courtesy : "The Divya Bhaskar", Ahmedabad; 02 øctober 2017
courtesy : "The Divya Bhaskar", Ahmedabad; 02 øctober 2017
જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અમદાવાદ આવ્યા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ગાંધીજીની આત્મકથાની સાથે ત્રણ વાંદરાની મૂર્તિ પણ ભેટમાં આપી હતી. આ ત્રણ વાંદરા ગાંધીજી સાથે ગાઢ રીતે જોડાઈ ગયા છે, પરંતુ ગાંધીજીને એ ત્રણ વાંદરાની મૂર્તિ જાપાનના નિચિદાત્સુ ફૂજી નામના બૌદ્ધ સાધુએ ભેટમાં આપી હતી. ફૂજીએ ગાંધીજીને આપેલી ત્રણ વાંદરાની સફેદ આરસપહાણની મૂર્તિ આજે ય અમદાવાદના સાબરમતી આશ્રમમાં સચવાયેલી છે. આબેને એ અસલી મૂર્તિની પ્રતિકૃતિ ભેટમાં અપાઈ હતી. ગાંધી સાહિત્યમાં ફૂજી વિશે ખૂબ જ ઓછી માહિતી મળે છે, પરંતુ જે કંઈ માહિતી મળે છે ખૂબ જ રસપ્રદ છે. જેમ કે, ગાંધીજીના અમુક પત્રો અને તેમણે કરેલી મુલાકાતોની નોંધોમાંથી તેઓ બૌદ્ધ સાધુ ફૂજી, જાપાન અને બૌદ્ધ ધર્મ વિશે શું વિચારતા હતા એ વિશે જાણવા મળે છે.
આ તમામ બાબતો એકબીજા સાથે જોડાયેલી હોવાથી જરા વિગતે વાત કરીએ.
***
'ગાંધીજીનો અક્ષરદેહ'માં નોંધ્યા પ્રમાણે, ગાંધીજીએ ૧૮મી જુલાઈ, ૧૯૪૨ના રોજ જાપાનના લોકોને સંબોધીને અંગ્રેજી ભાષામાં એક પત્ર લખ્યો હતો. પત્ર ખાસ્સો લાંબો છે, કુલ ૧૨૫૮ શબ્દ. એ પત્રમાં 'પ્રત્યેક જાપાનવાસીને' એવું સંબોધન કરીને ગાંધીજી પહેલા જ ફકરામાં લખે છે કે, ''પ્રારંભમાં જ મારે કબૂલ કરી લેવું જોઈએ કે તમારા પ્રત્યે મારે કશી બૂરી લાગણી નથી તો પણ ચીન પરના તમારા આક્રમણ પ્રત્યે મારો ઊંડો અણગમો છે. તમારા ઉન્નત સ્થાન પરથી તમે સામ્રાજ્યવાદી મહત્ત્વાકાંક્ષાના ઊંડા ખાડામાં ઉતરી પડયા છો. તમારી મહત્ત્વાકાંક્ષા તમે સિદ્ધ કરી શકવાના નથી અને તમારે હાથે કદાચ એશિયાના ભાગલા પડી જશે તથા અજાણતામાં તમે સમગ્ર દુનિયાને ભાઈચારા ભરેલા એક સમવાયતંત્ર નીચે એકત્ર થતી અટકાવશો. આવા સમવાયતંત્ર વિના માનવજાતને માટે કશી આશા દેખાતી નથી …''
ફૂજીએ ગાંધીજીને ભેટમાં આપેલી ત્રણ વાંદરાની મૂર્તિ
ગાંધીજીનું જાપાનને કહેવું હતું કે, આખી દુનિયા ભાઈચારો રાખીને એક 'વિશ્વગ્રામ' તરફ આગળ વધી રહી છે, પરંતુ તેમાં તમે ખલેલ પાડી રહ્યા છો …
વાત એમ હતી કે, સાતમી જુલાઈ, ૧૯૩૭ના રોજ જાપાને ચીન પર હુમલો કર્યો હતો. એ ભીષણ યુદ્ધ નવમી સપ્ટેમ્બર, ૧૯૪૫ના રોજ પૂરું થયું હતું. એશિયાના અત્યાર સુધીના સૌથી લાંબા ગણાતા એ યુદ્ધમાં બંને દેશના ૪૦ લાખ સૈનિકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે ચીન અને બર્માના નિર્દોષ નાગરિકોના મોતનો આંકડો બે કરોડ, વીસ લાખે પહોંચ્યો હતો. ચીનની સાથે સોવિયેત યુનિયન, બ્રિટન અને અમેરિકા હતા અને જાપાન સાથે એટલા ટચુકડા દેશો હતા, જે નકશામાં માંડ દેખાય છે! આ સંદર્ભે ગાંધીજીએ ઉપરોક્ત પત્ર લખ્યો હતો.
એ પત્રના બીજા જ ફકરામાં ગાંધીજી બૌદ્ધ સાધુ ફૂજીનો ઉલ્લેખ કરતા લખે છે કે, ''પચાસ વર્ષથીયે પૂર્વે લંડનમાં અઢાર વર્ષની ઉંમરનો એક વિદ્યાર્થી હતો ત્યારે સદ્ગત સર એડવિન આર્નોલ્ડનાં લખાણો વાંચીને તમારી પ્રજાના ઘણાં ઉત્તમ ગુણોને ઓળખીને હું તમારી કદર બૂજતો થયો હતો. રશિયાના સશસ્ત્ર સૈન્યો ઉપર તમે મેળવેલા જવલંત વિજયની વાર્તા જાણીને મને રોમહર્ષ થયો હતો. ૧૯૧૫ની સાલમાં દક્ષિણ આફ્રિકાથી હું હિંદ પાછો ફર્યો ત્યાર પછી અમારે ત્યાં આશ્રમવાસી થઈને રહી ગયેલા જપાની ભિક્ષુઓની સાથે મારો ગાઢ સંપર્ક થયો હતો. તેઓ પૈકી એક તો સેવાગ્રામના આશ્રમના અણમૂલ સહવાસી બન્યા હતા, અને તેમની કર્તવ્યપાલનની ચીવટ, તેમનું મોભાદાર વર્તન, દૈનિક ઉપાસના માટેની તેમની એકધારી ભક્તિ, તેમનું મિલનસારપણું, વિવિધ પરિસ્થિતિમાં જળવાતી તેમની સમતા, અને અંતરની શાંતિની પ્રતીતિ કરાવતું તેમના મુખ પરનું સ્વાભાવિક સ્મિત, એ સર્વ ગુણોથી તેઓ અમને સર્વને પ્રિય થયા હતા. અને હવે જ્યારે ગ્રેટ બ્રિટન સામે તમારી લડાઈની જાહેરાતના કારણે તેમને અમારી વચ્ચેથી ઉઠાવી લેવામાં આવ્યા છે, ત્યારે એ પ્રિય સાથીની અમને ખોટ સાલે છે. તેમની સ્મૃિતમાં તેઓ તેમની દૈનિક પ્રાર્થના અને તેમનું નાનકડું નગારું અમને સોંપી ગયા છે, અને એ જ નગારાના ઘોષથી અમારી સવારની અને સાંજની પ્રાર્થનાઓનો અમે પ્રારંભ કરીએ છીએ.''
ગાંધીજીના આ લખાણમાંથી બૌદ્ધ સાધુ ફૂજીનું વ્યક્તિત્વ કેવું હશે એની કલ્પના કરી શકાય છે. આ ઉપરાંત એ ઐતિહાસિક તથ્ય પણ માલુમ પડે છે કે, બ્રિટન સામે યુદ્ધ જાહેર થયા પછી જાપાને આશ્રમમાંથી ફૂજીને પરાણે બોલાવી લીધા હશે! આ લખાણ ગાંધીજીના યુદ્ધ અંગેના વિચારોની રીતે પણ મહત્ત્વનું છે. જેમ કે, જાપાને ચીન પર આક્રમણ કર્યું એ અંગે ગાંધીજીએ સખત વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ રશિયાએ જાપાન પર આક્રમણ કર્યું અને જાપાનીઓએ રશિયનો સામે વિજય મેળવ્યો એ વાતથી ગાંધીજીને 'રોમહર્ષ' થયો હતો.
***
'ગાંધીજીનો અક્ષરદેહ'ના ૮૨ દળદાર ગ્રંથોમાં (દરેક ગ્રંથના સરેરાશ ૫૦૦થી વધુ પાના) આવા ઘણાં ઐતિહાસિક તથ્યો ધરબાયેલા છે. હવે સવાલ એ છે કે, મહારાષ્ટ્રના વર્ધામાં આવેલા સેવાગ્રામ આશ્રમમાં આવીને વસેલા એ બૌદ્ધ સાધુ ફૂજી ગાંધીજીને ક્યારે મળ્યા હતા? 'ગાંધીજીના અક્ષરદેહ'માં નોંધ્યા પ્રમાણે, ચોથી ઓક્ટોબરે ફૂજી અને ઓકિત્સુ નામના બે બૌદ્ધ સાધુ ગાંધીજીને મહારાષ્ટ્રના સેવાગ્રામ આશ્રમમાં મળવા આવ્યા હતા. આ દરમિયાન ગાંધીજી અને ફૂજી વચ્ચે શું વાતચીત થઈ હતી? ફૂજી ગાંધીજીને મળવા કેમ આવ્યા હતા? તેમના વચ્ચે બૌદ્ધ ધર્મ મુદ્દે કોઈ ચર્ચા થઈ હતી? આવા અનેક સવાલોના જવાબ 'ગાંધીજીના અક્ષરદેહ'માં કરાયેલી એક નોંધમાંથી મળે છે. 'જાપાની બૌદ્ધ પુરોહિતોને સલાહ' એવા શીર્ષક હેઠળ કરાયેલી એ નોંધમાં ગાંધીજી કહે છે કે, ''તમને મળી શક્યો અને રસદાયક વાતચીત થઈ શકી એથી મને આનંદ થયો. તમારો લાંબો પત્ર હું કાળજીપૂર્વક વાંચી ગયો છું.
નિચિદાત્સુ ફૂજી (ક્લોક વાઈઝ), તેઓ જ્યાં રોકાયા હતા એ મુંબઈના વરલીમાં આવેલો બૌદ્ધ મઠ અને 18મી જાન્યુઆરી, 1979ના રોજ વડાપ્રધાન મોરારજી દેસાઈના હસ્તે નહેરુ અન્ડરસ્ટેન્ડિંગ એવોર્ડ સ્વીકારતી વખતે ફૂજી…
બૌદ્ધ ધર્મ હિંદુસ્તાનમાં પુનર્જીવિત થાય એ જોવાની તમારી ઈચ્છા હું પૂરેપૂરી સમજી શકું છું. ફક્ત એટલું તમારા ધ્યાન પર લાવવા માગું છું કે બૌદ્ધ ધર્મનો ગમે તે અર્થ થતો હોય, ગૌતમ બુદ્ધના ઉપદેશનો સાર હિંદુ ધર્મમાં સમાવી લેવામાં આવ્યો છે, અને મારે માટે, તુલનાત્મક દૃષ્ટિએ જોતા, એ મહાન સુધારકના ઉપદેશની વિશુદ્ધતા હિંદુસ્તાનમાં સૌથી વધુ જળવાયેલી છે. જે દેશોએ એને અપનાવી લીધો છે તેમાં, મને લાગે છે કે, એ વિકૃત થઈ ગયો છે : દા. ત. બુદ્ધનો ઉપદેશ મુખ્યત્વે કરીને માનવ માનવ વચ્ચે બંધુભાવ હોવો જોઈએ એવો ન હતો પણ જીવમાત્ર વચ્ચે બંધુભાવ હોવો જોઈએ એવો હતો. તેમ એમાં નવાઈ પામવા જેવું કશું નથી. મારે મતે, બુદ્ધે કોઈ નવો ધર્મ સ્થાપ્યો નહતો. શ્રેષ્ઠ હિંદુ તરીકે તેમણે હિંદુ ધર્મને નવું સ્વરૂપ આપ્યું હતું. આથી હું તમને એમ સૂચવું છું કે, તમારે સંસ્કૃત અને પાલિના અભ્યાસ દ્વારા એ ઉપદેશ વિશેનું જ્ઞાાન વધારવું. જે પરિસ્થિતિમાં એ ઉપદેશ બંધબેસતો થતો હતો અને જેમાંથી એ ઉદ્ભવ્યો હતો એ જાણવા માટે સંસ્કૃતનું જ્ઞાાન આવશ્યક છે, અને દેખીતી રીતે જ પાલિનો અભ્યાસ આવશ્યક છે કારણ મૂળ ધર્મગ્રંથો એ ભાષામાં છે. અને તમે હિંદી પ્રજા જોડે તમારું ભાગ્ય જોડવાનો નિર્ણય કર્યો છે એટલે હું હિંદી કે હિંદુસ્તાની શીખવાની જરૂર પ્રત્યે તમારું ધ્યાન દોરું છું …''
***
આમ, ફૂજી ભારતમાં બૌદ્ધ ધર્મ પુનર્જીવિત કરવા માંગતા હતા. એ પછી તેઓ મહારાષ્ટ્રના વર્ધા સ્થિત સેવાગ્રામ આશ્રમમાં અંતેવાસી બનીને રહ્યા. તેમના માનમાં ગાંધીજીએ આશ્રમમાં બીજા ધર્મોની પ્રાર્થના સાથે બૌદ્ધ ધર્મના મંત્રનો પણ સમાવેશ કર્યો હતો. ભારત આવ્યા એ પહેલાં જ ૧૯૧૭માં ફૂજીએ 'નિપ્પોઝન મ્યોહોજી દાઇસંગા' એટલે કે જાપાન બુદ્ધ સંઘની સ્થાપના કરી હતી. આ સંઘના ૧,૫૦૦ બૌદ્ધ ભિખ્ખુઓએ ફૂજીની આગેવાનીમાં જાપાન સહિત વિશ્વભરમાં વિશ્વ શાંતિ સ્થાપવાનું આંદોલન શરૂ કર્યું હતું. તેમણે વિશ્વ શાંતિ માટે દુનિયાભરમાં પીસ પેગોડા (બૌદ્ધ મઠ) બાંધવાનો નવતર કીમિયો અજમાવ્યો હતો. ફૂજીએ આ પ્રકારના મઠ બંધાવાની શરૂઆત પરમાણુ હુમલાનો ભોગ બનેલા હીરોશીમા અને નાગાસાકી શહેરથી કરી હતી. ફૂજીના સંઘે ભારત સહિત અમેરિકા, બ્રિટન જેવા દેશોમાં પણ આવા મઠ બંધાવ્યા હતા.
આ પ્રત્યેક મઠનું સંચાલન ફૂજી એક નિવાસી ભિખ્ખુને સોંપી દેતા. એ દિવસોમાં કોઈ પણ જાપાની ભારત કે પશ્ચિમી દેશોના પ્રવાસે જાય ત્યારે બૌદ્ધ મઠમાં રોકાતા. બીજા દેશોથી જુદી જ સંસ્કૃિતમાંથી આવતા જાપાનીઓને એ બૌદ્ધ મઠોમાં થોડી રાહત મળતી. વળી, ફૂજીનો સંઘ વધુને વધુ જાપાની યુવાનોને આ પ્રકારના પ્રવાસ માટે પ્રોત્સાહિત કરતો. એવી જ રીતે, કૃષિ અને ઔદ્યોગિક ટેક્નોલોજીના અભ્યાસ માટે ભારતીયો જાપાન જાય ત્યારે ફૂજીનો સંઘ તેમને મઠમાં રોકાવાની વ્યવસ્થા કરી આપતો. પશ્ચિમી દેશોમાં 'શાંતિ અને અહિંસાના ધર્મ' તરીકે બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસારમાં પણ આ મઠોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બૌદ્ધ ધર્મ અને અહિંસાનો સંદેશ આપવા ફૂજીએ ૧૯૫૮માં 'જાપાન ભારત સર્વોદય મિત્ર સંઘ'ની પણ સ્થાપના કરી હતી. આ પ્રકારની પ્રવૃત્તિથી જાપાનના ભારત, અમેરિકા અને બ્રિટન સાથેના સાંસ્કૃિતક સંબંધ ઘણાં મજબૂત બન્યા હતા.
બિહારના નાલંદા જિલ્લાના રાજગીરમાં ફૂજીએ બંધાવેલો વર્લ્ડ પીસ પેગોડા
એક સમયે જાપાન અત્યંત આક્રમક યુદ્ધખોર દેશ હતો અને શાંતિની વાતો કરનારાને જીવનું જોખમ હતું – એવા સમયે ફૂજી વિશ્વ શાંતિનો સંદેશ લઈને જાપાનનો ખૂણેખૂણો ફરી વળ્યા હતા. એકવાર ફૂજીએ સંસ્મરણો વાગોળતા હતું કે, ''એ સમયે જાપાનમાં યુદ્ધનો વિરોધ કરનારાને સીધા જેલ ભેગા કરાતા કારણે કે, તેઓ લઘુમતીમાં હતા.'' જો કે, જાપાનને આ પ્રકારના શાંતિદૂતોની કોઈ પરવા ન હતી. ચીન સાથે લોહિયાળ જંગ ચાલી રહ્યો હોવા છતાં સાતમી ડિસેમ્બર, ૧૯૪૧ના રોજ જાપાને હવાઈ ટાપુ પર આવેલા અમેરિકાના નૌકા દળ બેઝ પર્લ હાર્બર પર હુમલો કર્યો. પરિણામે અમેરિકાએ છઠ્ઠી અને નવમી અૉગસ્ટ, ૧૯૪૫ના રોજ હીરોશીમા-નાગાસાકી પર પરમાણુ બોંબ ઝીંક્યા, જેમાં દોઢ લાખ નાગરિકો તો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા અને આગામી અનેક પેઢીઓ ખોડખાંપણ સાથે જન્મી. એ પછી જાપાનના યુદ્ધખોર માનસમાં કેવા બદલાવ આવ્યા એ જાણીતી વાત છે.
***
નિચિદાત્સુ ફૂજી ૧૯૬૫માં ભારત પરત ફર્યા. બાદમાં તેમણે બિહારના નાલંદા જિલ્લાના રાજગીરમાં વર્લ્ડ પીસ પેગોડા બંધાવ્યો, જે આજે ય બૌદ્ધ શ્રદ્ધાળુઓનું પવિત્ર સ્થાનક છે. છઠ્ઠી ઓગસ્ટ, ૧૮૮૫ના રોજ ખેડૂત પરિવારમાં જન્મેલા ફૂજીનું નવમી જાન્યુઆરી, ૧૯૮૫ના રોજ અવસાન થયું. ફક્ત ૧૯ વર્ષની વયે બૌદ્ધ ભિખ્ખુ તરીકે દીક્ષા લેનારા ફૂજી ૧૦૦ વર્ષ જીવ્યા અને જિંદગીભર શાંતિ-અહિંસાનો ઉપદેશ આપતા રહ્યા.
આજે તો હીરોશીમા અને નાગાસાકીમાં મોતનું તાંડવ જોઈ-અનુભવી ચૂકેલા જાપાનીઓ ગાંધીજીને અત્યંત આદરની દૃષ્ટિએ જુએ છે એ સમજી શકાય એમ છે, પરંતુ ગાંધી કે બુદ્ધને સમજવા હજુ આવી કેટલી વિભિષિકાની જરૂર પડશે?
—–
સૌજન્યઃ "ગુજરાત સમાચાર", 'શતદલ' પૂર્તિ, "ફ્રેન્કલી સ્પીકિંગ"
http://vishnubharatiya.blogspot.co.uk
આલીપોરથી OBE : અહમદ લુણત ‘ગુલ’ : ગુજરાતી રાઇટર્સ ફોરમ, 27 James Street, BATLEY, West Yorkshire WF17 7PS : પૃષ્ઠ – 112+22 = 134 : પ્રથમ આવૃત્તિ – અૅપ્રિલ 2017 : મૂલય – રૂ. 200 / £ 5
જાણીતા અંગ્રેજ કવિ અબ્રાહમ કાઉલીએ, 1668માં પ્રગટ થયેલા નિબંધોમાં, Of Myself નામક નિબંધની શરૂઆતે લખ્યું છે : It is a hard and nice subject for a man to write of himself; it grates his own heart to say anything of disparagement and the reader's ears to hear anything of praise for him. “મારી જીવનકથા’ના પહેલા પ્રકરણનો આરંભ જવાહરલાલ નેહરુએ આ જ વાક્યથી કર્યો છે. મૂળ અંગ્રેજીમાં લખાઈ આ જીવનકથાનો સંઘેડાઉતાર અનુવાદ મહાદેવભાઈ દેસાઈ કનેથી આપણી જમાતને પ્રાપ્ત થાય છે. મહાદેવભાઈએ આ નમૂનેદાર અનુવાદમાં અબ્રાહમ કાઉલીને આ રીતે ઉતાર્યા છે : “પોતે પોતાના વિષે લખવામાં મજા તો છે, પણ મુશ્કેલી પણ છે; કારણ, પોતાને વિષે કશું ખરાબ લખતાં પોતાને ખટકે અને સારુ કહેતાં સાંભળનાર કે વાંચનારને ખટકે.”
આની પછીતે, વિલાયતના વેસ્ટ યૉર્કશર વિસ્તારમાં પાંચ-સાડાપાંચ દાયકાથી વસવાટ કરતા અહમદ લુણત ‘ગુલ’ની આપવીતી ‘આલીપોરથી OBE’ને જોવા-વાંચવા-તપાસવાનું રાખ્યું. ‘પ્રયોજન’માં લેખક ખુદ નોંધે છે : ‘… જે કોમ અને સમાજનો સભ્ય છું તેના સર્વાંગ વિકાસ માટે કંઈક કરી છૂટવાની મારી ખેવના. મેં બાટલીમાં પગ મૂક્યો ત્યારે માંડ દોઢસો જેટલા ગુજરાતી મુસ્લિમો વસે. એક નવી સમાજ રચનાના આરંભના અને સંઘર્ષના એ દિવસો, સ્થાયી થવાની મથામણમાં પડેલો સમાજનો પ્રત્યેક સભ્ય. પ્રતિકૂળ વાતાવરણ, નાણાંભીડ અને કાર્યકર્તાઓનો અભાવ, અને સમાજના માથે ઊભેલું પાયાનું કામ, ખરેખર હામ ભીડવાનો સમય. કોમ પ્રત્યેની મારી તીવ્ર લાગણીએ જ મને કોમી કાર્યોમાં જોડાઈ જવા પ્રેરેલો અને તે આજ પર્યંત ચાલુ છે.’
ગુજરાતી ડાયસ્પોરાની જમાતે આ પહેલાં પ્રભુદાસ ગાંધીનું ‘જીવનનું પરોઢ’ જોયું વાંચ્યું છે. મોહનદાસ ગાંધીના દક્ષિણ આફ્રિકાના સમયગાળાની ગાથા અને વિગતો તેમાંથી મળે છે. બીજી પાસ, પૂર્વ આફ્રિકાના યુગાન્ડા દેશમાં પગ ખોડીને ઊભા થયેલા શ્રેષ્ઠી નાનજી કાળિદાસ મહેતાની આત્મકથામાં વસવાટી જનજીવનનો પાયો કઈ રીતે મજબુતાઈ હાંસલ કરે છે તેની વિષદ વાતો આપણને નાનજીશેઠે આપી છે. તદુપરાંત, પાકિસ્તાની જમાતના અવ્વલ પત્રકાર અને ગુજરાતી સાહિત્યકાર દીપક બારડોલીકરે આપણને બે ભાતીગળ અને ઊંચેરી સ્મરણકથા આપી છે − ‘સાંકળોનો સિતમ’ તેમ જ ‘ઉછાળા ખાય છે પાણી’. વળી, હમણાં હમણાં અમેિરકામાં વસવાટી બનેલા અને ત્યાંના મુખ્ય પ્રવાહમાં ભારે મોટો ફાળો આપનાર નટવર ગાંધીની મજબૂત આત્મકથા ય મળી છે – ‘એક અજાણ્યા ગાંધીની આત્મકથા’. આ અને આવી સઘળી ચોપડીઓની પછીતે ય આ આપવીતી જોવાતપાસવાનું અભ્યાસુ સંશોધકોને ગમવાનું.
અહમદ લુણતનો, સન 1938માં, નવસારી જિલ્લાના ચિખલી તાલુકામાં આવ્યા આલીપોર ગામે, સુરતી સુન્ની વોરા જમાતનાં દંપતી યુસૂફભાઈ અને અમીનાબહેનને ત્યાં જન્મ થયેલો. દંપતીને ચાર સંતાનો − ત્રણ દીકરાઓ અને એક દીકરી. અહમદભાઈ સૌથી મોટા. એમના માતાપિતાની આર્થિક સ્થિતિ સાધારણ. દાદા દક્ષિણ આફ્રિકે કમાવાધમાવા ગયેલા. િપતાએ પણ ત્યાં આંટાફેરા કરેલા, પણ મહદ્દ અંશે આલીપોરમાં હાટડી ચલાવે અને થોડીક જમીન પર ખેતી ગુજારો કરે. પિતા દક્ષિણ આફ્રિકે ગયા ત્યારે એમને કામની સામે નજીવી આવક મળતી અને આ બાજુ ચાર ભાંડું અને માતાને ગુજરાન માટે મુશીબતના દિવસો હતા. મા તનતોડ મહેનત કરતાં. આવી હાલત વચ્ચે અહમદભાઈનું પ્રાથમિક શિક્ષણ આલીપોરમાં થયું અને માધ્યમિક શિક્ષણ ચિખલીમાં. કોઈક પ્રકારની નાનીમોટી રોજગારી કરતાં કરતાં અને ક્યાંક કેટલીક આર્થિક સહાયથી એ આગળ ભણે છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાંથી બી.કોમ્.ની ઉપાધિ ય મેળવે છે. અને પછી નસીબ અજમાવવા સન 1963માં વિલાયતની વાટ પકડે છે.
ઉમાશંકર જોશીની ‘ઓરતા’ નામે એક કવિતા છે. કવિ કહે છે :
ક્ષણો ઝડપવી, અગણ્ય ક્ષણમાંથી એકાદ-બે,
અને સમયના અનંત ટહૂકાર એમાં ફૂંકી
સ્ફુરાવવી જગે;
વારુ, અહીં અહમદ લુણતની આપવીતીમાંથી આવી બેપાંચ ક્ષણ ઝડપીએ :
એ દિવસોમાં પરદેશની વાટે પડનારાને રિઝર્વ બૅન્ક અૉવ્ ઇન્ડિયા ફક્ત ત્રણ પાઉન્ડ સાથે લઈ જવાની પરવાનગી આપતી. આ અજાણ્યા મુલકમાં લંડનના વિમાની મથકથી ઉત્તર ઇંગ્લૅન્ડમાં આવ્યા ડ્યૂઝબરી ગામે, સાસરિયામાં પહોંચવા કેવી જહેમત કરવી પડેલી તેના દાસ્તાઁ હચમચાવી મૂકે છે. લેખક અહીં ભારતમાંના રેલપ્રવાસના અનુભવો સાથે વિલાયત માંહેના આ પ્રથમપહેલા રેલપ્રવાસને સરખાવે છે. અને સરખામણી કરતાં કરતાં લેખકને પહેલો ઘા સાંસ્કૃિતક આઘાતનો પડે છે. અહમદભાઈ લખે છે, ‘ … અહીં તો વાતાવરણ તદ્દન વિપરીત. કોઈ માથું બહાર કાઢે ના. બધા જ ચૂપચાપ. નિર્જીવ પૂતળાં. આખા ડબ્બામાં નિરવ શાંતિ. આટલી શાંતિથી હું ટેવાયેલો નહીં. વળી મારી પાસે કોઈ વાંચનસામગ્રી પણ ન હતી. હું અકળામણ અનુભવી રહ્યો હતો. ક્યાં તે ફેરિયાઓના અજબગજબ અવાજોથી ગૂંજતો ડબ્બો અને ચેતનવંતુ વાતાવરણ અને ક્યાં આ ભરેલો પણ નિષ્ચેતન ડબ્બો. …’
વિલાયતમાં વસવાટની કેડી પાકી કરવાના ચોકઠાને એક પછી એક મજબૂત કરવામાં લેખક મંડી પડે છે. લેબર એક્સચેન્જમાં રજિસ્ટર થઈ, નેશનલ ઇન્સયુરન્સ નંબર કાયમી ધોરણે અંકે કરે છે અને પછી નોકરીની તલાશમાં લાગી પડે છે. માન્ચેસ્ટર પાસે અૉલ્ધામ નામે શહેર. તેની બગલમાં શૉ [Shaw] નામે એક ગામ. ત્યાં ‘લીલી’ નામક સૂતરાઉ કાપડની મિલમાં રાતપાળીનું કામ મેળવે છે. હરીશભાઈ – ઋિક્મણીબહેન આર્યને ત્યાં અૉલ્ધામમાં ઓરડી ભાડે રાખી રહેવાનું ગોઠવે છે. લેખકે આ દિવસોની વિગતે નોંધ કરી છે. વસવાટીઓને દેશપરદેશમાં થાળે પડવા માટે જે પડકારો ઝેલવાના થાય છે તેની દાસ્તાઁ અહીં પણ નોંધાઈ છે.
નોકરીની અદલાબદલી. વચ્ચે ભારખટારો ખરીદી કન્ટૃાટી માલસામાનની હેરાફેરી કરી જોઈ. કારી ફાવી નહીં અને પાછા નોકરીએ વળગે છે. અને જોડાજોડ કામદાર મંડળમાં સક્રિય બને છે. આ સક્રિયતાને બળે કામદાર મંડળની આગેવાની કરે છે. હડતાળ પણ પડે છે અને દોરવણી પણ આપે છે. કામદારોને રાહત મળે તેવી બાબતો હાંસલ પણ કરી બતાવે છે. અને છેવટે પગભર થવાની મથામણમાં ડૃાઇવિંગ ઇન્સ્ટૃક્ટરનો ધંધો ય કરે છે ને છેવટે તેમાંથી વયનિવૃત્તિ મેળવે છે.
આની સાથે સાથે, અહમદભાઈ જાહેરજીવનમાં પણ પ્રવેશ કરે છે. કામદાર મંડળની આગેવાનીનો અનુભવ તો એમણે ગરથે બાંધ્યો જ છે. પણ હવે વેસ્ટ યૉર્કશરના બાટલી ચોપાસની મુસ્લિમ બિરાદરી સારુ ઝંપલાવે છે. એ લખે છે : 1963મા બાટલી – ડ્યુઝબરીમાં એશિયનોની કુલ વસ્તી કદાચ અઢીસો ત્રણસોથી વધુ નહીં હોય. તેમાં પોણા ભાગના ગુજરાતી મુસ્લિમો અને બાકીના પાકિસ્તાનીઓ. પૂર્વ સુરત જિલ્લાના મૂળ વતનીઓ. પાછળથી સુરત જિલ્લાનું વિભાજન થયેલું અને સુરત, નવસારી અને વલસાડ ત્રણ નોખા જિલ્લા અસ્તિત્વમાં આવેલા. એ ત્રણે જિલ્લાના લોકોની અહીં સુરતી તરીકે ઓળખ અકબંધ રહી. બાટલીમાં માત્ર સુરતીઓ વસે, જ્યારે ડ્યુઝબરીમા સુરતી-ભરુચીઓની મિક્સ વસ્તી. બાટલીથી ડ્યુઝબરીનું અંતર દોઢ માઇલ જેટલું, છતાં બાટલીમાં એક પણ ભરુચીનું ઘર નહીં. મારે મન આ એક વણઉકેલ્યો કોયડો રહેલો.’
દક્ષિણ આફ્રિકાની આઝાદીના એક ખમતીધર લડવૈયા અહમદ કથરાડાએ 2004માં પ્રકાશિત કરેલા Memoirs નામક ગ્રંથમાં નોંધ્યું છે : ‘From the moment I landed in Jeddah, I was deeply moved by the multitudes from around the world, speaking different languages, wearing different garments, displaying different mannerisms, but united in their singular worship of Allah. The spirit of non-racialism and multiculturalism in Islam was all-pervasive.’
આ જાતભાતની સાંસ્કૃિતક અને ભૌગોલિક નોખાપણાંની સીમિત ઝલક અહમદ લુણતને પણ આ વિસ્તારમાં જોવા અનુભવા મળે છે.
1957ના અરસામાં મુસ્લિમ સોસાયટીની સ્થાપના થયેલી. લેખકના મિત્ર યુસૂફ આદમ મમણિયાત આ સોસાયટીના પ્રમુખ. એ પણ સોસાયટીનાં કામોમાં રસ લેતા થયા. સક્રિય બનતા ગયા અને છેવટે આગેવાની પણ સંભાળતા થયા. સંસ્થા માટે અસ્કાયમતની ખરીદી, તેમાં સમાજની જરૂરિયાત અનુસાર ધર્મ, શિક્ષણ, સામાજિક અવસરોને કેન્દ્રસ્થ રાખી જરૂરી સુધારાવધારાનાં કામો અને તેને પાર પાડવા માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાંના ધણીધોરીઓ જોડે બેઠકઊઠક, મજૂર પક્ષમાંની સક્રિયતા અને વર્ણિય સમતા પંચના સ્થાનિક સંચાલનમાં પૂરેવચ રહેતા અહમદભાઈ થઈ ગયા. નિષ્ઠા, દૂરંદેશીપણું, કમર્ઠતાને કારણે મુખ્ય પ્રવાહમાંના આગેવાનોમાં ય સતત બેસતાઊઠતા રહ્યા. આવી ધનિષ્ટતાને કારણે મહારાણી ઇલિઝાબેથ બીજાંએ એમને 1999માં ‘અૉર્ડર અૉવ્ બ્રિટિશ અૅમ્પાયર’[O.B.E.]ના બિરુદની નવાજેશ કરે છે.
સમાજના સશક્તિકરણ માટેની સંસ્થાઓનું નિર્માણ અને સંચાલન ઉપરાંત અહમદ ‘ગુલ’ સાહિત્યિક યાત્રા પણ માંડે છે. વરસોથી ‘ગુજરાતી રાઇટર્સ ફોરમ’નું સક્રિયપણે સંચાલન કરે છે. એમાં વળી, અદમ ટંકારવીના વિલાયત આગમનને કારણે એમનામાં બળ પૂરાય છે. અદમભાઈનું માર્ગદર્શન એમની લેખનપ્રક્રિયાની ખિલવણીમાં પ્રધાન ફાળો ય આપતું રહ્યું. સન 1982માં ‘ઉપવન’ નામે સહિયારો સંગ્રહ બહાર પડે છે, ત્યાંથી માંડી આજ સુધી, અહમદ ‘ગુલે’ એક વાર્તાસંગ્રહ, બે લેખ/નિબંધ સંગ્રહો, બે સ્મરણો, એક આપવીતી તેમ જ નવ ગઝલ ને કાવ્યોનાં સંગ્રહો સમેત પંદર પુસ્તકો આપ્યાં છે. વળી એમની કવિતાઓનાં બે અંગ્રેજી ભાષાન્તર પુસ્તકો પણ થયાં છે.
આ ચોપડીમાંની ભાષા અંગે ભાષાવિદ્દોને રસ પડે તેવું ઘણું છે. પાંચ દાયકા પહેલાં તત્કાલીન સુરત જિલ્લાના ચિખલી વિસ્તારમાં જે ભાષા બોલાતી હશે તેની છાંટ પણ અહીં જોવા મળે છે. સાદી, સરળ ભાષાનો ઉપયોગ છે. વળી, ટૂંકા ટૂંકા વાક્યો છે. જ્યાં ગુજરાતીનો ઝાઝેરો ચાલ નથી તેવા તેવા વાચકો માટે આ રુચિકર હોવાનું. આપવીતીમાંથી પસાર થતાં સ્વાનુભવને આધારે વણાયેલાં પ્રસંગો અને ઘટનાઓની નોંધ જોવા પામીએ છીએ. ડાયસ્પોરિક જનજીવનની ગાથા અહીં નોંધાઈ છે. તેથી આ પુસ્તકનું દસ્તાવેજી મૂલ્ય સવિશેષ છે; પરંતુ આત્મકથામૂલ્ય બહુ જ નજીવું છે.
હૅરો, 31 અૉગસ્ટ 2017
e.mail : vipoolaklayni.opinion@btinternet.com
[પ્રગટ : "પ્રત્યક્ષ", નવેમ્બર 2017; પૃ. 21-24]