નહાવાની તકલીફો વેઠતી કામદાર સ્ત્રીઓ માટે શહેરના પ્રમુખ સરદાર પટેલે એક હજાર નાવણિયાં કરાવ્યાં હતાં
યુનેસ્કોએ અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં દાખલ કર્યું છે. ભારતના એક માત્ર હેરિટેજ સિટીનું માન અમદાવાદને મળ્યું તેથી ન માત્ર અમદાવાદી કે ગુજરાતી, ભારતવાસી પણ હરખાશે.
પંદરમી સદીમાં અમદાવાદ સ્થપાયું તે પૂર્વે આશા ભીલનું આશાપલ્લી કે સાબરમતીની પેલે પાર કર્ણદેવનું કર્ણાવતી હોવાના પુરાવા મળે છે. મુસ્લિમ સલ્તનત, મુગલ સામ્રાજ્ય, મરાઠાયુગ, બ્રિટિશ શાસન અને આઝાદી પછીનું અમદાવાદ – એવા પાંચ ભાગમાં અમદાવાદનો ઇતિહાસ-વારસો વહેંચાયેલો છે. હિંદુ, જૈન અને ઈસ્લામિક સ્થાપત્યો સાથે ગાંધીજીનો વારસો અમદાવાદને વૈશ્વિક વારસાનું શહેર ઠરાવે છે. આ શહેર છ સદી કરતાં વધુ વરસોથી જીવંત રહ્યું છે અને એની ધર્મ-જાતિ-કોમની વિવિધતા ટકી રહી છે.
ઈ.સ.1850માં મગનલાલ વખતચંદે અમદાવાદનો ઇતિહાસ લખ્યો હતો. તેમાં અમદાવાદની વસ્તીની જાતિ-કોમ-ધંધાવાર તપસીલ કંઈક આમ વાંચવા મળે છે, ‘હીંદુમાંની ઉચ વરણના લોકો માણેકચોકની આસપાસ અથવા શહેરની મધ્યભાગમાં રહે છે. દક્ષિણ ભાગમાં બાંધણીગરા, ભાઉસાર તથા કણબી રહે છે. પૂર્વ ભાગમાં વાંણઈઆ, કણબી તથા મુશલમાંનની વસ્તી છે. ઉત્તરભાગમાં કાલુપુરમાં મુશલમાંન તથા ખાતરી વણનાર રહે છે, ને ઉત્તર ઈંદૂડીઆમાં તથા શાહાપુરમાં હિંદુ તથા મુશલમાંન, કાગદી તથા સપેતી વણનાર રહે છે. પસ્ચિમ ભાગમાં ભદર તથા ગાયકવાડ હવેલી છે, ત્યાં મુશલમાંન ને પારશી રહે છે.’ (જોડણી અસલ પ્રમાણે)
આ વર્ણન પરથી સમજાય છે કે એ જમાનાના અમદાવાદમાં કહેવાતા અસ્પૃશ્ય એવા દલિતોનું સ્થાન કશા દરજ્જા વગરના નાગરિકનું હશે. ગાંધીજીના આગમન પૂર્વે 1861માં શેઠ રણછોડલાલે અમદાવાદમાં કાપડની મિલ શરૂ કરી અને ઔદ્યોગિક અમદાવાદનો જન્મ થયો. પોળોનું અમદાવાદ ચાલીઓનું પણ બન્યું. એકએક મિલના ભૂંગળે ચાલીઓની વણજાર ફાટી નીકળી હશે. વર્લ્ડ હેરિટેજ અમદાવાદની આ ચાલીઓ કેવી હતી? ગઈ કાલના વૈશ્વિક વારસાના અમદાવાદની ચાલીનું વર્ણન દાદાસાહેબ માવળંકરના શબ્દોમાં: ‘ચાલ એવા પ્રકારની હતી કે એને ઓટલો નહોતો. એટલું જ નહીં પરંતુ ઓરડીની ભોંય, આજુબાજુની જમીન કરતાં દોઢ ફૂટ નીચી હતી. એટલે એમાં જવું એ એક ભોંયરામાં પેસવા જેવું હતું. એની બાંધણીમાં પાકી ઈંટો વપરાયેલી નહોતી પણ લોખંડનાં પતરાં વપરાયેલાં હતાં. સાડા પાંચ ફૂટનો માણસ ટટ્ટાર ઊભો પણ ન રહી શકે એટલી ઓરડીની ઊંચાઈ હતી અને પગ લાંબા કરીને સૂઈ ન શકાય એટલી એની પહોળાઈ હતી.’
આજે તો ચાલીઓ સુવિધાની રીતે થોડી બદલાઈ છે, પણ એનાં નામો અકબંધ છે: કસાઈની ચાલી છે, તો કડિયાની ચાલી છે. મોદીની ચાલી છે, તો ધોબીની ચાલી છે. જેઠીની ચાલી છે ને રામીની ચાલી છે. નગરશેઠની ચાલી છે, તો નાણાવટીની ચાલી છે. દેવાજીની ચાલી છે, તો દોસ્ત મહંમદની ચાલી છે. મેજિસ્ટ્રેટની ચાલી છે, તો જજસાહેબની ચાલી છે. સોસાયટીની ચાલી છે, તો રાજધાનીની ચાલી છે.
આવી ચાલીઓમાં ગરીબો, દલિતો, પછાતો દોજખની જિંદગી જીવતાં હતાં અને જીવે છે. આજે દલિતોનો સાક્ષરતાદર ગુજરાતના સાક્ષરતાદર કરતાં લગીર વધારે છે. પણ જૂના અમદાવાદમાં દલિત માટે શિક્ષણ દોહ્યલું હતું.
ડૉ. આંબેડકરે તુલસીદાસ આચાર્યના ગૃહપતિપદે ચાલતી ડિપ્રેસ્ડ ક્લાસીઝ હોસ્ટેલ વિશે ચર્ચા કરવા, શાયદ પ્રથમ વાર, 28મી જૂન 1931ના રોજ અમદાવાદની મુલાકાત લીધેલી. પણ એની એકાદ સદી પહેલાં અમદાવાદમાં પહેલી સરકારી અંગ્રેજી નિશાળની શરૂઆત દલિત બાળકોના શાળાપ્રવેશને અટકાવવા, તેમના શાળાપ્રવેશના વિરોધમાં કે તેમનાથી અલગ બેસવામાંથી થઈ હતી. 1896માં અમદાવાદની વિક્ટોરિયા જ્યુબિલી હોસ્પિટલમાં એક દલિત સ્ત્રીને પ્રસૂતિ માટે દાખલ કરાતાં બાકીની સ્ત્રીઓએ હોસ્પિટલ છોડી દીધી હોવાનું પણ નોંધાયું છે.
એટલે નગર અમદાવાદમાં આભડછેટ અને ભેદભાવે દલિતોનો પીછો છોડ્યો નથી. ‘રાષ્ટ્રીય ચળવળમાં અમદાવાદ મ્યુિનસિપાલિટીનો ફાળો’ ગ્રંથમાં દાદાસાહેબ માવળંકર અને ચંદુલાલ ભગુલાલ દલાલના જણાવ્યા પ્રમાણે, માંડવીની પોળના રહીશોએ મ્યુિનસિપાલિટીને અરજી આપી હતી કે પોળ પાસેની ટાંકીમાંથી પહેલાં શ્રાવકો અને વાણિયા જ પાણી ભરતા હતા. પરંતુ હવે તો બધી જ જ્ઞાતિના પાણી ભરે છે. એટલે પાણી દૂષિત થાય છે. તેથી ઉચ્ચ વર્ણની બે જ કોમો પાણી ભરે તેવો બંદોબસ્ત કરવો.
હા, 1915માં અમદાવાદમાં ગાંધીજીનું આગમન થાય છે. કોચરબમાં તે આશ્રમ સ્થાપે છે. આરંભે જ એક ‘હરિજન’ કુટુંબને ખાસી ઝીંક ઝીલીને વસાવે છે. તે પછી સાબરતટે બીજો આશ્રમ સ્થાપે છે. એ વખતનો આ હરિજન આશ્રમ હવે આજે તો ગાંધીઆશ્રમ કે ગાંધી સ્મૃિત સંગ્રહાલય બની ગયો છે. હવે ‘જાહેર શૌચમુક્ત’ બની રહેલા અમદાવાદમાં એ દિવસોમાં જાહેર જાજરૂનો દલિતો વપરાશ કરી શકતા નહોતા. ન્હાવા માટેના બાથરૂમની સાહ્યબી તેમના નસીબમાં નહોતી. સરદાર પટેલે અમદાવાદ મ્યુિનસિપાલિટીના પ્રમુખ તરીકે કામદાર વિસ્તારોમાં નહાવાની તકલીફો વેઠતી સ્ત્રીઓ માટે 1000 નાવણિયાં બનાવડાવ્યાં હતાં. આ જ અમદાવાદમાં બરાબરીના હક માટે દલિતોના બસપ્રવેશ, હોટલપ્રવેશ અને મંદિરપ્રવેશના સત્યાગ્રહો થયા હતા. 1942ની ‘હિંદ છોડો’ ચળવળમાં ને દેશની આઝાદી માટે ત્રણ મહિના મિલો બંધ રાખી ભાગ લેનારા દલિતોને માત્રને માત્ર આભડછેટને લીધે જ મિલોના સાળખાતામાં કદી રાખવામાં આવતા નહોતા.
1934માં વડી ધારાસભાના આભડછેટ નાબૂદીના ઠરાવનું સમર્થન કરવાનું આવ્યું, તો અમદાવાદ મ્યુિનસિપાલિટીના બે હિંદુ સભ્યો તેના વિરોધમાં આવ્યા. એ તો જાણે સમજ્યા. પણ છ મુસલમાન અને બે પારસી સભ્યો તટસ્થ રહ્યા હતા. 1942માં બરતરફ મ્યુિનસિપાલિટીના સ્થાને રચાયેલી મેનેજમેન્ટ કમિટીએ મ્યુિનસિપાલિટીના નોકરવર્ગમાં સહુના પ્રતિનિધિત્વના ખ્યાલે 50% મુસ્લિમ, 25% દલિત અને 25% સામાન્ય અનામતનું ધોરણ ઠરાવેલું. આઝાદી પછીના બીજા જ મહિને, મ્યુિનસિપલ બોર્ડે આ ઠરાવ રદ કરી નાખેલો. એટલે 1981 અને 1985માં, આખા ભારતમાં ક્યાં ય નહીં ને અમદાવાદ અને ગુજરાતમાં જ પહેલવહેલા અનામત વિરોધી રમખાણો થયાની નવાઈ શાની? કોમી એકતા માટે શહાદત વહોરનાર ગાંધીના જન્મ શતાબ્દી વરસે (1969-70માં), સૌથી ભૂંડા કોમી રમખાણોનો બદતર ઇતિહાસ પણ અમદાવાદનો જ વારસો છે.
વિકાસ માટે વિલોપન એ તો જાણે આ નગરના હાંસિયામાં જીવતા લોકોની નિયતિ છે. વૈશ્વિક વારસાને યોગ્ય ઠરવા તો આશાભીલ, કર્ણદેવ અને અહમદશાહના વારસદાર અમદાવાદીઓએ,‘નહીં વરણ નહીં વેશ’ ધરી, મનના મેળાપીપણાથી તન હેળવાય તેમ કશા ભેદભાવ વિના જોડાજોડ રહેવાનો પડકાર ઉઠાવવો પડશે. કર્ણાવતીના વર્તમાન ખેલંદાઓનું એ ગજું નથી એ બરાબર સમજી લેવું પડશે.
સૌજન્ય ‘ફરજ’, “દિવ્ય ભાસ્કર”, 27 જુલાઈ 2017