Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9299679
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યહૂદા ઇસ્કારિયોત – એક વિશ્વાસઘાતીનું વૃત્તાંત   

અરવિંદ વાઘેલા|Opinion - Opinion|17 April 2025

અરવિંદ વાઘેલા

દરેક કથાને એક ખલપાત્ર – villain – હોય છે.  બાઈબલમાં ‘નવાકરાર’ની ચારેય સુવાર્તામાં આ પરિપૂર્તિ યહૂદા ઇસ્કારિયોતનું ખલપાત્ર કરે છે. જેણે માત્ર ચાંદીના ત્રીસ ટુકડા માટે પ્રભુ ઇસુ સાથે વિશ્વાસઘાત કરી એમને પરસ્વાધીન કરાવ્યા. પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવાની ઘટના બાઈબલની સૌથી વધુ દુઃખદાયક ઘટના છે. બાઈબલના ઇતિહાસમાં એવી ઘણી દુ:ખદ ઘટનાઓ બની છે, જેમ કે અહમ્‌ અને ઈર્ષ્યાને કારણે કાઈન દ્વારા કરાયેલું પોતાના સગા ભાઈ હાબેલનું ખૂન (ઉ.4:1-10); ગીતશાસ્ત્રના રચયિતા અને મહાન રાજા દાઉદ દ્વારા થયેલ વ્યભિચાર અને ખૂનનું બેવડું પાપ (2 શમુએલ 11:1-27). તેણે  ઉરિયાહ હિત્તીની યુવાન સ્ત્રી બાથશેબા સાથે વ્યભિચાર કર્યો અને ષડ્યંત્રના ભાગ સ્વરૂપે યુદ્ધમાં ઉરિયાહની હત્યા કરાવી. જ્યારે અનાન્યા અને સફીરા જેમણે છેતરપિંડીનું પાપ કર્યું (પ્રે.કૃ. 5:1-11). આ બધી દુ:ખદ ઘટનાઓ પૈકી સૌથી વધુ કરુણ, આઘાતજનક અને દુઃખદાયક ઘટના યહૂદાના વિશ્વાસઘાત અને પ્રભુને પરસ્વાધીન કરવાની છે. યહૂદા ઇસ્કારિયોત પ્રભુ ઈસુના પસંદ કરાયેલા બાર શિષ્યો પૈકીનો એક હતો અને એણે જ વિશ્વાસઘાત કર્યો …! 

વેરી થઇ વ્હાલાએ માર્યું’તું ખંજર;

પીઠમાં હજુયે એનો દાહ છે, 

ગેથશેમાની વાડીને, આખરી એ મંજર;

આંખમાં જીવતો હજુયે યહૂદાહ છે!! 

બે હજાર વર્ષ પછી પણ માનવજાતના માનસપટ પરથી વિશ્વાસઘાતનું આ દર્દનાક વૃત્તાંત ભૂંસવું અઘરું જ નહિ, અશક્ય છે. માણસજાતના ઇતિહાસમાં બે બાગ ખૂબ જ મહત્ત્વના સાબિત થયા. પ્રથમ એદનનો બાગ અને બીજો ગેથશેમાન. પ્રથમ બાગમાં આદમ દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કરી પાપમાં પડ્યો, અને પાપનો મુસારો તો મરણ છે ! (રૂમી. 6.23) જ્યારે બીજો બાગ ગેથશેમાન જેનો અર્થ અરામિક અને હિબ્રુમાં oil press થાય છે. ઓલિવનું તેલ કાઢવાની જગ્યા. ઈસુએ આ જગ્યા હેતુપૂર્વક પસંદ કરી. કેમ કે ઓલિવ ક્રશ કરવાથી તેલ નીકળે છે અને તેલ દીવો સળગતો રાખવા કામ લાગે છે. ઈસુ એટલે જ વારંવાર શિષ્યોને જાગતા રહેવા કહે છે. ઈસુ પોતે પણ ભયંકર માનસિક વેદનામાં પિસાયા, તેમણે ભારે ‘કષ્ટ સાથે પ્રાર્થના કરી અને તેમનો પરસેવો જમીન પર પડતાં લોહીનાં ટીપાં જેવો થયો’.( લૂક 22.44) (ક્રશ થયેલા ઓલિવના તેલનો રંગ પણ લાલ જેવો જ હોય છે.) આ સંદર્ભે ગેથશેમાનની પસંદગી યથાર્થ લાગે છે. આ બીજા બાગ, ગેથશેમાનમાં પ્રભુ ઈસુ, દેવની આજ્ઞા ખાતર, પોતાનું લોહી વહાવે છે અને આપણી પાપ મુક્તિ માટે વધસ્થંભ પર મૃત્યુને વરે છે. એદનમાં માણસ મૃત્યુને પામ્યો જ્યારે ગેથશેમાનથી માણસનો દીકરો મૃત્યુ પર વિજય મેળવી પુનરુત્થાન પામ્યો. આ આખી દર્દનાક ઘટના સાથે પેલો વિશ્વાસઘાતી યહૂદા જરૂર યાદ આવે !!

યેહૂદા ઇસ્કારિયોત

યહૂદા ઇસ્કારિયોત (Judas Iscariot) પ્રભુ ઈસુના પસંદ કરાયેલા બાર શિષ્યો પૈકીનો એક હતો. એના જન્મ-જીવન વિષે બાઈબલમાંથી ખાસ માહિતી પ્રાપ્ત થતી નથી, હા કેટલાક સંશોધનો અને અન્ય સાહિત્યમાંથી થોડી ઘણી બાબતો જાણવા મળે છે, તે પ્રમાણે – તે સિમોન ઇસ્કારિયોતનો પુત્ર હતો. તેનું વતન યરુશલેમની દક્ષિણે આવેલું યહૂદિયા પ્રાંતનું કેરિઓથ ગામ હતું. સંભવિત રીતે ગામના નામ પરથી તે ઇસ્કારિયોત કહેવાયો. (Ish  Kerioth = Man of Kerioth) હેબ્રોનથી 10 -15 માઈલ દક્ષિણે આવેલ આ પ્રદેશ (યહોશુઆ 15:25) એસાવના વંશજો Edomitesનો પ્રદેશ હતો. એસાવના વંશજોએ ઈસ્માએલના કૂળની સ્ત્રીઓને પોતાની પત્નીઓ બનાવી (ઉ.28.9) ઈસ્માએલ મિસરી દાસીના પેટે ઇબ્રાહિમથી પેદા થયેલો હતો, અર્થાત શરીરથી પેદા થયો હતો તે વચનનો પુત્ર નહોતો. યહૂદાના જુદા હોવાપણામાં વંશપરંપરાનું આ પણ એક કારણ છે. ઈસુના બાકીના અગિયાર શિષ્યો ઉત્તરના પ્રદેશના, ગાલીલ કાંઠાના હતા અને બિન્યામીનના કૂળના (Benjamites – Son of Promise. Roman.9.8) વચનના પુત્રો હતા.

કેટલાક અભ્યાસીઓની દલીલ એવી છે કે, Iscariot મૂળ તો Sicariot શબ્દ છે, જેનો અનુવાદ કરતાં કે નકલ કરતાં IS શબ્દ આગળ પાછળ થઇ જવાથી Iscariot શબ્દ બન્યો છે. Sicariot શબ્દ મૂળ ગ્રીક ભાષાના ‘Assassins’ પરથી બન્યો છે. જેનો અર્થ થાય છે ‘હત્યારો’.

ઇંગ્લેન્ડમાં જન્મેલા એક નાટ્યકાર, લેખક અને અભિનેતા થોમસ હેવુડ એક ફિક્શનમાં નોંધે છે કે, યરુશલેમમાં રૂબેન નામનો ઇસાખાર જનજાતિનો એક માણસ હતો તેની પત્નીનું નામ સાયબોરિયા હતું. લગ્નની પ્રથમ રાત્રે તેણીએ એક સ્વપ્ન જોયું કે, તેને એક પુત્ર થશે જે તેની જાતિના, તેના લોકોના રાજકુમારનો વિશ્વાસઘાત કરશે. આ જાણી માતા પિતા બંને ઉદાસ અને ચિંતિત થઇ ગયાં. બાળકને મારી નાખવાનો તેમનો જીવ ચાલ્યો નહિ, છતાં રાષ્ટ્ર માટે દ્રોહરૂપ કૃત્યથી બચવા તેમણે તેને નાની હોડીમાં મૂકી નદીમાં વહાવી દીધો. આ હોડી ઇસ્કારિયોત નામના ટાપુએ આવીને અથડાઈ. ત્યાંની રાણીને બાળક ન હતું. તેણે આ બાળકનું નામ જુડાસ અને ટાપુના નામ પરથી ઇસ્કારિયોત – એમ જુડાસ ઇસ્કારિયોત નામ આપ્યું. કથામાં આગળ જતાં અજાણતા આ જુડાસ એક ઘટનામાં પોતાના પિતાનું ખૂન કરે છે અને મા સાથે લગ્ન કરે છે (અહીં આ કથા ગ્રીક નાટ્યકાર સોફોક્લીસના ‘ઈડિપસ ધ રેકસ’ નાટકથી પ્રેરિત હોય એવું લાગે છે ) પછીથી એને જ્યારે સત્યનું જ્ઞાન થાય છે, ત્યારે આ પાપ – ગુનામાંથી છૂટવા તે પ્રભુ ઇસુનો શિષ્ય બન્યો હોવાનું વર્ણન મળે છે. કથા સાચી હોય કે કાલ્પનિક પણ .. એ વિશ્વાસઘાતી તો નીવડ્યો જ.

હિબ્રુ ભાષામાં Judasનો અર્થ Praise Yahweh થાય છે. પ્રથમ સદી સુધી યહૂદી લોકોમાં Judas( યહૂદા) નામ ખૂબ લોકપ્રિય અને જાણીતું હતું. કેમ કે, એ નામ યહૂદી નાયક Judas Maccabeus (167 – 160 BCE)ના આદર્શરૂપે હતું. જે યહૂદી ધર્મગુરુ મથાયાસનો પુત્ર, ધર્મગુરુ, લોકનેતા અને યોદ્ધા હતો. જેણે ગ્રીક જનરલ સેલ્યુકસે સ્થાપેલ,  Seleucid સામ્રાજ્યના રાજા Antiochus lV Epiphanesના આક્રમણ સામે ગેરિલા પદ્ધતિથી યહૂદી વિસ્તારને બચાવ્યો હતો અને Seleucid સામ્રાજ્ય સામે બળવાની આગેવાની લીધી હતી. તેની વિરતા અને શૌર્યની યાદમાં યહૂદીઓ પોતાના બાળકોના નામ Judas રાખતા પણ. યહૂદા ઇસ્કારિયોત (Judas) દ્વારા પ્રભુ ઇસુ સાથે થયેલ વિશ્વાસઘાત અને વધસ્થંભ પર થયેલ હત્યા બાદ ન માત્ર ઇઝરાયેલ પણ આખા વિશ્વભરમાં કોઈ Judas (યહૂદા) નામ રાખતું નથી.

પરસ્વાધીન કરનાર યહૂદા ઇસ્કારિયોત પ્રભુ ઈસુના પસંદ કરાયેલા બાર શિષ્યો પૈકીનો એક હતો, અને સૌથી વધુ આઘાતજનક તો એ છે કે, તે ઈસુની નજીકના ગણાતા માણસોમાંનો એક હતો. સાડા ત્રણ વર્ષ સુધી તે પ્રભુ ઈસુના સેવા કાર્યોમાં સાથે રહ્યો – સેવા કરી. ઈસુના ઉપદેશ સાંભળ્યા અને ઉપદેશ કર્યા પણ ..! ગિરિ પ્રવચન (Sermon of Mount) સમયે પણ તે હતો. ઈસુએ કરેલા ચમત્કારો અને પરાક્રમો જોયા, લાજરસને મૃત્યુમાંથી સજીવન કર્યો ત્યારે પણ તે ઈસુની સાથે જ હતો. એટલું જ નહિ, ઈસુએ તેને સાજાપણાંની શક્તિ પણ આપી, તેને વિશેષાધિકાર આપીને ખજાનચી બનાવ્યો. (યો.13.29) માત્થી, ટેક્સ કલેકટર હતો અને સારી નાણાંકીય સમજ ધરાવતો હતો છતાં, ઈસુએ યહૂદામાં વિશ્વાસ મૂક્યો. આવો પ્રભુનો શિષ્ય જેણે પ્રભુ ઇસુ સાથે ગાઢ મિત્રતા રાખી, તેમની સંગતનો આનંદ માણ્યો, તેમની શક્તિઓનો લાભ લીધો. પ્રભુના આવા પ્રેમાળ અને પ્રગાઢ સંબંધ પછી તેમની સાથે વિશ્વાસઘાત કરવો કેટલું દર્દનાક ગણાય !! યહૂદાએ વિશ્વાસઘાત કર્યો ત્યાં સુધીના સમયમાં દેખીતી રીતે જ તે વિશ્વાસપાત્ર લાગતો હતો. હા, તેનું વર્તન, તેની વાણી, તેનાં કાર્યો ક્યારેક તેના સ્વભાવની મર્યાદાને ઉજાગર કરી દેતા ખરા …. છતાં પ્રભુ ઈસુએ તો તેના પ્રત્યે પ્રેમ જ વરસાવ્યો … પ્રભુએ ક્યારે ય તેના પ્રત્યે અવિશ્વાસ નથી દર્શાવ્યો … પ્રભુ તો પ્રભુ છે, પણ આપણા જેવા સામાન્ય માણસોને પ્રશ્ન જરૂર થાય કે પ્રભુ ઇસુ બધું જાણતા હોવા છતાં શા માટે ? શા માટે યહૂદાને પોતાનો શિષ્ય બનાવ્યો ?

શા માટે પ્રભુ ઈસુએ યહૂદા ઇસ્કારિયોતને પોતાનો શિષ્ય બનાવ્યો? આ પ્રશ્નના ઉત્તરમાં આપણે મુખ્ય ત્રણ કારણ આપી શકીએ :

1       યહૂદાને નવા જન્મ(બદલાણ)ની તક આપવા.

2       યહૂદાના જીવન દ્વારા ઉપદેશ અને પ્રાયશ્ચિતની સમજૂતી આપવા.

3       દેવના ભાવિકથનની પરિપૂર્તિ માટે.

1 યહૂદાને નવા જન્મ (બદલાણ)ની તક આપવા

યહોવા દેવે  જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.’ (યો.3.16) દેવની ઈચ્છા હતી કે સઘળાં માણસો તારણ પામે અને સત્યને જાણે. જગતના દીનદુ:ખી, ગરીબ, લાચાર, શોષિત, પીડિત તેમ જ પાપ અને અધર્મમાં લિપ્ત લોકોના ઉદ્ધાર માટે, કલ્યાણ માટે દેવે પોતાના એકાકીજનિત પુત્ર (Son of God) પ્રભુ ઈસુને આ ધરતી પર મોકલ્યા. ખોવાયેલાંને શોધવા પ્રભુ ઇસુ આ જગતમાં આવ્યા. તેઓ જગતના સઘળાં લોકોને આહ્વાન આપે છે કે, – ‘ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળાં મારી પાસે આવો.’ (માત્થી 11.28) હે પૃથ્વીના છેડા સુધીના સર્વ લોકો, મારી તરફ ફરો, ને તારણ પામો; (યશાયા 45.22) આ વચનો પ્રભુ ઈસુને ઉદ્ધારક સાબિત કરવા પૂરતાં છે. 

પ્રભુ ઇસુના બાર પૈકીનો એક શિષ્ય યહૂદા ઇસ્કારિયોત ઈસુના આ ઉપદેશથી પ્રભાવિત થઇ તેમના સેવા કાર્યોમાં જોડાયો. પ્રભુ ઇસુએ એને શિષ્યપદ આપ્યું. યહૂદાના પૂર્વજીવનની કથાઓ તરફ ખાસ ધ્યાન ન આપીએ તો પણ, એ જ્યારથી પ્રભુ ઇસુ સાથે જોડાયો ત્યારે પણ એના આંતર વ્યક્તિત્વની લાક્ષણિકતાઓ જાણે અજાણે ઉજાગર થતી રહી છે. વિશેષ કરીને એનો દ્રવ્યલોભ, એ પૈસાનો પૂજારી હતો. સંત યોહાન પોતાની સુવાર્તામાં એક ઘટના નોંધે છે કે, બેથાનિયામાં મરિયમ જ્યારે જટામાંસીના મૂલ્યવાન અત્તરથી ઇસુનો અભિષેક કરે છે, ત્યારે યહૂદાનો લોભી, લાલચુ સ્વભાવ બહાર આવે છે, તે કહે છે કે, – ‘એ અત્તર ત્રણસો દીનારે વેચીને ગરીબોને શા માટે આપવામાં આવ્યા નહિ ? હવે ગરીબો માટે તેને દાઝ હતી માટે તેણે આમ કહ્યું નહોતું; ‘પણ તે ચોર હતો, અને થેલી રાખતો હતો, અને તેમાં જે નાખવામાં આવતું તે તે ચોરી લેતો હતો’. તે માટે કહ્યું હતું.’ (યો.12:4) એના અહમ્‌, ઈર્ષ્યા અને લોભનું સૌથી મોટું ઉદાહરણ તો ચાંદીના ત્રીસ ટુકડામાં પ્રભુને વેચવાનું છે. પૈસાનો પ્રેમ માણસને પતન તરફ લઇ જાય છે. 1 તિમોથી 6:9 પ્રમાણે –‘Love of money is root of all evil.’ Lot of money toxic, Toxicate state of mind change perception of reality. પૈસા એ જ યહૂદાના મનને પ્રદૂષિત કર્યું. પ્રભુ ઈસુએ તેને દ્રવ્યલોભ સંબંધી અનેક ઉપદેશ અને સમજણ આપી પણ તે ન સમજ્યો, ન દેવના રાજ્યની વાતને સમજ્યો.   

યહૂદા ઇસ્કારિયોતના સંદર્ભે પ્રભુ ઇસુ સઘળું જાણે છે, પણ ક્યારે ય તેમણે તેને ચોર કહ્યો નથી. પ્રભુએ તેના હૃદય પરિવર્તનના અનેક પ્રયત્નો કર્યા. કેમ કે દેવની ઈચ્છા છે કે, સઘળાં માણસો તારણ પામે અને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય. (1 તિમોથી 2:4) પ્રભુ ઈસુના સઘળાં શિષ્યો સામાન્ય ગરીબ અને મજૂર વર્ગના ઉત્તરના પ્રદેશ ગાલીલના હતા. યહૂદા પણ એમના જેવો જ હતો. પણ તે એક માત્ર દક્ષિણનો હતો, માટે પ્રભુ ઈસુએ તેનું વિશેષ ધ્યાન રાખ્યું. તેને પોતાના સેવાકાર્યોની નાણાંકીય જવાબદારી સોંપી, પોતાની નજીક રાખ્યો. જેથી એ દૂરિત અને દૂષિત વિચારોથી દૂર રહે. પ્રભુ ઇસુ ઈચ્છતા હતા કે, યહૂદા પ્રાયશ્ચિત કરે, દેવનો અવાજ સાંભળે. પરંતુ પૈસાના પ્રેમે તેને આંધળો બનાવી દીધો હતો. તેણે પ્રભુમાં વિશ્વાસ ન મુક્યો, અન્ય વિશ્વાસીઓ સાથે તે ન જોડાયો. તેણે ઈસુને માત્ર એક ગુરુ તરીકે જ જોયા, પ્રભુ તરીકે નહિ !! પ્રભુ ઈસુએ તેને સત્તા, શક્તિ અને સામર્થ્ય આપ્યું, પણ તેણે દગો, દુ:શ્મની અને દુઃખ આપ્યું. પ્રભુ જાણતા હતા કે આ દગાબાજ છે છતાં તેના પ્રત્યે ધૈર્યવાન અને પ્રેમાળ રહ્યા. નવા જન્મની, બદલાણની અનેક તક પ્રભુએ તેને આપી. યહૂદા જેટલી તક કોઈને મળી નથી, પણ તેણે બદલાવાનો ઇનકાર કરી દીધો. ઇરાદાપૂર્વક તેણે ખ્રિસ્તનો અસ્વીકાર કર્યો. માણસને તક મળે તો સાચું અને સારું કરવાને બદલે અશુભ તરફ વળી જાય છે. Judas doesn’t want cross, He wants crown.   પરિણામ સ્વરૂપે પાપમાં પડ્યો અને નાશ પામ્યો. જુઓ નીતિવચન 29:1 નોંધે છે તેમ – ‘ જે માણસ વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની ગરદન અક્કડ રાખે છે, તે અકસ્માત નાશ પામશે’. યહૂદાએ અનેક તકો ગુમાવી. ભલે આપણે પાપી હોઈએ – શરમ સાથે, પાપ સાથે, ગુના સાથે ગમે તે પરિસ્થિતિમાં પ્રભુ ઇસુ પાસે પાછા ફરો. કેમ કે તેનો પ્રેમ, તેની દયા, તેની કરુણા અનંતકાલીન છે.

2  યહૂદાના જીવન દ્વારા ઉપદેશ અને પ્રાયશ્ચિતની સમજૂતી આપવા :

યહૂદા જુદા કૂળનો, જુદા પ્રદેશનો, મનોવૃત્તિ પણ થોડી જુદી પણ તેને જુદાપણું ન લાગે તેનું પ્રભુ ઈસુએ વિશેષ ધ્યાન રાખ્યું. તેને વિશેષ પ્રેમ આપી પોતાનો પ્રિય બનાવ્યો. પ્રભુની સાથે રહીને પ્રભુને ન ઓળખનાર યહૂદાનો દૃષ્ટિકોણ લૌકિક હતો, તેની નજર દુન્યવી વાનાં તરફ હતી. તેનો દ્રવ્યલોભ તેને જગત તરફ ખેંચતો હતો. પ્રભુ ઇસુ તેના આ દ્રવ્યલોભને જાણે છે. યોહાન 2:25 માં કહે છે કે, – ‘માણસ શું છે એ તે પોતે જાણતા હતા’. યહૂદાના જીવન દ્વારા પ્રભુ ઈસુએ માણસોને દુન્યવી વાનાં અને દ્રવ્યલોભ સંબંધે ઉપદેશ કર્યો અને ઈશ્વરના રાજ્યની સમજ આપી. 1 તિમોથી 6.9 માં પ્રભુ પોતાના વચનમાં કહે છે કે, – ‘જેઓ ધનવાન થવાની ઈચ્છા રાખે છે, તેઓ પરીક્ષણમાં, ફાંદામાં તથા ઘણી મૂર્ખ તથા નાશકારક તૃષ્ણામાં પડે છે કે, જેઓ માણસોને વિનાશમાં તથા અધોગતિમાં ડૂબાવે છે. કેમ કે દ્રવ્યનો લોભ સર્વ પ્રકારનાં પાપનું મૂળ છે. એનો લોભ રાખીને કેટલાક વિશ્વાસથી ભટકી ગયા છે. (યો.12.4-6) યહૂદાનો પૈસા પ્રત્યેનો પ્રેમ પોતાના પ્રિયને પરસ્વાધીન કરવા સુધી લઇ ગયો. પૈસાનો પ્રેમ મનુષ્યને આંધળો બનાવી દે છે. પ્રભુ આ જાણે છે માટે જ તો તેમણે વારંવાર પૈસા, પદ અને પ્રસિદ્ધિથી દૂર રહેવા શિષ્યોને તાકીદ કરી. પ્રભુ ઈસુએ પોતાનો ઉપદેશ દૃષ્ટાંતોમાં આપ્યો, જે શિષ્યોની સાથે સર્વલોકને ઉદ્દેશીને અપાયેલો સાર્વકાલીન અને સનાતન ઉપદેશ છે. જુઓ માત્થી 6:19માં ઇસુ કહે છે કે, – ‘પૃથ્વી પર પોતાને માટે દ્રવ્ય એકત્ર ન કરો, જ્યાં કીડા તથા કાટ નાશ કરે છે, ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જાય છે, પણ તમે પોતાને માટે આકાશમાં દ્રવ્ય એકત્ર કરો, જ્યાં કીડા અથવા કાટ નાશ નથી કરતા, ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જતા નથી. કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે. પ્રભુ ઈસુએ યહૂદાને નાણાંકીય જવાબદારી સોંપી જેથી તે જવાબદાર બની સ્વાર્થીવૃત્તિથી ઉપર ઊઠે પણ તે તો દ્રવ્યલાલસાના કળણમાં ઊંડો ઉતરતો ગયો. ઈસુએ યહૂદા સહિત સૌને તેડું આપ્યું કે, – ‘જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો, ને પોતાનો વધસ્થંભ ઊંચકીને મારી પાછળ ચાલવું.’ (માર્ક 8.34)  ઈસુએ તેને પોતાનો મિત્ર બનાવ્યો પણ તે દૂર જ રહ્યો અને ઈસુની હાજરીથી દૂર જવું એટલે અંધકારના સામ્રાજ્યમાં જવું. અંધારામાં તેનો સ્વભાવ તેના પર હાવી થઇ ગયો. યહૂદાના ‘હું’પણાએ પ્રભુને ગૌણ ગણ્યા. યહૂદાએ ક્યારે ય ઈસુને પ્રભુ ગણ્યા નથી તેને મન ઈસુ માત્ર ગુરુ કે ઉપદેશક જ છે. જો તમે પ્રભુને ગૌણ ગણશો તો તમે નર્કની ગર્તા તરફ ગતિ કરશો. ‘હું પણું’ સૌથી મોટો શેતાન છે. તેની પોતાની ઈચ્છા – મહત્ત્વાકાંક્ષા એને ગુલામ બનાવી દે છે. ઈસુ કહે છે છતાં તે પોતાનો નકાર નથી કરતો. એક ગુલામ જેટલી કિંમતમાં (ચાંદીના ત્રીસ ટુકડામાં) તેણે અણમોલનો સોદો કર્યો !! યર્મિયા 17.9માં નોંધે છે તેમ – ‘હૃદય સૌથી કપટી છે તે અતિશય ભૂંડું છે તેને કોણ જાણી શકે’? માનવહૃદયના એક ખૂણે હંમેશાં અશુભ પ્રસ્થાપિત રહે છે. આ અશુભ કે નકારાત્મકતા ક્યારે ય આત્મજાગૃતિ ન લાવી શકે. યહૂદા એને કારણે જ પ્રભુને જોવા – જાણવા અને સમજવામાં નિષ્ફળ ગયો. તેના હૃદયમાં રહેલા અંધકારે તેને અમાનવીય અને પ્રેમ, સહાનુભૂતિ વિહોણો બનાવી દીધો.

રોમન 12.2.માં પાઉલ પ્રેરિત દેવનું વચન આ પ્રમાણે નોંધે છે કે, – ‘આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણરૂપે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો.’ ખ્રિસ્તની સંગત સંકીર્ણતામાંથી મુક્ત કરે, હૃદયનું બદલાણ કરે પણ યહૂદા ન બદલાયો એ પૂર્ણરૂપે રૂપાંતર ન પામ્યો, એણે અનેક તક ગુમાવી. પ્રભુ જાણતા હતા કે આ દગાબાજ છે છતાં તેના પ્રત્યે ધીરજ રાખી કે તે પસ્તાવો કરે અને પાછો ફરે … આપણા સંદર્ભે પણ પ્રભુ આવી જ ધીરજ રાખીને બેઠા છે. યહૂદાને જ્યારે ભાન થયું ત્યારે ઘણું મોડું થઇ ચુક્યું હતું. યોહાન 5:40માં પ્રભુનું વચન કહે છે કે, – ‘જીવન પામવા સારું તમે મારી પાસે આવવા ચાહતા નથી’ અને ખ્રિસ્તવિહીન જીવનનો અંત નર્ક છે. તારણહારને નકારનારનું ભાગ્ય ફૂટેલું ગણાય. યહૂદાના જીવનનો કરુણ અંત આપણ સૌ સામે લાલબત્તી ધરે છે.   

3      દેવના ભાવિ કથનની પરિપૂર્ણતા માટે :

‘આરંભથી પરિણામ જાહેર કરનાર, તથા જે થયું નથી તેની પુરાતન કાળથી ખબર આપનાર હું છું. મારો સંકલ્પ દૃઢ રહેશે, ને મારા સર્વ મનોરથ હું પૂરા કરીશ’. (યર્મિયા 46.10) God knows future (દેવ ભાવિને જાણે છે.) ગર્ભસ્થાનમાં ઘડ્યા પહેલાં તે આપણને જાણે છે. દેવે સમયે સમયે પોતાના પ્રબોધકો અને પ્રેરિતોને સ્વપ્ન કે સંદર્શન દ્વારા આવનાર સમયમાં ઘટનાર ઘટનાઓ અને આપત્તિઓની જાણ કરી કે જેથી જગતના લોકો પાપથી પસ્તાવો કરી પાછા ફરે. દેવની ઈચ્છા સઘળાં લોકોને નાશમાં જતાં બચાવી તારણ કરવાની હતી. તેમની યોજના જગતના સઘળાં લોકોને પાપના બંધનથી  મુક્ત કરી, સત્યનું જ્ઞાન કરાવવાની હતી. આ માટે દેવે પોતાના પુત્રને માનવદેહે આ જગતમાં મોકલ્યા એ પૂર્વે, આ સંદર્ભે અનેક ભવિષ્યકથનો થઇ ચુક્યા હતા. વિશેષ કરીને યશાયાહ પ્રબોધકના પુસ્તકનો 53મો અધ્યાય. જે પ્રભુ ઈસુના જન્મ, જીવન અને મૃત્યુ સંદર્ભે ભાવિ ભાખે છે. આ ઉપરાંત યહૂદા ઇસ્કારિયોતની શિષ્ય તરીકે પસંદગી અને વિશ્વાસઘાત સંબંધી ભવિષ્યવાણીઓ જૂના કરારમાં કરવામાં આવી હતી. જૂના કરારમાં 29 વાર ઈસુ સાથેના વિશ્વાસઘાત, મૃત્યુ અને દફન સંબંધી ભવિષ્યવાણીઓ થઇ છે અને આશ્ચર્યજનક રીતે જૂના કરારના 500 વર્ષના ગાળાની ભવિષ્યવાણીઓ નવા કરારમાં 24 કલાકમાં જ પૂર્ણ થઇ !! (સંદર્ભ – યશાયાહ 53) 

શિષ્યોની પસંદગી કરતાં પહેલાં ઈસુ આખી રાત પ્રાર્થના કરે છે. (લુક 6.12) યહૂદાની પસંદગી એ હેતુપૂર્વકની છે એ ભૂલ નથી. માર્ક 3.14.માં નોંધે છે કે, – ‘તેમણે બારને નીમ્યા, એ માટે કે તેઓ તેમની સાથે રહે, અને તે તેમને ઉપદેશ આપવા મોકલે’. યહૂદા બારમાંનો એક હતો. ઇસુની ઈચ્છા હતી કે યહૂદા તેમની સાથે રહે, પોતાની સાથે રાખવા તેને પસંદ કર્યો હતો. તેને સેવાકાર્યોની નાણાંકીય જવાબદારી આપી. અશુદ્ધ આત્મા દૂર કરવાની શક્તિ આપી અને સાજાપણાનું ચમત્કારિક સામર્થ્ય આપ્યું. આમ સત્તા, શક્તિ અને સામર્થ્ય તેને આપ્યું. પ્રે.કૃ.માં નોંધાયું છે તેમ – ‘આપણાંમાં તે ગણાયો હતો, અને આ સેવા કાર્યોમાં તેને લાભ મળ્યો હતો’. છતાં યહૂદા દેખીતી રીતે ઈસુથી નજીક હતો પણ ખરેખર દૂરનો દૂર જ  રહ્યો. તેનો સ્વાર્થી અને લોભી સ્વભાવ, તેનો અહમ તેના પર હાવી રહ્યો. લાસ્ટ સપરના સમયે પ્રભુ ઇસુ શિષ્યોના પગ ધૂએ છે, યહૂદાના પણ … છેલ્લી ક્ષણ સુધી પ્રભુ ઈસુએ યહૂદાને પ્રેમ કર્યો. યહૂદાના પગ ધોવા એ ઈસુની છેલ્લી અપીલ હતી;  – ‘ I LOVE YOU JUDAS’ Come back …!! પ્રભુએ તેના પગ ધોયા પણ તે અંદરથી શુદ્ધ થયો નહોતો. ઈસુએ એટલે જ કહ્યું હશે કે – ‘તમે બધા શુદ્ધ નથી’ પ્રભુ ઇસુ એ પણ જાણે છે કે, – ‘તમારામાંના કેટલાક અવિશ્વાસી છે’ (યોહાન 6.64) છતાં યહૂદાને શિષ્ય બનાવવો એ દેવની યોજનાનો ભાગ છે. આ સંદર્ભે પ્રભુ સ્વયં કહે છે કે, – ‘મેં એ જ કારણથી તમને કહ્યું હતું કે પિતા તરફથી તેને આપવામાં આવ્યું ન હોય તો કોઈ મારી પાસે આવી શકતો નથી’. યહૂદા ઈસુ પાસે એ યોજનાના ભાગ રૂપે આવ્યો હશે ? 

પ્રભુ ઈસુ શિષ્યોને અનંતજીવન અને શિષ્યપણાની વાતો કહે છે. પરંતુ  ઈસુની આ માર્મિક અને કઠિન વાતો ન સમજી શકનારા ઘણાં ત્યાર પછી તેમની સાથે ચાલ્યા નહિ (યો.6.66) આ કલમના આંકડા પણ રસપ્રદ અને પ્રતીકાત્મક હોય એમ લાગે છે. 666 (Mark of Beast) Because of what Jesus said many of his disciples turned their back and stopped following him ..’ (CEV) – Then said Jesus unto the twelve, will ye also go away ? (KJV) આ સંદર્ભે આપણને Fake Discipleshipનો પરિચય થાય છે. પ્રભુ ઈસુ જેઓ ખોટા હેતુ સાથે તેમની પાછળ આવતા હતા તેમને ઉદ્દેશીને આ કહે છે કે, – ‘તમારામાંનો એક જણ શેતાન છે.’ ઈસુ અગાઉથી આ સઘળું જાણતા હોવા છતાં એક વિશ્વાસઘાતીને શિષ્ય તરીકે પસંદ કર્યો. કેમ કે ભવિષ્યવચન પૂર્ણ થાય એ જરૂરનું હતું. 

જુઓ – યોહાન 13.18 – ‘આ હું તમારા સર્વેના સંબંધમાં નથી કહેતો; જેઓને મેં પસંદ કર્યા છે, તેઓને હું ઓળખું છું, પણ જે મારી સાથે રોટલી ખાય છે, તેણે મારી સામે લાત ઉગામી છે’ એ શાસ્ત્રલેખ પૂરો થવા સારું એમ થવું જોઈએ. ગીતશાસ્ત્ર 41.9નું સંદર્ભિત એ વચન જુઓ – ‘હા, મારો ખાસ મિત્ર, જેનો મને ભરોસો હતો, જે મારી સાથે રોટલી ખાતો હતો, તેણે મારી સામે લાત ઉગામી છે’. યહૂદા ઇસ્કારિયોત સંદર્ભે પ્રે.કૃ. 1.16ના વચન પ્રમાણે  –‘ દાઉદના મુખ દ્વારા પવિત્ર આત્માએ અગાઉથી જે કહ્યું હતું તે શાસ્ત્રવચન પૂર્ણ થવાની અગત્ય હતી.’

સંત પાઉલ ચારે ય સુવાર્તાઓના સંદર્ભે નોંધે છે, કે ભાગ્ય પ્રથમથી જ નિશ્ચિત – નિર્માણ થયેલું છે. જુઓ પ્રે.કૃ. 4.27 – ‘ …. તારો પવિત્ર સેવક ઈસુ જેને તેં અભિષિક્ત કર્યો, તેની વિરુદ્ધ હેરોદ તથા ઈસ્ત્રાએલી લોક સહિત આ શહેરમાં એકઠા થયા, જેથી તારા હાથે તથા તારા મનસૂબાઓ જે થવાનું આગળથી નિર્માણ થયું હતું તે સઘળું તેઓ કરે.’ દેવની ઈચ્છા માનવજાતને ત્યાગ અને સેવાનું મહાન ઉદાહરણ આપવાની હતી. તેમની આ યોજના પોતાના પુત્ર પ્રભુ ઈસુ દ્વારા તેમણે પૂર્ણ કરી, જુઓ  યશાયા – 53.10માં પ્રબોધક નોંધે છે કે, … ‘તો પણ યહોવાહની મરજી તેને કચરવાની હતી.’

યોહન 13.21માં ફરી ઈસુ ઈંગિત કરતાં કહે છે કે – ‘હું તમને ખચીત ખચીત કહું છું, કે તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે …’ શિષ્યોમાં આ સંદર્ભે સંદેહ જન્મે છે માટે પિતર પૂછે છે ત્યારે એનો ઉત્તર આપતાં ઈસુ કહે છે. – ‘..હું કોળિયો બોળીને જેને આપીશ, તે જ તે છે. પછી કોળિયો બોળી તે સિમોન ઇસ્કારિયોતના દીકરા યહૂદાને આપે છે … ઇસુ તેને કહે છે, કે તું જે કરવાનો છે, તે જલદી કર’. યહૂદા પોતે આખું  ષડ્યંત્ર જાણતો હોવા છતાં દંભનો અંચળો ઓઢી અજાણ રહે છે. જ્યારે શિષ્યોના મનમાં યહૂદા પ્રત્યે અવિશ્વાસ નહોતો એટલે આ વાત શિષ્યોની સમજ બહાર હતી.

યહૂદા તે મનહૂસ રાતે  ગેથશેમાનમાં  પ્રભુ સાથે વિશ્વાસઘાત કરી, પરસ્વાધીન કરે છે. અહીં રાત મૃત્યુના પ્રતીક તરીકે આવે છે. રાત – અસદ, અજ્ઞાન, અંધકાર અને મૃત્યુનું પ્રતીક છે. જુઓ યહૂદા લાસ્ટ સપર પછી રાત્રે ચાલ્યો જાય છે અને તે રાત્રે  જ યાજકો અને ફરોશીઓ સાથે આવે છે અને ઓળખની નિશાની રૂપે  પ્રભુ ઈસુના ગાલ પર ચુંબન કરી તેમને પકડાવી દે છે. તે ઈસુની શક્તિઓથી સારી રીતે પરિચિત હતો. તેને બીક હતી કે ઈસુ પોતાનું રૂપ બદલી નાખશે માટે ઓળખરૂપે ગાલ પર ચુંબન કરવામાં પણ તેની ચાલાકી હતી. ઈસુને પકડનાર પ્રમુખ યાજકના ચાકર પર સિમોન પિતર હુમલો કરે છે ત્યારે પ્રભુ ઈસુ તેને રોકતાં અને ચાકરના કાનને સાજો કરતાં કહે છે કે, – ‘… તો ધર્મલેખોમાં જે લખેલું છે, કે એવું થવું જ જોઈએ, તે કેવી રીતે પૂરું થશે ?’ (માત્થી 26.54) એટલું જ નહિ, પોતાને આ રીતે પકડવા પર પણ ઈસુ કહે છે કે, – ‘હું રોજ મંદિરમાં બેસીને બોધ કરતો હતો તો પણ તમે મને પકડ્યો નહોતો, પણ પ્રબોધકોના લેખો પૂરા થાય માટે આ બધું થયું છે.’ (માત્થી 26.55,56) અહીં આ ઘટના પ્રભુ યહોવાહની યોજનામાં બની હોવાની સાબિતી સ્વયં ઈસુ આપે છે. યહૂદા આ દુ:ખદ ઘટનાનો કમભાગી ભાગીદાર બને છે. શું યહૂદાને દેવે નિમિત્ત બનાવ્યો હતો ?

પ્રભુ ઈસુના જન્મ, જીવન અને મૃત્યુ સંબંધી પૂર્વે જે ભવિષ્યવાણીઓ થઈ હતી, તેની સાથે યહૂદા ઇસ્કારિયોતના વિષે પણ ભાવિકથન થયાં છે ! જેમ કે ઈસુના જન્મના 600 વર્ષ પૂર્વે પ્રબોધક ઝખાર્યા પોતાના પુસ્તકમાં નોંધે છે તે પ્રમાણે – ‘મેં તેઓને કહ્યું, જો તમને ઠીક લાગતું હોય તો મને મારો પગાર આપો … …. ત્યારે તેઓએ મારા પગારના ત્રીસ રૂપિયા તોળી આપ્યા. પછી યહોવાહે મને કહ્યું, કે તેઓએ તારું મોટું મૂલ્ય કર્યું છે તે કુંભાર પાસે ફેંકી દે, અને મેં તે ત્રીસ રૂપિયા લઈ તેમને કુંભારની પાસે યહોવાહના મંદિરમાં ફેંકી દીધા’ (ઝખાર્યા 11.12,13 ) પ્રબોધક દ્વારા યહોવાહે કરેલી આ ભવિષ્યવાણીમાં યહૂદા દ્વારા ઈસુ સાથેના વિશ્વાસઘાત અને પરસ્વાધીન કરવાની ઘટના અને તેનું પરિણામ સૂપેરે વ્યક્ત થયું છે. પછીથી માત્થી આ ઘટનાની નોંધ આ પ્રમાણે લે છે. – ‘ત્યાર પછી તે અપરાધી ઠરાવાયો એ જોઇને તેને પરસ્વાધીન કરનાર યહૂદાહને પશ્ચાતાપ થયો, ને પેલા ત્રીસ રૂપિયા મુખ્ય યાજકો તથા વડીલોની પાસે પાછા લાવીને કહ્યું, કે નિરપરાધી લોહી પરસ્વાધીન કર્યાથી મેં પાપ કર્યું છે. ત્યારે તેઓએ તેને કહ્યું, કે તેમાં અમારે શું ? તે તું જાણે. પછી મંદિરમાં રૂપિયા ફેંકી દઈને તે નીકળ્યો; અને જઈને ગળે ફાંસો ખાધો. ત્યારે મુખ્ય યાજકોએ તે રૂપિયા લઈને કહ્યું, કે એ લોહીનું મૂલ્ય છે માટે ભંડારમાં નાખવા ઉચિત નથી. પછી તેઓએ મનસૂબો કરીને પરદેશીઓને દાટવા સારું તેનું કુંભારનું ખેતર વેચાતું લીધું. તે માટે આજ સુધી તે ખેતર લોહીનું ખેતર કહેવાય છે.’ (માત્થી 27. 3-8) અહીં યિર્મેયાહ પ્રબોધકની ભવિષ્યવાણી પણ સત્ય ઠરી કે ‘જેનું મૂલ્ય ઠરાવવામાં આવ્યું … … તેના મૂલ્યના ત્રીસ રૂપિયા તેઓએ લીધા; અને જેમ પ્રભુએ મને હુકમ કર્યો તેમ કુંભારના ખેતરને સારું મેં તે આપ્યા.’ આ ઉપરાંત ગીતશાસ્ત્રના કર્તા રાજા દાઉદ પ્રતીકાત્મક રીતે નોંધે છે, કે – ‘તેની રહેવાની જગા ઉજ્જડ થાય, અને તેમાં કોઈ ન વસે … ગી.શા. 69.25) … તેનું અધ્યક્ષપદ બીજો લે; અને તેનું નામ જીવનના પુસ્તકમાંથી ભૂંસી નાખવામાં આવે. તો વળી, પ્રે.કૃ. 1.18,19 માં સંત પાઉલ પણ આ સંદર્ભે નોંધે છે, કે – ‘એ માણસે પોતાની દુષ્ટતાના બદલામાં મળેલા દ્રવ્યમાંથી એક ખેતર વેચાતું લીધું; અને ઊંધો પડીને વચમાંથી ફાટી ગયો; ને તેનાં બધાં આંતરડા નીકળી પડ્યાં’ યરુશાલેમના લોકોએ જ્યારે જાણ્યું ત્યારે તે જગ્યાનું નામ તેઓની ભાષામાં ‘આકેલદામા’ એટલે ‘લોહીનું ખેતર’ પાડ્યું. આમ ઉપરોક્ત હકીકત જોતાં, યહૂદાહ દેવના ચોક્કસ કાર્યને અર્થે, નિમિત્તરૂપે પસંદ કરવામાં આવ્યો હશે  તેવું લાગે છે. યહૂદા સાડા ત્રણ વર્ષ પ્રભુ ઇસુ સાથે રહ્યો છતાં … તે ન બદલાયો અંધકારમાં ચાલ્યો અને ‘અંધકારમાં જે ચાલે છે તે પોતે ક્યાં જાય છે તે જાણતો નથી’. (યો.13.35 ) તેની આ ઐતિહાસિક ભૂલનું પરિણામ તો આપણે ઉપર જોયું જ છે. એક પાપ, માત્ર એક જ પાપ માણસને સ્વર્ગથી દૂર રાખી શકે છે. વાસ્તવિક શિક્ષા કરતાં વધારે ભયંકર તો માનવમનની ચિંતા, તણાવ અને  આંતરિક યાતના હોય છે. પોતાના ભયંકર પાપની આત્માનુભૂતિ થતાં જ,  તે આત્મહત્યા કરી જીવનનો અંત આણે છે અને અપમાનજનક મૃત્યુને વરે છે. પરંતુ એનું આ કૃત્ય પાછળ અનેક  પ્રશ્નો  છોડી જાય છે. જેમ કે, –

–  યોગ્ય ધાર્મિક વાતાવરણ અને આધ્યાત્મિક વિશેષાધિકાર મળવા માત્રથી માણસના હૃદયનું બદલાણ થતું નથી. માત્ર પ્રભુ પ્રભુ કરવાથી દેવના રાજ્યમાં પ્રવેશ મળતો નથી. જુઓ પ્રભુ ઇસુ કહે છે, કે – ‘તે દિવસે ઘણાં મને કહેશે કે, પ્રભુ, પ્રભુ, શું અમે તારે નામે પ્રબોધ કર્યો નથી ? … અમે તમારે નામે ઘણાં પરાક્રમી કામો કર્યા નથી ? ત્યારે હું તેઓને સાફ કહીશ કે, …. ઓ ભૂંડું કરનારાઓ, તમે મારાથી દૂર જાઓ’ (માત્થી 7.21-23)  યહૂદાએ પ્રબોધ કર્યો, ભૂત કાઢ્યા, સાજાપણાંનાં કામ પણ કર્યા પણ આંતરિક શુદ્ધિ પામ્યો નહિ, પોતાના અહં અને સ્વાર્થી સ્વભાવનો ગુલામ બની રહ્યો; પ્રભુ ઈસુએ યહોવાની આજ્ઞાનુસાર દરેક શિષ્યની સંભાળ લીધી અને રક્ષણ કર્યું હતું. પણ યહૂદા  પ્રભુને રસ્તે ચાલ્યો નહિ, જેથી શાસ્ત્રવચન પૂર્ણ થવા સારું વિનાશના પુત્રનો નાશ થયો. યોહાન યહૂદાને વિનાશનો પુત્ર કહે છે (Son of Destruction).

યહૂદાના જીવનમાંથી મળતો બોધપાઠ એ છે, કે આપણને મળતી તક અને ચેતવણીનો સતત નકાર માણસને ભયાનક વિનાશ તરફ દોરી જાય છે. ધાર્મિક વાતાવરણમાં રહેવાથી કે આધ્યાત્મિક વિશેષાધિકાર મળવાથી માણસના હૃદયનું બદલાણ થશે જ એની કોઈ ખાતરી નથી. પ્રભુ ઈસુ સાથે સાડા ત્રણ વર્ષ રહેનાર, ધાર્મિકતાનો અંચળો ઓઢીને ફરનાર યહૂદા જ વિશ્વાસઘાતી નીકળ્યો. જો આપણને સોંપાયેલ કાર્ય આપણે ન કરીએ તો કોઈ બીજો એ કરશે. If you don’t finish your assignment somebody will do. યહૂદાને પ્રભુ ઈસુએ જે સેવાકાર્યો સોંપ્યા તે છોડી તે પતનના માર્ગે આગળ વધ્યો. પરિણામ સ્વરૂપે પ્રભુની સંગત, સ્નેહ અને શિષ્યપણું ગુમાવ્યું. જુઓ શિષ્યો પ્રાર્થના કરી પ્રભુને પૂછે છે ,કે  –‘ જે સેવા તથા પ્રેરિતપદમાંથી યહૂદા પતિત થઈને પોતાને ઠેકાણે ગયો, તેની જગા પૂરવાને (બાર્સબાસ અને માત્થીઅસ) આ બેમાંથી કોને તેં પસંદ કર્યો છે તે અમને દેખાડ. પછી તેઓએ તેઓને વાસ્તે ચિઠ્ઠીઓ નાખી, એટલે માત્થીઅસના નામની ચિઠ્ઠી નીકળી; પછી અગિયાર પ્રેરિતોની સાથે તે પણ પ્રેરિત  ગણાયો.’ (પ્રે.કૃ. 1.25,26) યહૂદા પૈસાને જ પરમેશ્વર માનતો હતો. તેણે પૈસાને પ્રમુખ અને પ્રભુને ગૌણ સ્થાને મુક્યા!! You can not  place God second place. શક્તિ કરતાં શુદ્ધતા અને ચમત્કાર કરતાં ચરિત્ર વધુ મહત્ત્વનાં હોય છે. વ્યક્તિની મલીન મહત્ત્વાકાંક્ષા આખરે મોત તરફ લઈ જાય છે. યહૂદા ઇસ્કારિયોતનું જીવન એનું યથાર્થ ઉદાહરણ છે. જુઓ એ લોભી હતો, દંભી હતો, ચોર હતો પણ ખૂની કે વિશ્વાસઘાતી તરીકે જાણીતો નહોતો. પણ હવે સદાને માટે એની એ જ ઓળખ બની ગઈ. ઈશ્વરનો ઇરાદાપૂર્વકનો નકાર એ અહમ્‌ની પરાકાષ્ઠા છે. તેનો ‘I’ કેપિટલ છે. યહૂદાને પોતાના વિષેનો ઘણો ઊંચો અભિપ્રાય હતો. એ ઈસુને માત્ર એક ઉપદેશક કે ગુરુ (Rabbai) જ ગણાતો; એટલે તો તેણે ઈસુને ક્યારે ય પ્રભુ નથી કહ્યા !! તેનો દૃષ્ટિકોણ દુન્યવી ને સંકીર્ણ હતો, ભારતીય સાંખ્યદર્શન અનુસાર માણસની સત્વ, રજસ અને તમસ એમ ત્રણ પ્રકૃતિ હોય છે. યહૂદા તામસિક પ્રકૃતિનો હતો. તામસિક એ આસુરીવૃત્તિ છે. જે શેતાનિયત, હિંસા, ભ્રમણા, વિનાશકતા, અજ્ઞાન અને નકારાત્મકતાથી ભરેલ હોય છે. પોતાના આ સ્વભાવનો તે ગુલામ બન્યો, જેને કારણે, દેવના રાજ્ય અને અનંતજીવનની વાતો તેને માટે સમજ બહારની હતી. એનો અભિમાની સ્વભાવ અને શેતાની મન તેને પસ્તાવો કરતાં રોકે છે. પાપનું પ્રાયશ્ચિત કરી પાછો ન ફરનાર યહૂદા અંતે નાશમાં જાય છે. એક સામાન્ય વ્યક્તિ તરીકે આપણે કોઈ પણ સંજોગોમાં શરમ સાથે, પાપ સાથે, ગુના સાથે ગમે તે પરિસ્થિતિમાં પણ ઈસુ પાસે પાછા ફરવું જ રહ્યું. કેમ કે પ્રભુ ઈસુ ઈચ્છે છે, કે – ‘…. તમે નિર્બુધ્ધની પેઠે નહિ, પણ ડાહ્યા માણસની પેઠે ચાલો; સમયનો સદુપયોગ કરો, કેમ કે દહાડા ભૂંડા છે.

સી.યુ. શાહ આર્ટસ કોલેજ, અમદાવાદ – 380 001   
e.mail : arvindvaghela1967@gmail.com

Loading

17 April 2025 અરવિંદ વાઘેલા
← સરપંચ પતિપ્રથા મહિલા અનામતના હેતુને નબળો પાડે છે
ગુજરાત સરકાર જ ગુજરાતી ભાષાની ઘોર ખોદી રહી છે …  →

Search by

Opinion

  • ચોપાસ પ્રદૂષણ અને પ્રદૂષણ નિયંત્રણનું વણવપરાયેલ ફંડ!
  • કોઈ દલિત અધિકારી પણ ન કરી શકે તેવું  કામ પ્રવીણ ગઢવીએ કર્યું !
  • સાર્થક જલસામાં ‘જલસી પડી ગઈ !’
  • સોક્રેટિસ ઉવાચ-૮  : સોક્રેટિસ અને ભારતીય રાજકારણી વચ્ચે એક કાલ્પનિક સંવાદ
  • જમીન 

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • બાપુ અને બાદશાહ 
  • ચિકિત્સક બાપુ
  • બાપુ અને બડેદાદા
  • રાષ્ટ્રપિતા
  • ગાંધીજીનો ઘરડો દોસ્ત

Poetry

  • હાલો…
  • એક ટીપું
  • સાત કાવ્યો
  • એમના પગના તળિયામાં દુનિયાનો નકશો છે
  • બે કાવ્યો

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved