૧૯૫૦ પછીનાં વર્ષોમાં થોડો વખત આપણે ત્યાં આધુનિકતાને નામે લેખકો અને તેમનાં લખાણો લોકોથી વિમુખ થવા લાગ્યાં. જે સાહિત્યિક હોય તે લોકપ્રિય ન થઈ શકે, અને જે લોકપ્રિય થાય તે સાહિત્યિક ન હોઈ શકે એવી એક (ગેર)સમજણ ફેલાવાઈ. આપણું લખેલું રખેને લોકોને સમજાઈ જશે એ બીકે લેખકો વધુ ને વધુ વાયવ્ય લેખન કરવા લાગ્યા. આધુનિકતાના પ્રચાર-પ્રસાર માટે ઘણાં લઘુ સામયિકો – લિટલ મેગેઝિન્સ – શરૂ થયાં. અને ઘણાંખરાં થોડા વખત પછી સમેટાઈ ગયાં. આ લઘુ સામયિકોની પહોંચ બહુ મર્યાદિત વાચકવર્ગ સુધી હતી, પણ સાહિત્યની દુનિયામાં તેમની આણ પ્રવર્તતી હતી. મનીષા, ક્ષિતિજ, એતદ્, રે, સંજ્ઞા, જેવાં આ પ્રકારનાં સામયિકોમાં તો ધારાવાહિક નવલકથાને અવકાશ જ નહોતો. ક્યારેક કોઈ સામયિક તો વળી તંત્રીઓની એવી નોંધ સાથે પણ પ્રગટ થતું કે ‘આ સામયિકમાં પ્રગટ થતી કૃતિઓ અમે સમજીએ જ છીએ એવું કોઈએ માની લેવું નહિ.’ સમજાઈ જાય એવી કૃતિઓ લખનારાઓ જાણે ગુનેગારો હોય તેવો હાઉ ઊભો થયો હતો. ગોવર્ધનરામ ત્રિપાઠી, કનૈયાલાલ મુનશી, રમણલાલ દેસાઈ જેવા નવલકથાકારોનું અવમૂલ્યાંકન કરવાના પ્રયત્નો થયા હતા. અને નવલકથાનો નાભિશ્વાસ ચાલી રહ્યો છે એવું નિદાન કરવામાં આવ્યું હતું. આપણા ઘણા લેખકો પર ભલે થોડો વખત, પણ આ આધુનિકતાની ભૂરકી છંટાઈ ગઈ હતી.
પછીથી છેક ૨૦૦૭માં વીનેશ અંતાણીએ નિખાલસતાથી લખ્યું: “મેં લખવાનું શરૂ કર્યું એ વખતે ગુજરાતી સાહિત્યમાં ચારેકોર પ્રયોગલક્ષી સર્જનની આબોહવા ચાલતી હતી … લાગતું હતું કે સાહિત્યમાં ટકવું હશે તો જે પ્રવાહ ચાલી રહ્યો છે તેમાં જ ખાબકવું પડશે.” પ્રયોગશીલ તરીકે વખણાયેલી બે નવલકથા લખી પણ ખરી. પછી તેઓ જ કહે છે : “પણ પછી મને લાગ્યું કે હું જે દિશામાં જઈ રહ્યો હતો એનાથી સંતુષ્ટ નહોતો.” અને તેમણે પોતાની નવલકથાઓનું સુકાન ફેરવ્યું અને સાહિત્યિકતાને જોખમાવ્યા વગર લોકો સુધી પહોંચનાર નવલકથાકાર બન્યા. બહુ ઓછા વાચકો સુધી માંડ માંડ પહોંચી શકતી કેટલીક લઘુનવલો અને નવલકથાઓને અમૂક જૂથ દ્વારા વખાણી વખાણીને છાપરે ચડાવવામાં આવી હતી. સમજાય કે ન સમજાય, અધ્યાપકો એવી કૃતિઓ ભણાવતા હતા અને વિદ્યાર્થીઓએ એ ભણવી પડતી હતી. આજે એ ‘આધુનિક,’ ‘પ્રયોગશીલ,’ ‘ઘટનાનો હ્રાસ’ કરીને લખનારાઓ, ‘ભાષાકર્મ’ની લીલા કરનારાઓ અને તેમની નવલકથા નામધારી કૃતિઓ ક્યાં ખોવાઈ ગયાં છે એની પણ ખબર પડતી નથી.
પણ કોઈ નવલકથા પહેલાં ધારાવાહિક પ્રગટ થઈ હોય તો અને તેથી તે ઉત્તમ કૃતિ બની જતી નથી, તેમ નિકૃષ્ટ કૃતિ પણ બની જતી નથી. ધારાવાહિક નવલકથા ત્રણ રીતે લખાતી હોય છે. કેટલાક લેખકો – મોટે ભાગે બહુ જાણીતા થઇ ચૂક્યા હોય તેવા – પહેલાં આખેઆખી નવલકથા લખી નાખે છે, અને પછી તેને ધારાવાહિક રૂપે પ્રગટ કરવા માટે સામાયિકના કે અખબારના તંત્રીને તે સોંપે છે. દર્શકની ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ને ઉદાહરણ રૂપે ધરી શકાય. તો બીજા કેટલાક લેખકો પહેલાં આઠ-દસ પ્રકરણ લખે છે, પછી તંત્રી સાથે ધારાવાહિક પ્રકાશનની વ્યવસ્થા ગોઠવે છે. શરૂઆતનાં પ્રકરણ પ્રગટ થવા લાગે એટલે નવલકથા આગળ લખાતી જાય છે અને છપાતી જાય છે. તંત્રી કે વાચકોના અભિપ્રાયની અસર ક્યારેક લેખન પર પડી પણ શકે. તો ત્રીજી રીત એ છે કે નવલકથાનો એક હપ્તો લખાય અને એ છપાય પછી બીજો, ત્રીજો … આવા લેખકો ‘ચેપ્ટર ટુ ચેપ્ટર’ લખતા અને જીવતા હોય છે. ચુનીલાલ મડિયાની ઘણી નવલકથા આ રીતે લખાયેલી. મેટર મોકલવાનો છેલ્લો દિવસ હોય ત્યારે મડિયા લખવા બેસે અને લખાઈ રહે કે તરત આંગડિયા દ્વારા તંત્રીને મોકલી દે.
આ પ્રકારનું લેખન કદાચ સૌથી વધુ જોખમી હોય છે. મડિયાની જ એક ખૂબ જાણીતી નવલકથા ‘લીલુડી ધરતી’માં કથાનાયક માંડણનો કોણી સુધીનો એક હાથ અકસ્માતમાં કપાઈ ગયો હતો તેમ શરૂઅાતના એક પ્રકરણમાં લેખકે કહેલું. ઘણાં પ્રકરણ પછી એ જ માંડણ એક ગૂનામાં સંડોવાય છે ત્યારે લેખકે લખી નાખ્યું : ‘પોલીસે આવીને માંડણના બંને કાંડે બેડીઓ પહેરાવી દીધી.’ કોણી સુધીનો એક હાથ અગાઉ કપાઈ ગયો હતો એ વાત જ લેખક ભૂલી ગયેલા. એક સાથે બે-ત્રણ ધારાવાહિક નવલકથા લખનાર લેખની એક નવલકથામાંનું કોઈ પાત્ર ભૂલથી બીજી નવલકથામાં ઘૂસી ગયું હોય એવું પણ બન્યું છે. વાચકોના પ્રતિભાવો – એટલે કે વખાણ – ના નશામાં લેખક કૃતિની જરૂરિયાતને બદલે વાચકોને વશ થઈને લખવા લાગે એવું પણ બને. જો કે કેટલાક લેખકો પુસ્તક રૂપે છપાવતાં પહેલાં આખી નવલકથા રી-રાઈટ કરતા હોય છે અને તે વખતે બધું સમુસુતર કરી લેતા હોય છે.
પણ આધુનિકતાની આબોહવા વચ્ચે પણ કેટલાંક સામયિકો અને અખબારોએ ધારાવાહિક નવલકથાને આઘી હડસેલી નહોતી. પણ એ અંગેનો વધુ રસિક ભાગ ક્યારેક હવે પછી.
સૌજન્ય : ‘ડાયરી’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 23 જૂન 2014