ગઈકાલે કહ્યું એમ ૨૦૧૪માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બી.જે.પી.ને જે ૩૧ ટકા મત મળ્યા હતા એમાં ચાર પ્રકારના લોકોનો ફાળો હતો:
૧. હિન્દુ કોમવાદીઓ અથવા હાર્ડ-કોર હિન્દુઓ.
૨. મુસ્લિમ વિરોધીઓ.
૩. કૉન્ગ્રેસ વિરોધીઓ, અને
૪. બતાવવામાં આવેલાં મોટાં-મોટાં સપનાંઓને સાચા માનીને ભોળવાયેલાઓ.
આમાંથી કોનું કેટલું પ્રમાણ છે એ આપણે જાણતા નથી, પણ એક વાત નક્કી; કે ચોથા પ્રકારના મતદાતાઓ રાહુલ ગાંધી મંદિરોમાં આંટા મારે કે ન મારે બી.જે.પી.થી દૂર થઈ ગયા છે અને પહેલા પ્રકારના મતદાતાઓ રાહુલ ગાંધી મંદિરોના ગમે એટલા આંટા મારે દૂર થવાના નથી. બીજા અને ત્રીજા પ્રકારના મતદાતાઓ પર કૉન્ગ્રેસ નજર કરી શકે છે અને એ જ બીજા અને ત્રીજા પ્રકારના મતદાતાઓના મિજાજ વિશે કલ્પના કરીને બી.જે.પી. ડરે છે. એ ખસી જશે તો? તો નાવડું ડૂબી જશે એની બી.જે.પી.ને ખાતરી છે. એ ન ડૂબે એ માટે સમાજમાં આડી-ઊભી તિરાડો પાડવામાં આવી છે અને રામલલ્લાને જગાડવામાં આવ્યો છે કે જેથી મુસ્લિમ વિરોધી મતદાતા જતો ન રહે અને કૉન્ગ્રેસને અને નેહરુ-ગાંધી પરિવારની સાત પેઢી યાદ કરીને બે મોઢે ગાળો આપવામાં આવી રહી છે કે જેથી કૉન્ગ્રેસવિરોધી મતદાતા જતો ન રહે.
બી.જે.પી.એ તો તેની રણનીતિ અમલમાં મૂકી દીધી છે, કૉન્ગ્રેસની શી તૈયારી છે? મંદિરોમાં આંટા મારવાની? બે મુદ્દા રાહુલ ગાંધીએ વિચારવા જોઈએ અને કૉગ્રેસીઓ સમક્ષ વિચારવા માટે ઉપસ્થિત કરવા જોઈએ. પહેલો મુદ્દો એ કે ભોળવાયેલા મતદાતાઓ કૉન્ગ્રેસ તરફ પાછાં વળે એ માટે કૉગ્રેસ શું કરવા ધારે છે? અને બીજો, કૉન્ગ્રેસ વિરોધીઓનો વિરોધ શમાવવા માટે કૉન્ગ્રેસની શી રણનીતિ છે? પહેલા પ્રશ્નના ઉત્તરમાં કૉન્ગ્રેસે વિકાસની કલ્પના પરિભાષિત કરવી પડશે, પણ રાહુલ ગાંધી એ વિશે તો કંઈ બોલતા જ નથી. આપણે નથી ઈચ્છતા અને કોઈ નથી ઇચ્છતું કે રાહુલ ગાંધી ૨૦૧૪માં નરેન્દ્ર મોદીએ કર્યા હતા એવા હવાઈ મહેલો બાંધે, પરંતુ વિકાસ અંગેનો વિમર્શ તેમના એજન્ડા પર જ ન હોય એ કેમ ચાલે! જો વિકલ્પ નજરે ન પડતો હોય (અને આજે જાગતિક સ્થિતિ એવી જ છે) તો કહે કે વિકાસ સામે પેદા થયેલા અવરોધનો ઉપાય શોધવા માટે રાષ્ટ્રીય સ્તરે નિષ્ણાતોની સલાહ લેવામાં આવશે. આ જ વસ્તુિસ્થતિ છે અને તેને છુપાવવાની કોઈ જરૂર નથી. નરેન્દ્ર મોદીએ આવો પ્રયાસ જો કર્યો હોત તો આજ ઠેકડીનો શિકાર ન બનવું પડ્યું હોત. આની જગ્યાએ રાહુલ ગાંધી બી.જે.પી. પર પ્રહારો કરી રહ્યા છે અને મંદિરોમાં જઇને સાચા હિન્દુ હોવાનાં પ્રમાણપત્રો ઉઘરાવે છે.
બીજો સવાલ પહેલા કરતાં પણ રાહુલ માટે અને કૉન્ગ્રેસ માટે વધુ મહત્ત્વનો છે. શા માટે કેટલાક મતદાતાઓ કૉન્ગ્રેસથી નારાજ છે? કૉન્ગ્રેસે એવી કઈ ભૂલો કરી છે જેને કારણે તેના એક સમયના સમર્થકોને દૂર થઈ ગયા છે? ગઈકાલે કહ્યું એમ ત્રણ મુખ્ય કારણો છે; ભ્રષ્ટાચાર, સગાંવાદ અને પક્ષપાતી સેક્યુલરિઝમ. હિન્દુઓને એમ લાગવા માંડ્યું કે કૉન્ગ્રેસ મુસલમાનોના અને અન્ય લઘુમતીઓના થાબડભાણાં કરી રહી છે જેમાં હિન્દુઓને અન્યાય થઈ રહ્યો છે. બી.જે.પી. આને લઘુમતી કોમના તુષ્ટિકરણના રાજકારણ તરીકે અથવા સ્યુડો સેક્યુલરિઝમ તરીકે ઓળખાવે છે.
કૉન્ગ્રેસ સામેની નારાજગી માટેનાં ત્રણ કારણો છે એમાંથી ભ્રષ્ટાચાર તો હવે સાર્વત્રિક છે. રાફેલ પછી ભક્તો પણ ચૂપ થઈ ગયા છે. ભ્રષ્ટાચાર દૂર કરવો હોય તો સમૂળગી વ્યવસ્થામાં સુધારા કરવા પડે. રાહુલ ગાંધી તેમની ચૂંટણીસભાઓમાં નરેન્દ્ર મોદીની માફક વ્યવસ્થાને સુધારવા વિશે કાંઈ નથી બોલતા. સગાંવાદ પણ આમ તો સાર્વત્રિક છે, પરંતુ કોંગ્રેસની ઘરાણાશાહી છેક ઉપરના સ્તરે હોવાથી નજરે પડી રહી છે. એ વાત ખરી છે કે નેહરુ-ગાંધી પરિવાર વિના અત્યારે કૉન્ગ્રેસનું ટકી રહેવું મુશ્કેલ છે, પરંતુ એ છતાં રાહુલ ગાંધીએ કૉન્ગ્રેસ નું માળખું લોકતાંત્રિક બનાવવું જોઈએ. એક દિવસ કૉન્ગ્રેસને એવી સ્થિતિમાં લઈ આવવી જોઈએ કે તેના અસ્તિત્વ માટે પરિવારની જરૂર ન પડે. રાહુલ ગાંધીએ હજુ સુધી કૉન્ગ્રેસ અંતર્ગત સુધારાઓ વિશે પણ કોઈ સંકેત આપ્યો નથી.
સાચું ટકોરાબંધ સેક્યુલરિઝમ સૌથી મહત્ત્વનો મુદ્દો છે. રાહુલ ગાંધીએ દ્રઢતાથી કહેવું જોઈએ કે ભારત સેક્યુલર દેશ છે. આ દેશમાં ધર્મ દરેકની નીજી બાબત છે અને કૉન્ગ્રેસ કોઈ પણ ધર્મ કે ધર્માનુયાયીઓનો પક્ષપાત નહીં કરે. મૂળભૂત માનવીય મૂલ્યો ધર્મ અને પરંપરા કરતાં અદકેરું મૂલ્ય ધરાવે છે એટલે સબરીમાલામાં હિન્દુ પુરુષોએ ઉદારતા દાખવીને રજસ્વલા વયની સ્ત્રીઓના મંદિરપ્રવેશના અધિકારને માન્ય રાખવો જોઈએ. મૂળભૂત માનવીય મૂલ્યોની એરણે તેમણે બીજા ધર્મોની બાબતે પણ વખત આવ્યે અભિપ્રાય આપવો જોઈએ. અંતિમ એરણ માનવતાની. તેમણે પોતાએ અને કૉન્ગ્રેસીઓ જાહેરમાં ધાર્મિકતાનું પ્રદર્શન કરવાનું બંધ કરવું જોઈએ. જુઓ પરિણામ મળે છે કે નહીં!
ભારત ઉદારમતવાદી હિન્દુઓનો દેશ છે અને તેમને પક્ષપાતરહિત શુદ્ધ સેક્યુલર રાજ્ય જોઈએ છે. સેક્યુલર એટલે ધર્મવિરોધી નહીં, ધર્મની બાબતમાં તટસ્થ. રાહુલ ગાંધી જો આટલી હિંમત અને કૃતનિશ્ચયતા બતાવશે તો મને ખાતરી છે કે ભારતીય રાજકારણનો ચહેરો બદલાઈ શકે એમ છે. અત્યારે તો તેમને તેમના સલાહકારો સલાહ આપી રહ્યા છે કે ભારતના હિન્દુઓ હિન્દુ થઈ ગયા છે એટલે હિન્દુ હોવાનો દેખાડો કરો. તેમને એટલી વાત નથી સમજાતી કે માત્ર હિન્દુ બનવાથી નહીં ચાલે, સાથે ઠેકેદાર પણ બનવું પડશે અને એ કૉન્ગ્રેસ બની શકે એમ નથી.
રહી વાત મુસ્લિમ વિરોધી હિન્દુઓની. અહીં એક ભૂમિકા ઉદારમતવાદી મુસલમાનોએ ભજવવી પડે એમ છે. સેક્યુલર ઇન્ડિયામાં મુસલમાનોનું અને અન્ય લઘુમતી કોમોનું હિત છે, પરંતુ સેક્યુલર ઇન્ડિયા ટકાવી રાખવાની અને વિકસાવવાની જવાબદારી એકલા હિન્દુની નથી. એમાં ઉદારમતવાદી મુસલમાનોએ પ્રતિસાદ આપવો જોઈએ. મુસ્લિમ સમાજમાં જ્યાં ખોટું થતું હોય ત્યાં બોલવાની હિંમત કરવી જોઈએ. દેશના સેક્યુલર પક્ષો લઘુમતી કોમનો ખોટો પક્ષપાત ન કરે અને ઉદારમતવાદી મુસલમાનો શરમાવા જેવી ઘટના બને ત્યારે કે અન્યાય કરનારા રિવાજો સામે મોઢું ખોલે એ પછી જુઓ હિન્દુ કોમવાદનો ફુગ્ગો ફૂટી જાય છે કે નહીં!
હિન્દુત્વવાદીઓને જે બળ મળ્યું છે એ હિન્દુ કોમવાદી નાગરિકોના કારણે નહીં. તેઓ હજુ પણ એક આંકડામાં જ છે. તેમને જે બળ મળ્યું છે એ કૉન્ગ્રેસ વિરોધી અને મુસ્લિમ વિરોધી નાગરિકોના કારણે. આવા વિરોધ માટે સબળ કારણો છે અને તે દૂર કરી શકાય એમ છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 26 નવેમ્બર 2018