ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે ચૂંટાયેલા ચન્દ્રકાન્ત ટોપીવાળાના વિવેચનના વિભાજિત પટ પરના ઘણાં પુસ્તકો અભ્યાસીને પણ અઘરાં કે નિરસ જણાય છે. પણ ‘મારો આતમરામ’ (2009) નામનો તેમના ‘અંગત લેખનોનો સંચય’ પ્રસન્ન કરી દેનારો છે. વળી આ વિદ્વાન અધ્યાપક-સમીક્ષક-કવિ એ જીવનનો આનંદ માણનારા એક બહુરુચિસંપન્ન વ્યક્તિ કેવી રીતે છે તે પણ આ પુસ્તક બતાવે છે. ‘પારકૃતિત્વ’, ‘વાનરવૈયાકરણ’,‘ગણવર્તી’,‘ગલતા’,‘અનુગ્ર પરંપરા’, ‘યુરિ લોત્મનનો સંકેતમંડળનો ખ્યાલ’ જેવા નાનાવિધ દુર્બોધ શબ્દપ્રયોગો તેમની લેખિની ઠેર ઠેર સહજ રીતે પ્રક્ષેપે છે. એટલે તેમની કલમ જ્યારે પ્રાઇમસ, કોગળા, કંટોલા, હથોડી, માખી, કરોળિયા, લાલચુડી, ઇડલી, થેલી, કરચલી જેવી વૈખરીમાં વિહાર કરે છે ત્યારે વાચકને મરમાળા રસિક ‘ચં.ટો.’ દેખાય છે. સરેરાશ ત્રણ પાનાં ધરાવતાં સિત્તેર લખાણોનાં પાર્શ્વ પ્રકાશને બહાર પાડેલા પુસ્તકના ‘અંતરંગ’માં લેખક કહે છે : ‘મારા ગદ્યની આ બીજી બાજુ છે. સૈદ્ધાન્તિક વિવેચન અને પ્રત્યક્ષવિવેચનમાં શિસ્તબદ્ધ, ઠાવકું અને ચુસ્ત રહેલું ગદ્ય અહીં હળવા વિનોદવ્યંગ અને રમતિયાળ વળાંકોમાં ઊતરી પડ્યું છે.’ આ ગદ્યાંશ જુઓ : ‘આમ તો મારો પ્રભાતનો નિત્યક્રમ શાકથી જ શરૂ થાય છે. એ જ મારું પ્રભાતિયું કામ. શાકને જોવું, સ્પર્શવું, ચૂંટવું, સમારવું, કાપવું – બધાના ભાગ્યમાં નથી. મોગરીની એક એક સેરને તપાસી કૂણી કૂણી જુદી પાડી એને ઝીણી મોળવી … વિખરાતી રજ સાથે ફ્લાવરના ફોડવા તૈયાર કરવા .. ટીંડોળાને ઊભા કે આડા ગોળ સમારવાની મીઠી મૂંઝવણમાં પડવું …’ આહારવિદ્યા, રાંધણકલા અને સ્વાદેન્દ્રીય પરનાં રસદાર નિબંધો છે. ઘ્રાણેન્દ્રિયની તકલીફને લઈને તે ‘નાસિકાકાંડ’ લખે છે : ‘છેવટે નાકલીટી તાણી ડૉક્ટર પાસે પહોંચ્યાં. નસકોરામાં ચીપિયા નખાવ્યા.’ સોમરસેટ મૉમને યાદ કરીને લેખક ‘નાણું છઠ્ઠી ઇન્દ્રિય’ વિશે લખે છે. નાનામોટા પ્રસંગો-અનુભવોથી દુરારાધ્ય વિવેચકના વ્યક્તિત્વના રંગો અને માન્યતાઓ ઊઘડતાં જાય છે. ‘પોતાને વિશ્વાસનો અનુભવ થતો રહે તે માટે ટાઈ’ પહેરે છે. ઊંચા સ્ટૂલ , ચકડોળ અને કૂતરાંથી ડરે છે. પણ લખે છે : ‘મને મૃત્યુનો ભય નથી રહ્યો અને ઈશ્વર છેવટે તો નથી જ (મારે માટે) એટલે મને ઈશ્વરનો ભય નથી રહ્યો.’ વળી તે એમ પણ કહે છે : ‘દરેક જીવ અનન્ય છે. દરેક જીવમાં મારે જીવવું છે. મને મોક્ષ નથી જોઈતો.’ અન્યત્ર લખે છે : ‘તમે હાક મારશો એટલે બધું કામ પડતું મેલીને હું ફિલ્મ જોવા તમારી સાથે નીકળીશ’, અથવા ‘મન અનાયાસ માછલીની જેમ ટીવી તરંગોમાં બેએક કલાક ખુશહાલ તર્યા કરે છે.’ લખાવેલી પ્રસ્તાવના તેમને ‘બેહૂદી ચીજ’ લાગે છે. પોતાની આવી વાતો ઉપરાંત લેખક બાળપણનાં સંભારણાં, લયભંડોળ, વાચનનો ઢોળ, મુંબઈનું શિક્ષણ અને મહાનગરમાંથી દેશવટો, આચાર્ય તરીકેનું કામ વગેરે વિશે પણ લખે છે. દીકરી-દૌહિત્રીઓનાં સ્નેહચિત્રો છે. નાના ભાઈ ચૈતન્ય, કલાકાર નિમેષ દેસાઈ, વિવેચક કૃષ્ણરાયન, ‘ખોળી લાવેલા’ હિબ્રૂ કવિ યહૂદા અમિચાઈ, મિત્ર જયંત ગાડીત અને ‘રૂપેરી અવાજ’ના સ્વામી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટને લેખકે અલગ અલગ નિબંધોમાં સરસ રીતે યાદ કર્યા છે. ‘રીંછસત્ર’ અને મરાઠી સંતકવિ વિશેનો ‘ચોખોબા જડ્યો’ બહુ જ વાચનીય છે. સાતેક લેખો ખુદનાં સર્જન-વિવેચનની કેફિયત પ્રકારના છે. શહેરના બગીચા, માખી, ઊંઘ, ખંડેર, ટ્રેન, પક્ષી દર્શન ‘ટ્રાયમ્ફ ઑફ ધ વિલ’ ફિલ્મ જેવા વિષયો પર ઉત્તમ લલિત નિબંધો મળે છે. જો કે એકંદરે પહેલા ચોંત્રીસેક નિબંધો ઓછા ‘સાહિત્યિક’ વધુ દુન્યવી, અને એટલે વધુ વાચનીય જણાય છે. અલબત્ત વિચાર અને અભિવ્યક્તિમાં ક્યાં ય કનિષ્ઠતા (મિડિયોક્રિટી) નથી, સુબોધ ગુણવત્તા છે.
પુસ્તકોમાં રાચનારા આતમરામનું બીજું ઓછું જાણીતું અને અપ્રાપ્ય પુસ્તક એટલે ‘રચનાવલી’. બુક અબાઉટ બુક્સ પ્રકારના આ પુસ્તકમાં ટોપીવાળાએ જુદી જુદી ભાષાઓના સાહિત્યના બસો અઢાર પુસ્તકોમાંથી દરેકનો સરેરાશ આઠસો શબ્દોમાં પ્રાથમિક પરિચય આપ્યો છે. તેમાં ત્રીજા ભાગની ગુજરાતી સહિત્યકૃતિઓમાં અઢાર મધ્યકાલીન અને પછીની ‘અર્વાચીન આધુનિક’ સમયની છે. સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી અને ઉર્દૂ સહિત ચૌદ ભારતીય ભાષાઓનાં પુસ્તકો એમાં છે. વિશ્વસાહિત્યની વીસ શાખાઓનાં પુસ્તકો વિશે પણ અહીં છે. ‘અઘરું બહુ લખ્યું હવે સહેલું લખો’ એ મતલબની રસિકોની વિનંતીથી આ એક ઠીક લોકભોગ્ય ઉપક્રમ થયો છે.
‘રચનાવલી’(પાર્શ્વ, 2000)માં સામાજિક-રાજકીય નિસબત ધરાવતી કેટલીક સાહિત્યકૃતિઓ છે. તેમાં દલપતરામની ‘હુન્નરખાનની ચડાઈ’, મેઘાણીની ‘યુગવંદના’ અને બ.ક. ઠાકોરની ‘હિટલર’ રચના છે. સંસ્કાર (યુ.આર. અનંતમૂર્તિ), રણાંગણ (વિશ્રામ બેડેકર), ઈંધણ (હમીદ દલવાઈ) ઉઠાવગીર (લક્ષ્મણ માને),ધ કલર પર્પલ (ઍલિસ વૉકર), સર્વાયવલ ઇન આઉત્સવિત્સ (પ્રિમો લેવી), ધ ટ્રાયલ (ફ્રાન્ઝ કાફ્કા), કૅન્ટો જનરલ (પાબ્લો નેરુદા) જેવી કૃતિઓ પણ છે. તે બધામાં, એક યા બીજી રીતે, સ્વાતંત્ર્ય-સમતા-બંધુતાનાં મૂલ્યોના પુરસ્કારની અને એકાધિકારવાદના વિરોધની અભિવ્યક્તિ છે. તો વળી ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા માટેની લડત વળી બીજાં કયાં મૂલ્યો માટે હોય ?
એંશીની ઉંમરે આ લડતમાં ઝૂકાવનારા ચન્દ્રકાન્ત ટોપીવાળાને અભિનંદન અને શુભેચ્છા !
20 સપ્ટેમ્બર 2015
+++++
સૌજન્ય : ‘કદર અને કિતાબ’ નામક લેખકની કોલમ, “નવગુજરાત સમય”, 23 સપ્ટેમ્બર 2015
e.mail : sanjaysbhave@yahoo.com