‘નિરીક્ષક’ તા. ૧-૭-૨૦૧૮ના અંકમાં ‘સ્વરાજની લડાઈ કદી અટકતી નથી’ (સૌજન્ય : બી.બી.સી. ગુજરાતી ૨૬ જૂન, ૨૦૧૮) ગમ્યું. ઉર્વીશ કોઠારીએ ‘સાર્થક જલસો’ના એક અંકમાં પ્રકાશ ન. શાહનો ઇન્ટરવ્યુ છાપ્યો છે. આ તકે તે પણ યાદ આવ્યો.
વાક્ય – જે પ્રવૃત્તિઓ હતી, મારી અને સાથીઓની, એ જોતાં પકડાવું એટલે કે મિસાબંદી હોવું એ સહજ હતું.-માં ‘સાથીઓ’માં ભાવનગર ખાતે મૂળશંકર મો. ભટ્ટ, મહેશ વસાવડા, જયેન્દ્રભાઈ ત્રિવેદી, ભારતી શાહ (મંત્રી), વિનોદ વ્યાસ, હું તથા અન્ય મિત્રો લોકસ્વરાજ આંદોલન, પછીથી લોકશક્તિ સંગઠનની પ્રવૃત્તિમાં સક્રિય. પાલનપુર જેલમાં પહેલા મહિનામાં પ્રકાશે જે પત્રો લખ્યા હશે તેમાં મારા પર પણ ખરા જેનો વિગતપૂર્ણ જવાબ મેં પાઠવ્યો તે તેમને વડોદરા જેલમાં મળેલો. વડોદરા જેલમાં ફેરવાતાં હું, સૌ. રંજન તથા ચિ. હેમા વડોદરા તેમને મળવા દોડી ગયાં હતાં. અમારી એક કલાકની મુલાકાતમાં મેં જોયું હતું કે પ્રકાશ પ્રસન્ન હતા, ખિન્ન નહોતા. ભાવનગર પાછાં ફરતાં અમદાવાદ ખાતે એક દિવસનો વિરામ લઈ, સૌ. નયનાબહેન તથા પૂ. બાને પ્રકાશને રૂબરૂ મળ્યાની છાપ રજૂ કરી હતી. બા જરા લાગણીવશ થયાં હતાં. નયનાબહેન સ્વસ્થ હતાં. ઋતા ઘણી નાની હતી. ‘प्रकाश’માંથી મળેલી માહિતીના આધારે પેરોલ પર છૂટીને લગ્નગ્રંથિથી જોડાયેલ મંદાને મળવા ભાઈદાસભાઈના નિવાસસ્થાને કુટુંબસહ જવાનું બન્યું હતું. મંદાની સાબરમતી જેલની વાતોએ મારા મનમાં એક કાયમી ધ્રુજારી પેદા કરી હતી.
પહેલા રાઉન્ડમાં હું બચી ગયો હતો. વિક્રમ સવાઈને ભોગીલાલ ગાંધીએ કહ્યું હતું કે ‘એ સારું કે કોઈ બહાર પણ છે.’ ભાવનગરની જેલમાં કોણ રહે છે, અમારે શું કરવું વગેરે સૂચનો પત્રથી વિક્રમ સવાઈ આપતા. ભારતી શાહ (મંત્રી-લોકશક્તિ સંગઠન), દમુબહેન મોદી, કીર્તિભાઈ પંડ્યા વગેરે સાથે ભાવનગર જેલમાં મિસાવાસીઓ મળવા જવાનું બનતું.
ભાઈ ઉર્વીશ પ્રકાશ પાસેથી ઘણું યાદ કરાવીને લખી શક્યા છે. તેનું પુસ્તક થાય તેની પ્રતીક્ષા છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ઉર્વીશને સૂચવવાનું મન રહ્યા કરે છે કે પ્રકાશ શાહના લેખોનો સંચય કરી આપે. તેમના શૈલી વિશેષને ખોલી આપે. ગુજરાતી પત્રકારણમાં લેખન સમયે શબ્દનિર્માણ, વાક્યવિન્યાસ અને એક સંદર્ભખચિત શૈલી નિપજતાં આવે છે તેનો સદૃષ્ટાન્ત નિર્દેશ કરે. પ્રકાશ શાહનું પ્રગટ હાસ્ય જેમ નોંધપાત્ર, તેમ લોકશાહીની ખેવના કરતું લેખન પણ નોંધપાત્ર!
હું પણ પ્રકાશ જેવો થોડો મૂરખ હતો. જો કે, મારા પિતા જયપ્રકાશને ‘મહામૂર્ખ’ કહેતા એ રીતે પ્રકાશ પોતે પણ ઠીક ક્વૉલિફાઈડ હોવાનું પ્રોત્સાહન લઈ શકે. અલબત્ત, ૧૨-૧૫ વ્યક્તિના સંયુક્ત કુટુંબમાં જવાબદાર / કમાનાર હોઈને પ્રમુખશ્રી / મંત્રીશ્રી (મૂ.મો. ભટ્ટ + ભારતી શાહ)ની મંજૂરી લઈને સક્રિય સામેલગીરીમાંથી મુક્ત થઈ મેં નોકરી સાચવી, જેલ શિબિર ટાળી, નહિ તો બીજા રાઉન્ડમાં લિસ્ટમાં નામ પાકું હતું. ભારતી શાહ, મૂ.મો. ભટ્ટના ઘેર સી।બી।આઈ। અધિકારી તપાસાર્થે પહોંચી ગયા હતા. કટોકટીનું સાહિત્ય મેં બાળી નાખ્યું.
ઉર્વીશનું પુસ્તક આવતાં પ્રકાશ અંગે વધુ જાણવા/ માણવા મળશે.
ભાવનગર
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2018; પૃ. 10