ગઈકાલના લેખમાં આપણે જોયું કે ભારતીય પ્રજા વચ્ચેના આંતરિક વિખવાદ અને બહુમતી પ્રજાના દુરાગ્રહોનાં કારણે એક દેશ એક ભાષા તેમ જ એક દેશ એક કાયદાની બસ આપણે ચૂકી ગયા. બંધારણ ઘડતી વખતે પણ આ દિશામાં પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમાં પણ સફળતા નહોતી મળી. હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવામાં આવે એની સામે માત્ર દક્ષિણ ભારતમાંથી વિરોધ થયો હતો એવું નહોતું. અંગ્રેજી ભાષા પરના પ્રભુત્વ દ્વારા સમાજમાં સ્વાભાવિક વર્ચસ્ ધરાવનારા ભદ્ર વર્ગે પણ તેનો વિરોધ કર્યો હતો અને આજે પણ કરે છે. આવું જ એક દેશ એક કાયદાની બાબતમાં બન્યું હતું.
અહીં એક વાત નોંધી લેવી જોઈએ કે દેશની કાયદાપોથીઓમાં જેટલા કાયદા છે એમાંથી ૯૯ ટકા કાયદાઓ દેશની દરેક પ્રજાને એક સરખા લાગુ પડે છે. માત્ર કૌટુંબિક કાયદાઓ (પર્સનલ લોઝ) અલગ અલગ છે. કૌટુંબિક કાયદાઓમાં લગ્ન, છૂટાછેડા, દત્તક, વારસાહક, બે પત્ની રાખવીનો સમાવેશ થાય છે. બીજું આવા વૈયક્તિક કે કૌટુંબિક કાયદાઓનો લાભ એકલા મુસલમાનોને મળે છે એવું નથી, ભારતમાં એવી એક પણ પ્રજા નથી જેને તેમના પોતાના વૈયક્તિક કાયદાઓનો લાભ ન મળતો હોય. આદિવાસીઓ માટે પણ તેમના પરંપરાગત રિવાજો અનુસારના કાયદાઓ (કસ્ટમરી લોઝ) અસ્તિત્વ ધરાવે છે અને એ બધા તેમના પોતાના અલગ અલગ છે.
હિન્દુત્વવાદીઓ કોમી રાજકારણ કરે છે એટલે હવા એવી પેદા કરી છે કે પર્સનલ લોઝ જાણે કે એકલા મુસલમાનો માટે છે અને તેઓ એકલા એકસમાન કાયદા(યુનિફૉર્મ સિવિલ કોડ)નો વિરોધ કરે છે. હકીકત આનાથી ઊલટી છે. બંધારણ ઘડાતું હતું ત્યારે વૈયક્તિક કાયદાઓ નાબૂદ કરીને તેની જગ્યાએ દરેક પ્રજા માટે એક સરખા કાયદા ઘડવામાં આવે એ દરખાસ્તનો વિરોધ કૉન્ગ્રેસમાંના રૂઢિચુસ્ત હિન્દુઓએ અને કૉન્ગ્રેસની બહારના હિન્દુત્વવાદીઓએ કર્યો હતો. એ પછી હિન્દુ સમાજ માટે હિંદુ કોડ બીલ રજૂ કરવામાં આવ્યું, ત્યારે પણ તેમણે તેનો વિરોધ કર્યો હતો. જો તેમણે વિરોધ ન કર્યો હોત તો ત્યારે યુનિફૉર્મ સિવિલ કોડની એક શક્યતા નજરે પડતી હતી. ટૂંકમાં આજે દેશમાં યુનિફૉર્મ સિવિલ કોડ નથી તો એ માટે મુસલમાનો કરતાં રૂઢિચુસ્ત હિન્દુઓ અને હિન્દુત્વવાદીઓ વધારે જવાબદાર છે.
બંધારણ ઘડનારાઓને જ્યારે ખાતરી થઈ ગઈ કે અત્યારે એક દેશ એક ભાષા તેમ જ એક દેશ એક કાયદો સાકાર કરવા શક્ય નથી, ત્યારે તેમણે તેને માર્ગદર્શક સિદ્ધાંતોમાં આમેજ કર્યા હતા. માર્ગદર્શક સિદ્ધાંતોમાં કહેવામાં આવ્યું છે કે આપસી મતભેદોનાં કારણે આટલાં કામ અમારાથી થઈ શક્યા નથી જે ભવિષ્યમાં અનુકૂળતા પેદા કરીને કરવામાં આવે. શું કહી ગયા છે? અનુકૂળતા પેદા કરવામાં આવે અર્થાત્ સર્વસંમતિ વિકસાવવામાં આવે અને તેને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવે.
સભ્ય રાષ્ટ્રના નિર્માણ માટે માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનેક બાબત કહેવાઈ છે જેમાં ભાષા મુખ્ય છે. દેશને જોડવા માટે અત્યંત શક્તિશાળી કડી હોય તો એ ભાષા છે. હિન્દુત્વવાદીઓ અને બીજા દેશપ્રેમીઓ એક દેશ એક ભાષા વિષે ઊહાપોહ નથી કરતા, ક્ષુલ્લક વૈયક્તિક કાયદાઓ વિષે ઊહાપોહ કરે છે. આનું કારણ કોમી રાજકારણ છે. જો તેઓ સાચા દેશપ્રેમી હોય, તો તેમણે હિન્દી રાષ્ટ્રભાષા બને એ રીતની સર્વસંમતિ બનાવવી જોઈએ અને હિન્દીના પક્ષે સર્વસંમતિ બને એ રીતની સુલભ હિન્દીનું સ્વરૂપ વિકસાવવું જોઈએ. ઉચ્ચારણ કરવામાં જડબું તોડી નાખે એવી હિન્દી ભાષા દક્ષિણ ભારતીયો તો ઠીક, હિન્દી પ્રદેશનો બહુજન સમાજ પણ નથી સ્વીકારતો. દેખાવ પૂરતા છીછરા દેશપ્રેમ કરતા ં દેશને જોડનારી નક્કર કડીઓ વિકસાવવા માટે તેમણે કામે લાગી જવું જોઈએ.
તેઓ નથી કરવાના એની ખાતરી રાખજો. બે કારણ છે. એક તો તેઓ રાષ્ટ્રવાદ અને દેશપ્રેમનું રાજકારણ કરે છે, તેઓ દેશપ્રેમી નથી. બીજું કારણ એ છે કે અંગ્રેજી ટકી રહે એમાં તેમનું પણ સ્થાપિત હિત છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તેના નવ દાયકાના ઇતિહાસમાં ક્યારે ય એક દેશ એક ભાષા માટે અંદોલન કર્યું છે? હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકૃતિ મળે એ માટે દક્ષિણ ભારતમાં હિન્દીનો પ્રચાર કર્યો છે? દરેક પ્રદેશ અને સમાજમાં હિન્દી સ્વીકાર્ય બને એ માટે હિન્દીને સુલભ કરવાનું કોઈ મિશન સંઘે હાથ ધર્યું છે ખરું? આ બધાં કામ ગાંધીજીએ કર્યા હતા અને આજે પણ થઈ રહ્યાં છે, કારણ કે ગાંધીજી સાચા દેશપ્રેમી અને રાષ્ટ્રપ્રેમી હતા. તમને નથી લાગતું કે દેશને જોડનારી સૌથી મહત્ત્વની કડી ભાષા છે? ચીન અને જપાનની સફળતા આનું ઉદાહરણ છે. ભારતીયોનો અંગ્રેજીપ્રેમ જોઇને જગત હસે છે.
કહેવાતા દેશપ્રેમીઓને દેશને જોડનારી સૌથી મજબૂત કડી(હિન્દી ભાષા)ને સ્વીકાર્ય બનાવવામાં રસ નથી. એમાં રાજકીય લાભ નથી એટલે કારણ વિના ક્યાં તાકાત ખર્ચવી. તેમને યુનિફૉર્મ સિવિલ કોડમાં રસ છે, કારણ કે એમાં રાજકીય લાભ છે. ખોટી રીતે મુસલમાનોને ટાર્ગેટ બનાવીને ઘેલા દેશપ્રેમીઓને બેવકૂફ બનાવવામાં અને બેવકૂફોની બેવકૂફી ટકાવી રાખવામાં તેમને રસ છે. આપણો એટલે કે સુજ્ઞ નાગરિકોનો કોઈ સ્વાર્થ નથી એટલે આપણે હિન્દીને સુલભ બનાવીને સ્વીકાર્ય બનાવવા માટે કામ કરવું જોઈએ. બાકી યુનિફૉર્મ સિવિલ કોડ ક્ષુલ્લક રાજકીય મુદ્દો છે.
થોભો, એ ક્ષુલ્લક પણ નથી. જે તે ધર્માનુયાયીઓના વૈયક્તિક કાયદાઓ મુખ્યત્વે સ્ત્રીઓને અન્યાય કરનારા છે. એમાં સ્ત્રીઓને અન્યાય થઈ રહ્યો છે એટલે તેમાં સુધારા કરવામાં પુરુષોને રસ નથી, અને બીજું એને કારણે સ્ત્રી સમોવડી બની શકે એમ છે એટલે પુરુષો (જેઓ ધર્મના પ્રવક્તા અને ઠેકેદારો છે) તેનો વિરોધ કરે છે. તો આનો અર્થ એ થયો કે વૈયક્તિક કાયદાઓ લૈંગિક અન્યાય કરનારા છે અને એ અર્થમાં ક્ષુલ્લક નથી, ગંભીર છે. આનો બીજો અર્થ એ થયો કે યુનિફૉર્મ સિવિલ કોડ લૈંગિક સમાનતા માટે અને ન્યાય માટે છે, તેને ધર્મ સાથે ખાસ કોઈ સંબન્ધ નથી. ભારત સભ્ય રાષ્ટ્ર હોવાનો દાવો ત્યારે જ કરી શકે જેમાં કાયદા દ્વારા અને રાજ્ય દ્વારા કોઈને અન્યાય ન થતો હોય. અહીં તો કાયદા દ્વારા અને એ રીતે રાજ્ય દ્વારા દરેક ધર્મની સ્ત્રીઓને અન્યાય થઈ રહ્યો છે.
અહીં કાયદા પંચે ૩૧મી ઓગસ્ટે દેશ સમક્ષ ચર્ચા માટે રાખેલા ‘કન્સલ્ટેશન પેપર ઓન રિફોર્મ ઓફ ફેમિલી લો’નો પ્રવેશ થાય છે. પહેલીવાર નવી પણ નક્કર વાત કહેવાઈ છે. ‘કન્સલ્ટેશન પેપર ઓન રિફોર્મ ઓફ ફેમિલી લો’માં કહેવામાં આવ્યું છે કે મુખ્ય મુદ્દો લૈંગિક અન્યાયનો છે, પરંપરા કે રિવાજજન્ય કાયદાકીય વૈવિધ્યનો નથી. જો સ્ત્રીઓ સહિત કોઈને પણ કાયદો કે રિવાજ અન્યાય ન કરતો હોય તો ભલેને એ કાયદાપોથીમાં રહે ફરક શું પડે છે? નિર્દોષ કાયદાઓનું વૈવિધ્ય કબૂલ રાખો અને અન્યાય કરનારા સદોષ કાયદાઓમાં સુધારા કરો. ટૂંકમાં યુનિફૉર્મ સિવિલ કોડનો આગ્રહ શા માટે? સિવિલાઈઝ્ડ સિવિલ કોડ શા માટે નહીં? તમને અન્યાય અને અસભ્યતા સામે વાંધો છે કે વૈવિધ્ય સામે વાંધો છે? તમે સ્ત્રીઓને થતો અન્યાય જોઇને શરમ અનુભવો છો કે વૈવિધ્ય જોઇને શરમ અનુભવો છો? આ પ્રશ્નો આપણા જેવા સુજ્ઞ અને સંવેદનશીલ નાગરિકો માટે છે. આપણે જાગૃત સંવેદનશીલ નાગરિક બનીશું તો શાસકો પર દબાવ આવશે, બાકી તેમને સત્તા સિવાય બીજી કોઈ ચીજમાં રસ નથી.
કાયદા પંચે સારું કામ એ કર્યું છે કે તેણે માત્ર સલાહ નથી આપી, દરેક ધર્મના એકેએક વૈયક્તિક કાયદાની ચકાસણી કરી છે અને કયો કાયદો સુધારવાની જરૂર છે એ બતાવ્યું છે. એમાં હિંદુ કોડ બીલ અંતર્ગત ઘડાયેલા કાયદાઓનો અને સ્પેિશયલ મેરેજ એક્ટનો પણ સમાવેશ થાય છે.
નિસબત ન્યાય, સભ્યતા અને સંસ્કારિતા માટેની હોવી જોઈએ. એના પાયા પર રાષ્ટ્રનું નિર્માણ થાય. તારસ્વરીય દેશપ્રેમ તામસી તો હોય છે ઉપરથી વાંઝિયો પણ હોય છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 06 સપ્ટેમ્બર 2018