1982માં માન્ચેસ્ટર આવીને વ્યવસાય અંગે સ્થાયી થવાનું બન્યું. થોડા વખતમાં તેની આસપાસનાં જોવાં લાયક સ્થળોની ભાળ મળી, તેમાંની એક તે માન્ચેસ્ટર શીપ કેનાલ. આ કેનાલને ઔદ્યોગિક ક્રાંતિ સાથે સંબંધ એટલે સહેજે તેના વિષે જાણવાની ઇન્તેજારી હતી. જો કે કેનાલની બોટ ટ્રીપ કરવાની તક; કહો કે ફુરસદ તાજેતરમાં મળી જે આ લખાણ લખવાનું નિમિત્ત બને છે.
ઔદ્યોગિક ક્રાંતિના મંડાણ લગભગ ઈ.સ. 1760માં થયાં અને 1820-1840 સુધીમાં તો એ પૂરજોશમાં ધધક ધધક કરતી આખા યુનાઇટેડ કિંગ્ડમને ધમરોળતી પ્રસરી ગઈ. એની શરૂઆતમાં માન્ચેસ્ટરનો અગ્રભાગ રહ્યો છે. લિવરપૂલ અને માન્ચેસ્ટર વચ્ચે 36 માઈલનું અંતર કાપવા ઈ.સ. 1724માં બંધાયેલ કેનાલમાં પાણીની સપાટી ઊંચી આવે ત્યારે નાના તરાપા કે ટચુકડા વહાણો જતાં-આવતાં. પણ ઈ.સ. 1870માં આવેલ મંદીના પરિણામે વધેલી બેકારીના જવાબ રૂપે તથા ઔદ્યોગિક ક્રાંતિને ધમધમતી રાખવા માન્ચેસ્ટર શીપ કેનાલ કે જે અત્યારે ઉપયોગમાં લેવાય છે તેનું બાંધકામ કરવું જરૂરી જણાયું. જો કે તેની પાછળ બીજું પણ એક પરિબળ હતું. લિવરપૂલ ડોક અને રેલવે કંપની માલની હેરાફેરી માટે ભારે કિંમત માગતા. આથી જ તો શીપ કેનાલ બંધાવવા માટે સરકારની મંજૂરી લેવા ઘણા અવરોધો પાર કરીને પણ ઈ.સ. 1887માં માન્ચેસ્ટર શીપ કેનાલનું બાંધકામ શરૂ થયું. સાત વર્ષ સુધી સેંકડો મજૂરોની કાળી મહેનત અને 15 મીલિયન પાઉન્ડ(આજે તેની કિંમત 1.70 બીલિયન પાઉન્ડ ગણાય)ને અંતે છેવટ રાણી વિકટોરિયાને હાથે 1894માં કેનાલ ખુલ્લી મુકાઈ.
મર્સી નદીની estuary (નદીમુખા ખાડી) લિવરપૂલથી શરૂ થયેલ આ કેનાલ મર્સી અને અર્વેલ નદી અને ચેશાયર તથા લેન્કેશાયર જેવી બે મોટી કાઉન્ટીમાંથી પસાર થઈને છેવટ સોલફર્ડમાં પૂરી થાય છે. કેનાલ બંધાવાને કારણે કાચા અને તૈયાર માલની હેરાફેરી સુગમ થઈ અને ઉદ્યોગોને ઘણો લાભ થયો અને એટલે જ માન્ચેસ્ટર કે જે દરિયાથી 40 માઈલ દૂર હોવા છતાં દુનિયાનું ત્રીજા નંબરનું બારું ગણાવા લાગ્યું. ‘70-’80ના દાયકા દરમ્યાન માર્ગ વાહનનો ઉપયોગ વધવાને કારણે સોલફર્ડનું બારું બંધ પડ્યું. આટલી માહિતી ગજવામાં ભરીને અમે સોલફર્ડના સહેલાણીઓ માટે ખાસ ઊભા કરવામાં આવેલ બારા પરથી સહેલ શરૂ કરી.
અહીં અમારી સફરની વાત શરૂ કરતાં પહેલાં કેનાલ વિષે કેટલીક રસપ્રદ માહિતી આપવા ધારું છું. ઉપર કહ્યું તેમ માન્ચેસ્ટર શીપ કેનાલ 1894માં વિધિવત્ ખુલ્લી મુકાઈ એટલે 1994માં તેની શતાબ્દી નિમિત્તે કેનાલને કિનારે સુંદર પગથી, તેના પર બંને બાજુ ગોળ ઘુમ્મટ આકારવાળાં વૃક્ષોની હાર અને સહેલાણીઓને વિશ્રામ લેવા મુકેલ બાંકડાઓની સુવિધા કરવામાં આવી. ત્યાં અનેક વખત નવરાશના સમયે ટહેલતાં ટહેલતાં કેનાલની અંદર હંસ અને બતકની જલક્રીડા અને યુવક-યુવતીઓને પાણીમાં રમાતી રમતોની તાલીમ લેતાં નિહાળ્યાં છે. કેનાલને કિનારે Su Andi નામના કવિ, એક આર્ટસ કંપની અને સ્થાનિક લોકોએ કહેલાં કથનો પથ્થરની તકતી પર કોતરીને જમીન પર જડેલ જોવા મળે જેમાનાં કેટલાંક અહીં ટાંકું : “You build a community with bricks and mortar, but most of all with people.” “Ordinary people build world within worlds, ordinary people make a good life out of living.” આપણે જાણીએ છીએ કે યુદ્ધ હોય કે પછી શાંતિનો સમય હોય, અનિચ્છનીય બનાવો હંમેશ દરિયામાં બનતા હોય છે. 70% બ્રિટિશ અને 30% એશિયા આફ્રિકા અને યુરોપના ગુલામ દેશોમાંથી દુશ્મનોના ઘેરાવામાંથી બચીને ઉદ્યોગ-ધંધા માટેનો માલસામાન લાવનાર સામાન્ય નાગરિકો હતા. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન બ્રિટિશ વેપારી અને સાગરખેડુઓ લડ્યા અને દર ચારમાંથી એક શહીદ થયા. એવા કસોટી કાળમાં પણ લોકો હસતાં હસતાં કામ કરતાં કેમ કે રુદન નહીં પણ હાસ્ય જ જીવનને ટકાવી રાખે છે તેમ તેઓ માનતા. સોલફર્ડના આ બારામાં ચાઇનીઝ, નોર્વિજિયન, ડચ, પોલીશ, રશિયન, વેસ્ટ આફ્રિકન અને મોલ્ટીઝ વહાણો લાંગરતાં. દરિયાના પાણીને જમીન સુધી લાવવા 34,000 હાથ મળીને 52 મીલિયન ટન માટી ખસેડી. આથી જ કોઈ મજ્દૂરે કહ્યું, “ઇતિહાસ સામે નાકનું ટેરવું ન ચડાવશો, ભવિષ્ય અમારા જેવા લોકોના ભૂતકાળ ઉપર જીવે છે.”
સોલફર્ડના પ્રખ્યાત ચિત્રકાર એલ.એસ. લાવરીની સ્મૃિતમાં બનેલ આર્ટ ગેલેરી, થિયેટર, અને શોપિંગ સેન્ટરના નિર્માણના અમે સાક્ષી અને તેનો લાભ પણ ખૂબ લીધેલો છે તેથી અમારું ધ્યાન ક્રુઝ શીપનું કદ અને તેમાંની સગવડો જોવા તરફ વળ્યું. સફર શરૂ થતાં ઊંચા પહોળા ક્રુઝ શીપને મારગ આપવા લાવરી પૂલ અને સેંટીનરી પૂલ આખે આખા આકાશ ભણી ઊંચા થયા અને એવા બીજા ઓગણીસ પૂલ નીચેથી અથવા એ પોતાની એક અથવા બંને ભુજાઓ એક બાજુ ખસેડીને ક્રુઝ શીપને જવા દેતા તે જોયું. કુલ પાંચ લોક્સ ખોલ-બંધ થતા જોવાથી એન્જિનિયરિંગની ખૂબી માટે માન ઉપજ્યું. લોક પાસે આવતાં ક્રુઝ શીપ હળવે હળવે ત્રણ-ચાર મીટર ઊંચું થાય એટલે કે નહેરની પાણીની સપાટી નીચે જાય જેથી કરીને બે તોતિંગ લાકડાના દરવાજા શાહી દમામથી ધીમે ધીમે ખૂલે અને બાજુની દીવાલ સાથે કહ્યાગરા સૈનિકની માફક ચપોચપ ઊભા રહે ત્યારે એમ લાગે કે જાણે હમણાં સલામ ભરશે. આમ કુલ એકવીસ પૂલ અને પાંચ દરવાજાઓ પસાર કરવાની પ્રક્રિયા અત્યંત ધીમી હતી. માલને લાવવા લઈ જવાની આ રીત આજના જમાનાની દૃષ્ટિએ વેપાર ઉદ્યોગ માટે ઉત્પાદન અને નફાને નુકસાન કરનારી ગણાય, પણ એ કેનાલ ઓગણીસમી સદીમાં એન્જિિનયરિંગનો અદ્દભુત નમૂનો ગણાતો હતો.
ધીમી ગતિએ થતી સફરનું એક સારું પરિણામ એ આવ્યું કે માર્ગમાં Alliedની ઘઉં સાફ કરીને દળવાની મીલ, રગ્બી ગ્રાઉન્ડ, માન્ચેસ્ટર યુનાઈટેડ ફૂટબોલ અને ઓલ્ડ ટ્રાફર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ, મુલર દહીં બનાવતી ડેરી, મોટા મોટા સ્ટીલ પ્લાન્ટ્સ, સ્ટીલના વાયર અને સાબુ બનાવતી ફેકટરીઓ, મીઠાને શુદ્ધ કરતી કેમિકલ ફેક્ટરી, LPG ગેસ, ક્રુડ ઓઈલ રીફાઈનરી, પેટ્રોલ ટેન્કરની હેરાફેરી, કેન રીસાઈકલ કરવાના પ્લાન્ટ, આદિત્ય બિરલા પ્લાન્ટ્સ અને એવા તો બીજા અનેક ઉદ્યોગો ચાલુ હાલતમાં જોવા મળ્યા, જે સામાન્ય રીતે માર્ગ વાહનનો ઉપયોગ કરતાં જોવા ન મળે. એક ઓઈલ રિફાનરી તો ઈ.સ. 1920માં બનેલી જે હજુ કામ કરે છે. તે એટલી મોટી છે કે તેની પાઈપ લાઈન, રેલવે અને રોડની જાળ સાત ચોરસ માઈલમાં ફેલાયેલી છે. ત્યાંથી ખનીજ તેલ લઈ જતાં લઈ આવતાં મહાકાય માલવાહક જહાજો જોયાં. આધુનિક રહેણી કરણીને પોષવા આ અનિવાર્ય અનિષ્ટ સ્વીકારવું રહ્યું.
આખી સફર દરમ્યાન અપાતી માહિતી પણ કંઈ ઓછી રસપ્રદ નહોતી. આ કેનાલના બાંધકામ અર્થે એન્જિિનયર, પથ્થરફોડ, કડિયા, લુહાર, સુથાર અને નેવીગેટર મળીને કુલ 27 હજાર માણસોને કામે લગાડ્યાનો અંદાજ છે, જેમાંના કેટલાક તો માત્ર 12 કે 13 વર્ષની કુમળી વયે સખ્ત કામ કરતા નોંધાયા છે. જમીન ખોદીને રેતી લઈ જવાનું કામ બે વર્ષ સારું ચાલ્યું, પણ આકારો શિયાળો આવતાં ખોરંભે પડ્યું. કેનાલના માર્ગમાં આવતાં ગામોમાં ત્રણ હોસ્પિટલ ખાસ બાંધવામાં આવેલી. 3,000 અકસ્માતો થયેલા જેમાં પગના ફ્રેકચર થવાના કિસ્સા સહુથી વધુ હતા. સ્ટોકપોર્ટથી શરૂ થતી મર્સી નદી 17 માઈલ લાંબી છે જે એક સ્થળે કેનાલને આવીને મળે છે. લિવરપૂલ અને સોલફર્ડ બે મુખ્ય બંદર ઉપરાંત નાનાં નાનાં સેટેલાઈટ બંદર પણ કેનાલ કિનારે જોવા મળ્યાં જ્યાં તરાપા પર 90થી 100 કન્ટેનર વાઈન, નેપી જેવી અનેક જીવન જરૂરિયાતની ચીજો લાવે લઈ જાય. આ રીતે માલ લઈ જવા લાવવાની રીત ઓછી ખર્ચાળ છે. વેપાર-ઉદ્યોગનો આટલો ફેલાવો જોતાં ઘડીભર મનમાં થયું કે અહીં ભારે પ્રદૂષણ હોય તો નવાઈ નહીં. પરંતુ ચેશાયર ઉત્તર પશ્ચિમની સહુથી મોટી કાઉન્ટી છે જ્યાં જનસંખ્યા ઓછી છે અને વનરાજી છુટ્ટે હાથે વેરાયેલી પડી છે. કેનાલમાં હંસ, બતક અને હેરન તથા બીજાં 39 જાતનાં પક્ષીઓ આરામથી તરતાં જોવા મળે જે સૂચવે છે કે કેનાલનું પાણી સારું છે અને પર્યાવરણના રક્ષણનો પ્રયત્ન અસરકારક રહ્યો છે.
લગભગ છ કલાક કેનાલની સફર કર્યા બાદ લિવરપૂલ બંદર પર ઉતર્યાં. જેમાં સહેલગાહ કરી તે ક્રુઝ શીપ અને લિવરપૂલના મ્યુિઝયમમાં જોયેલી – વાંચેલી માહિતીના સારરૂપ કેટલીક હકીકત રજૂ કરવા ચાહું છું. બ્રિટનનો ગુલામીના વેપારમાં શો ફાળો હતો એની નોંધ ઇતિહાસના પાને લખાઈ છે. ઈ.સ. 1800 સુધીમાં લિવરપૂલ આવતાં – જતાં વહાનોમાંથી ¼ ભાગનાં ગુલામીના વેપારમાં સક્રિય ભાગ લેનારાં હતાં એટલું જ નહીં, 10% વહાણો આફ્રિકાના ગુલામો ખરીદવાનું જ કામ કરતાં. ઈ.સ. 1834માં Duches of Clarence નામનું જહાજ ચીનથી ચા અને ખલાસીઓ લઈને લિવરપૂલ લાંગર્યું અને ત્યારથી લિવરપૂલમાં સહુથી જૂની ચાઇનીઝ વસાહતના શ્રીગણેશ થયા. ઈ.સ. 1840માં સેમ્યુઅલ ક્યુનાર્ડ નામના સાહસિકે Nova Scotia શીપીંગ કંપનીની સ્થાપના કરી અને ત્યારથી વહાણવટાના ઉદ્યોગને એક નવું પરિમાણ મળ્યું. સૌ પ્રથમ વરાળથી ચાલતું જહાજ લિવરપૂલ બંદરેથી ન્યુયોર્ક જવા રવાના થયેલું. એ માન કંઈ જેવું તેવું ન ગણાય. આ એ જ બંદર છે જ્યાંથી 1830થી 1930ના સો વર્ષના ગાળા દરમ્યાન આશરે 90,00,000 લોકો અમેરિકા અને ઓસ્ટ્રેલિયા પોતાનું નસીબ અજમાવવા ગયા. વળી ઔદ્યોગિક ક્રાંતિના એક મહત્ત્વના ભાગ જેવી વિકસેલ કાપડ મિલોને કાચો માલ પૂરો પાડવાનું કામ તે સમયના બ્રિટિશ સત્તા હેઠળના દેશોને ભાગે આવ્યું. ભારત સહિતના અનેક દેશોમાંથી – તેમના પર નિકાસ કર નાખીને જ તો – રૂની ગાંસડીઓ લિવરપૂલ બંદરે ઊતરતી, વહાણોમાં સોલફર્ડના બંદરે ઊતરતી અને ત્યાંથી બોલ્ટન, બ્લેકબર્ન, રોચડેલ, ઓલ્ડહમ વગેરે ગામોની કાપડ મિલમાં કાંતવા મોકલી અપાતી. એ તૈયાર થયેલ કાપડને ફરી એ ગામોમાંથી ગાંસડીમાં બાંધી, સોલફર્ડના બંદરેથી લિવરપૂલ પહોંચાડીને ગુલામ દેશોમાં તૈયાર માલ તરીકે વેંચવા મોકલી આપવામાં આવતું અને ખૂબી એ છે કે તે દેશોને પોતાના જ કાચા માલમાંથી પેદા થયેલ તૈયાર માલ પર આયાત કર પણ આપવો પડતો. આમ બંને બાજુ માર ખાધા પછી પણ ગુલામ દેશોની પીડાનો અંત ન આવ્યો કેમ કે મશીન દ્વારા પેદા થતા માલનો ભરાવો વધતાં ભારત અને બીજા ગુલામ દેશોનો કાપડનો હસ્તોદ્યોગ મરી પરવાર્યો અને લાખો લોકો બેરોજગાર બન્યા. માન્ચેસ્ટર શીપ કેનાલ થકી નોર્થ વેસ્ટ અને સારાયે યુનાઇટેડ કિંગ્ડમના ઉદ્યોગ-વ્યાપારને પારાવાર ફાયદો થયેલ એમાં શંકા નથી. અને આજે પણ તેને કિનારે અનેક નાના-મોટા ઉદ્યોગ-વ્યાપાર સફળતાથી નભી રહ્યા છે જે આનંદની વાત છે, પરંતુ માન્ચેસ્ટર શીપ કેનાલના ભૂતકાળના ઉદ્યોગ-વ્યાપારને યાદ કરીએ તો તેની સાથે જોડાયેલ ભારતના કાપડ ઉદ્યોગના પતનની કરુણ કથની દિલને દર્દથી ભર્યા વિના નથી રહેતી.
એ કેનાલના પથમાં આવતા ગામ રન્કોર્ન પાસે જેમ બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન વપરાયેલ મસ્ટર્ડ ગેસ બનાવવાની ફેક્ટરી હતી ત્યાં અત્યારે પ્રાકૃતિક સૌંદર્યનું સ્થળ ઊભું કરવામાં આવ્યું છે તેમ માન્ચેસ્ટર શીપ કેનાલના ભારત તથા અન્ય ગુલામ દેશો સાથેના શોષણ યુક્ત વેપાર-ઉદ્યોગના સ્થાને સ્થપાયેલ બ્રિટન અને ભારત વચ્ચેના સુમેળ ભર્યા રાજકીય અને વ્યાપારી સંબંધોની લીલી વાડીનું સ્મરણ કરીએ.
e.mail : 71abuch@gmail.com