સેક્શન ૧૨૪ (એ) : માત્ર સર્ક્્યુલર જ નહીં, સમૂળગો કાયદો રદ કરવો જોઈએ
૧૨૪ (એ) સો વર્ષથી કાયદાપોથીમાં છે અને શાસકો એને ક્યારે ય ભૂલ્યા નથી. લોકમાન્ય ટિળકથી લઈને અણ્ણાના આંદોલન વખતે કાટૂર્ન ચીતરનારા અસીમ ત્રિવેદી સુધી અસંખ્ય લોકોને સતાવવા માટે આનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તો પછી નવેસરથી સર્ક્યુલર કાઢવાની જરૂર કેમ પડી?
૧૯૨૨ની ૧૮ માર્ચનો દિવસ ભારતના ઇતિહાસમાં અવિસ્મરણીય માનવામાં આવે છે. ‘યંગ ઇન્ડિયા’ના તંત્રી તરીકે ગાંધીજીને અને પ્રકાશક તરીકે શંકરલાલ બૅન્કરને આર. એસ. બ્રૂમફીલ્ડની અદાલતમાં ઊભા રાખવામાં આવ્યા હતા. તેમની સામે ભારતીય દંડ સહિતાના સેક્શન ૧૨૪ (એ) હેઠળ રાજ્યદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને ગાંધીજીને જો કોઈ બચાવ કરવો હોય તો કરવાની જજે તક આપી હતી.
ભારતીય દંડ સંહિતાનો મૂળ કાયદો ૧૮૭૦માં ઘડાયો હતો જેમાં રાજ્યદ્રોહનો કોઈ ઉલ્લેખ નહોતો. ૧૮૯૮માં ૧૨૪માં (એ)નો ઉમેરો કરીને રાજ્યદ્રોહને ગુનો બનાવામાં આવ્યો હતો. રાજ્યદ્રોહ માટે અંગ્રેજી શબ્દ સિડિશન છે. કાયદામાં કહેવામાં આવ્યું છે કે શાસકો અને શાસનવ્યવસ્થા (ગવર્નમેન્ટ એસ્ટૅબ્લિશ્ડ બાય લૉ ઇન ઇન્ડિયા) સામે કુપ્રચાર કરવો, નિંદા કરવી, ધિક્કાર ફેલાવવો કે પછી શાસકો તરફનો લોકોનો ભાવ કે આદર ઘટે એવો પ્રચાર કરવો એ રાજ્યદ્રોહ છે. રાજ્યદ્રોહની પ્રવૃત્તિ ગમે એ રીતે કરી હોય; લખીને, બોલીને, પ્રતીકો ચીતરીને, અભિનય કરીને, સંકેતો દ્વારા કે પછી બીજી કોઈ રીતે; રાજ્યના આવા ગુનેગારો આજીવન કારાવાસ અને દંડ સુધીની સજાને પાત્ર ગણાશે.
ગાંધીજીએ પોતાના સામાયિક ‘યંગ ઇન્ડિયા’માં સરકારની ટીકા કરી હતી એટલે અંગ્રેજ સરકારે તેમના પર રાજ્યદ્રોહનો આરોપ મૂક્યો હતો. યાદ રહે કે જે કાયદો છે એ રાજ્યદ્રોહ માટેનો છે, દેશદ્રોહ માટેનો નથી. સિડિશનનો અર્થ રાજ્યદ્રોહ થાય છે, દેશદ્રોહ નથી થતો. અંગ્રેજોને દેશ સાથે સંબંધ નહોતો એટલે કોઈ ભારતનો દ્રોહ કરે કે પ્રેમ કરે એની સાથે તેમને કોઈ નિસબત નહોતી. તેમની નિસબત ભારત પરના અંગ્રેજી રાજ્ય સાથે હતી એટલે રાજ્યદ્રોહને તેમણે ગુનો ઠરાવ્યો હતો. અમદાવાદની સેશન્સ ર્કોટના જજ બ્રૂમફીલ્ડ બહુ ભલા માણસ હતા. તેઓ ઇચ્છતા હતા કે ગાંધીજી પોતાના બચાવમાં બે દલીલ કરે તો સજા ઓછી કરી શકાય. તેમના આશ્ચર્ય વચ્ચે ગાંધીજીએ ગુનો કબૂલી લીધો હતો અને કહ્યું હતું કે જો સજા થશે તો મુક્ત થયા પછી એ ગુનો જો જરૂરી લાગશે તો તેઓ વારંવાર કરશે. ગાંધીજીએ રાજ્યદ્રોહના કાયદાને પ્રજાના દમન માટે સરકારે ઘડેલા કાયદાઓમાં પ્રિન્સ સમાન ગણાવ્યો હતો. રહી વાત શાસકો માટેના લોકોના ભાવ કે આદરની. તો એ કોઈ એવી જણસ નથી કે કાયદાઓ ઘડીને એનું ઉત્પાદન કરી શકાય. ગાંધીજીના શબ્દોમાં : Affection cannot be manufactured or regulated by law.
અમદાવાદની અદાલતમાં ગાંધીજી સામે ચાલેલા ખટલાને ઍથેન્સમાં સૉક્રેટિસ સામે ચાલેલા ખટલાની સાથે સરખાવવામાં આવે છે. બન્ને ઘટનામાં રાજ્યના દમન સામે અદના માણસના પ્રતિકારની અવિસ્મરણીય દાસ્તાન નજરે પડે છે. જજ બ્રૂમફીલ્ડે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે ભારતીયોની નજરે તમે (ગાંધીજી) મહાન ભારતીય અને પરમ દેશભક્ત છો એનો કોઈ અસ્વીકાર કરી શકે નહીં, પરંતુ કાયદાની નજરે તમે ગુનેગાર છો એટલે હું લાચાર છું અને સજા કરવી પડે એમ છે. જો સરકાર તમને કરવામાં આવેલી સજામાં ઘટાડો કરશે તો ખાતરી રાખજો કે તમારા દેશવાસીઓ કરતાં પણ વધુ આનંદ મને થશે. બ્રિટિશ જજ બ્રૂમફીલ્ડને ગાંધીજીને સજા કરતાં દુ:ખ થયું હતું, પરંતુ દુ:ખની વાત એ છે કે આપણા શાસકોને આઝાદી પછી આટલાં વર્ષે પણ ભારતના નાગરિકોને રાજ્યદ્રોહની સજા કરવામાં આનંદ આવે છે. અંગ્રેજો કરતાં આપણા શાસકો એક ડગલું આગળ વધ્યા છે. તેમણે રાજ્યદ્રોહને દેશદ્રોહ સમાન માની લીધો છે. કિંગ એડ્વર્ડ ઇઝ ઇન્ડિયા ઍન્ડ ઇન્ડિયા ઇઝ એડ્વર્ડ એવું અંગ્રેજોએ નહોતું કહ્યું, પરંતુ ઇન્ડિયા ઇઝ ઇન્દિરા ઍન્ડ ઇન્દિરા ઇઝ ઇન્ડિયા કે ઇન્ડિયા ઇઝ મોદી ઍન્ડ મોદી ઇઝ ઇન્ડિયા એમ કહેવામાં આવી રહ્યું છે. પોતાને જ રાષ્ટ્ર માનવાની વિકૃતિ હવે રાજ્યો સુધી વકરી છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્ર ઇઝ ફડણવીસ ઍન્ડ ફડણવીસ ઇઝ મહારાષ્ટ્ર એમ સમજતા હોય એમ લાગે છે. મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં એક સર્ક્યુલર બહાર પાડ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે સરકારની બદનામી કરનારાઓ સામે અને શાસકો સામે દુર્ભાવ ફેલાવનારા લોકો સામે સેક્શન ૧૨૪ (એ) હેઠળ ગુનો નોંધીને સજા કરવામાં આવે.
ભલા ભાઈ, આવો કાયદો તો સો વર્ષથી કાયદાપોથીમાં છે અને શાસકો એને ક્યારે ય ભૂલ્યા નથી. લોકમાન્ય ટિળકથી લઈને અણ્ણાના આંદોલન વખતે કાર્ટૂન ચીતરનારા અસીમ ત્રિવેદી કે પછી કલકત્તાની જાદવપુર યુનિવર્સિટીના પ્રાધ્યાપક અંબીકેશ મહાપાત્ર સુધી અસંખ્ય લોકોને સતાવવા માટે આનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તો પછી નવેસરથી સર્ક્યુલર કાઢવાની જરૂર કેમ પડી? લઘુતાગ્રંથિ ધરાવનારા વામણાઓ પોતાની જાતને ખાતરી કરાવવા માગે છે કે તેઓ શાસક છે. આ તેમની શાસક હોવાપણાની ખાતરી માટે છે. યશવંતરાવ ચવાણને કાયદાપોથીમાં પડેલા ગુલામીયુગીન કાયદાની યાદ નહોતી આવી, કારણ કે તેમને શાસન કરતાં આવડતું હતું. તેઓ જ્યારે મોઢું ખોલતા ત્યારે નવી વાત કહેતા અને મહારાષ્ટ્ર એક ડગલું આગળ જતું. બિનજરૂરી બોલવું, સામેવાળાને એની જરૂરિયાત જેટલું પણ ન બોલવા દેવું અને એ પછી પણ જો એ બોલે તો બને ત્યાં સુધી ન સાંભળવું અને જો સાંભળવું પડે તો દંડવા એ અસલામતી ધરાવતાં નિર્બળ શાસકના લક્ષણો છે.
મારા એક મિત્ર કહે છે કે બંધારણ ઘડનારાઓએ કોઈ કામ જ નથી કર્યું, આગલા અંગ્રેજોના જમાનાના કાયદાઓ એમ ને એમ ચકાસ્યા વિના આમેજ કરી લીધા છે. આ આરોપ ખોટો છે. જો દરેક કાયદો ચકાસવા બેસત તો ભારતનું બંધારણ દસ વર્ષે પણ ન ઘડાયું હોત. બંધારણ ઘડનારાઓએ સર્વોચ્ચ અદાલતને અધિકાર આપ્યો છે કે ભારતના બંધારણના આત્મા(સ્પિરિટ)ની વિરુદ્ધ જતા કાયદાઓને રદ કરવામાં આવે. સર્વોચ્ચ અદાલતે આ કરવું જોઈતું હતું. ૧૯૫૯માં અલાહાબાદની વડી અદાલતે રામનંદન વિરુદ્ધ ઉત્તર પ્રદેશ સરકારના ખટલામાં સેક્શન ૧૨૪ (એ)ને બંધારણ-વિસંગત (અલ્ટ્રા-વાયર્સ) ઠરાવ્યો હતો, પરંતુ સર્વોચ્ચ અદાલતે ૧૯૬૨માં કેદારનાથ વિરુદ્ધ બિહાર સરકારના કેસમાં સેક્શન ૧૨૪ (એ)ને બંધારણ-સુસંગત (ઇન્ટ્રા-વાયર્સ) ઠરાવ્યો હતો. બે વર્ષ પહેલાં સેક્શન ૩૭૭ની બાબતમાં સર્વોચ્ચ અદાલતે દિલ્હીની વડી અદાલતના પ્રગતિશીલ ચુકાદાને ઊલટાવ્યો હતો એ યાદ હશે. જવાહરલાલ નેહરુએ આ સેક્શનને રદ કરવાનું કહ્યું હતું, પરંતુ તેઓ રદ કરી શક્યા નહોતા અને હવેના શાસકોને તો એ રદ કરવામાં રસ પણ નથી.
http://www.gujaratimidday.com/features/columns/section-124-a
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કૉલમ, “ગુજરાતી મિડ-ડે”, 10 સપ્ટેમ્બર 2015