિમસી (રાહત અને નિકટતા) મહેસૂસ કરી શકે છે. અચ્છા, અમેરિકાના આવા સત્તાવાર ગણિકાલયમાં વિવિધ સેવાના પેકેજિસ પણ હોય છે અને એમાંથી “પ્રેમિકા જેવો અનુભવ”(ગર્લફ્રેન્ડ એક્સપીરિયન્સ)ની સેવા પૂરી પાડનારી ગણિકાને મહત્તમ વળતર મળે છે. ગણિકાઓએ લેખિકાને સમજાવ્યું કે મોટા ભાગના પુરુષો એકલતાથી પીડાતા હોવાને કારણે હૂંફ મેળવવા અમારી પાસે આવે છે. એમાંના કેટલાક તો શરીરસુખ માણ્યા વિના, ફ્ક્ત હૂંફ માણીને જતા રહે છે. આવી બધી માહિતી મેળવ્યા પછી તેમાંથી જોખમ વિશેની થિયરીઓ અને પદાર્થપાઠો તારવીને રસપ્રદ ઢબે રજૂ કરીને લેખિકા તો ખાસ્સી સફ્ળતા મેળવી રહ્યાં છે, પરંતુ આપણે સૌ, આ પુસ્તક વાંચ્યા વિના પણ આખી વાતમાંથી જે શીખી શકીએ તેમ છીએ તે એ છે કે નજર ખુલ્લી રાખીએ તો, ગુરુ દત્તાત્રેયની જેમ અને આ લેખિકા એલિસન શ્રેગરની જેમ, ભલભલી જગ્યાએથી જીવનના પાઠ શીખી શકીએ તેમ છીએ.
એ માટે જોઈએ, ઊંચેરી શિષ્ય-વૃત્તિ (શીખવાની ભાવના) …
facebook .com / dipaksoliyal
સૌજન્ય : ‘એક વાતની સો વાત’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 26 મે 2019