મહારાષ્ટ્રમાં ધુલિયા જિલ્લામાં લોકોએ વહેમના આધારે એક સાથે પાંચ જણની હત્યા કરી નાખી, એ હૃદયને નીચોવી દેનારી ઘટના તો છે જ, પણ એ જ સાથે સમાજના ભવિષ્ય વિષે ગંભીરતાથી વિચાર કરવો પડે એવી ઘટના છે.
આ પાછી એકલ-દોકલ ઘટના પણ નથી, વારંવાર એવું બનતું રહે છે. એક માણસને વહેમ જાય. એ મોબાઈલ દ્વારા વહેમ શેર કરે, મદદ માંગે, જોતજોતામાં સેંકડો કે હજારો લોકો જમા થઈ જાય અને પછી તેઓ કાયદો હાથમાં લે એવું આજકાલ વારંવાર બની રહ્યું છે. છેલ્લા એક મહિનામાં છત્તીસગઢ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બેન્ગલુરુ, આસામ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં આવી ઘટનાઓ બની હતી જેમાં કુલ ૧૬ જણાને શંકાના આધારે લોકોનાં ટોળાંએ મારી નાખ્યાં હતાં.
મને યાદ છે ત્યાં સુધી પહેલી મોટી ઘટના ૧૬મી ઓગસ્ટ ૨૦૧૨ના રોજ બેન્ગલુરુમાં બની હતી, જ્યારે બેન્ગલુરુમાં ભણતા કે કામ કરતા ઇશાન ભારતના હજારો વિદ્યાર્થીઓ જીવ બચાવવા રેલવે સ્ટેશને ભાગ્યા હતા. અઠવાડિયા પહેલાં આસામમાં કોકરાઝારમાં બોડો ઉગ્રવાદીઓએ બંગાળી મુસલમાનોની હત્યા કરી, એ પછી બેન્ગલુરુમાં અફવા ઊડી હતી કે કર્ણાટકના મુસલમાનો ઇશાન ભારતના લોકોની હત્યા કરીને વેર વાળવાના છે. બેન્ગલુરુમાં વસતા ઇશાન ભારતના નાગરિકોના મોબાઈલ પર એક જ મેસેજ હતો : સામૂહિક હત્યા થવાની છે, માટે સાવધાન. પરાયા શહેરમાં સાવધાનીનો એક જ અર્થ થાય છે, સલામત સ્થળે ભાગો. ઇશાન ભારતીયો માટે સલામત સ્થળ પોતાનું રાજ્ય હતું, એટલે તેઓ પોતાના વતન પાછા ફરવા હજારોની સંખ્યામાં રેલવે સ્ટેશન દોડી ગયા હતા. કર્ણાટકની સરકારે ભય દૂર કરવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેમનો ભય દૂર થયો નહોતો, એટલે તેમને ખાસ ટ્રેન દ્વારા ગૌહાટી પહોંચાડવા પડ્યા હતા.
કોકરાઝારની ઘટનાના પડઘા મુંબઈમાં પણ પડ્યા હતા. ૧૧મી ઓગસ્ટે કોકરાઝારની ઘટનાના વિરોધમાં કેટલાક મુસ્લિમ જૂથોએ આઝાદ મેદાન ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. જે તે રાજકીય-સામાજિક સંગઠન કેટલો પ્રભાવ અને શક્તિ ધરાવે છે એ વિષેના પરંપરાગત અનુભવના આધારે પોલીસે અંદાઝ લગાડ્યો હતો કે મોરચામાં અમુક હજાર લોકો આવવા જોઈએ અને એ મુજબ તૈયારી કરી હતી, પરંતુ હાજરી ધાર્યા બહારની હતી. લોકો આવતા જ જતા હતા, આવતા જ જતા હતા અને હવે પોલીસ કાંઈ જ કરી શકે એમ નહોતી. કારણ હતું સોશ્યલ મીડિયા અને તેના દ્વારા ફેલાવવામાં આવેલો ડર. જો એ દિવસે પોલીસે સંયમ ન દાખવ્યો હોત, તો મુંબઈમાં અભૂતપૂર્વ અનર્થકારી ઘટના બની શકી હોત.
આ બન્ને ઘટના ૨૦૧૨ની સાલની છે, જ્યારે સોશ્યલ મીડિયાનો પ્રભાવ આજની તુલનામાં ઘણો ઓછો હતો. એક અભ્યાસ મુજબ ત્યારે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરનારા માત્ર સાડા ચાર કરોડ ભારતીયો હતા. ૨૦૧૫માં સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરનારાઓની સંખ્યા ભારતમાં વધીને ૧૪ કરોડ થઈ હતી અને આજે તેની સંખ્યા બાવીસ કરોડ છે. મને તો કલ્પના કરતાં શરીરમાં લખલખું પસાર થઈ જાય છે કે જો ૧૯૪૭માં ભારતના વિભાજન વખતે કે બીજા વિશ્વયુદ્ધ વખતે સોશ્યલ મીડિયા હોત તો શું થયું હોત? કેટલા લોકોની હત્યાઓ થઈ હોત? સોશ્યલ મીડિયાના આ યુગમાં આવી ઘટના નહીં જ બને એની કોઈ ખાતરી નથી અને એ ૨૦મી સદીની કુલ શરમને ભુલાવી દે એટલા પ્રમાણમાં શરમજનક હશે.
૨૦૧૨માં કોકરાઝારના પડઘા બેન્ગલુરુ અને મુંબઈમાં પડ્યા અને ખાસ કરીને મુંબઈમાં પોલીસે અક્ષરશ: શરણાગતિ વહોરીને સ્થિતિ સંભાળી લીધી, એ પછી સવાલ ઉપસ્થિત થયો હતો કે આજના નવા યુગમાં મીડિયા અને મોબને કઈ રીતે હેન્ડલ કરવા? આપણે ત્યાં ઘણીવાર ચર્ચાઓ ગંભીરતાથી થાય છે, પછી ભલે કરમનું મીંડું હોય. એ સમયે અત્યાર સુધીમાં ક્યારે ય જોવા મળી નથી એટલી ગંભીરતાથી સોશ્યલ મીડિયાના દુષ્પ્રભાવ અને ટોળાંનાં માનસ વિષે ચર્ચા થઈ હતી. ઘણાં સૂચનો આવ્યાં હતાં, કારણ કે સમાજ માટે સરોકાર ધરાવે છે એવા લોકોને સમજાઈ ગયું હતું કે આ જીવતો જ્વાળામુખી છે જે ગમે ત્યારે ફાટી શકે છે અને લાખોની સંખ્યામાં લોકો હોમાઈ શકે છે.
૨૦૧૩માં ભારતીય રાજકારણમાં રાષ્ટ્રીય સ્તરે નરેન્દ્ર મોદીનો ઉદય થયો અને તેમણે સોશ્યલ મીડિયાનો રાજકીય ઉપયોગ કરવાનું શરૂ કર્યું, એની સાથે પેલી ચર્ચા અને ઉપાય યોજનાઓ આથમી ગઈ. સોશ્યલ મીડિયાના દુરુપયોગ રોકવાની, સાવધાન રહેવાની અને ઉપાય શોધવાની વાત તો બાજુએ રહી, દેશના વડા પ્રધાનપદના ઉમેદવારે દુરુપયોગ શરૂ કર્યો. જુઠાણાં, ચારિત્ર્ય હનન, ઇતિહાસ વિપર્યાસ વગેરે તમે જેની કલ્પના કરી શકો એ બધાનો રાજકીય ઉપયોગ કરવામાં આવ્યો અને આજે પણ થાય છે. જે દેશનો વડો પ્રધાન ટ્રોલ્સને ફોલો કરતો હોય એ દેશમાં સત્ય અને વિવેકનું શું થાય એની કલ્પના કરવી મુશ્કેલ નથી. આમ દેશમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી એ પછીથી સોશ્યલ મીડિયાના નિયમનની વાત બાજુએ હડસેલાઈ ગઈ અને તેનો વધારેમાં વધારે રાજકીય દુરુપયોગ એ ભારતીય રાજકારણનું અનિવાર્ય અંગ બની ગયું. આજે બધા જ રાજકીય પક્ષો, કોર્પોરેટ કંપનીઓ, સાધુ-બાવાઓ, ઊંટ વૈદો વગેરે જે કોઈના સ્થાપિત હિતો છે એ બધા જ સોશ્યલ મીડિયાનો દુરુપયોગ કરે છે. મહાજને અપનાવેલો માર્ગ પ્રજા અપનાવે એ ઉક્તિ જાણીતી છે.
સમસ્યા ગંભીર છે અને તેનો ઉપાય શોધવો પડશે. લોકો વખાના માર્યા અજાણ્યા ગામમાં રોજી-રોટી રળવા જાય છે અને આજકાલ પ્રાણ ગુમાવે છે. મારા મિત્ર દક્ષિણ છારા કહે છે એમ ભારતમાં સાવ અજાણ્યા ગામમાં લોકો રોજી-રોટી રળવા જતા એ કોઈ નવી વાત નથી. સેંકડો વરસ જૂની આ પરંપરા છે. મદારી, ઘંટિયા, ઢોરના સાટા-પાટા કરનારાઓ, મલ્લ વગેરે ભારતભરમાં ગામડાંઓમાં ફરતા હતા અને રોજી કમાતા હતા. આજે પ્રાણી પર કરવામાં આવતા અત્યાચારો રોકવાના નામે કે બાળમજૂરીના નામે એ બધા વ્યવસાયો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. વૈકલ્પિક રોજગારનાં ઠેકાણાં નથી, પણ પ્રતિબંધો મૂકી દેવામાં આવ્યા છે. બીજું કરંડિયા સાથે ગામમાં પ્રવેશતા મદારીને ઓળખવો મુશ્કેલ નહોતો એટલે લોકોને તેના પર શંકા જતી નહોતી. આજે એ લોકો એટલા જ ભૂખ્યા છે જેટલા પહેલાં હતા, કદાચ વધુ છે. સામે હાથમાં વ્યવસાય નથી અને વ્યવસાયવાચક ચિહ્ન પણ નથી. સામે લોકો પાસે સોશ્યલ મીડિયા નામનો ખતરનાક બોમ્બ છે.
સમસ્યા ગંભીર છે અને તેની ગંભીરતાને સમજવાની કોશિશ કરો. જીવતો જ્વાળામુખી છે જેમાં આવતીકાલે તમારા નિર્દોષ સંતાનો પણ હોમાઈ શકે છે.
સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 04 જુલાઈ 2018