ઇંગ્લૅંડમાં બધું ઑલરાઈટ છે
’ગ્રેટ બ્રિટન’ – મને હંમેશાં લાગતું કે આ ખરો અહંકારી દેશ છે કે જેણે પોતાના નામમાં જ ’ગ્રેટ’ ઉમેરી લીધું. એ તો ખાંખાંખોળા કરીને ખબર પડી કે ’ગ્રેટ’ અહીં ’ગ્રેટર’ના અર્થમાં છે. ’ગ્રેટ’ બ્રિટન એટલે ’મહાન બ્રિટન’ નહિ પણ બૃહદ્દ બ્રિટન – વિસ્તૃત બ્રિટન કે જેમાં સ્કૉટલૅન્ડ, વેલ્સ અને ઉત્તર આયર્લેન્ડ આવી જાય છે. પણ શાણા અંગ્રેજોને જરૂર એવું લાગ્યું હશે કે કોઈ ’ગ્રેટર’ને ’ગ્રેટ’ સમજતું હોય તો તેમાં સામે ચાલીને સાચી સ્પષ્ટતા કરવાની જરૂર નથી. સ્પષ્ટતા ન કરીને મહાન થવાતું હોય તો સસ્તામાં પતે છે. જો કોઈ અંગ્રેજોને અહંકારી સમજતું હોય તો તેને ટિપિકલ ઇંગ્લિશ અદામાં સલૂકાઈથી કહી શકાય કે ’અંગ્રેજી તમારી સ્થાનિક ભાષા ન હોવાથી કદાચ તેના સૂક્ષ્મ અર્થવિસ્તારો અંગેની તમારી અણસમજ સમજી શકાય તેવી છે’. અંગ્રેજો આવું કહે ત્યારે સમજી લેવાનું કે એ તમારા અંગ્રેજીના અજ્ઞાનની ફિલમ ઉતારી રહ્યા છે. ઇંગ્લૅંડમાં કોઈ જાહેર જગ્યામાં કોઈ તમને કહે કે ’તમારું બાળક કેટલું ખુશમિજાજી છે!’ ત્યારે પોરસાવાને બદલે એવું તપાસી લેવાનું કે તમારું બાળક બહુ ઘોંઘાટ તો નથી કરી રહ્યુંને! અંગ્રેજી રીતભાત, શિષ્ટાચાર અને સલૂકાઈમાં રહેલો કરપીણ વ્યંગ અને મોટે ભાગે નિર્દોષ તુમાખી સમજતાં મને એકાદ-બે વર્ષ લાગ્યાં.
પીએચ.ડી.ના અભ્યાસ માટે હું બ્રિસ્ટલમાં એક-દોઢ વર્ષ રહ્યો હતો. પછી ત્રણેક વર્ષ સુધી આવવા-જવાનો સિલસિલો ચાલુ રહેલો. આપણે કોઈ એક જગ્યાએ નિયમિત આવન-જાવન કરીએ છીએ ત્યારે, ત્યાં પહોંચતાં પહેલાં જાતને નવા રૂપમાં ઢાળી લઈએ છીએ. મુંબઈ આવવાનું હોય તો બમ્બૈયા થઇ જઈએ અને દિલ્હી આવવાનું હોય તો દિલ્હીવાળા. આને જ કદાચ પરકાયાપ્રવેશ કહેતાં હશે. હીથરૉ કે ગેટવિકના ઍરપોર્ટ પર ઊતરીને મારા અંગ્રેજીમાં બ્રિટિશ એક્સેન્ટની ઝાંય દેખાતી થઈ જાય છે અને અમદાવાદ ઊતરીને ગુજરાતી બોલવા મન તરસતું હોય છે. આ પ્રવાસો દરમિયાન મને અંગ્રેજી કે બ્રિટિશ પ્રજા, તેમનાં ફિતૂર અને ફિતરત નજીકથી જોવાનો અનુભવ સાંપડ્યો છે. તેમાંના કેટલાક અહીં ત્રણ ઝૂમખાંમાં રજૂ કરું છું, ભારત ભણી ત્રાંસી નજર રાખીને.
* * *
સમાજ : લઘુમતીમાં હોવું કે ’એ લોકો’ હોવું એટલે શું?
મારા એક પ્રોફેસરમિત્ર કે જેમના પિતા ભારતીય હતા, તે હંમેશાં મારી સાથે ક્રિકેટની ચર્ચા કરતા. ઇંગ્લૅંડમાં ક્રિકેટ હવે ’હેરિટેજ’ રમત છે. મોટા ભાગના યુવાનોને તેમાં રસ નથી. પણ ક્રિકેટમાં જ્યારે યુવરાજ છ છગ્ગા મારે કે તેંદુલકર બસ્સો રન મારે ત્યારે પેલા પ્રોફેસર મને શોધતાં આવીને ’કૉક’ માટે લઈ જાય છે. ઇંગ્લૅંડમાં ’ડ્રિંક’ એ બહુ શાકાહારી શબ્દ છે. એ લોકો વિવિધ પ્રકારનાં ચા-કોફી ’ડ્રિંક’ સમજીને પીવે છે, આપણા ગુજરાતની જેમ નહીં! જાણે કે આખો દેશ બસો વર્ષ સુધી દુનિયા પર લગભગ એકહથ્થુ શાસન કર્યાનો થાક (તડકો ખીલે ત્યારે) બગીચામાં બેસીને, ચા પીને ઉતારતો જોવા મળે છે.
આપણે ભલે ચા ઉગાડતા હોઈએ, પણ સાદી મસાલા ચા સિવાયની ચા પીવાની રીતો આપણને ’એ લોકો’એ જ શિખવાડી છે. હા, ’આપણે’ અને ’એ લોકો’ – આપણી આખી દુનિયા આ બે ભાગોમાં વહેંચાયેલી હોય છે. આવા બે ભાગ પાડીને, તેમને ઊંડે સુધી આંકીને આપણે આખું જીવન વિતાવી દઈએ છીએ. કેટલાક લોકોને આ આંકા ઊંડા ને ઊંડા પાડવાની ટેવ હોય છે, જ્યારે બીજા કેટલાયને આ આંકાને ઘસી કાઢીને બુઠ્ઠા કરી દેવાની ટેવ હોય છે. ’આપણે’ અને ’એ લોકો’ વચ્ચે ઊંડા પડેલા આંકા સમાજમાં લાંબા ગાળાના ભંગાણ અને અસમાનતા દર્શાવે છે.
ઇંગ્લૅંડના રહેવાસ દરમિયાન મને પહેલી વાર જ ભાન થયું કે ’લઘુમતી’ કે ’એ લોકો’ હોવું એટલે શું, ગુજરાતમાં જો તમે હિંદુ, પુરુષ, કહેવાતા સવર્ણ, આર્થિક રીતે ઠીક-ઠાક હો, તો પછી બહુ અઘરું હોય છે એ સમજવું કે બીજા લિંગના, બીજા લઘુમતી ધર્મના, દલિત કે ગરીબ હોવું એટલે શું? રોજબરોજની જિંદગીમાં ’એ લોકો’ તરીકેની ઓળખ સાથે જીવવું એટલે શું, લિંગભેદ, રંગભેદ, વર્ણભેદ, ધર્મ કે કોમભેદ વગેરેનાં અનેક છૂપાં સ્વરૂપ હોય છે. કોઈક કારણસર ઇંગ્લૅંડમાં રંગભેદનો મુદ્દો મને ભારતમાં જાતિભેદના મુદ્દા સરીખો લાગ્યો છે. કોઈ મને પૂછે કે ’ઇંગ્લૅંડમાં રંગભેદ વિશે શું લાગે છે? તો હું કહું કે ’ભારતમાં જાતિભેદ વિશે લાગે છે તેવું’. સખત કાયદાઓને લીધે રંગભેદ કે જાતિભેદનાં પ્રત્યક્ષ સ્વરૂપો અદૃશ્ય થયાં હોય તો પણ આ ભેદ કોઈક ને કોઈક રીતે બહાર આવી જાય છે. ક્યારેક હિંસા, ક્યારેક અપમાન, ક્યારેક અન્યાય – મને પોતાને રંગભેદનો કોઈ સીધો, ખરાબ અનુભવ ન થયો હોવા છતાં તેના વિશે સાંભળવા-સમજવા ચોક્કસ મળે છે.
જો કે ભારતમાં અને ઇંગ્લૅંડમાં એક ફરક છે. ઑક્સફર્ડની એક પબ્લિક સ્કૂલમાં વર્ષો સુધી ટીચર રહેલી મિત્રે મને આ વાત કરેલી. શહેરના મધ્ય ભાગમાં આવેલી સ્કૂલમાં પંચરંગી બાળકો ભણે છે – પાકિસ્તાની, ચાઇનીઝ, આફ્રિકન-ઇંગ્લિશ કે કૅરેબિયન ઇંગ્લિશ અને બીજાં ઇંગ્લિશ મધ્યમ વર્ગનાં સંતાનો. ટીચરમિત્રના કહેવા મુજબ, તેમની સ્કૂલમાં કોઈને ’રેસિસ્ટ’ કહેવું તે સૌથી મોટી ગાળ છે. સ્કૂલમાં દાદાગીરી કરતાં છોકરાને પણ કોઈ ’રેસિસ્ટ’ કહે તો તેની આંખમાં આંસુ આવી જાય અને તે ટીચરને ફરિયાદ કરે. શું ભારતમાં જાતિવાદી, કોમવાદી કહેવું તે હજી સુધી ગાળ બની શકી છે? ઘણા લોકો ગર્વથી કહે છે કે ‘અમે તો અમુક જ્ઞાતિના’ અને સાથે-સાથે એ જ શ્વાસમાં કહે કે ’ના રે ના, અમે તો નાત-જાતમાં ન માનીએ’. ઇંગ્લૅંડમાં પણ એવું બોલવાવાળા લોકો મળી જાય કે ’હું રેસિસ્ટ નથી, પણ …’ પછીનું જે બોલવાનું હોય છે તે કંઈક રેસિસ્ટ પ્રકારનું હશે તેની પૂરી ગૅરંટી છે. જો કે ઇંગ્લૅંડમાં બહુમતી વર્ગ માનતો થયો છે કે ’રેસિસ્ટ’ હોવું ખરાબ છે, ‘પૉલિટિકલી ઇનકરેક્ટ’ છે. વિવિધ રાજકીય ઉતાર-ચઢાવને બાદ કરતાં, રાજ્યસત્તા કે સરકાર રંગભેદ અંગે તટસ્થ રહેવાનો અને પોતાની તટસ્થતા સાબિત કરવાનો પ્રયત્ન કરે છે.
લઘુમતીમાં હોવું એટલે જાણ્યે-અજાણ્યે એ અહેસાસ થાય કે તમે બીજા કરતાં અલગ છો, સતત અમુક પ્રકારના, ક્યારેક માની લીધેલા અને ક્યારે સાચા ભય હેઠળ જીવાતું હોય, પોતાના ટોળાને વળગી રહેવાનાં કારણો મળી આવે, પોતાની જાતને અન્યાય તો નથી થતો, તેની સતત જાત-તપાસ ચાલે. સરકાર સાથેના સંવાદમાં, નાગરિક તરીકે હક-ફરજોમાં એક પ્રકારની લઘુતાગ્રંથિ હોય. લઘુમતીઓની પરિસ્થિતિ માટે સરકારની કે કાયદો-વ્યવસ્થાની તટસ્થતા ઉપરાંત બહુમતીમાં રહેલા લોકોનાં વર્તન-વ્યવહાર મહત્ત્વનાં છે. ઉદાહરણ તરીકે, ‘ઇંગ્લિશ ડિફેન્સ લીગ’ નામનું એક રાજકીય અંતિમવાદી, વ્હાઇટ સુપ્રીમિસ્ટ કે નિયો-નાઝી પ્રકારનું ગ્રૂપ છે. આ ગ્રૂપ ઘણીવાર નોન-વ્હાઇટ વિસ્તારોમાં રાજકીય રેલીઓ કાઢે છે, મોટે ભાગે અહિંસક રીતે હિંસક અને રંગભેદી સૂત્રોચ્ચાર કરે છે. મજાની વાત એ છે કે જ્યારે-જ્યારે ’ઇંગ્લિશ ડિફેન્સ લીગ’ રેલીઓ કાઢે છે, ત્યાં જ અને ત્યારે જ ’યુનાઇટેડ અગેન્સ્ટ ફાસીઝમ’ નામનું એક બીજું પંચરંગી ગ્રૂપ પહોંચી જાય છે. તેઓ વળતી રેલી કાઢીને, અહિંસક રીતે વળતો સૂત્રોચ્ચાર કરે છે અને નૉન-વ્હાઇટ લોકોની પડખે ઊભું રહે છે. દક્ષિણ એશિયાઈ મૂળની લઘુમતી પ્રજા માટે આટલું પૂરતું હોય છે કે રાજકીય નફરત ધરાવતાં સ્થાપિત હિતો સામેનો રાજકીય પ્રતિકાર પણ મોજૂદ છે. પછી તે રાજકીય નફરત નહીં, રાજકીય દ્વંદ્વ લાગે છે. તેથી લઘુમતી લોકોની અસલામતીઓનો ભાર વધતો નથી. ભારતમાં પણ લિંગભેદ હોય કે જાતિભેદ કે કોમભેદ, બોલકા રાજકીય પ્રતિકારની જરૂર છે.
* * *
વિજ્ઞાન : તર્ક અને વિવેકબુદ્ધિની લાંબી લીટી
આધુનિકતા અને પ્રગતિશીલતાને વિજ્ઞાન સાથે ઊંડો સંબંધ છે. આપણે ત્યાં અમુક-તમુક લેખક-કમ-ચિંતકોએ ધર્મ, સંસ્કાર અને પરંપરાની ભેળસેળ એવી તો કરી છે કે રોજ-બ-રોજના જીવનમાંથી વૈજ્ઞાનિક અભિગમો ગાયબ થતા જાય છે. અધ્યાત્મને નામે અવૈજ્ઞાનિક અભિગમો લોકપ્રિય થતા જાય છે અને વિજ્ઞાન સામે ધર્મની લીટી લાંબી થતી જાય છે. ઇંગ્લૅંડમાં ટીવી અને રેડિયો પર વિવિધ ધાર્મિક માન્યતાઓ અને મર્યાદાઓ અંગેની ચર્ચાઓ ખુલ્લેઆમ થાય છે, જેની કમી હું અહીં મહેસૂસ કરું છું. બી.બી.સી. પર આવતા કાર્યક્રમો, તેમની એકંદરે નો-નૉનસૅન્સ નીતિ અને નિષ્પક્ષ અભિગમનો હું મોટો ફેન છું. સ્વસ્થ લોકશાહી માટે સંવાદ થવો જરૂરી છે અને ‘સંવાદ’ એટલે ટીવી પર ટોળું ભેગું કરીને બૂમાબૂમ કરવી એમ નહિ. આપણી ટીવી પરની ચર્ચાઓના બહુ જ મર્યાદિત વિષયો હોય છે, જે ઊંડા સામાજિક પ્રવાહો પર કોઈ પ્રકાશ પાડી શકતા નથી.
વિજ્ઞાન, વન્યજીવન, ઇતિહાસ વગેરે પરના કાર્યક્રમો ટીવી પર ભરચક પ્રમાણમાં જોવા મળે છે. રિચાર્ડ ડોકિન્સનો પરિચય મને બી.બી.સી.ના ટીવી-પ્રોગ્રામ પરથી થયો હતો. રિચાર્ડ ડોકિન્સ વૈજ્ઞાનિક છે, લેખક છે, ઑક્સફર્ડના રિટાયર્ડ પ્રોફેસર છે. તેમના વિરોધીઓ તેમને ’ઉગ્રવાદી નાસ્તિક’ કહે છે અને તેમનો ચાહકવર્ગ તેમને એકવીસમી સદીના ફિલસૂફ તરીકે ઓળખાવે છે. રિચાર્ડ ડોકિન્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ અંગે સમકાલીન સમજ આપે છે, ડૉક્યુમેન્ટ્રી ફિલ્મો બનાવે છે, જાહેર ચર્ચામાં ભાગ લે છે અને તેમને મળતાં ’હેઇટ મેઇલ’નું ખુલ્લેઆમ પઠન કરે છે. એવા જ એક બીજા લેખક છે એ. સી. ગ્રેઇલિંગ કે જેમણે પશ્ચિમી ઉદારમતવાદનો ઇતિહાસ લખ્યો છે, ધર્મ પર આધાર ન રાખતી નૈતિકતાની હિમાયત કરી છે અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા આંતરરાષ્ટ્રીય માનવવાદની વિભાવના કરી છે. ’ગાંધી’ ફિલ્મ બનાવનાર રીચાર્ડ એટનબરોના નાના ભાઈ ડેવિડ એટનબરો વર્ષોથી બી.બી.સી. પર વન્યજીવન, પ્રાકૃતિક લેન્ડસ્કેપ અને તેમની વૈજ્ઞાનિક સમજ અંગેના અદ્દભુત પ્રોગ્રામ્સ કરે છે. ડેવિડ એટનબરોની અમુક ડૉક્યુમેન્ટ્રી ફિલ્મો તો કલેક્ટર્સ આઇટેમ છે.
ઇંગ્લૅંડમાં વિતાવેલા સમયમાં મને સમજાયું કે દરેક વ્યક્તિને બૌદ્ધિક રીતે પગભર થવાનો મોકો આપવો જરૂરી છે. આપણે ત્યાં ધર્મ અને તેની ફિલસૂફીને ધર્મગુરુઓએ હાઇજેક કરેલાં છે. દરેક ધર્મમાં રૂઢિચુસ્તતા, ધર્માંધતા, વૈજ્ઞાનિક સમજનો વિરોધ અને ભ્રષ્ટાચાર સર્વવ્યાપ્ત છે. ઐતિહાસિક રીતે બધા જ ધર્મોએ અલગ-અલગ સમયે થતી વૈજ્ઞાનિક શોધખોળોનો વિરોધ કરેલો છે અને હજી સુધી કરે છે. ક્યારેક દરિયો ઓળંગવો પાપ મનાતું, તો ક્યાંક પૃથ્વીને ગોળ માનવાનો ઇનકાર થતો, તો પછી ક્યારેક દૂરબીન કે બીજાં મશીન વગેરેને અધાર્મિક માનવામાં આવતા. હજી પોતાનો ધર્મ કે સંપ્રદાય બીજા કરતાં કેટલો મહાન છે અને બીજા કેટલા પામર-પાપી-દુષ્ટ છે, તે અંગે વ્યવસ્થિત, સુનિયોજિત જૂઠાણાં ચાલે જ છે.
મૂળ પ્રશ્ન એ છે કે ધર્મો કે તેમનાં સ્થાપિત હિતોના લીધે અસ્તિત્વમાં આવેલી સંકુચિતતાઓ માનવવિકાસ કે વૈજ્ઞાનિક સમજણના સામા છેડે જ કેમ રહી છે? ધાર્મિક સંસ્થાનોને વ્યક્તિના સાર્વત્રિક વિકાસમાં રસ છે કે પછી પોતાનો કક્કો ખરો ઠરાવવામાં? વ્યક્તિમાં આત્મવિશ્વાસ જગાડવો તે ધર્મ છે કે ઈશ્વરના નામે તેને ડરાવી રાખવો, નરકની બીક બતાવવી અને સ્વર્ગની લાલચ બતાવવી તે ધર્મ છે? નાત-જાત જેવા સામાજિક અન્યાય, કોમવાદ, સ્ત્રીઓ કે બાળકોનું શોષણ આખરે તો ધર્મના નામે જ કરવામાં આવે છે. ચાલો માની લઈએ કે આ ધર્મના નામનો દુરુપયોગ છે, જો એમ હોય તો ધર્મગુરુઓ અને તેમનાં સંસ્થાનો આવા સામાજિક ભેદભાવનો કે શોષણનો ખુલીને વિરોધ કેમ નથી કરતાં?
નૈતિકતા માટે ધાર્મિકતા બિલકુલ જરૂરી નથી અને ધાર્મિકતા એ નૈતિકતા ન પણ હોય, તે સમજવા માટે મોટા વિચારક હોવાની જરૂર નથી. ભગવાનમાં માનવું કે ન માનવું તે અંગત બાબત છે, તેનો વિરોધ ન હોઈ શકે. પણ પછી ધાર્મિક લાગણીઓ ન દુભાય તે માટે ધાર્મિક દંભ અને આડંબર સહેવો તે આધુનિક સમાજને ન પોસાય. સમાજ-કલ્યાણ અને જાહેર હિત માટે ધાર્મિક માન્યતાઓને અંગત પરિઘમાં રાખવી જરૂરી છે. તકલીફ એ છે કે આપણે ત્યાં આ પ્રકારની ચર્ચાઓ થઈ શકે તેવી સ્પેસ હજી સુધી તો જાહેર માધ્યમો આપી શક્યાં નથી. જાહેર માધ્યમોની સંખ્યા વધતી જાય છે અને ગુણવત્તા ઘટતી જાય છે. એવું નથી કે ઇંગ્લૅંડમાં બધે જ આવું બૌદ્ધિક વાતાવરણ જોવા મળે છે. પણ આ પ્રકારની ચર્ચા ખુલ્લા મને સમજવી હોય તો તે માટેની સ્પેસ મળી રહે છે. યુવાનોને વિવિધ મુદ્દે મોકળાશ ધરાવવાની તક મળતી રહે છે. જો કે તેનો કેટલા યુવાનો યોગ્ય ઉપયોગ કરે છે તે બીજી વાત છે.
ડોકિન્સ કે ગ્રેઇલિંગ કે એટનબરો ખરા અર્થમાં ’પબ્લિક ઇન્ટલેક્ચ્યુઅલ’ છે. આ લોકો એવા ધરખમ પ્રતિભાવાન હોય છે કે જે કોઈના બાપની સાડાબારી ન રાખતા હોય. તેમની પાસે મૌલિક વિચારો હોય. તે દુનિયાને ઊંચી-નીચી, આગળ-પાછળ, લાંબી-ટૂંકી કરીને જોતા હોય. તેમનાં ચશ્માં અલગ હોય ને લેન્સ પણ. ક્યારેક તે તમને હસાવી જાય, ગભરાવી જાય, આશ્ચર્યચકિત કરી નાખે અને ક્યારેક તેમનાથી નફરત થઈ જાય. તમને જે ગમતું હોય તેને ગાળો આપે, તમે જેને મહાન માની લીધા હોય તેની બીજી બાજુ બતાવે, તમે જેની ફરતે ફુદરડી ફરતા હો તેની હસ્તી જ છે કે કેમ તેવા સવાલ કરે. એ કોઈનો ’પગાર ન ખાતા હોય’ એટલે તમે આવા માણસને શું કરી શકો? ટૂંકમાં, તમને શાંતિથી જીવવા ન દે, નવા-નવા પડકારો ફેંક્યા જ કરે. ડોકિન્સ કે ગ્રેઈલિંગ કે એટનબરો જેવા લોકોની ઘણી મજબૂત ઓળખાણો હોય છે એટલે તેને માત્ર ’નાસ્તિક’ માનીને (એટલે કે તે રીતે ઉતારી પાડવા) પૂરતું નથી. તેમનાં લખાણોમાં નાસ્તિકતાનો પ્રચાર નથી, પણ આડંબરોનો વિરોધ છે અને વૈજ્ઞાનિક અભિગમ, તર્ક અને વિવેકબુદ્ધિની તરફેણ છે એક પ્રકારની આંતરરાષ્ટ્રીય નૈતિકતાની તરફેણ છે, જે જાતે વાંચવાથી કે તેમના કાર્યક્રમો જોવાથી સમજાઈ જશે.
* * *
ઇતિહાસ : વિવિધ પાસાં જાળવવાનું શાણપણ
ભારતીય અને અંગ્રેજી પ્રજાના આંતર-સંબંધોનો ત્રણસોથી વધુ વર્ષોનો ઇતિહાસ છે. ઘણા ભારતીયો અંગ્રેજો કે યુરોપિયન લોકોનો સ્વીકાર-સંમતિ ઝંખતા હોય છે તો અંગ્રેજો પણ આવી તક જવા દેતાં નથી. મેં એવી વાયકાઓ સાંભળી છે કે બ્રિટિશ રાજના સમયમાં ઘણાં ભારતીય ઉપખંડના રહેવાસીઓ ઇંગ્લેન્ડના રાણીને 'અમારી રાણી' કહેતાં. પોતાનાં ઘરમાં રાણી વિક્ટોરિયાનો ફોટો જડી રાખતાં. ઇંગ્લેન્ડને પોતાનો દેશ ગણતાં – ભલે પછી ઇંગ્લેન્ડમાં કોઈ તેમની દેશભાવનાની કદર કરે કે ન કરે. તો પછી ઇંગ્લેન્ડ અને ભારતની ક્રિકેટ મેચમાં ઇંગ્લેન્ડમાં રહેતા ભારતીયો ક્યાં સુધી ભારતનું સમર્થન કરતાં હોય છે અને ક્યારથી ઇંગ્લેન્ડનું સમર્થન કરતાં થાય છે? કેટલાં લાંબા વસવાટ પછી એક દેશની સરહદ ઓળંગીને બીજા દેશની સરહદને અપનાવી લેવામાં આવે છે, કે પછી હંમેશાં બે દેશની વચ્ચે લોલકની સ્થિતિમાં રહેવું સદી જાય છે. શું પાસપોર્ટ કે નાગરિકત્વ બદલવાથી દેશભાવના પણ બદલાઈ જાય છે? નજીકથી જોઈએ તો બે દેશો વચ્ચેની સરહદો બહુ પ્રવાહી હોય છે.
"Mutiny' or 'War of Independence? – 'The Indian Mutiny' remains a commonly used term in Britain; but this description ignores the scale and wider significance of the uprising. 'The first war of Independence' is favoured by many in India. However, this term implies a unified and organised uprising, ignoring the local complexity of the events. Neither interpretation is adequate. How to describe the violence of 1857-58 is still contested today."
એક મ્યુિઝયમમાં ઉપર મુજબનું લખાણ વાંચ્યું. તે સાથે જ ઇતિહાસ અને તેના નિરૂપણ અંગે વિચારોના ચકડોળે ચઢી જવાયું. ભારતમાં ૧૮૫૭ની ઘટનાઓને 'પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ' તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બ્રિટિશ ઇતિહાસકારો તેને લશ્કરમાં થયેલા બળવાની રીતે જુવે છે. ઉપર લખ્યા મુજબ, 'સિપાઈઓના બળવા' તરીકેનું અર્થઘટન બધી ઘટનાઓની વ્યાપકતા, તેમને સુગઠિત કરવાના પ્રયત્નો વગેરેને મહત્ત્વ આપતા નથી. જ્યારે તેને 'પહેલા સ્વતંત્રતા સંગ્રામ'નું અર્થઘટનનો મતલબ એ થાય કે આ બધી ઘટનાઓ કેન્દ્રીય નેતાગીરી દ્વારા દોરવાઈને એક જ રાષ્ટ્રની વિભાવના સાથે થયેલી અને તેમાં સ્થાનિક પ્રશ્નોની જટિલતા કે વિવિધતા ન હતી. તેમાં પણ કેતન મહેતાની ફિલ્મ 'મંગલ પાંડે' તો વળી આખી ઘટનામાં મંગલ પાંડેને કેન્દ્રમાં મૂકીને તેને આખા સંગ્રામના નેતા (તાત્યા ટોપેની જેમ) તરીકે દર્શાવે છે, જે ઐતિહાસિક ઘટનાઓથી ઘણું વેગળું છે. જો બે દેશોમાં ઇતિહાસની અમુક ઘટનાઓના બે અર્થઘટન થવાના હોય તો પછી ઇતિહાસને ભણવો કેવી રીતે? કયું અર્થઘટન વધારે સાચું?
ઇતિહાસના અભ્યાસ અંગે નાગરિકો તરીકે આપણો આગ્રહ શું હોવો જોઈએ? મને ૧૮૫૭ના વિષે પેલા મ્યુિઝયમમાં જે રીતે રજૂઆત થઈ તે ગમ્યું. તે ઐતિહાસિક ઘટનાને કોઈ અર્થઘટન તરીકે નહિ પણ એક વિવાદ કે બે અર્થઘટનો વચ્ચે થતા દ્વંદ્વ તરીકે રજૂ કરે છે. કોઈ પણ ઘટના એક તરફી નહિ પણ બહુ-તરફી હોય છે, બહુ આયામી હોય છે. ઇતિહાસના શિક્ષણની વાત આવે ત્યારે કોઈ પણ ઘટનાનાં વિવિધ અર્થઘટનો બાળકો સામે રજૂ થવા જોઈએ અને તેમને પોતાની સમજ પ્રમાણે, તેમાંના અર્થઘટનો માનવા કે નહિ માનવાની પસંદગીનો અવકાશ હોવો જોઈએ. આ સાચા શિક્ષણની દિશામાં સાચું કદમ હશે. આજે આપણો ઇતિહાસ ડાબેરી, જમણેરી કે કોંગ્રેસી વચ્ચે વહેંચાઈ ગયો છે, જે રાજ્યમાં જે પ્રકારની સરકાર તેમને મનગમતો ઇતિહાસ ભણાવાય છે. જે અત્યંત દુખદ છે. શું શિક્ષણના અભ્યાસક્રમોને રાજકારણથી દૂર ન રાખી શકાય?
બીજું કે, આ વાત એટલા માટે મહત્ત્વની છે કે તે દર્શાવતું મ્યુિઝયમ કોઈ તટસ્થ દેશ કે ભારતમાં નહિ પણ ગ્રીનીચ(લંડન)માં આવેલું નેશનલ મેરીટાઈમ મ્યુિઝયમ છે (http://www.nmm.ac.uk/). તેઓ કદાચ એવું માને છે કે બાળકોને ૧૮૫૭ જેવી ઘટનાની બંને બાજુ ખબર હોવી જોઈએ, તેમના પૂર્વજોનું અર્થઘટન શું હતું અને સામેની પ્રજાનું અર્થઘટન શું હતું, તેની વ્યાપક સમજ બુદ્ધિશાળી બાળકોને હોવી જોઈએ. આવતીકાલે 'ગ્લોબલ સંસ્કૃિત'નો ભાગ બનનાર અને વિવિધ સંસ્કૃિતના લોકો સાથે આંતર-રાષ્ટ્રીય સ્તર પર કામ કરનાર તરીકે, વ્યક્તિ તરીકે એ વિદ્યાર્થીઓને તૈયાર થવાના છે. વિચારોની મોકળાશ અને વિચારવાની સ્વંત્રતા આપી શકે તે શિક્ષણ. તેથી જ તો કોઈ એક ઘટનાના બે વિરોધાભાસી અર્થઘટનો હોઈ શકે તેનો સ્વીકાર તે ઇતિહાસની સાચી સમજની દિશામાં લીધેલું પહેલું પગલું છે. આવો એક પ્રયત્ન ગ્રીનીચના મ્યુિઝયમમાં જોવાનો આનંદ થયો. તેનાથી એક ડગલું આગળ વધીને નીચેનું અવતરણ પણ ત્યાં જોવા મળ્યું. જે જવાહરલાલ નહેરુએ અંગ્રેજો અને અંગ્રેજીપણા પર કરેલો કટાક્ષ છે કે ‘મહત્ત્વની વાત છે કે આજે એક હિન્દુસ્તાની શબ્દ અંગ્રેજી ભાષાનો ભાગ બની ગયો છે અને તે શબ્દ છે લૂંટ’. કટાક્ષને હસી કાઢવો એક વાત છે અને તેને પોતાના 'રાષ્ટ્રીય સંગ્રહાલય'માં સ્થાન આપવા માટે 'છપ્પનની છાતી' જોઈએ. એક સ્પષ્ટતા – અહીં મૂળ મુદ્દો 'બ્રિટિશ સમાજ કેટલો સ્વસ્થ/શાલીન/મહાન છે' તે નથી. આવા છૂટાછવાયા ઉદાહરણોથી હું તે અંગેની કોઈ માન્યતા બાંધતો નથી. પણ આવા ઉદાહરણો, ભારત જેવા 'વિવિધતામાં એકતા' જેવા દેશમાં ઇતિહાસનું શિક્ષણ અને સંગ્રહાલયોમાં માહિતીની રજૂઆત અંગે નવા વિચારો જરૂર આપી જાય છે. આખરે, "सा विद्या या विमुक्तये" (Education is that which liberates)નું સૂત્ર ત્યારે જ સાર્થક થાય કે જ્યારે નાત-જાતના અને રાજકીય વાડા ભૂલી જઈને અભ્યાસક્રમોમાં વિચારોની મોકળાશ અને વિચારશીલતાને ઉત્તેજન મળે. શિક્ષણમાં વિમુક્ત કરવાની શક્તિ હોવાની વાત બહુ જાણીતી છે. કોપી-પેસ્ટ, ગોખણપટ્ટી, ટ્યુશન-સંસ્કૃિત જેટલા જ ખતરનાક હોય છે એક-તરફી, સાંકડા-સંકુચિત વિચારો. ઇતિહાસનું શિક્ષણ ભવિષ્યની તૈયારી છે અને સંગ્રહાલયો કે કળાકેન્દ્રો તે ઇતિહાસ વગેરેની રસપ્રદ ઉડાનો હોય છે. આ બે ક્ષેત્રે ઘણા બદલાવો જરૂરી છે.
* * *
રસેલ પીટર્સ નામક ભારતીય મૂળનો કોમેડિયન કહે છે કે તમારે કોઈ અંગ્રેજનું અપમાન કરવું હોય તો તેને અંગ્રેજીમાં એવું પૂછવું કે, 'આ ઇંગ્લેન્ડ ક્યાં આવ્યું અને લોકો ત્યાં કઈ ભાષા બોલે છે?' દુનિયાની બીજી પ્રજાને જે સામાન્ય સવાલ લાગે તેવું કોઈ અંગ્રેજોને પૂછી જાય તેની કલ્પના પણ તેમણે ન કરી હોય. અંગ્રેજી ભાષા અને અંગ્રેજોને તો બધા જાણતા જ હોય ને! દુનિયા પર બસ્સો વર્ષના આધિપત્યનો ઇતિહાસ ધરાવતાં આ નાનકડા ટાપુએ ક્યારેક ઓળખની કટોકટી અનુભવી નથી. છેલ્લાં પચાસ વર્ષમાં કળા-સંગીત-સંસ્કૃિત, સંશોધનો અને વૈજ્ઞાનિક જ્ઞાનને ક્ષેત્રે ઇંગ્લેન્ડ ઘણું આગળ વધ્યું છે. દુનિયામાંથી એકઠી કરેલી સંપત્તિનો ઉપયોગ અંગ્રેજોએ મહાન સંસ્થાઓ ઊભી કરવામાં કર્યો છે, જે આજે પણ ઇંગ્લેન્ડને માનવ-વિકાસ મૂલ્યાંકન અને વિવિધ સંશોધનોની બાબતમાં દુનિયામાં આગળ પડતું મૂકી દે છે.
મારા પરિવાર માટે ખૂબ જ પ્રેમથી તેમનું ઘર ખુલ્લું મૂકી દેનાર વયોવૃદ્ધ દંપતી જેસ્સા અને ક્રીસ સાથે ઇંગ્લેન્ડ અને તેના રાજકીય-સામાજિક પ્રવાહો વિષે ડીનર ટેબલ પર ખૂબ જ ચર્ચાઓ થઈ છે. અમે લોકો પોતપોતાના દેશો અને સમાજોના ક્યારેક વખાણ કરતાં તો ક્યારેક કૂથલી. એક ધનાઢ્ય, ઔદ્યોગિક રીતે વિકસિત સમાજના પોતાના પ્રશ્નો હોય છે.
એકવારની અમારી ચર્ચાનું તારણ એ હતું કે પાયાની સુવિધાઓની બાબતમાં ઇંગ્લેન્ડમાં બધું 'ઓરરાઈટ' છે, પણ જે 'ઓરરાઈટ' નથી તે 'ઓરરાઈટ' કરવાનો સંઘર્ષ ચાલુ રહેવો જોઈએ. આ જ કોઈ પણ પ્રગતિશીલ સમાજનું મુખ્ય લક્ષણ છે.
e.mail : joshirutul@gmail.com
સૌજન્ય : મહદ્દ પૂર્વાર્ધ "નિરીક્ષક", 01 સપ્ટેમ્બર 2015