‘દર્શક’ વ્યાખ્યાનમાળા : બીજો મણકો
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ – સણોસરા દ્વારા આયોજિત અને ‘ઓપિનિયન’ દ્વારા પુરસ્કૃત મનુભાઈ પંચોલી – ‘દર્શક’ વ્યાખ્યાનમાળાનો બીજો મણકો, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના સૌજન્યથી, રાષ્ટ્રીયશાળા – રાજકોટના મધ્યસ્થ ખંડમાં, તારીખ 14 ઓક્ટોબરને દિવસે પરોવાઈ ગયો.
ડાબેથી, પ્રકાશભાઈ ન. શાહ, સુદર્શનભાઈ આયંગાર, દેવેન્દ્રકુમારભાઈ દેસાઈ અને વિદ્યુતભાઈ જોશી
આ ટાંકણે જાણીતા સમાજશાસ્ત્રી વિદ્યુતભાઈ જોશીએ ‘સત્યનારાયણની સાક્ષીએ લોકકેન્દ્રી વિકાસ’ અને ગુજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ કુલનાયક સુદર્શનભાઈ આયંગારે ‘આવતીકાલના ગૃહ ઉદ્યોગો’ વિષયો પર સુંદર વ્યાખ્યાનો આપ્યાં. કાર્યક્રમની શરૂઆત સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના મંત્રી હિંમતભાઇ ગોડાએ મનુભાઈનું એક પ્રિય ભજન મુક્તકંઠે ગાઈને કરી. 83 વર્ષના આ યુવાદિલ હિંમતભાઈના અવાજની બુલંદી તેઓ ગ્રામભારતીના પ્રથમ વિદ્યાર્થીઓમાંના એક હતા તેની સાક્ષી પૂરી.
વક્તાઓનો પરિચય આપતાં ‘નિરીક્ષક’ના તંત્રી અને જાણીતા કટાર લેખક પ્રકાશભાઈ શાહે તેમની લાક્ષણિક શૈલીમાં કહ્યું, આ બંને પૂર્વ વાઇસ ચાન્સેલર છે તેથી તેમના પરિચય કરતાં પરચો વધુ થયો છે અને એમનો પરિચય આપવાનું વારંવાર થાય છે એટલે તેમને કહું કે જો પહેલાના પરિચય પછી તેમના વિષે કોઈ ફેરફાર થયા હોય તો જાણ કરે. આવી રમૂજના પડઘા શમતાં તેમણે આ વ્યાખ્યાનમાળાના આયોજન વિષે કેટલીક માહિતી આપી. મૂળે તો ‘ઓપિનિયન’ના તંત્રી વિપુલભાઈ કલ્યાણીને ‘દર્શક’ની સ્મૃિતમાં આ વ્યાખ્યાનશ્રેણી શરૂ કરવાનો વિચાર આવ્યો અને એમાં સ્વ. હીરજીભાઈ શાહનો સક્રિય ફાળો રહેલો. તેની પાછળનો હેતુ ‘દર્શક’ના પાયાનાં વિચારો, મૂલ્યો અને આદર્શો જાળવવા માટે, આ ક્ષેત્રમાં રસ ધરાવનારાઓ વચ્ચે, વિચાર વિનિમય થતો રહે, વિચાર વિમર્શ થાય એ છે. અને ‘દર્શક’ વ્યાખ્યાનમાળાના પહેલા મણકાના મુખ્ય વકતા લૉર્ડ ભીખુ પારેખ વાદવિવાદ એટલે કે discourseની પરંપરાને અનુસરેલા.
આપણે જાણીએ છીએ કે તત્કાલીન રાજકીય ઉપથલપાથલો નિકટથી જોઈ, તેમાંથી મનુભાઈની ‘સોક્રેટિસ’ જેવી ખમતીધર નવલકથાનો જન્મ થયો. મનુભાઈએ વિચારવિમર્શની સોક્રેટિસની પરંપરાને આત્મસાત કરેલી. સોક્રેટિસના સમયમાં કે આજે પણ લોકશાહી કેમ તેના મૂળ સ્વરૂપમાં ચાલતી નથી? સોક્રેટિસ જેવાનો ભોગ કેમ લેવાયો? તેનું કારણ એ કે એ જમાનામાં એક સોફિસ્ટ હતો જે ગમે તેમ કરીને માલ વેંચતો. બીજો હતો બરાડાબાજ, ખૂબ બોલી બોલીને પોતાનો માલ ખપાવતો. ગ્રીસની લોકશાહી સોક્રેટિસને ભરખી ગઈ કેમ કે સોફિસ્ટસ અને ડેમેગોગ ચડી વાગ્યા. આવું આ યુગમાં બનવા ન પામે એ હેતુથી વિપુલભાઈએ સોક્રેટિસની વિચારધારાને જીવિત રાખવા, આ વ્યાખ્યાનમાળા શરૂ કરવા ધાર્યું છે.
કહેવાતો વિકાસ આવળની જેમ વધવા લાગ્યો છે, તે વિષે ‘નવ ગુજરાત સમય’ અને ‘દિવ્યભાસ્કર’માં નિયમિત કટાર લખતા વિદ્યુતભાઈ જોશી વાત કરશે અને ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ ઉપકુપતિ તેમ જ અન્ય અસંખ્ય સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કરતા રહેલા સુદર્શનભાઈ આયંગાર ઉદ્યોગોની આવતીકાલ વિષે વાત કરશે એ વિધાન સાથે પ્રકાશભાઈએ બેઠકનું સંચાલન અરુણભાઈ દવેને સોંપ્યું.
લોકભારતી ગ્રામવિદ્યાપીઠના નિયામક અરુણભાઈ દવેએ વ્યાખ્યાનમાળાને આગળ વધારતા કહ્યું કે બૂચદાદા (ન.પ્ર. બૂચ) કહેતા કે એક જ પરિવારના સભ્યો એકમેકને મળે ત્યારે ‘આવો આવો, કેમ છો?’ એટલું જરૂર પૂછે અને આનંદ આંનદ અનુભવે, તેમ આજે સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ, કે જે લોકભારતી ગ્રામવિદ્યાપીઠની પિતૃસંસ્થા સમાન છે તેના સભ્યોને મળતા પરસ્પરને એવો જ આનંદ થાય તે સ્વાભાવિક છે. આ સંગોષ્ઠિના મૂળ વિષય પર આવતા તેમણે કહ્યું, મનુદાદાએ ધર્મ, અર્થ અને રાજ્ય વ્યવસ્થાને સરખે ભાગે 33% સ્થાન આપે એવી સમાજરચના કરવાની વાત કરેલી. તો એ જ રીતે વિદ્યુતભાઈએ પર્યાવરણના સંદર્ભમાં GODની પણ નવીન વ્યાખ્યા આપી તે મુજબ Generator, Operator અને Decomposerની માત્રા 33% રાખવાથી જ પર્યાવરણમાં સમતુલા જળવાશે અને માનવ વિકાસ સંપોષિત બનશે. તેમણે બીજી વાત એ પણ કહી છે કે દુષ્ટ વિચારનો જરૂર વિરોધ કરો, પણ વ્યક્તિને દુષ્ટ માનીને તેનો નહીં. એના પ્રત્યે સદ્ભાવ રાખો અને પ્રાર્થના કરો કે ભગવાન તેને સદ્દબુદ્ધિ આપે. દુષ્ટ વ્યવહાર કરનાર વ્યક્તિ સાથે વિરોધ કરવાથી સમજમાં ખલેલ પડે છે.
અરુણભાઈએ એ વાતનું પણ ધ્યાન દોર્યું કે આજે વિશ્વના મહત્તમ દેશોનો આર્થિક વિકાસ થતો નજરે પડે છે પણ ક્યાં ય સુખનો અહેસાસ નથી થતો. હેપીનેસ ઇન્ડેક્સમાં ફિનલેન્ડ પહેલા નંબરે આવ્યું, તે શા કારણે તેનો અભ્યાસ કરવા એક પ્રતિનિધિ મંડળ ભારતથી ગયેલું તો તેઓને જાણવા મળ્યું કે ત્યાંનું શિક્ષણ એવા પ્રકારનું છે કે બાળકો પ્રસન્ન રહેતાં શીખે છે, તેનાથી ત્યાંની પ્રજાને સુખી થવાની ચાવી જડી છે. આખર માનવીને જોઈએ છે શું? તેને પોતાની આવડત વિકસાવવાની મળે તો જ એ નવસર્જન કરી શકે. વાળંદ પણ આપણને સંતોષ આપવા કામ કરે છે. મનુદાદાએ આ વાત આપણને સમજાવેલી. હવે જુઓ તો, મજાની વાત એ છે કે ફિન્લેન્ડની શિક્ષણ પ્રણાલી નઈતાલીમની ખૂબ નિકટ છે. ભારતવાસીઓ ફિનલેન્ડ પાસેથી એ શીખશે, પણ લોકભારતી સણોસરાની તેમને જાણ પણ નહીં હોય. તો આજે વિદ્યુતભાઈ આપણને એવા લોકકેન્દ્રી વિકાસની રાહ બતાવશે જેનાથી સુખની મંઝિલે પહોંચી શકાય.
સુદર્શનભાઈના વિષયને સ્પર્શતા અરુણભાઈએ કહ્યું, મનુભાઈ કહેતા, હાથી ગાંડો થાય તો એની સામે ન થવાય, હળવેથી રસ્તો બદલી નખાય. એક વખત સુદર્શનભાઈ એક વક્તવ્ય આપવા આવવાના હતા, ત્યારે મેં પૂછ્યું, તેમણે શું કહેવું જોઈએ? તો મનુદાદાનો જવાબ હતો, “વિકાસ ગાંડો થયો છે, એને કહો, ગ્રામોદ્યોગ તરફ વળે.” તો આજે આપણે ગ્રામોદ્યોગના વિકાસની દિશા અને દશા કેવી છે અને આપણે કઈ રીતે રસ્તો બદલીને ગાંડા વિકાસથી તરી જઈ, લોકોને તારવા જોઈએ તે વિષેની વાત સુદર્શનભાઈ પાસેથી સાંભળીશું.
અરુણભાઈને એ વાતનો વસવસો છે કે આજની પ્રજામાં આ પાયાનાં મૂલ્યો સમજવાની તૈયારી નથી; એમને ખપે છે માત્ર મનોરંજન. આપણે આવા વિચારોને સમજવાની, તેને આચારમાં ઉતારવાની ક્ષમતા વધારીએ તો જ થાય. ગાંધીજી કહેતા કે જ્યારે કાચો માલ જ્યાં પેદા થાય, ત્યાંની સ્થાનિક ઊર્જા વાપરશો અને વેચાણ પણ પહેલા સ્થાનિક બજારમાં કરશો તો જ ઉદ્યોગો તંદુરસ્ત અર્થવ્યવસ્થા આપશે અને માણસ સુખી થશે. પુન:પ્રાપ્ય સ્રોતમાંથી મેળવેલ માલ વેંચાય ત્યારે જ સુરાજ્ય આવે.
અરુણભાઈએ આ વાત એક અભણ ખેડૂતને કરી. તેના પાકને રોઝડાં અને ભૂંડ બહુ રંજાડે. તેમણે વાડ કાઢી ત્યાં કરમદાં વાવ્યાં. આથી રોઝડાં અને ભૂંડનો ત્રાસ ગયો અને કરમદાંમાંથી મીઠા પાનમાં મુકવાનો મસાલો તૈયાર કરી, વેંચવાનો ઉદ્યોગ શરૂ કર્યો. તે એટલા સફળ થયા કે આજે એમના સંતાનો ભણ્યા અને બંગલા ય બંધાવ્યા. આપણને આપણાં પાઠ્ય પુસ્તકોએ ભણાવ્યું છે કે ગરીબીનું કારણ વસ્તી વધારો છે. આપણી બધી નિષ્ફ્ળતાઓનું કારણ વસતી વધારો છે. ચીને સાબિત કરી બતાવ્યું કે વધુ વસતી એ પ્રશ્ન નથી, તેના મેનેજમેન્ટનો અભાવ એ પ્રશ્ન છે.
વિદ્યુતભાઈ જોશીએ પોતાના વક્તવ્યના આરંભે જ ગીતા પર હાથ મૂકીને કહેતા હોય તેમ કહ્યું, ભારતના વિકાસમાં પરસ્પર વિરોધના પડઘા હવે સ્પષ્ટપણે સંભળાતા જાય છે, એટલે નાગરિકોને પસંદગી કરવાનો સમય પાકી ગયો છે એટલે સત્યનારાયણની સાક્ષીએ લોકકેન્દ્રી વિકાસ કોને કહેવો તેની જ વાત કરીશ અને તે સિવાય કશું નહીં કહું. લોકકેન્દ્રી વિકાસના ઘણાં મોડેલ છે. હું જે મોડેલની વાત કરવાનો છું તે મોડેલ લોકકેન્દ્રી છે, ગ્રામકેન્દ્રી નહીં. ગ્રામદક્ષિણામૂર્તિમાંથી લોકભારતીનું નિર્માણ કેવી રીતે થયું? ગ્રામ નહીં પણ લોકને કેન્દ્રમાં રાખી વિકાસ કરવો. ગ્રામ ટેમ્પરરી હોય છે, લોક તો હર સમય હર જગ્યાએ લોક જ રહેશે. લોક શહેરમાં પણ રહે. સ્માર્ટ સિટીમાં પણ લોકવિકાસની વાત પાયામાં હશે.
વિકાસ છે શું? develop એ envelop(સમેટવું અથવા સંગોપવું)નું વિરોધી એટલે કે ખોલવું, unfold કરવું. કળીમાંથી ફૂલ થાય; છોડને વૃક્ષ થતાં ફળ બેસે તે વિકાસ. લોકની ક્ષમતાનો વિકાસ. જો સ્માર્ટ સીટી બનાવવાથી માત્ર કેટલાક સમુદાયોની ક્ષમતાનો વિકાસ વિકાસ થાય તેમ હોય તો એ એકાંગી મોડેલ બને. દરેક ઉદ્યોગ, દરેક લોકનો વિકાસ થાય તે સર્વાંગી વિકાસ કહેવાય. ગાંધીજી અને મનુભાઈ લોક વિકાસને ભારત માત્ર જ નહીં, પણ દુનિયાભરમાં સુમેળ સાધવાનું સાધન ગણાતા હતા. વિકાસ કરવાની વાત થાય ત્યારે રાજનેતાઓ કહે છે, વિકાસ કરવાનો હોય તો કોઈકે તો ભોગ આપવાનો હોય. સમાજ વિજ્ઞાન આ વાત નકારે છે. બધા સ્ટેકહોલ્ડર્સ – ભાગીદારોને તેનો લાભ-ભાગ મળવો જોઈએ.
અમદાવાદની હાઇકોર્ટે શહેરમાં ઢોર રખડતા ન મુકવાનો આદેશ આપ્યો. હવે ગામડાંઓને ગળી જઈને બનાવેલ શહેર પાસે ઢોરને રાખવાનો અને તેના ચરાણ માટે કોઈ વિકલ્પ અપાયો ન હોય તો એવું આયોજન વિકાસની વ્યાખ્યામાં કેમ બંધ બેસે? તો વિકાસનું માપ શું? મનુભાઇના મતે સત્ય એ એક જ ગજ. સર્વોદય એ જ સાચું માપ. સર્વહિતકારી વિકાસધારા એ જ માન્ય. એકને ગોળ ને એકને ખોળ એ સાચી વિકાસની પૂંજી નથી. આજે તો સમાજના ત્રણે ય પાયા અર્થકારણ, રાજકારણ ને ધર્મ વ્યવસ્થા વધુમાં વધુ સંખ્યાને પોતાના ફોલ્ડ-ગોળ કુંડાળામાં લાવવાની પેરવીમાં પડયા હોય છે. સામ્યવાદી શાસન વ્યવસ્થા સહુને સમાન કરવાનું વચન આપીને શરૂ થઈ, પણ છેવટ એ માથાભારે સાબિત થયું. તેને પગલે ઉદારીકરણ અને ખાનગીકરણે let market begin કહીને વૈશ્વીકરણ કર્યું તો દુનિયાના અર્થકારણ અને રાજકારણનું શું થયું તે આપણે જોયું. અર્થકારણ અને રાજ્ય વ્યવસ્થા પ્રજાકલ્યાણ માટે બધું જ ન કરી શકે, તેને માટે નાગરિક સમાજની જરૂર સ્વીકારવામાં આવી છે અને ઘણા દેશોમાં જી.ડી.પી. વધી, પણ સુખ નહીં, તેથી હવે ‘હેપીનેસ ઇન્ડેક્સ’ પર ધ્યાન અપાવા લાગ્યું છે.
વિદ્યુતભાઈ જોશીએ એક વાત સુંદર રીતે કહી, આપણી પાસે પ્રકલ્પો મોટા છે પણ નિર્ણાયક તંત્ર સાંકડું છે તેનો વાંધો છે. પ્રકલ્પોના અમલની વ્યવસ્થા લોક ભાગીદારીવાળી હોવી જોઈએ. GST લાવો કે નોટબંધી, તેમાં મજૂરો, નાના વેપારીઓ અને જેમનો આ દેશના વિકાસમાં ફાળો છે તે નાગરિકોને શામેલ કરો તો વિકાસ સફળ થાય. સર્વસમાવેશક તંત્ર ક્યાં છે? નર્મદા સિવાયના ભારતના એકેય ડેમ બંધાયા પહેલાં કે ત્યાર બાદ પુનર્વસન નથી થયું. લોક ભાગીદારી વિના સંપોષિત વિકાસ ન થાય. ભાવિ પેઢી માટે સંસાધનો ટકી રહેવા જોઈએ, તે માટે લોકોને બોલવા દો, તેમને નિર્ણય લેવા દો. અત્યારે તો જાણે વિકાસની દોડમાં આ માટે સમય નથી રહેતો. લોકસુનાવણીની જોગવાઈ કરી, પણ તેનો અમલ કરવાનો સમય નથી. આટલી ઉતાવળ શાને માટે? તેનાથી કોનો વિકાસ થશે?
ભારત દેશની વિકાસની તરાહની વાત કર્યા બાદ વિદ્યુતભાઈએ રચનાત્મક કાર્યો દ્વારા થતા વિકાસ તરફ સુકાન ફેરવ્યું. તેમનું કહેવું છે કે પચાસ વર્ષ પહેલાં એક સમુદાયને અમુક પ્રકારનો વિકાસ યોગ્ય લાગ્યો હોય, પણ એ સમુદાય હવે બદલાયો છે, તેમની જરૂરિયાતો અને એ પૂરી કરવાની રીતોનો ઢંગ બદલાયો હોય, તેની સાથે તાલમેલ કરશે તો ગાંધી સંસ્થાઓ ટકી રહેશે. ગ્રામ્યશાળાઓમાં ભણનારને શું બનવું છે તે જાણીને ભણાવશો તો એ શાળાઓ ચાલશે. એમ કરવાથી કામ કરવાના સંદર્ભો બદલાશે, સિદ્ધાંતો નહીં. બદલાતા જીવનના અર્થઘટનો સમજો તો જ લોક વિકાસના પ્રહરી બની રહેવાય. આજે સ્માર્ટ સીટી બનાવવાની યોજનાઓ ચાલે છે. તેનો વિરોધ કરતા પહેલાં વિચારીએ, આ યોજનાનો વિકલ્પ કયો? લોકને કેવો વિકાસ જોઈએ છે? લોકો અન્ન, વસ્ત્ર, મકાન, સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે નિર્ણય લઇ શકે અને સરકાર પરનું પરાવલંબીપણું ઘટાડે તે સાચો વિકાસ.
થયું છે એવું કે સ્વતંત્રતા પછી રાજ્યકર્તાઓને ખ્યાલ આવ્યો કે ભારતના પ્રશ્નો મોટા છે. પ્રજાએ માન્યું કે સરકાર બધું જ ઠીકઠાક કરી દેશે. આપણાં ગામડાંઓ પાંચ હજાર વર્ષો સુધી સ્વાયત્ત રહ્યાં, તો હવે સરકાર જ કેમ માઈબાપ લાગે? સરકારે જ પ્રજા માનસમાં પરાવલંબીપણું ઊભું કર્યું કેમ કે તો જ તેમની સત્તા જળવાય, તેમાં લોકને ફાયદો નથી. રાજ્ય કહે, તમારો વિકાસ અમે કરશું, પ્રજા માત્ર મજૂરી કરે.
જવાહરલાલ નહેરુએ બળવંતરાય મહેતાની આગેવાની હેઠળ પંચાયતી રાજની યોજના દાખલ કરી, પણ પંચાયતને સત્તા નહોતી. આદિવાસીઓના જળ, જમીન, જંગલ અને ખાણોની માલિકી તેમની હતી, પણ એ માટેના કાયદાઓ સરકાર કરે. રેલવે નાખવા સાગના વન કાપ્યાં તે માટે 1864માં જંગલ એક્ટ અસ્તિત્વમાં આવ્યો, જે હજુ હયાત છે; એથી આજે જો આદિવાસી સાગ કાપે તો ચોર ગણાય. મલિક ગુલામ બન્યો. સરકારે કહ્યું, તમે સૂતા રહો, મોટો ભાઈ જાગે છે, અને આપણે સુઈ ગયા!
આજે વિકાસને નામે સતત ડેમ, રસ્તાઓ અને ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોર બનતા જાય છે, એને માટે જમીન લેવાતી રહે છે. તો એ જમીનના માલિકોને વળતર પેટે શું મળે છે? વળતર આપવા માટે ધારા થાય પણ તેનો અમલ ન થાય એટલે ધારા નાબૂદ કરવા ચાલ્યા છે. લોકકલ્યાણ કરવાના નિમિત્તે સરકાર તેની પ્રજા પાસેથી ગમે તે મિલકત ગમે તેટલું મૂલ્ય આપીને લઇ શકે. આખર સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા સચવાય તે જ લોકસત્ય. આ માપદંડથી તપાસીએ તો સેઝ કે બુલેટ ટ્રૈન એ ખરો લોકવિકાસ નથી. લોકોની કુલ શક્તિના 15%નો જ ઉપયોગ થાય છે, તેમની ક્ષમતા નથી વધતી, તો બાકીની શક્તિ અને ક્ષમતાનું શું થાય? દરેક નાગરિકને એમ પ્રતીત થી રહ્યું છે કે જેનાથી શક્તિઓનું પ્રફુલ્લન થાય તે વિકાસ. આ વિધાન સાથે વિદ્યુતભાઈએ પોતાના વક્તવ્યનું સમાપન કર્યું.
સુદર્શનભાઈ આયંગારે વ્યાખ્યાનમાળાનું સુકાન પોતાના હાથમાં લેતાં કહ્યું, “સત્યનારાયણની કથાનો હવે બીજો અધ્યાય શરૂ થાય છે, હવે સાધુ વાણિયાની વાત કરીશું.” તેમના મતે સ્વતંત્રતા બાદ અર્થવ્યવસ્થાને દેશની જરૂરિયાતોને અનુરૂપ ઘાટ આપવા ભેળા થયેલા સત્તારૂઢ લોકોમાં બે પક્ષ હતા. એક હતો બિઝનેસ એઝ યુઝવલમાં માનનારો જેમ કે પંડિત નહેરુ. એ બાબતમા તેઓ ગાંધીજીના અનુયાયી નહોતા. અને બીજો પક્ષ તે પશ્ચિમી અર્થવ્યવસ્થાના વિકલ્પે ગ્રામ આધારિત માળખું ઊભું કરવાના મતના હતા. ઉત્તમ સમાજના નિર્માણમાં જે તે દેશની શિક્ષણ વ્યવસ્થા જ પાયામાં હોય છે, તો ગૃઉદ્યોગોનું પણ એવું જ મહત્ત્વ છે.
બિઝનેસ એઝ યુઝવલની રાહે ચાલીએ તો ઉદ્યોગો કેવા હોય અને તેના વૈકલ્પિક માળખામાં કેવા હશે તેની ચર્ચાનો સુદર્શનભાઈએ પ્રારંભ કરતા કહ્યું, બિઝનેસ એઝ યુઝવલમાં 25 વર્ષ પછી વર્ચ્યુઅલ વ્યાપાર થવાની સંભાવના છે. ઔદ્યોગિક ક્રાંતિ બાદ ઉદ્યોગોમાં પણ ઉત્પાદનનું પ્રમાણ ઘટવા લાગ્યું. કેમ કે ઔદ્યોગિકરણમાં ઉત્પાદનનની ઊંચાઈનો આંક જ મહત્ત્વનો હોય છે. કેવું અને કેટલું ઉત્પાદન થાય અને બીજા કરતા મારું વધુ હોય તે જ આજના ઉદ્યોગોનું ધ્યેય. આજે Soil ઈકોનોમીમાંથી S બાદ કરી Oil ઈકોનોમી તરફ દોટ મૂકી તો પર્યાવરણ પ્રદૂષિત થયું તે અનુભવ્યું. મૂડીવાદી અર્થવ્યવસ્થા જેમ જેમ આગળ વધતી જાય છે, તેમ તેમ કૃષિ સંલગ્ન અને ઉદ્યોગોમાં મેન્યુફેક્ચરિંગ ઘટતું જાય છે અને સેવા ક્ષેત્ર વધતું જાય છે. ઔદ્યોગિકરણને કારણે આર્થિક વિકાસ થયો અને હજુ પણ ગામડાંની ઉદ્યોગ ક્ષેત્ર પર ઘણી પકડ છે. પરંતુ વિકાસની ભાગીદારીની ક્ષિતિજો વિસ્તરતી નથી. વસતી એક સમસ્યા છે. દુનિયા પર માનવ વસતીના આંકને એક અબજ સુધી પહોંચતાં 40 હજાર વર્ષ થયાં અને આજે કાબૂ બહાર વધતી જાય છે. ભારત સ્વતંત્ર થયું ત્યારે 40 કરોડ પ્રજા હતી, તે 70 વર્ષમાં વધીને 1.25 બિલિયન સુધી પહોંચી છે. હવે જો ઔદ્યોગિકરણ ન થયું હોત તો દુનિયાની સાડાસાત અબજની સંખ્યાને રોટલા ખવડાવવા મુશ્કેલ બનત. કૃષિ સંસ્કૃિતમાં આવડી મોટી સંખ્યાને પોષવાની સંભાવના હતી કે કેમ તે કહી શકાય નહીં.
આજે હવે ભારત જેવા દેશમાં પણ 40% વસતી શહેરોમાં વસે છે અને એ સંખ્યા વધતી રહેવાની. આથી હવે ગ્રામોદ્યોગથી વધીને શહેરી ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત કરવાથી વિકાસ થશે. ઔદ્યોગિકરણથી રોજગારી ઘટે છે, ઉત્પાદનનો જથ્થો વધે છે એ ખરું. અને એથી જ તો સેવા ક્ષેત્રમાં વધુ સંખ્યાને રોજગારી મળે છે. ખુદ ઉદ્યોગોમાં પણ સેવા ક્ષેત્ર મોટું થતું જાય છે. હવે ઉત્પાદનની ટેક્નોલોજી માત્ર high wearની જ નથી રહી, તેમાં soft wear ઉમેરાયો એટલે સેવા ક્ષેત્રનો વ્યાપ વધ્યો. એટલું જ નહીં, જાણે એ જ જાણે સાચી મલિક બની બેઠી. માણસને ખસેડ્યો અને તેને સ્થાને મશીન અને રોબોટને બેસાડ્યો તેને કારણે ઉત્પાદકતા વધી, પ્રિસીશન વધ્યું. આ બધાં મશીનોના સંશોધન, ઉત્પાદન, સંચાલન અને સંયોજન કરવા માટે અલગ સેવા ક્ષેત્ર ઉપજ્યું.
બિઝનેસ એઝ યુઝવલના સિદ્ધાંત પર આધારિત અર્થવ્યવસ્થામાં ગૃહોદ્યોગોનો ફાળો ઓછો થશે. રોજગાર ઓછા લોકોને મળશે પણ તેમાંના લોકો જ સર્વિસ સેક્ટરમાં કામ કરવા જોડાશે. જો કે આમ થતાં ઓછા વળતર આપતા ધંધા વધતા વધશે. આજની આજીવિકા રળવાની રીતમાં સ્વમાન નથી સચવાતું, માત્ર નાણાં મળે છે. ડિઝાઈનર ઉદ્યોગોને બિઝનેસ એઝ યુઝવલના મોડેલમાં વિકાસની ઘણી તકો મળશે, પણ ઉત્પાદન આધારિત ઉદ્યોગોનું એ અર્થતંત્રમાં સ્થાન નહીં રહે એવું લાગે છે. ભારતનો વિકાસ આઉટ સોર્સીંગ પર આધારિત છે, ઉત્પાદક ઉદ્યોગો પર નહીં એ હવે સ્પષ્ટ થતું જાય છે. ગાંડા ઔદ્યોગિકરણનો સામનો કરવા સ્વદેશીનો ખ્યાલ ગાંધી લાવ્યા. સ્થાનિક સંસાધનોથી પેદા થયેલ માલ મજબૂત અર્થકારણ ટકાવી શકે. પણ આપણો દેશ હવે બિઝનેસ એઝ યુઝવલના માર્ગે ફસાઈ ગયો છે, તેમાંથી નીકળશે કે નહીં તે કહેવાય નહીં. શહેરીકરણને રોકવા ‘થોડ઼ેમેં ગુજારા હોતા હૈ’ મંત્ર અપનાવવો જોઈએ. કદ નાનું હોય અને વિકેન્દ્રિત વેપાર અને વહીવટ કરીએ તો લોકને ફાયદો થાય. બાકી સ્વદેશી ધોરણે ઉત્પાદન અને વ્યાપાર ચલાવવો એ ચતુર વાણિયાનું કામ છે, જ્યારે કહેવાતા ‘ગ્લોબલ’ ધોરણે વેપાર કરવાનું નકામા વાણિયાઓનું કામ છે. કપાસથી કાપડ વચ્ચે તંતુ જોડો તેના કરતાં વધુ શાણપણ કશામાં નથી. આપણે આપણા પાડોશીની બનાવટો ખરીદવાનું નક્કી કર્યું હોત તો આ ગાંડપણ ન વળગ્યું હોત, એવા વિશ્વાસભર્યા વિધાન સાથે આયંગારજીનું વક્તવ્ય સમાપ્ત થયું.
સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના અધ્યક્ષ દેવેન્દ્રકુમાર દેસાઈએ સમાપન કરતાં કહ્યું, ‘દર્શક’ વ્યાખ્યાનમાળા રાષ્ટૃીયશાળાના આંગણે થઇ તે અમારું સદ્ભાગ્ય છે. અત્યારની પ્રગતિ ભ્રમિત કરનારી છે. ખરું જુઓ તો બેરોજગારી અને ગરીબાઈ સ્વતંત્રતા બાદ વધ્યાં છે. ગરીબો પાસે પણ મોબાઈલ છે પણ તેમની પ્રાથમિક જરૂરિયાતો નથી સંતોષાઈ અને ગરીબ-તવંગર વચ્ચેની ખાઈ પહોળી થઇ છે. આજે ગૃહોદ્યોગોએ અને ગ્રામોદ્યોગે નવી દિશા પકડી લીધી છે. આમ છતાં ખાદી ઉદ્યોગથી હજુ પણ વધુ સંખ્યાના લોકોને રોજગારી પૂરી પડે છે. આપણે એ સમજવું રહ્યું કે વિદેશી કંપનીઓ ભારતમાં માલ પેદા કરે તે સ્વદેશી માલ ન કહેવાય. છરી સ્વદેશી હોય કે વિદેશી, જાન તો બકરાનો જ જાય. એ સ્વીકારવું રહ્યું કે મશીનો આવ્યાં છે અને રહેશે. ઉત્પાદન અને વેપારમાં વધુને વધુ માનવ શક્તિનો ઉપયોગ થાય એ જોવાનું આપણું કામ છે.
આમ રચનાત્મક કાર્યો સાથે સંકળાયેલા અને ગાંધી વિચારને સાચા અર્થમાં સમજી લોકવિકાસ અર્થે અમલ કરતા રહેલા વક્તાઓના સુંદર વ્યાખ્યાને સહુ શ્રોતાઓને સુંદર વિચાર ભાથું પૂરું પાડ્યું.
વ્યાખ્યાનમાળાનો ત્રીજો મણકો જામનગરમાં યોજાશે તેવી ઘોષણા સાથે આ સભાનું સમાપન થયું.
e.mail : 71abuch@gmail.com