ગઈકાલે જોયું એમ સર્વોચ્ચ અદાલતે રાફેલના સોદાની તપાસ કરવામાં આવે એવી અરજી ફગાવી દેતાં દલીલ કરી હતી કે સોદાના ભાવતાલ અંગેની ચકાસણી કૉમ્પ્ટ્રોલર એન્ડ ઑડિટર જનરલ(કૅગ)એ કરી છે, કૅગનો અહેવાલ જાહેર હિસાબ સમિતિએ ચકાસ્યો છે અને તેની સુધારેલી આવૃત્તિ સંસદમાં રજૂ કરવામાં આવી છે, એટલે સોદાની આખી પ્રક્રિયા લોકો જોઈ – ચકાસી શકે એવી ખુલ્લી છે. જે ઉઘાડું છે એની તપાસ શું કરવાની? ચુકાદો આવ્યો એ જ દિવસે રાહુલ ગાંધીએ જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષને પત્રકારો સમક્ષ ઉપસ્થિત કરીને જૂઠનો ભાંડો ફોડી નાખ્યો. સપડાઈ ગયેલી સરકારે તરત જ સર્વોચ્ચ અદાલતમાં જઇને કહ્યું કે બંધ પરબીડિયામાં આપવામાં આવેલી વિગતો ખોટી રીતે સમજવામાં આવી છે અને એને આ રીતે વાંચવી જોઈએ, વગેરે વગેરે.
પહેલી વાત તો એ કે આ બંધ પરબીડિયાનું નોનસેન્સ બંધ થવું જોઈએ. ન્યાય થવો પણ જોઈએ અને ન્યાય થતો નજરે પડવો પણ જોઈએ એમ ન્યાયશાસ્ત્ર કહે છે. એટલે તો ઓપન કૉર્ટ એવો શબ્દપ્રયોગ તમે સાંભળ્યો હશે. તમે ઈચ્છો તો દેશની કોઈ પણ અદાલતમાં બેસી શકો છો અને ન્યાયની પ્રક્રિયા નિહાળી શકો છો. તમને એની પણ જાણ હશે કે જ્યારે બંધ કમરામાં (ઇન કેમેરા) સુનાવણી જરૂરી લાગતી હોય ત્યારે ખાસ પરવાનગી લેવી પડતી હોય છે અને એવી પરવાનગી સ્ત્રી સાથે કરવામાં આવેલા બળાત્કાર જેવા અપવાદરૂપ ખટલામાં આપવામાં આવે છે. એ પણ કોઈ અંગત કુટુંબીએ કર્યો હોય ત્યારે, બહારની કોઈ વ્યક્તિએ કર્યો હોય તો નહીં.
આજકાલ કારણ વિના બંધ પરબીડિયાનું નોનસેન્સ વધી રહ્યું છે. રાફેલ સોદાની વિગતો સર્વોચ્ચ અદાલતે પોતે બંધ પરબીડિયામાં માગી હતી, કારણ કે સંરક્ષણ જેવી સંવેદનશીલ બાબત તેની સાથે સંકળાયેલી છે. સર્વોચ્ચ અદાલતની સંરક્ષણ અંગેની ચિંતા આપણે ઘડીભર સ્વીકારી પણ લઈએ, પરંતુ બૅન્કોને નવડાવી નાખનારાઓની યાદીનું બંધ પરબીડિયું શું કામ ખોલવામાં નથી આવતું? ડૉ. રઘુરામ રાજન રિઝર્વ બેન્કના ગવર્નર હતા, ત્યારથી પરબીડિયું સર્વોચ્ચ અદાલતમાં પડ્યું છે અને બંધનું બંધ છે. એ શા માટે ખોલવામાં નથી આવતું? એમાં દેશની રક્ષાનો તો કોઈ તકાદો નથી! આઠ વરસ પહેલાં સિનિયર એડવોકેટ શાંતિ ભૂષણે ભ્રષ્ટ ન્યાયાધીશોની એક યાદી બંધ પરબીડિયામાં સર્વોચ્ચ અદાલતને આપી હતી. એ પરબીડિયું પણ હજુ સુધી બંધ છે.
જો સર્વોચ્ચ અદાલતે બંધ પરબીડિયાની વિગતો અરજકર્તાઓને આપી હોત, તો સર્વોચ્ચ અદાલતની પ્રતિષ્ઠા ન ઝંખવાઈ હોત. અદાલત કહે છે એમ સરકારી દાવા મુજબ ખુલ્લી વિગતો જ ખુલ્લી કરવાની હતી, કોઈ ગોપિત રહસ્યો તો આપવાનાં નહોતાં. પણ મામલો જેવો દેખાય છે એવો સરળ નથી. અદાલતના ચુકાદામાં અસંખ્ય વિરોધાભાસો છે. અસંખ્ય એટલે અસંખ્ય. એટલે તો કોલકત્તાના ‘ધિ ટેલીગ્રાફ’ નામના અંગ્રેજી અખબારે તેના શનિવારના અંકમાં સર્વોચ્ચ અદાલતના ચુકાદાના અહેવાલનું મથાળું આપવાની જગ્યાએ સાત કૉલમમાં નવ પ્રશ્ન-ચિહ્ન મૂક્યાં છે. એક પણ શબ્દ નહીં, માત્ર પ્રશ્ન-ચિહ્ન. સર્વોચ્ચ અદાલતે ચુકાદો નથી આપ્યો, પ્રશ્નો પેદા કર્યા છે અને છે એને ગૂંચવ્યા છે.
અદાલતે બંધ પરબીડિયાનો આશરો લઈને કહ્યું છે કે બધું ઉઘાડું છે એટલે તપાસ કરવાની જરૂર નથી. અદાલતે બીજી જગ્યાએ કહ્યું છે કે અમે (જજોએ) નક્કી કરવામાં આવેલા ભાવ-તાલની ઝીણવટભરી તપાસ કરી છે અને બધું બરોબર છે. અદાલતે વળી ત્રીજી જગ્યાએ કહ્યું છે કે ડિફેન્સ ટેકનોલોજી, ઈક્વિપમેન્ટ્સ અને તેના ભાવની વિગતો એટલી ટેકનિકલ હોય છે કે તેની ચકાસણી કરવાની સજ્જતા અદાલત ધરાવતી નથી. અદાલતે ચોથી જગ્યાએ કહ્યું છે કે આપણા દુશ્મન પાડોશી દેશો પાસે ફોર્થ જનરેશન લડાકુ વિમાનો છે એટલે આપણે સજ્જ બનવું જ રહ્યું અને માટે વિઘ્નો નાખવાનાં ન હોય. અદાલતે પાંચમી જગ્યાએ ઍર ફોર્સના અધિકારીઓની જુબાની નોંધીને લડાકુ વિમાન મેળવવામાં ઘણો વિલંબ થયો છે એની નોંધ લીધી છે, પરંતુ ભારત ફોર એન્ડ એ હાફ જનરેશન સુખોઈ વિમાન ધરાવે છે એવી જુબાનીની નોંધ નથી લીધી. બાય ધ વે, આ વિમાનો હિન્દુસ્તાન ઍરોનોટિક લિમિટેડ બનાવે છે.
અદાલતે છઠ્ઠી જગ્યાએ સરકારનો અને રાફેલ વિમાન બનાવનારી કંપનીનો દાવો પડકાર્યા વિના કબૂલ રાખ્યો છે કે ૨૦૧૫માં રિલાયન્સનો અચાનક પ્રવેશ નથી થયો, પરંતુ ૨૦૧૨થી ડૅસ્સોલ્ટ અને રિલાયન્સ વચ્ચે ભાગીદારી છે. અચ્છા? એ કઈ રીતે? તો કે ડૅસ્સોલ્ટની મૂકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે ૨૦૧૨થી વ્યાવસાયિક ભાગીદારી છે અને અનિલ અંબાણીની કંપની તેની સબસિડિયરી કંપની છે. બે ભાઈઓ વચ્ચે ખાસ અંગત સંબંધ નથી ત્યાં વ્યાવસાયિક સંબંધ તો દૂરની વાત છે એ ભારતમાં નાનું છોકરું જાણે છે, પરંતુ અદાલતને જાણ નથી. બીજું મૂકેશ અંબાણીની કંપની અઢળક કમાય છે જ્યારે અનિલ અંબાણી દેવાદાર છે. ટૂંકમાં ઘઉં, કાંકરા અને ઈયળ એમ બધું જ આ ચુકાદામાં છે. સાતમી જગ્યાએ અદાલતે અરજદારોના વારંવારના આગ્રહ છતાં ભૂતપૂર્વ ફ્રેંચ પ્રમુખ હોલાંડેના નિવેદનને લક્ષમાં લીધું નથી અને આઠમી જગ્યાએ ફ્રેંચ સરકારની સોદામાં વળતી ગેરંટીના અભાવને પણ લક્ષમાં લીધો નથી. આગલા સોદામાં ફ્રેંચ સરકાર ગેરંટર હતી જે રિલાયન્સવાળા સોદામાં નથી. આ બધા ઉલ્લેખો ઉડાઉ પ્રકારના છે.
આ તો થોડા નમૂના માત્ર છે. આવાં વીસ કરતાં વધુ બાકોરાં છે.
એમ લાગે છે કે અદાલતે બહુ તર્કનો ઉપયોગ કર્યો નથી. નોન એપ્લિકેશન ઓફ માઈન્ડ જેવો ચુકાદો છે. જો ટેકનિકલ વિગતો બહુ સમજાતી ન હોય તો ઍમિકસ ક્યુરીની એટલે કે જાણકાર વ્યક્તિની મદદ લેવાની કાયદામાં જોગવાઈ છે. જજોને આ જગતના દરેક પ્રશ્નો સમજાતા હોય એવું જરૂરી નથી, પરંતુ ખટલા દરેક પ્રકારના આવતા હોય છે અને અદાલતે સાંભળવા પડતા હોય છે. ટેકનીનિકલ બાબત છે અથવા દેશના સંરક્ષણનો મામલો છે એમ કહીને અદાલત હાથ ઊંચા ન કરી શકે. એક શક્યતા એવી પણ છે કે અદાલત દબાવતંત્રનો શિકાર બની હોય. વર્તમાન સરકાર દરેક લોકતાંત્રિક સંસ્થાને દબાવવા દબાવતંત્રનો ઉપયોગ કરે છે.
ખેર હવે શું? ઉત્તમ એ છે કે સર્વોચ્ચ અદાલત પોતાના ચુકાદાને સામે ચાલીને રિવ્યુ કરે. મોકો પણ છે, કારણ કે કેન્દ્ર સરકારે બંધ પરબીડિયામાં ખોટી રજૂઆત કરી હતી. બીજો માર્ગ અરજદારો રિવ્યુ પિટિશન કરે જે પાંચ જજોની ખંડપીઠ સાંભળે. ત્રણ ચુકાદો આપનારા ન્યાયમૂર્તિઓ ઉપરાંત નવા બે. અદાલત આમાંથી કયો રસ્તો અપનાવે છે એ મુખ્ય ન્યાયમૂર્તિ વિદેશથી પાછા ફરશે એ પછી જાણ થશે. અરુણ શૌરીએ કહ્યું છે કે જજની અદાલતમાં જ્યારે ખટલો ચાલતો હોય છે ત્યારે જજની ન્યાયનિષ્ઠા વિષે પણ સમાંતરે ખટલો ચાલતો હોય છે અને એમાં જજે ખરા ઊતરવું પડતું હોય છે.
બીજી બાજુ કેન્દ્ર સરકાર જો સતી સાવિત્રી જેવી પવિત્ર હોય તો રાફેલની તપાસ કરવા સંયુક્ત સંસદીય સમિતિ રચવી જોઈએ. બોફોર્સ સોદાની તપાસ કરવા માટે રાજીવ ગાંધીની સરકારે રચી હતી. જી હાં, ક્વૉત્રોચી મામા સામે રાજીવ ગાંધીએ તપાસ થવા દીધી હતી તો અનિલભૈયા સામે પણ થઈ જાય! એમાં ડરવાનું શું છે જ્યારે દામન સાફ છે?
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 18 ડિસેમ્બર 2018