પ્રચાર વિકાસને બદલે કોમી ધ્રુવીકરણનો
ઘણા ખરા પ્રકાશકોની કોશિશ એમનું પુસ્તક મે 2024 પહેલા પ્રગટ ન થાય એવી હતી : આને ‘કટોકટી’ નહીં તો શું કહીશું ?
તે દિવસે પ્રભાકરને મળવા સાંભળવાનું થયું અને સહસા સાક્ષાત્કાર શું અનુભવાયું. એ કોઈ ઝમકદાર ભાષા પ્રયોજતા ચબરાક જણ નથી. નાણાં પ્રધાન નિર્મલા સીતારામનના એ પતિ છે, અને નમો નીતિના ટીકાકાર છે, એટલી સરળ ને સપાટ સમજૂત મારા ‘સાક્ષાત્કાર’ એ પ્રયોગની પૂંઠે નથી. જે.એન.યુ. અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના આ મેધાવી છાત્ર અને તેજસ્વી નિર્મલા બેઉ નમો ભા.જ.પ.થી આકર્ષાયા અને પક્ષ સાથે સંકળાયાં. 2014ની ચૂંટણીમાં નમો પાસે બે હુકમનાં પાનાં, પ્રભાકરને મતે હતા : વિકાસ અને સુશાસન. ગુજરાતની કામગીરી ને કારકિર્દી દરમિયાન, એક રક્તિમ પિછવાઈ છતાં, નમોએ સતત આલાપેલ રાગ ને બહેલાવેલ ખયાલ વિકાસનો હતો. વિકાસ અને સુશાસનને મુદ્દે એમણે ભા.જ.પ.ના અયોધ્યે રસ્યા પરંપરાગત સ્થાયી મતને વિસ્તારી જાણ્યો અને દિલ્હી પહોંચ્યા.
પ્રભાકર કહેતા હતા કે પહેલી મુદ્દતમાં તો નભી ગયું. વડા પ્રધાનના વિકાસલક્ષી ખયાલો અક્ષરશઃ આકર્ષક અનુભવાતા હતા. સ્વચ્છતા, સ્ટાર્ટઅપ, બેટી બચાઓ – બેટી પઢાઓ … નવા નવા ખયાલોની ગુંજ હવામાં હતી. પણ પોતે કોર્પોરેટ કન્સલ્ટન્ટ ને વિશ્લેષક રહ્યા. એમણે જે તે મંત્રાલયના વાર્ષિક હેવાલો ધ્યાનથી જોવા માંડ્યા. શરૂનાં વરસ બે વરસ પછી આ હેવાલોમાંથી પેલા આકર્ષક ખયાલોની તપસીલ ગાયલ થઈ ગઈ. (ભૂરકી છાંટવાની ભૂમિકા પતી ગઈ હતી ને!)
પ્રભાકર કહે છે તમે મને ધોરણસરનો ડેટા તો આપો. નાખી નજરે ક્યાં ય જણાતો નથી. એકવાર બધા સગડ પછી, દેશમાં ગરીબીની રેખા નીચેનાં જીવતરનો ભરોસાપાત્ર અંદાજ વાયા વાયા હાથ લાગ્યો ત્યારે સમજાયું કે, કેવળ 2021માં જ આ સંખ્યામાં ખાસા સાડા સાત કરોડ લોકોનો વધારો થયો છે. 2016 પછી બેરોજગારીનો કોઈ સત્તાવાર આંકડો સુલભ નથી. ભોગજોગે નેશનલ સેમ્પલ સર્વે ઑફિસમાંથી ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’ વાટે વિગતો લીક થઈ તો માલૂમ પડ્યું કે, 2017-18માં આપણો બેરોજગારીનો દર છેલ્લાં પિસ્તાલીસ વરસમાં સૌથી ઊંચો હતો – 6.1 ટકા. એ જ રીતે માર્ચ 2023માં લીક થયેલી માહિતી પ્રમાણે બેરોજગારીનો દર 7.76 ટકા એ પહોંચ્યો હતો. માર્ચ 2023માં વૃદ્ધિ દર ખાસા તેર સાડા તેર ટકાને આંબી ગયાના વિશ્વગુરુ દાવા સામે પ્રભાકરની હો ટૂક વાત છે કે, આગલાં બે વરસ કોરોનાને કારણે વિષમપણે પસાર થયાં તેની તુલનામાં આ વધારો દર્શાવાય છે. બાકી, વાસ્તવમાં કોરોના પેન્ડેમિક પૂર્વે હતી તે આર્થિક અવસ્થાએ આપણે હજુ પાછા ફરી શક્યા નથી. નોટબંધી પછી નાના ને મધ્યમ ઉદ્યોગોનો ખાસો હિસ્સો હજુ વાસ્તવમાં ઊભો થઈ શક્યો જ નથી. માનવ વિકાસ સૂચકાંકના આંકડા વિશ્વસ્તરે વિશ્વસનીય રીતે સુલભ છે. તે પ્રમાણે 2022માં 191 દેશોમાં આપણે 132મા ક્રમે હતા, − આગલે વરસે 101મે ક્રમે હતા, પણ … સરકાર અને અગ્રવર્ગ વિકાસના એક નિદર્શન રૂપે આપણે ત્યાં અબજોપતિ 55થી વધીને 146 થઈ ગયા છે એનો હવાલો આપે છે !
2014ના મોદી તરફી આશાઅપેક્ષાવાદ સામે 2019ની એ ભોંઠામણ પ્રભાકર બેબાક વર્ણવે છે કે, આખો પ્રચાર હવે વિકાસને બદલે કોમી ધ્રુવીકરણની તરજ ને તરાહ પરનો માલૂમ પડે છે. પ્રકૃતિ યાન્તિ ભૂતાનિ. આ અનવસ્થા, ક્યારેક એમણે અને નિર્મલાએ મોદી ભા.જ.પ. પરત્વે જે સપનાં જોયાં હતાં તેની સામે પ્રભાકરથી સહેવાતી નથી.
બીજી ઘણી વાતો કરવા સાંભળવાનું બન્યું. પણ એક ઉલ્લેખ અને બસ! કટોકટી સાથે આ દિવસોની સરખામણી સબબ એમણે દાખલો આપ્યો કે. મારું પુસ્તક ‘The Crooked Timber of New India’ (Essays on A Republic in Crisis) કેટલા બધા પ્રકાશકોએ હમણાં કોરોનાને કારણે નહીં તેમ કહી ટાળ્યું, કોઈકે જરી ખુલ્લું મન દાખવ્યું. એણે કહ્યું કે, કોરોના પછી વરસેક થાય ત્યારે વિચારી શકાય … સરવાળે બધા 2024 મે કુદાવવા માગતા હતા. સદ્દભાગ્યે, Speacking Tigerએ હિંમત કરી અને 2023માં આ પુસ્તક આવી શક્યું.
પ્રભાકર તેલુગુ ભાષાના અચ્છા સાહિત્યસેવી છે, સંગીતજ્ઞ ને વળી ચેસના ખેલંદા છે. ટુ ટ્યૂબ પર ‘મિડવીક મેટર્સ’ અને તેલુગુ વર્લ્ડ વાઈડમાં સાહિત્ય, સંસ્કૃતિ ને સમાજની ચર્ચા સારુયે જાણીતા, એટલે કે એકંદરે સંજય બારુના શબ્દોમાં ‘રેનેસાં મેન’ છે.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 27 જુલાઈ 2023
Language English and Gujarati
Conversation with Dr Prabhakar Parakala is in English, rest is in Gujarati
Book Release Function of The Crooked Timber of New India : Essays on a Republic in Crisis on July 20, 2023 at Gujarati Sahitya Parishad, Ahmedabad
https://www.youtube.com/watch?v=BYQdK0cpBmA