Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9376291
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજી : બે નવાં વિશિષ્ટ પુસ્તકોની આંખે

ઉર્વીશ કોઠારી|Gandhiana|17 December 2018

દેશમાં જ નહીં, દુનિયામાં પણ જેમના વિશે વરસોવરસ સતત લખાતું રહેતું હોય, એવાં કેટલાંક પાત્રોમાં ગાંધીજીનો સમાવેશ થાય. આદરભાવે કે ટીકાભાવે, સમજવા કે ઝાટકવા કે પછી સસ્તા વિવાદો પ્રેરીને ધંધો કરી લેવા માટે ગાંધીજી વિશે પુસ્તકો પર પુસ્તકો લખાયાં જ કરે છે, એવા સંજોગોમાં સ્વાભાવિક સવાલ થાય કે હવે કોઈએ ગાંધીજી વિશે નવું શું લખવાનું હોય? અને એ પણ આખેઆખું જીવનચરિત્ર?

પરંતુ રામચંદ્ર ગુહાએ લખેલું અને ગયા મહિને પ્રગટ થયેલું ગાંધીજીનું જીવનચરિત્ર જોયા પછી એ સવાલનો સુખદ આશ્ચર્ય ઉપજાવતો જવાબ મળે છે. ગુહાના કામથી પરિચિત લોકોને એવો જવાબ અપેક્ષિત પણ હોય. કારણ કે અગાઉ તે આઝાદી પછીના ભારતનો સળંગસૂત્ર ઇતિહાસ લગભગ ૮૦૦ પાનાંના દળદાર ગ્રંથ ’ઇન્ડિયા આફ્ટર ગાંધી’માં લખી ચૂક્યા છે, તો દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનાં વર્ષો વિશે તેમણે’ ગાંધી બીફોર ઇન્ડિયા’ નામનું વિગતસમૃદ્ધ પુસ્તક લખ્યું છે. હિંદુત્વના સંકુચિત રાજકારણનો વિરોધ કરતાં કેટલાંક લખાણો ટાંકીને ગુહાને વિભાજનકારી પરિબળો ભેગા મૂકી દેનારાની અક્કલની દયા ખાવી રહી અને એવી અક્કલવાળાઓ તેમના નિર્ણયો આપણા પર ઠોકી બેસાડી શકે છે, તેના માટે ઘેરો શોક કરવો રહ્યો. બાકી, ગુહાને વિભાજનકારી બળો સાથે સાંકળવા ઉત્સાહી સ્વઘોષિત દેશપ્રેમીઓ રાજકારણ તો ઠીક, પર્યાવરણ કે ક્રિકેટ વિશેના ગુહાના લેખ વાંચે તો પણ તેમને ખ્યાલ આવે કે ગુહા કેવા પ્રખર છતાં સરળ બૌદ્ધિક છે અને એવા બૌદ્ધિકોની દેશને કેટલી જરૂર છે. ગુહાનું લેટેસ્ટ પુસ્તક ‘ગાંધી : ધ યર્સ ધેટ ચેન્જ્ડ ધ વર્લ્ડ, ૧૯૧૪-૧૯૪૮’ એ હકીકતને ફરી એક વાર ઘૂંટી આપે છે. લગભગ સવાસો પાનાંમાં પથરાયેલી સંદર્ભસૂચિઓ સહિત ૧૧૨૯ પાનાંનો આ દળદાર ગ્રંથ ગાંધીજીનાં જીવનચરિત્રોમાં જુદી ભાત પાડે છે.

હજુ ગયા મહિને જ જાણીતા ગાંધીઅભ્યાસી ત્રિદીપ સુહૃદે ગાંધીજીની આત્મકથાની સમીક્ષાત્મક આવૃત્તિ આપી. ગાંધીજીએ સ્થાપેલી પ્રકાશનસંસ્થા’ નવજીવન’ દ્વારા પ્રગટ થયેલી એ આવૃત્તિમાં ઝીણી-ઝીણી અનેક બાબતોના બહુ ઉપયોગી સંદર્ભો – જેમ કે, ગાંધીજીના લખાણમાં કોઈ પાત્રનો, ઘટનાનો, કાયદાનો કે સ્થળનો ઉલ્લેખ આવતો હોય, તો હાંસિયામાં તેના વિશે ટૂંકમાં માહિતી આપેલી છે. અસલમાં ‘ગાંધીજીનો અક્ષરદેહ’માં થયેલા કામમાં ત્રિદીપ સુહૃદે બીજા ઘણા ઉમેરા કરીને અંગ્રેજી તેમ જ ગુજરાતીમાં ‘સત્યના પ્રયોગો’ની આવૃત્તિ તૈયાર કરી છે. હવે કોઈને આત્મકથા વાંચવી હોય તો આ જ આવૃત્તિ સૂચવવાનું મન થાય.

'આત્મકથા'ની સમીક્ષિત આવૃત્તિનું એક પાનું

૧૯૨૦ના દાયકામાં પહેલી વાર બહાર પડેલી ‘સત્યના પ્રયોગો’ની લગભગ એક સદી પછી રામચંદ્ર ગુહાએ આપેલા ગાંધીજીના ચરિત્ર વચ્ચેના ગાળામાં ગાંધીસાહિત્યનો ભંડાર ખડકાયેલો છે, પરંતુ ગુહાએ લખેલા ચરિત્રમાં એવી ઘણી બાબતો છે, જે પહેલી વાર આવી હોય. તેમણે નોંધ્યા પ્રમાણે, ગાંધીજીના અંતેવાસી અને છેલ્લાં વર્ષોમાં તેમના સચિવ બનેલા પ્યારેલાલ (નાયર) પાસે એવી અઢળક સામગ્રી હતી, જે ‘અક્ષરદેહ’ના સંપાદકો સુધી પહોંચી ન હતી. એ સિવાય દેશવિદેશના માહિતીખજાનામાંથી તથા સરકારી અહેવાલો – ખાનગી રિપોર્ટ અને અગાઉ કોઈને જોવા ન મળ્યા હોય, તેવા પત્રવ્યવહારોમાંથી પણ ગુહા ઘણું નવું લઈ આવ્યા છે.

ગાંધીજીનાં ઘણાંખરાં ચરિત્રોમાં તેમના સચિવ મહાદેવ દેસાઈનો ઉલ્લેખ હોવા છતાં, ગુહાએ તેમનો મહિમા બરાબર ઉભારી આપ્યો છે. ગયા વર્ષે બૅંગલુરુમાં ગુહાને મળવાનું થયું ત્યારે તેમણે ગાંધીચરિત્રનું કામ પૂરું કર્યું હતું. એ વખતે તેમણે યાદ કરેલી પુસ્તકની વિશેષ ઉપલબ્ધિઓમાં મહાદેવભાઈની ભૂમિકા અગ્રસ્થાને હતી. મહાદેવભાઈ સાથીદારો સાથેના સંપર્કસૂત્ર ઉપરાંત દેશવિદેશના અનેક પ્રવાહોથી પણ ગાંધીજીને માહિતગાર રાખતા હતા. ગુહાએ એટલી હદે કહ્યું હતું કે છેલ્લાં વર્ષોમાં મહાદેવભાઈની ખોટ ગાંધીજીને ખૂબ લાગી. પંડિત નહેરુ અને સરદાર વચ્ચેના સંબંધોમાં પણ મહાદેવભાઈ હોત, તો ઘણો ફરક પાડી શક્યા હોત, એવું તેમનું માનવું હતું. એવી જ રીતે, છેલ્લાં વર્ષોમાં કોમી હિંસા પછી ગાંધીજીએ બ્રહ્મચર્યની કસોટી માટે વિવાદાસ્પદ પ્રયોગ કર્યો, તેની ઘણી અજાણી વિગતો ગુહાએ આપી છે. તેના વિશે થયેલા મસાલેદાર વિવાદો અને અટકળબાજીથી તે દૂર રહ્યા છે અને ગાંધીજી જે કરે તે બધું વાજબી ઠરાવવાનો ઉત્સાહ પણ તેમના લખાણમાં નથી. એ પ્રકરણનું મથાળું જ છેઃ ધ સ્ટ્રેન્જેસ્ટ ઍક્સપરીમૅન્ટ (સૌથી વિચિત્ર પ્રયોગ) ગાંધીજીની કેટલા નિકટના લોકોએ તેનો વિરોધ કર્યો અને ગાંધીજીએ એ બાબતે શું મનોમંથન અનુભવ્યું, એ પણ તેમણે નોંધ્યું છે. પરંતુ ગાંધીજીના જીવનચરિત્રમાં ને તેમની સફળતાઓ-નિષ્ફળતાઓમાં મનુબહેનના પ્રયોગ કે સરલાદેવીવાળા પ્રેમપ્રકરણથી આગળ વધીને ઘણું જાણવાસમજવા જેવું છે, તે ગુહાલિખિત ચરિત્રમાંથી પસાર થતાં કોઈને પણ સમજાય. (અત્યારે તો એ અંગ્રેજીમાં છે, પણ આગળ જતાં ભારતીય ભાષાઓમાં આવી શકે છે – આવવું જોઈએ.) ગાંધી-આંબેડકરના વિવાદાસ્પદ સંબંધોને તેમણે નિરાંતે અને તબક્કાવાર આલેખ્યા છે.તે ઘણી જાણીતી ઘટનાઓની જાણીતી વિગતોમાં ગયા નથી. પણ તેની આસપાસની ઝીણીઝીણી વિગતો દ્વારા નકશીદાર શિલ્પ ઊભું કર્યું છે અને માહિતીના છૂટાછવાયા ટુકડા વચ્ચે સંબંધ જોડીને અટકળો કરવાની લાલચમાં પડ્યા નથી. (બાકી, જૉસેફ લેલીવૅલ્ડ જેવા ચરિત્રકારે છૂટીછવાયી માહિતીનું મનઘડંત વેલ્ડિંગ કરીને કેવો કેર વર્તાવ્યો હતો, એ બહુ જૂની વાત નથી.)

ગુહાના આગળ જણાવેલાં પુસ્તકોની જેમ, તેમના ગાંધીચરિત્રમાં પ્રકરણોનું આયોજન સરસ છે. આખું પુસ્તક મુખ્ય પાંચ ખંડમાં વહેંચાયેલું છે. દરેકમાં પ્રકરણો અને પ્રકરણોમાં વળી પેટા વિભાગ છે. એટલે વાંચનારને જરા ય ભાર ન પડે, છતાં એટલી બધી વિગતો અને નવા દૃષ્ટિકોણ જાણવા મળે કે ઇતિહાસનું નહીં, કથાનું પુસ્તક વાંચતા હોઈએ એવું લાગે. ભારતમાં ગાંધીજીનાં શરૂઆતનાં વર્ષો આલેખતાં તેમણે નોંધ્યું છે કે એક તરફ ભારતબહાર તેમની નોંધ ગંભીરતાથી લેવાવા લાગી અને બીજી બાજુ, એ જ્યાં વકીલાતનું ભણ્યા હતા, તે ઇનર ટૅમ્પલે  તેમને ગેરલાયક ઠરાવીને તેમનું નામ પોતાના દફ્તરમાંથી કાઢી નાખ્યું. કારણ કે એ વખતે તેમને રાજદ્રોહની કલમ હેઠળ છ વર્ષની સજા થઈ હતી.

જ્ઞાતિવાદના મુદ્દે ગાંધીજીની હળહળતી ટીકા કરનાર અરુંધતિ રૉય તથા આંબેડકરની એવી જ ટીકા કરનાર અરુણ શૌરીને યાદ કરીને ગુહાએ ઉપસંહારમાં લખ્યું છે કે આ બંને જણ (રૉય-શૌરી) ઇતિહાસને હીરો અને વિલનની રીતે જુએ છે. વાસ્તવમાં તેમાં અનેક રંગછટાઓના તાણાવાણા હોય છે. વાચકોના સદ્દભાગ્યે ગુહાએ ગાંધીજીને દેવતાઈ ચીતરવાના લોભમાં પડ્યા વિના, માણસ તરીકે તેમની વિશિષ્ટતા અને મહાનતા ઉભારી આપી છે. ગાંધીજીની દોઢસોમી જન્મશતાબ્દીની આ ઉજવણી યાદગાર ગણવી રહી.

(લેખકના બ્લૉગ http://urvishkothari-gujarati.blogspot.comની ૧૯-૧૧ની પોસ્ટમાંથી)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2018; પૃ. 13

Loading

17 December 2018 ઉર્વીશ કોઠારી
← રણ મહીં
ક્વૉત્રોચી મામા સામે રાજીવ ગાંધીએ તપાસ થવા દીધી હતી તો અનિલભૈયા સામે પણ થઈ જાય! એમાં ડરવાનું શું છે જ્યારે દામન સાફ છે? રમેશ ઓઝા →

Search by

Opinion

  • બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો
  • અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા
  • ચૂંટણી પંચની તટસ્થતાનો કસોટી કાળ ચાલી રહ્યો છે.
  • હે ભક્તો! બુદ્ધિનાશે વિનાશ છે!
  • પ્રમુખ કેનેડી : અમેરિકા તો ‘પરદેશી નાગરિકોનો દેશ’ છે

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!
  • ગાંધીજી જીવતા હોત તો
  • બે પાવન પ્રસંગો

Poetry

  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved