મેં મારી કોલમમાં એકાદ-બે વાર લખ્યું છે કે આઝાદ ભારતનાં કપાળ પર પાંચ કલંક લાગેલાં છે એમાં એક ૧૯૮૪માં મુખ્યત્વે દિલ્હી શહેરમાં અને ઉત્તર ભારતમાં સિખોનો કરવામાં આવેલો નરસંહાર છે. એ નરસંહારમાં એકલા દિલ્હી શહેરમાં ૨,૭૩૩ સિખોની હત્યા કરવામાં આવી હતી અને ઉત્તર ભારતમાં કુલ મળીને ૩,૩૫૦ સિખોની હત્યા કરવામાં આવી હતી. બીજાં ચાર કલંકો છે; મહાત્મા ગાંધીની હત્યા, ઈમરજન્સી, બાબરી મસ્જિદને તોડી પાડવી અને ૨૦૦૨માં ગુજરાતમાં કરવામાં આવેલો મુસલમાનોનો નરસંહાર. ત્રણ કલંક હિન્દુત્વવાદીઓએ દેશના કપાળે લગાડયાં છે અને બે કૉન્ગ્રેસે.
અહીં ગણાવવામાં આવેલાં પાંચ કલંક ભૂંસી શકાય એમ નથી, પણ એક કલંક એવું છે જે ભૂંસી શકાય એમ છે, પણ જાણીબૂજીને ભૂંસવામાં આવતું નથી અને એ છે; બિસ્માર ન્યાયતંત્ર. બિસ્માર કાનૂની પ્રક્રિયા (ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ. દિલ્હીમાં સિખોનો નરસંહાર ૧૯૮૪માં થયો હતો અને આજે ૩૪ વરસ પછી ન્યાય મળ્યો છે અને એ પણ આંશિક. દિલ્હીના કૉન્ગ્રેસી નેતા સજ્જન કુમારને દિલ્હીની વડી અદાલતે આજીવન કારાવાસની સજા કરી છે. હજુ તો સર્વોચ્ચ અદાલતમાં અપીલ બાકી છે. આંશિક એ અર્થમાં પણ ખરો કે નરસંહારનું નેતૃત્વ કરવાનો જેના ઉપર આરોપ હતા અને જેની સંડોવણી વિષે લોકો ખાતરીથી કહે છે એવા કેટલાક લોકો સત્તા ભોગવીને ઉપર પણ જતા રહ્યા છે. પદ અને પ્રતિષ્ઠા ભોગવીને તેઓ ઉપર જતા રહ્યા ત્યાં સુધી લકવાગ્રસ્ત ન્યાયતંત્ર તેમની ગરદન સુધી પહોંચી શક્યું નહોતું. તમને યાદ હશે કે એ જ વરસમાં, ઇન્દિરા ગાંધીની હત્યા પછી તરત ભોપાળમાં ગેસગળતરની ઘટના બની હતી જેમાં ૩,૭૦૦ કરતાં વધુ લોકો માર્યા ગયા હતા. મૃતકોના સગાંઓને હજુ આજે પણ ન્યાય નથી મળ્યો.
દિલ્હીની વડી અદાલતના ચુકાદાનું સ્વાગત કરતાં કેન્દ્રના કાયદા પ્રધાન અરુણ જેટલીએ કહ્યું છે કે કૉન્ગ્રેસને તેના પાપની સજા મળી છે. તેઓ બીજા કોઈ ખાતાના પ્રધાન હોત તો પ્રતિવાદ કરવાની જરૂર નહોતી, પરંતુ અરુણ જેટલી કાયદા પ્રધાન છે ત્યારે પૂછવું જોઈએ કે ૩૪ વરસે એક માણસને સજા થાય અને બાકીના બીજા આરોપીઓ પદ અને પ્રતિષ્ઠા ભોગવીને સજા પામ્યા વિના કુદરતી મૃત્યુ પામીને જતા રહે એને પાપની સજા કહેવાય? બીજું દેશને પાપની સજાની જરૂર નથી, ગુનાની સજા જોઈએ છે અને એ પણ બાંધી મુદ્દતમાં કાયદા દ્વારા ખટલો ચાલ્યા પછી કસુરવાર હોય તો જ. આ દેશના કાયદા પ્રધાન – જે પોતે ખ્યાતનામ વકીલ છે – તે કાયદાની, કાયદાના પહોંચની અને કાયદાના રાજની વાત કરવાની જગ્યાએ પાપ-પુણ્યની વાતો કરતા હોય ત્યાં તમે ન્યાયની શું અપેક્ષા રાખો?
આજકાલ અરુણ જેટલી બ્લોગ ઉપર જેટલા સક્રિય છે એટલા તેમના મંત્રાલયમાં સક્રિય નથી. એમ લાગે છે કે તેમણે દિલ્હીની વડી અદાલતના ન્યાયમૂર્તિઓનો ચુકાદો વાંચ્યા પહેલાં ઉતાવળે પ્રતિક્રિયા આપી છે. ન્યાયમૂર્તિઓએ તેમના ચુકાદામાં કહ્યું છે કે દેશ આઝાદ થયો એ પછીથી રાજકીય લાભો માટે ગણતરીપૂર્વકનું કોમી ધ્રુવીકરણ કરવામાં આવી રહ્યું છે અને એમાં જીનોસાઈડ (ગણતરીપૂર્વકનો એક જ કોમનો નરસંહાર) કરવાની ઘટનાઓ પણ બનતી આવી છે જે શરમજનક છે. જજસાહેબોએ આવી ઘટનાઓને ક્રાઈમ્સ અગેન્સ્ટ હ્યુમેનિટી તરીકે ઓળખાવી છે. આવી ઘટનાઓમાં ન્યાયમૂર્તિઓએ ૧૯૯૩ની મુંબઈની ઘટના, ૨૦૦૨ની ગુજરાતની ઘટના, ૨૦૦૮ની ઓડીશામાં બનેલી કંધમાલની ઘટના અને ૨૦૧૩માં ઉત્તર પ્રદેશમાં મુઝફ્ફરનગરમાં બનેલી ઘટનાઓને ઓળખાવી છે. આ બધી ઘટનાઓમાં લઘુમતી કોમને ટાર્ગેટ કરવામાં આવી હતી અને ગુનેગારો હિન્દુત્વવાદીઓ હતા. આમાંની કોઈ ઘટનામાં એકેએક ગુનેગારોને હજુ સુધી સજા થઈ નથી અને જે થઈ છે એ નાના ગુનેગારોને થઈ છે.
દિલ્હીની વડી અદાલતના ન્યાયમૂર્તિઓએ આપેલો ચુકાદો મનનીય છે. તેમણે કહ્યું છે કે રાજકીય ઈરાદાથી કરવામાં આવતા સામૂહિક નરસંહારને કોમી હુલ્લડ તરીકે ખપાવીને જે રીતે ઉપલબ્ધ ફોઝદારી કાયદાઓ હેઠળ ખટલા ચલાવવામાં આવે છે એ પર્યાપ્ત નથી. આમાં ગુનાનો શિકાર બનેલાઓને ન્યાય મળતો નથી અને મળે તો પણ એ કલંક મિટાવી શકે એમ નથી. હજાર-બે હજાર માણસોની પ્રતિક્રિયાને નામે હત્યા કરવામાં આવે એ સભ્ય દેશમાં કેમ ચલાવી લેવાય? દિલ્હીની વડી અદાલતના ન્યાયમૂર્તિઓએ સામૂહિક નરસંહાર માટે અલગ અને આકરા કાયદા ઘડવાની ભલામણ કરી છે. ખાસ અદાલત પણ હોઈ શકે. કેન્દ્રના કાયદા પ્રધાને આ વિષે પણ પોતાનો મત આપવો જોઈએ.
૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી નવી રચાયેલી રાજીવ ગાંધીની સરકારે કૉન્ગ્રેસીઓને ત્રણ દિવસ આપ્યા હતા. ત્રણ દિવસમાં વેર વાળવું હોય એટલું વાળી લો. પોલીસ આંખ આડા કાન કરશે અને લશ્કરને મોડેથી મુકવામાં આવશે. ન્યાયમૂર્તિ સીકરીના લોકપંચમાં આ હકીકત સાબિત થઈ ગઈ છે. આવું જ ૨૦૦૨માં ગુજરાતમાં થયું હતું. ત્રણ દિવસ. કાયદો હાથમાં લો અને વેર વાળો. એવી ઊભી કોમી તિરાડ પાડો કે આપોઆપ મત ઝોળીમાં આવી જાય. ત્રણ દિવસ પછી વડા પ્રધાન રાજીવ ગાંધીએ કહ્યું હતું કે એ તો વડલો જ્યારે ધરાશયી થાય ત્યારે થોડી ધરતી તો ધ્રુજે, જેમ ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ક્રિયા સામે પ્રતિક્રિયા તો પેદા થાય એમાં નવું શું છે? વિજ્ઞાનનો નિયમ છે. આ બન્ને નિવેદનો અસંવેદનશીલતાની ચરમસીમારૂપ હતાં.
એટલે તો દિલ્હીની વડી અદાલતના ન્યાયમૂર્તિઓએ સજ્જન કુમારના બચાવમાં કરવામાં આવેલી દલીલો ફગાવી દેતા સવાલ કર્યો છે કે પ્રતિક્રિયા આવી હોય? એક જ કોમને ટાર્ગેટ બનાવવામાં આવે, વીણીવીણીને મારવામાં આવે, ત્રણ ત્રણ દિવસ સુધી સ્થિતિ કાબૂમાં લેવામાં ન આવે, પોલીસ આંખ આડા કાન કરે અથવા ગુનામાં ભાગીદાર હોય અને એ પછી ક્યારે ય અંત ન આવે એવી તપાસોની વણઝાર શરૂ થાય. આને ગુસ્સે ભરાયેલા લોકોની પ્રતિક્રિયા કહેવાય કે નરસંહાર કહેવાય? ન્યાયમૂર્તિઓએ કહ્યું છે કે દસ જેટલી કમિટીઓ અને તપાસપંચોએ તપાસ કર્યા પછી છેક ૨૧ વરસે સજ્જન કુમાર સામે તપાસ થઈ હતી અને આરોપનામું નોંધાયું હતું. એમાં પણ નીચલી અદાલતે તો સજ્જન કુમારને નિર્દોષ છોડી મુક્યા હતા. વડી અદાલતે કાચો ચુકાદો આપવા માટે નીચલી અદાલતની ટીકા કરી છે અને ભોગ બનેલાઓને ન્યાય મળતાં ૩૪ વરસ લાગ્યાં એ માટે ખેદ પણ પ્રગટ કર્યો છે.
કાયદાના હાથ લાંબા હોય છે, સત્યનો વિજય થઈને જ રહે છે, પાપની સજા મળતી જ હોય છે, દેર હોય છે પણ અંધેર નહીં વગેરે વાતો કરીને આશ્વાસન મેળવવાનો કોઈ અર્થ નથી. કાયદાની પ્રક્રિયા અને ન્યાયતંત્ર સક્ષમ હોવાં જોઈએ અને એ માટે નાગરિક સમાજે ઊહાપોહ કરતા રહેવું જોઈએ. કાયદો સજ્જન કુમારને કોલરથી પકડી શક્યો એનું કારણ જજોની ફરજપરસ્તી અને લાજશરમ છે. હિંસક રાજકારણનો શિકાર બનેલા નિર્દોષ વિક્ટિમને ન્યાય પણ ન આપી શકીએ તો આપણે શેના ન્યાયાધીશ અને આ ખુરશી પર બેસવાનો શો અર્થ એવું વિચારનારા જજો દેશને હજુ સુધી તો મળતા રહે છે. આવા જજોના કારણે રાહત મળે, કહો કે નિરાશામાં કળ વળે એવી સુખદ ઘટનાઓ અદાલતોમાં સર્જાતી રહે છે. અત્યારે જે અપવાદ છે એ નિયમ બનવો જોઈએ.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 19 ડિસેમ્બર 2018