જિતેન્દ્ર દેસાઈ સ્મૃતિ વ્યાખ્યાનમાળા
નવરોઝ કોન્ટ્રાક્ટર :
સૌને નમસ્કાર. અહીં હું રોહિન્ટન નરીમાનનો પરિચય કરાવતાં ગૌરવ અનુભવું છું. જિતેન્દ્ર દેસાઈની સ્મૃતિમાં થઈ રહેલું આ પ્રથમ વક્તવ્ય છે. આ સ્મૃતિ-વક્તવ્યોની હારમાળા આપણે જિતેન્દ્ર દેસાઈની સ્મૃતિમાં આરંભીએ છીએ. જિતેન્દ્રભાઈનું જીવન ગાંધીસાહિત્યના સંરક્ષણ અને તેના પ્રચાર-પ્રસાર અર્થે વીત્યું. નવજીવનમાં નાના કાર્યની શરૂઆતથી તેઓ મૅનેજિંગ ટ્રસ્ટીના પદ સુધી પહોંચ્યા. તેમણે પાંચ દાયકા સુધી નવજીવનમાં સેવા આપી. હવે તેમના દીકરા વિવેક દેસાઈ મૅનેજિંગ ટ્રસ્ટી છે. નવજીવન વાણીસ્વાતંત્ર્ય, મુક્ત અખબારો અને કૉપીરાઇટ સુરક્ષાના મુદ્દે હંમેશાં મુખર રહ્યું છે. અને એટલે ભારત સરકાર દ્વારા લાદવામાં આવેલી કટોકટી વિરુદ્ધ જ્યારે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો પ્રકાશિત કરવાની વાત આવી ત્યારે જિતેન્દ્રભાઈએ છાપવાના જોખમ સાથે પણ તે પ્રકાશિત કર્યો હતો.
૧૯૮૦ના અરસામાં રિચર્ડ ઍટનબરો ‘ગાંધી’ ફિલ્મ નિર્માણ કરી રહ્યા હતા ત્યારે જિતેન્દ્રભાઈએ નિર્માતાઓ પાસે ફિ
લ્મના કથાવસ્તુ બાબતે નવજીવન ટ્રસ્ટને રૉયલ્ટી મળવી જોઈએ તેવી માંગણી કરી હતી. તેઓ ગાંધીસાહિત્ય અંગે હંમેશાં સંવેદનશીલ રહ્યા, તેમ છતાં ૨૦૦૯માં ગાંધીજીનાં લખાણ કૉપીરાઇટથી મુક્ત થયાં ત્યારે તેમણે કૉપીરાઇટ જાળવી રાખવા સામે કોઈ અરજ ન કરી. તેઓ માનતા હતા કે ગાંધીજીનું લખાણ માત્ર નવજીવન પૂરતું નથી, બલકે તે સૌ માટે છે. ગાંધીજીના સંદેશાના પ્રચાર-પ્રસાર અર્થે જિતેન્દ્ર દેસાઈના નેતૃત્વમાં ગાંધીજીની આત્મકથા દેશની ૧૭ ભાષામાં અનુવાદિત થઈ. આ ઉપરાંત, આ પ્રકલ્પ અંતર્ગત વિદેશની અલગ-અલગ ૩૦થી વધુ ભાષાઓમાં આત્મકથાના અનુવાદ માટે નવજીવન દ્વારા મંજૂરી આપવામાં આવી. નવજીવન હાલમાં ફોટો-પેઇન્ટિંગ ગૅલરી અને ફોટોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ ધરાવે છે. આ બધું અંતે ગાંધીકાર્યના પ્રચાર-પ્રસાર અર્થે છે. આજના વક્તવ્ય સંદર્ભે વાત કરીએ તો નવજીવન ટ્રસ્ટ અંતર્ગત કાર્યરત ‘સ્કૂલ ઑફ જર્નાલિઝમ’ દ્વારા તે યોજાયું છે. હું પણ તેનો હિસ્સો છું. તેઓએ મને રોહિન્ટન નરીમાનનું વક્તવ્ય યોજવા માટે વિનંતી કરી. તે કારણે આ શક્ય બન્યું છે.
રોહિન્ટન નરીમાનનો ટૂંકો પરિચય આપું છું. રોહિન્ટન નરીમાન ૧૩ ઑગસ્ટ ૧૯૫૬ના રોજ જાણીતા પારસી ફલી નરીમાનને ત્યાં જન્મ્યા. તેમનાં ઉદારહૃદયી અને સુંદર માતાનું નામ બાપ્સી નરીમાન છે. તેમનું આરંભનું શિક્ષણ મુંબઈમાં કેથેડ્રલ ઍન્ડ જોહ્ન કેનન સ્કૂલમાં થયું. રોહિન્ટન નાની વયે પારસી પુરોહિતવિધિ શીખ્યા. આ માટે તેમણે અતિકઠિન કેળવણી અને ધ્યાનાભ્યાસ કર્યો. રોહિન્ટને તેમનાં બહેનની આધ્યાત્મિક વિધિ જાતે પુરોહિત તરીકે કરી હતી. પછીથી તેમણે શ્રીરામ કૉલેજ ઑફ કૉમર્સમાંથી બી.કૉમ.ની ડિગ્રી મેળવી અને લૉ યુનિવર્સિટી — દિલ્હીમાંથી કાયદાની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ કાયદાની ડિગ્રીમાં પોતાની બૅચમાં બીજા ક્રમે આવ્યા હતા. માસ્ટર ડિગ્રી અર્થે તેઓ અમેરિકાની હાવર્ડ લૉ સ્કૂલમાં ગયા. જાણીતા ઍડવોકેટ આર્ચિબાલ્ડ કોક્સ[Archibald Cox]ના માર્ગદર્શન હેઠળ તેમણે પોતાનો થીસિસ તૈયાર કર્યો. આ થીસિસ લખ્યો ત્યારે તેમની ઉંમર પચ્ચીસ વર્ષની હતી. ભારત અને અમેરિકાના બંધારણની સરખામણી કરતા વિષય પર તેમણે કામ કર્યું, જેમાં તેમણે અમેરિકાના અશ્વેત અને ભારતના દલિત વર્ગ સાથે થયેલાં વર્તનને વિષય તરીકે અભ્યાસમાં લીધો હતો.
વર્ષ ૧૯૭૯માં તેમણે ‘બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા’માં પ્રવેશ મેળવ્યો. અને તે વખતે ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’એ તેમને દેશના ખ્યાતનામ દસ વકીલોમાં સ્થાન આપ્યું. ૩૭ વર્ષે તેઓ સિનિયર કાઉન્સિલર બની ચૂક્યા હતા; જ્યારે ખરેખર સિનિયર કાઉન્સિલમાં પ્રવેશવાની વયમર્યાદા ન્યૂનતમ ૪૫ની હતી. તત્કાલીન સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ વેંકટરામૈય્યાએ તેમની ઉંમરને અનુલક્ષીને નિયમ સુધ્ધાં બદલ્યા. રોહિન્ટન નરીમાન ૨૦૧૧માં સૉલિસિટર જનરલ તરીકે નિમાયા અને તેમણે ફેબ્રુઆરી, ૨૦૧૩માં રાજીનામું આપ્યું. એવું કહેવાય છે કે કાયદા મંત્રી અશ્વિનકુમાર સાથે તેમને રુચ્યું નહોતું. ૭ જુલાઈ ૨૦૧૪ના રોજ તેઓ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા અને તેમણે પાંચસોથી વધુ ચુકાદાઓ આપ્યા છે.
મને યાદ છે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા પછી જ્યારે હું તેમના દિલ્હી સ્થિત નિવાસે બેઠો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે આ એક બીજી નોકરીની જેમ જ છે. રોહિન્ટન આપણા દેશમાંના શ્રેષ્ઠતમ ન્યાયાધીશોમાંના એક છે અને તેઓ પારસી અને જૈન ધર્મનો ઊંડો અભ્યાસ ધરાવે છે. તેમને પશ્ચિમી શાસ્ત્રીય સંગીતનો પણ શોખ છે અને તે વિશે ઊંડાણથી અભ્યાસ કર્યો છે. વિશેષ કરીને વિશ્વના અતિપ્રસિદ્ધ સંગીતકાર બીથોવનનાં સંગીત અને જીવન વિશે તો તેઓ અધિકૃત જ્ઞાતા છે. તેઓ અચ્છા વાચક છે અને વ્યંજનોનો પણ શોખ ધરાવે છે. અલગ-અલગ અનુભવ ધરાવતા લોકોની સોબત તેમને પસંદ પડે છે. તેમને રમકડાંની ટ્રેન સાથે પણ રમતાં જોઈ શકો છો. તેમની ન્યાયિક યાત્રામાં તેઓ સતત સત્યને ખોજતા રહ્યા અને અભિવ્યક્તિ — વાણીસ્વાતંત્ર્યના મુદ્દે તેઓ નાયક રહ્યા છે.
•••••••••••
વાણીસ્વાતંત્ર્ય અંગે પૂર્વ ન્યાયાધીશ રોહિન્ટન નરીમાનનું વક્તવ્ય
આજનું વક્તવ્ય હું આપણા પૂર્વ મુખ્ય ન્યાયાધીશ અહમદી[Aziz Mushabber Ahmadi]ની સ્મૃતિમાં સમર્પિત કરું છું. તેઓ આજે [૨ માર્ચ, ૨૦૨૩] અવસાન પામ્યા છે. અહમદી મહાન ન્યાયાધીશ હતા અને તેમને હું ખૂબ પ્રેમથી યાદ કરું છું; કારણ કે તેમનો યુવાનો પ્રત્યેનો વ્યવહાર સદ્ભાવભર્યો રહ્યો. હું પણ તેમાંનો જ એક યુવાન હતો, જેની સાથે તેમણે અતિશય સદ્ભાવ રાખ્યો. તેમના આત્માને શાંતિ મળે.
આજનો વિષય લોકશાહીના મર્મ સુધી પહોંચતા હાર્દ સમો છે. ઘણા લોકોએ એવું માની લીધું છે કે વાણીસ્વાતંત્ર્યની વાત મૅગ્નાકાર્ટા [આઝાદીનું અધિકારપત્ર] સમયથી છે. ઈ.સ. ૧૨૧૫ એ મૅગ્નાકાર્ટાનું વર્ષ છે અને લોકોનું એમ માનવું છે કે મૅગ્નાકાર્ટાની ૩૯ અને ૪૦ની જોગવાઈ મુજબ ઇંગ્લૅંડના ઍંગ્લો-સૅક્સન સમયકાળમાં ન્યાય અને સ્વતંત્રતાની વિભાવનાનો ઝરો ફૂટ્યો. પણ હકીકતે, વાણીસ્વાતંત્ર્ય ઇંગ્લૅંડમાં પણ ઘણું મોડું આવ્યું. મૅગ્નાકાર્ટા મૂળભૂત રીતે તત્કાલીન રાજા જ્હૉન અને તેના ઉમરાવો વચ્ચેના સંઘર્ષ વિશે હતું. સંસદને આજે આપણે જે રીતે ઓળખીએ છીએ તેવા પ્રકારની વ્યવસ્થા ત્યારે નહોતી. સંસદનું તે સ્વરૂપ બનતાં તે પછી તો ઘણી સદીઓ લાગી છે. એટલે ખરેખર વાણીસ્વાતંત્ર્યનો મંચ પ્રથમ વાર ઈ.સ. ૧૬૮૯માં નિર્માણ થયો. ઈ.સ. ૧૬૮૯માં ઇંગ્લૅંડના પ્રથમ ડચ રાજા — ત્રીજા વિલિયમ અને તેની પિત્રાઈ — રાણી મેરી બીજીના શાસનકાળમાં અધિકારોનું આ બિલ [Bill of Rights] પ્રસ્થાપિત થયું. તે બિલ લાવવાનો સંદર્ભ હતો — સરમુખત્યાર રાજા જેમ્સ બીજાને એક પણ ગોળી ચલાવ્યા વગર ઇંગ્લૅંડમાંથી હદપાર કરવાનો. પરંતુ ઈ.સ. ૧૬૮૯ના અધિકારોના આ બિલમાં, વાણીસ્વાતંત્ર્યનો ઉલ્લેખ પ્રજા સંદર્ભે નહોતો થયો. તે માત્ર સંસદસભ્યો અર્થે હતો. અને આમ સંસદમાં વાણીસ્વાતંત્ર્યની ખાતરી આપવામાં આવી હતી. આ મહત્ત્વનો પડાવ છે. તેથી સંસદમાં વાણીસ્વાતંત્ર્યની આ રીતે શરૂઆત થઈ કહેવાય. આ પછી લગભગ એક સદી પછી નાગરિકોને આ અધિકાર મળ્યો — જે અધિકાર રાજ્યની સામે વાપરી શકાય તે માટે માન્યતા મળી. આ માન્યતા ઈ.સ. ૧૭૧૮ના ફ્રાન્સના ક્રાંતિકાળમાં મળી. અને હવે ઈ.સ. ૧૬૮૯ના અધિકારોના બિલના બરાબર સો વર્ષ પછી એટલે કે, ઈ.સ. ૧૭૮૯માં ફ્રાન્સના માનવ અધિકારોના ઢંઢેરામાં ચોક્કસ શબ્દોમાં વાણીસ્વાતંત્ર્યનો ઉલ્લેખ થયો. અને સાથે સાથે એમ પણ કહેવાયું કે તેની ઉપર અંકુશ ત્યારે જ લાદી શકાય જ્યારે જાહેર વ્યવસ્થાનું હિત જોખમાતું હોય.
ઉપરની હકીકત આપણા બંધારણ સંદર્ભે અત્યંત રસપ્રદ છે. એ ઢંઢેરામાં વાણીસ્વાતંત્ર્યના દુરુપયોગના કિસ્સામાં અંકુશ મૂકવો જરૂરી બને તેની યાદી પણ ઉમેરાઈ. અમેરિકાનું બંધારણ ૧૭૮૯માં જાહેર થઈ ચૂક્યું હતું. તેના બે વર્ષ પછી અમેરિકાના બંધારણના પ્રથમ સુધારાના પ્રથમ જોગવાઈ તરીકે વાણીસ્વાતંત્ર્યનો બિનશરતી ઉલ્લેખ થયો. આ બિલ કૉંગ્રેસ એટલે કે અમેરિકાની કેન્દ્રીય ધારાસભાના વિરોધ સંદર્ભે અબાધિત અધિકારો આપતું હતું. તેમાં કહેવાયું કે કૉંગ્રેસ વાણી અને અખબારના સ્વાતંત્ર્યને સીમિત કરતો કોઈ કાયદો લાવી શકે નહીં.
આપણે ઘણી સદીઓ પછી બ્રિટિશ શાસનમાંથી મુક્ત થયા. ૧૯૫૦માં આપણું બંધારણ ઘડાયું, ત્યારે આમુખમાં આપણે સૌથી પહેલાં તો આપણી પ્રજા માટે સાર્વભૌમ, લોકશાહી અને તે પણ પ્રજાસત્તાક તરીકેની ઘોષણા કરી. આમુખમાં સ્પષ્ટ કહેવાયું જે અગત્યનું છે કે : લોકશાહીમાં અને તે પણ પ્રજાસત્તાકમાં, અંગ્રેજ શાસનથી વિપરીત રીતે, આપણે દરેક પુખ્ત વ્યક્તિને મતદાનનો અધિકાર આપ્યો. અને આપણા શાસનના રાષ્ટ્રપ્રમુખ ચૂંટાયેલી વ્યક્તિ બનશે; નહીં કે રાજા. વિશેષ નોંધ લેવી ઘટે કે આ પ્રક્રિયા વિચાર અને વાણીની અભિવ્યક્તિના માધ્યમ દ્વારા થશે, તેવો આમુખમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. બંધારણનું પ્રકરણ ત્રણ જે મૂળભૂત અધિકારો વિશેનું પ્રકરણ છે; તેમાં અનુચ્છેદ ૧૯(૧A) મૂકીને આપણા દેશના નિર્માણકર્તાઓએ વિચાર અને અભિવ્યક્તિ-સ્વાતંત્ર્યના મૂળભૂત અધિકારો આપ્યા. તે રીતે દરેક ભારતીય નાગરિકને અભિવ્યક્તિ અને વાણીની આઝાદી મળી. તે સમયે વાણી અને અભિવ્યક્તિ પરનો અંકુશ ૧૯(૨)ની મૂળ જોગવાઈ પ્રમાણે હતો. તેથી હકીકતમાં એમ બન્યું કે અનુચ્છેદ ૧૯(૧B)માં આપેલો અધિકાર — શાંતિપૂર્વક એકઠા થવાની સ્વતંત્રતા ઉપર અનુચ્છેદ ૧૯(૩)માં અંકુશ મુકાયો હતો. ૧૯(૩) મુજબ એકત્રિત થવાની આઝાદી ઉપર ધારાસભા જાહેર વ્યવસ્થાના હિતમાં વાજબી નિયંત્રણો લાવી શકે. અનુચ્છેદ ૧૯(૩)ની ત્રણેય અભિવ્યક્તિ આરંભમાં ૧૯(૨)માં સમાવિષ્ટ નહોતી. એટલે ૧૯(૨) અનુચ્છેદ મુજબ, વાણી-અભિવ્યક્તિને નિયંત્રિત કરતો કાયદો ચાર પ્રકારનાં જોખમ સામે કરી શકાતો. પ્રથમ રાજ્યના સુરક્ષા અર્થે, બીજું માનહાનિના કારણે, ત્રીજી બાબત નૈતિકતા અથવા તો શિષ્ટાચાર બાબતે અને ચોથી જ્યારે ન્યાયાલયની અવમાનના કરવામાં આવે ત્યારે.
૧૯૫૦માં સર્વોચ્ચ અદાલત દ્વારા છ ન્યાયાધીશોની એક એવી બે ન્યાયપીઠ દ્વારા આપવામાં આવેલા બે ચુકાદા મૂળભૂત રીતે અગત્યના છે. તેમાં પ્રથમ કેસ રોમેશ થાપર વિ. મદ્રાસ રાજ્ય[Romesh Thappar v. State of Madras]નો હતો. તત્કાલીન ન્યાયાધીશ પતંજલિ શાસ્ત્રી [M. Patanjali Sastri] સમક્ષ આ મદ્રાસ ઍક્ટની કોઈ કલમની રજૂઆત થઈ. આ ઍક્ટથી મદ્રાસ રાજ્યમાં અખબારી સામયિકો પર અથવા તેની વિતરણ-વ્યવસ્થા પર પ્રતિબંધ લાદી શકાતો. રોમેશ થાપર ‘ક્રૉસ રોડ’ નામના અખબારના માલિક-તંત્રી હતા. આ અખબાર બૉમ્બેથી પ્રકાશિત થતું અને તેનું છાપકામ મદ્રાસ રાજ્ય સહિત અનેક સ્થળે થતું. મદ્રાસ ઍક્ટ અંતર્ગત જાહેરનામું બહાર પાડીને મદ્રાસ રાજ્યમાં પ્રકાશિત થતા આ સામયિકના વિતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. સર્વોચ્ચ અદાલતને આ જાહેરનામું હટાવવામાં કોઈ મુશ્કેલી ન પડી. મદ્રાસ ઍક્ટની કલમ ૯(૧A)નો તર્ક ૧૯(૩)થી જુદો હતો. ૧૯(૩)માં વાણીસ્વાતંત્ર્ય પર જાહેર વ્યવસ્થા હેતુ નિયંત્રણની જોગવાઈ નહોતી. તેમાં એકમાત્ર અપવાદ રાજ્યની સુરક્ષાનો હતો અને સુરક્ષા રાજ્ય માટે સર્વોપરી છે. ઉદાહરણ તરીકે સ્થાનિક સ્તરે કોઈ તોફાન થયાં હોય તો તે જાહેર વ્યવસ્થાનો મુદ્દો છે. રાજ્યની સુરક્ષા એ દેશની સુરક્ષા સાથે સીધી સંકળાયેલી છે. ૧૯૪૯ના મદ્રાસ ઍક્ટમાં જાહેર વ્યવસ્થાનો અપવાદ સમાવિષ્ટ છે, જે જાહેર અવ્યવસ્થાને અટકાવવા માટે કરેલો છે. એટલે સર્વોચ્ચ ન્યાયાલયે કહ્યું કે, જાહેર વ્યવસ્થાનો અપવાદ અનુચ્છેદ ૧૯(૧A)માં નથી. અને તેથી તેમણે મદ્રાસ ઍક્ટની તે કલમ રદ્દબાતલ ઠરાવી. જો કે તેઓ ત્યાં સુધી ન અટક્યા, તેમણે વાણીસ્વાતંત્ર્ય વિશે કેટલાંક અગત્યનાં અવલોકન કર્યાં, જે આજે નોંધપાત્ર રીતે પ્રસ્તુત છે. પ્રથમ તેમણે કહ્યું, વિચારોનો પ્રસાર એ વાણીસ્વાતંત્ર્યનું હાર્દ છે. બીજું તેમણે કહ્યું, લોકશાહી સાથે વાણીસ્વાતંત્ર્યને જોડવું અત્યંત મહત્ત્વનું છે; કારણ કે રાજકીય સંવાદ મુક્ત રીતે ન થાય ત્યાં સુધી લોકશાહી માત્ર નામની હોય; નહીં કે વાસ્તવિક રીતે. ત્રીજી બાબત તરીકે તેમણે અમેરિકાની સર્વોચ્ચ અદાલતનો નીઅર વિ. મિનેસોટા [Near v. Minnesota]-૧૯૩૧નો રસપ્રદ ચુકાદો ટાંક્યો. આ ચુકાદામાં અમેરિકાની સર્વોચ્ચ અદાલતે મુક્ત વાણીના આગવા અંકુશ વિશે વાત કરી હતી. આ વિશે અમેરિકાની સર્વોચ્ચ અદાલતે વાણીસ્વાતંત્ર્ય પરના આગવા નિયંત્રણના મુદ્દે કહ્યું હતું કે, તેનો અમલ માત્ર કડક અને સીમિત મર્યાદામાં જ થઈ શકે. ઉદાહરણ તરીકે જ્યાં યુદ્ધની પરિસ્થિતિ હોય અથવા હિંસાની ઉશ્કેરણી હોય, અથવા આવી કેટલીક પરિસ્થિતિઓ હોય. આ ચુકાદામાં ન્યાયાધીશ હ્યુએ [Charles Evans Hughes] એક સુંદર અવલોકન કર્યું છે કે, વાણીસ્વાતંત્ર્યની હાનિકારક શાખાઓની કાટછાંટ કરવા કરતાં વાણીસ્વાતંત્ર્યની શાખાઓનો પ્રચુર માત્રામાં વિકાસ થાય તે ઇચ્છનીય છે. કારણ કે હાનિકારક શાખાઓની કાટછાંટ કરતાં ફળ આપતી શાખાઓ પણ કપાઈ જાય તેવી શક્યતા છે. એટલે કે આ તમામ અવલોકનોનો આધાર લઈને ભારતની સર્વોચ્ચ અદાલતે વાણીસ્વાતંત્ર્યને સર્વોચ્ચ સ્થાને સ્થાપિત કરી.
તેના જેવો એક અન્ય ચુકાદો બ્રિજભૂષણ વિ. પંજાબ રાજ્ય[Brij Bhushan v. State of Punjab]નો છે. તે વખતે પૂર્વ પંજાબ ઍક્ટ હતો, જે અંતર્ગત અખબાર કે લેખ વિતરિત થાય તે અગાઉ સરકાર દ્વારા તેને સેન્સર કરવામાં આવતો. આ ઍક્ટને પણ રોમેશ થાપરના કેસમાં લાગુ પાડેલા તર્કથી રદ્દ ઠરાવવામાં આવ્યો હતો. પૂર્વ પંજાબ ઍક્ટમાં પણ જાહેર સુરક્ષા અને વ્યવસ્થાની જોગવાઈ હતી. પરંતુ બંધારણમાં વાણીસ્વાતંત્ર્ય પર નિયંત્રણ મૂકી શકાય તેવા અપવાદોમાં જાહેર વ્યવસ્થા નહોતી. તેથી આ કારણસર પૂર્વ પંજાબની જોગવાઈ રદ્દબાતલ ગણી અને મદ્રાસ ઍક્ટના ચુકાદામાં આપેલાં અવલોકનો અહીંયાં ફરી મૂક્યાં. ફક્ત એક વિદ્વાન ન્યાયાધીશ ફઝલ અલી[Fazal Ali]એ તે વિશે સ્વતંત્ર છણાવટ કરી.
આ બંને ચુકાદાના પગલે તરત જ બંધારણના અનુચ્છેદનો પ્રથમ સુધારો આવ્યો. એ સુધારાની પહેલ જવાહરલાલ નેહરુએ કરી હતી, તે પણ તેઓ ચૂંટાયા હતા તે પહેલાં. આપણી પ્રથમ ચૂંટણી ૧૯૫૨માં થઈ અને તેથી બંધારણસભા અંતરીમ લોકસભા તરીકે કાર્યરત હતી. તે અંતરીમ લોકસભાએ આ અગાઉ સુધારાનો પ્રસ્તાવ મૂક્યો. તેના ઉપક્રમે અનુચ્છેદ ૧૯(૨)ને, ૧૯(૩) અનુચ્છેદ સાથે સુસંગત બનાવી સમતુલા જાળવવાના પગલાં રૂપે વાજબી નિયંત્રણોની જોગવાઈ થઈ. અને તે કારણે પહેલાં જે શબ્દો હતા, ‘…ના સંદર્ભે’ તેની જગ્યાએ ‘…ના હિત માટે’ શબ્દો મૂકવામાં આવ્યા. આ મહત્ત્વનો ફેરફાર હતો, જેણે અનુચ્છેદને મર્યાદિત અર્થમાંથી વ્યાપક ફલક પર મૂકી. પરિણામે, સરકાર જ્યારે પણ મુક્ત અભિવ્યક્તિનું નિયંત્રણ કરે ત્યારે તેવું નિયંત્રણ કરવાનાં કારણોને અનુચ્છેદના વિષય સાથે ઘનિષ્ઠ રીતે સંબંધ હોવો જોઈએ. તેમાં સ્પષ્ટ રીતે આગળ ચર્ચાયેલા ચાર વિષયો ઉપરાંત બીજા ત્રણ વિષયો જોડવામાં આવ્યા. સ્વાભાવિક રીતે જાહેર વ્યવસ્થાનો વિષય ઉમેર્યો. બીજો વિષય ઉમેર્યો તે વિદેશી રાજ્યો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો અને ત્રીજો અગત્યનો ઉમેરો તે ગુનાહિત ઉશ્કેરણીનો.
હવે આપણે ઉશ્કેરણી શબ્દની થોડી છણાવટ કરીએ. ‘ચર્ચા અને હિમાયત’ના શબ્દો ‘ઉશ્કેરણી’થી જુદા છે. વાણીસ્વાતંત્ર્ય પર નિયંત્રણ ત્યારે જ મૂકી શકાય જ્યારે કોઈ વ્યક્તિ કોઈ બીજાને દુષ્કર્મ કરવા માટે ઉશ્કેરણી કરતો હોય. પછીથી ૧૯૬૩માં એક ચોથો પ્રકાર ઉમેરાયો — ‘ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા.’ અને આમ, રોમેશ થાપર અને બ્રિજભૂષણ કેસમાં ન્યાયપીઠે કરેલાં અવલોકનો સાથે ૧૯(૨)ને સુસંગત બનાવી. એક બીજી રસપ્રદ વાત એ છે કે ૧૯૫૦ના સૌપ્રથમ બંધારણીય સુધારામાં બંધારણનો એક ‘બ્લૅક હોલ’ હતો. આ હતી કલમ ૩૧(B)ની જોગવાઈ. જે મુજબ કેન્દ્રીય અથવા રાજ્ય વિધાનસભા કોઈ પગલું ભરે તો તેને ‘બ્લૅક હોલ’માં મૂકવામાં આવે એટલે કે, બંધારણના પરિશિષ્ટ ૯ નીચે મૂકવામાં આવે. જેથી કરીને કોઈ જોગવાઈ કાયદાકીય રીતે હટાવવી હોય અથવા કોઈ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થતું હોય તોપણ તેને પુનર્જીવન મળે. જમીનસુધારાના કાયદામાં પ્રથમ દસ નોંધો ‘બ્લૅક હોલ’ જેવી હતી. અહીં એ નોંધવું જરૂરી છે કે મદ્રાસ ઍક્ટ અને પૂર્વ પંજાબ ઍક્ટ આ ‘બ્લૅક હોલ’માં સમાવિષ્ટ નહોતા, જે ખાસ્સી નોંધપાત્ર વાત છે.
આમ, ધારાસભા સમક્ષ એ સ્પષ્ટ હતું કે જોગવાઈઓમાં જાહેર વ્યવસ્થા સિવાયનાં સ્પષ્ટ અવલોકનો વાણીસ્વાતંત્ર્યના સંદર્ભે હતાં જે વાણીસ્વાતંત્ર્યને અગ્ર સ્થાન આપતા હતા. તેથી આ બંને ઍક્ટ [મદ્રાસ ઍક્ટ અને પૂર્વ પંજાબ ઍક્ટ] કાનૂની રક્ષણ માટે લાયક ઠરતા નહોતા, જ્યારે જમીનના સુધારાની વાત જુદી હતી. ટૂંકમાં આ સાથે વાણી અને મિલકતનો અધિકાર એ બે અધિકારો વચ્ચેનો ભેદ સ્પષ્ટ થયો. આ સજ્જતા સાથે હકીકતે વીરેન્દ્ર વિ. પંજાબ રાજ્ય [Virendra v. The State of Punjab] — ૧૯૫૦માં સારરૂપે એક તારણ આવ્યું. અને પંજાબ ઍક્ટના ૧૯ની પેટાકલમ (૩) જે રોમેશ થાપરના કેસમાં મદ્રાસ ઍક્ટ સાથે મળતી આવતી હતી તેને નવા અનુચ્છેદ ૧૯(૨) નીચે રદ્દબાતલ ઠરાવવામાં આવી. આમ પંજાબ ઍક્ટમાં જાહેર વ્યવસ્થાનો અપવાદ હતો. અને તેને કારણે દૈનિક ‘પ્રતાપ’ અને ‘વીર અર્જુન’ જે પંજાબમાં છપાતાં હતાં, તેનો દિલ્હીમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ હતો. આ કેસમાં પણ રોમેશ થાપરના કેસના ચુકાદામાં સ્પષ્ટ રીતે કહેવાયું હતું જે બાબત ફરી કહેવાઈ, કે બિનશરતી પ્રતિબંધ મુક્ત વાણીથી સંપૂર્ણ વિરોધી વિચાર છે, અને તે દૂર થવો જોઈએ. જ્યાં સુધી પૂર્વસેન્સરશિપને લાગુ પડે છે તે પછીના ચુકાદાઓમાં પણ વિષદ છણાવટ કરીને પ્રસ્થાપિત કરવામાં આવ્યું કે પૂર્વસેન્સરશિપ પણ સીમિત અને કડક મર્યાદામાં જ મૂકી શકાય. આ ચુકાદાઓમાં એક હતો ૧૯૭૧નો કે.એ. અબ્બાસનો કેસ [K.A. Abbas v. The Union of India]. જેમાં સુજ્ઞ ન્યાયાધીશ હિદાયતુલ્લા[M. Hidayatullah]ની વિષદ છણાવટ છે. તે પછી આનંદ પટવર્ધનના કેસનો ચુકાદો પણ આ જ મુદ્દા પ્રસ્તુત કરે છે. ફિલ્મ-નિર્દેશક આનંદ પટવર્ધનને કોઈ એક ખાસ ફિલ્મ દૂરદર્શન પર — જે તે વખતે જાહેર પ્રસારણનું એકમાત્ર સાધન હતું તેના પર — પ્રસારિત કરવાની હતી. દૂરદર્શને વારંવાર તે ફિલ્મ પ્રસારણ કરવાનો ઇન્કાર કર્યો હતો. ફિલ્મ સ્ત્રીઓ સાથે કેવો વ્યવહાર થાય છે તેના વિશે હતી. ખાસ કરીને તે સમયે રૂપકુંવરની ઘટના તાજી બનેલી હતી. જેમાં રૂપકુંવરને પતિની ચિતા પર ધકેલીને સતી બનાવવામાં આવી હતી. આ ઘટના ઘૃણાસ્પદ અને ભયાનક હતી. ફિલ્મમાં આ બધું દર્શાવવામાં આવ્યું હતું. આ કેસ સંદર્ભે સર્વોચ્ચ અદાલતે કહ્યું કે તમારે કંઈ પણ પ્રતિબંધિત કરવો હોય તો પહેલાં એક માપદંડ મૂકવો પડશે. તે માપદંડ એટલે સરેરાશ વ્યક્તિનાં તત્કાલીન સામૂહિક ધોરણોનો માપદંડ. એવી સરેરાશ વ્યક્તિઓ કે જે પ્રખર બુદ્ધિ ધરાવે છે અને ભીરુ નથી.
બીજો માપદંડ તે એ કે ફિલ્મને તેની સમગ્રતામાં જોવી જોઈએ — કોઈક નાનો ટુકડો દર્શાવીને અહીં આ ગુનો બને છે કે પેલો ગુનો બને છે — તેમ કહી શકાશે નહીં. ત્રીજો માપદંડ અશ્લીલતાનાં ધોરણોનું ઉલ્લંઘન થાય છે કે નહીં. જો કે આ મુદ્દે પણ સાહિત્યિક અને કલાની ગુણવત્તા ધ્યાનમાં લઈને તેને મંજૂર ઠરાવી શકાય. એક બીજું વિશેષ અવલોકન તે ચુકાદામાં એ થયું કે વાણીસ્વાતંત્ર્ય બંને પક્ષે લાગુ પડે છે — એક જે વિચારો વ્યક્ત કરે છે તેને; તેમ જ બીજો જેના સુધી વિચારો પહોંચવાના છે તેને. અને વિચારોને ગ્રાહ્ય કરનારા વિશ્વના કોઈ પણ ખૂણે હોઈ શકે.
ટૂંકમાં આ ચુકાદાઓ દ્વારા પૂર્વસેન્સરશિપને વાણીસ્વાતંત્ર્યના મૂળભૂત વિરોધી — દુર્ભાવી વ્યંજના તરીકે જોવામાં આવી. હવે આ વાણીસ્વાતંત્ર્ય વિશે વાત કરીએ ત્યારે સમજવું જોઈએ, વાણીસ્વાતંત્ર્યનો અધિકાર એટલે શું? આપણે આગળ જોઈ ગયા કે આ અધિકારમાં કોઈ પણ પ્રકારના વિચારોના આદાનપ્રદાનનો અધિકાર સમાવિષ્ટ છે. એ માત્ર રાજકીય વિચારો સંદર્ભે જ નથી. એ વિચારો બહોળા અને વ્યાપક સંદર્ભે અભિપ્રેત છે. બીજો મહત્ત્વનો અધિકાર તે આ વિચારોને પોતાના સુધી પહોંચાડવા દેવાનો અધિકાર. અને ત્રીજો, કોઈ વ્યક્તિની વાણી પર રાજ્યનું દબાણ ન હોઈ શકે તે. જેમાં વ્યક્તિને કશુંક કહેવા માટે; અથવા વ્યક્તિએ જે સાંભળવું નથી તે બીજી વ્યક્તિને બોલવા નહીં દેવા માટે — આ બંને બાબતે રાજ્યનું દબાણ ન હોઈ શકે. આ સંદર્ભે અમેરિકાના કેટલાક મહત્ત્વના ચુકાદાઓના દાખલાઓ લઈએ.
સ્ટ્રોમબર્ગ વિ. કૅલિફૉર્નિયા [Stromberg v. California] — ૧૯૩૧ના કેસમાં ૭૨ની બહુમતીથી ચુકાદો આવ્યો હતો. વિવાદનો વિષય હતો સામ્યવાદી ધ્વજ. કોઈ એક નગરની શેરીમાં આ ધ્વજ ફરકાવીને કેટલાક લોકોએ સૂત્રોચ્ચાર કર્યા. પ્રશ્ન એ હતો કે અમેરિકાના બંધારણ અંતર્ગત વાણીસ્વાતંત્ર્યની છૂટ છે તેવા કેસમાં આ મુદ્દો આવે કે નહીં? અને કોર્ટે પાયાનો ચુકાદો આપ્યો કે આવો હક પણ વાણીસ્વાતંત્ર્યમાં મળે છે. કારણ કે બંધારણ શાંતિપૂર્ણ વ્યવસ્થિત રીતે સરકાર ફેરબદલીની સ્વતંત્રતામાં માને છે. અને આવી ફેરબદલી તો જ સંભવી શકે જ્યારે બધા પ્રકારના રાજકીય વિચારોની ચર્ચા સર્વત્ર થઈ શકે. જેથી પ્રજા સરકાર પસંદ કરવાનો નિર્ણય લઈ શકે.
બીજો નોંધપાત્ર કેસ છે ટેક્સાસ વિ. જૉનસન [Texas v. Johnson] (૧૯૮૯) ચુકાદો. આ ચુકાદામાં (૫ વિ. ૪) બહુ પાતળી બહુમતીથી અને સર્વોચ્ચ અદાલતના બે વિરોધી વિચારવાળા ન્યાયાધીશો ભેગા થઈને બહુમતીથી ચુકાદો આપે છે. આ બંનેએ સાથે મળીને ચુકાદો આપ્યો હોય તેવો માત્ર એક પ્રસંગ છે. ન્યાયાધીશ બ્રેનન [William J. Brennan Jr.] ઉદારમતવાદી હતા અને ન્યાયાધીશ સ્કેલીઆ [Antonin Scalia] રૂઢિવાદી હતા. પરંતુ તેમની સામે એક અસાધારણ કોયડો આવીને ઊભો રહ્યો. જેમાં એક વ્યક્તિએ અમેરિકાની ડેનવંડ કોર્ટની બહાર રેગન શાસન વિરુદ્ધ અને રેગન બીજી વખતે ચૂંટણીમાં ઊભા રહે તે વિરુદ્ધમાં અમેરિકાનો ધ્વજ બાળ્યો. રાષ્ટ્રચિહ્નને બાળવું એ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. તેમ ન કરી શકાય. આમાં વળી વિચારસ્વાતંત્ર્યનો સવાલ કેવી રીતે આવે? પરંતુ આ ચુકાદામાં પાંચ વ્યક્તિઓએ કહ્યું કે આવું કરી શકાય. કારણ કે તે પ્રક્રિયા પાછળ લોકોને પીડા પહોંચાડવાનો આશય નથી અને તેથી હકીકતે એ પ્રક્રિયામાં હિંસા નથી. વધુમાં ન્યાયાધીશોએ કહ્યું કે તમે જે કરી રહ્યા છો તે ફક્ત ધ્વજ બાળવાની પ્રક્રિયા નથી, કે અમેરિકાને નીચું દેખાડવાની પ્રક્રિયા નથી. હકીકતે તમે એ પ્રક્રિયા સાથે એમ કહો છો કે, જો રાષ્ટ્રપતિ રેગન ફરી ચૂંટાઈ આવશે તો અમેરિકા રહેવાલાયક દેશ રહેશે નહીં. મને શંકા છે કે આપણી અદાલતો આટલી હદે ક્યારે ય જઈ શકે? જો કે, એટલું જરૂર કહી શકાશે કે અમેરિકાની લોકશાહીને ૨૨૦ વર્ષ થઈ ચૂક્યાં છે અને તેથી એ આવા મુદ્દે બહુમતી ચુકાદાથી પરિપક્વ રીતે મત આપી શકે છે.
આ ચુકાદાથી અલગ થઈને હવે આપણે વાત કરીએ, જેમાં રાજ્ય વ્યક્તિને કશુંક બોલવા માટે દબાણ કરી શકે નહીં. તેના સંદર્ભે ‘જેહોવા સાક્ષી’ કેસની ચર્ચા કરીએ. ‘જેહોવા સાક્ષી’ એ ધાર્મિક લઘુમતી પ્રોટેસ્ટન્ટ જૂથ છે. તેમની એક દૃઢ માન્યતા છે કે ‘સંગઠિત ધર્મ’ એ એક ગંભીર ગુનો છે જે શેતાનનું કામ છે, જે ધર્મને દૂર હડસેલવો જોઈએ. આ જૂથની માન્યતા એ પણ છે કે બાઇબલ મુજબ કોઈ કંડારેલી મૂર્તિ સામે નમન ન કરી શકાય. આ જૂથના સંદર્ભે ૧૯૪૦માં બહુ જાણીતો એવો ગોબાઇટીસ કેસ [Gobitis Case] થયો, જેમાં ‘જેહાવા સાક્ષી’ પંથનાં બાળકોએ શાળામાં રાષ્ટ્રધ્વજને નમન કરવાનો ઇન્કાર કર્યો. આ કેસમાં આઠ વિરુદ્ધ એક બહુમતી ચુકાદાએ કહ્યું કે આ વાણીસ્વાતંત્ર્યને તાણીને ખેંચેલો વિચાર છે. ધ્વજ એ રાષ્ટ્રચિહ્ન છે અને દરેક વ્યક્તિએ ઊભા થઈને તેને સલામ ભરવી જોઈએ. જો તેઓ તેમ ન કરે તો રાષ્ટ્રવાદના નામે પણ આ વસ્તુ સહન ન કરી શકાય. આ ચુકાદામાં ન્યાયાધીશ સ્ટોન [Harlan F. Stone] એકમાત્ર ન્યાયાધીશ હતા, જેમણે વિરોધી નોંધ મૂકી.
આશ્ચર્યજનક રીતે આ પછીનાં ત્રણ વર્ષમાં જ ‘જેહોવા સાક્ષી’ [Jehovah’s Witnesses Case] જેવો બીજો કેસ આવ્યો, જેની હકીકતો આગલા કેસ જેવી હતી. આ કેસમાં છ વિરુદ્ધ ત્રણની બહુમતીથી આગળનો ચુકાદો ઉલટાવી દેવામાં આવ્યો. આ કેસ હતો વેસ્ટ વર્જિનિયા બોર્ડ ઑફ એજ્યુકેશન વિરુદ્ધ બાર્નેટ્ટે [West Virginia State Board of Education v. Barnette]. આ ચુકાદામાં ન્યાયાધીશ જૅક્સને [Robert H. Jackson] બહુમતી વતી બોલતાં બે મહત્ત્વની વાતો કરી હતી. જે બંને મુદ્દા આપણા ઘણા ચુકાદાઓમાં પ્રતિષ્ઠાપૂર્ણ ઉલ્લેખિત થયા છે. પ્રથમ મુદ્દો તેમણે મૂક્યો કે વાણીસ્વાતંત્ર્યનો હક ચૂંટણી અથવા ચૂંટણીના મત પર નિર્ભર કરતો નથી. એ અધિકારમાં બહુમતી જનસમૂહ કે રાજકીય અધિકારીઓને દખલગીરી કરવાનો હક નથી. બીજો મુદ્દો તેમણે કહ્યો કે બંધારણીય નક્ષત્રમાં નિશ્ચિત જગ્યા ધરાવતો આ એવો મુદ્દો છે કે કોઈ પદે બેઠેલા અધિકારી રાજકારણ, રાષ્ટ્રવાદ, ધર્મ અથવા અભિપ્રાયને લગતા બીજા વિષયોમાં શું રૂઢિમાન્ય છે તે ઠરાવી શકે નહીં. તેજસ્વી ન્યાયાધીશના મુખે કહેવાયેલો આ ઘણો મજબૂત ચુકાદો છે. ન્યાયાધીશ જૅક્સન સંભવતઃ અમેરિકાના સર્વોચ્ચ અદાલતના ઇતિહાસમાં એકમાત્ર ન્યાયાધીશ છે, જેમણે પોતાનું પદ છોડીને ન્યૂરેનબર્ગ ટ્રાયલ[Nuremberg Trials]માં પબ્લિક પ્રૉસિક્યૂટરની ભૂમિકા નિભાવી હતી. હકીકતે, આખું ન્યૂરેનબર્ગ ટ્રાયલ આ જ ન્યાયાધીશની આસપાસ વણાયેલું છે જે ટ્રાયલ પછી તેઓએ અમેરિકાની સર્વોચ્ચ અદાલતમાં ફરી જવાબદારી સંભાળી. કમનસીબે કેટલાક બીજા સંજોગોના કારણે તેઓ મુખ્ય ન્યાયાધીશ ન બની શક્યા.
આપણા દેશમાં ‘જેહોવા સાક્ષી’ જેવો કેસ બન્યો તે — ૧૯૮૬ના વર્ષમાં બિજોય ઇમેન્યુઅલ [Bijoe Emmanuel & Ors v. State of Kerala]નો. જેમાં એક લઘુમતી જૂથની વ્યક્તિએ રાષ્ટ્રગીત ગાવાની ના કહી. તેણે એમ કહ્યું કે રાષ્ટ્રગીત દરમિયાન સન્માનપૂર્વક ઊભા જરૂર થઈશું, પણ મારી ધાર્મિક માન્યતાઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રગીત ગાઈશ નહીં. આપણી સર્વોચ્ચ અદાલતે આગળના અમેરિકાની કોર્ટના ચુકાદાઓ ધ્યાને લીધા અને ન્યાયાધીશ ચિનપ્પા રેડ્ડીએ ખૂબ જ સુંદર શબ્દોમાં કહ્યું કે — ‘આપણી પરંપરા અને આપણી ફિલસૂફી આપણને સહિષ્ણુતા શીખવે છે અને આપણું બંધારણ સહિષ્ણુતાને આચરણમાં મૂકે છે. તેને આપણે દૂષિત ન કરીએ.’ અદ્ભુત શબ્દો! અને આ ચુકાદાથી તેમણે બાળકોને સન્માનપૂર્વક ઊભાં થવાની, પણ રાષ્ટ્રગીત નહીં ગાવાની છૂટ આપી.
હવે આપણે વાણીસ્વાતંત્ર્યના એક બીજા પાસા પર આવીએ — અખબારી સ્વાતંત્ર્ય. બે કે ત્રણ ચુકાદાઓમાં આપણી અદાલતોએ અખબારોના તરફે મજબૂત ચુકાદાઓ આપ્યા છે. તેમાંનો એક મહત્ત્વનો કેસ વર્ષ ૧૯૬૨નો છે અને તે ‘સકાળ’ અખબારનો. આ કેસનો મુદ્દો હતો : તત્કાલીન કેન્દ્ર સરકારની નીતિ જે મુજબ અખબારનાં દરેક પાનાની કિંમત નિર્ધારિત મર્યાદામાં રાખવાની રહેતી હતી. આ નીતિ કરવાનું કારણ ઇજારાશાહી અટકાવવાનું આપવામાં આવ્યું હતું. જેના પરિણામે મોટાં અખબારો માપમાં રહે અને નાનાં અખબારોને વિકસવાની તક મળે. સર્વોચ્ચ અદાલતે આ વાત સ્વીકારી નહીં. આ સંદર્ભે સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટપણે જણાવ્યું, જ્યારે અખબારની કિંમત ઘટાડો ત્યારે અનિવાર્ય રીતે દૈનિકનાં પાનાંની સંખ્યા ઓછી થાય છે, તેથી આ પ્રકારનો વિચાર એ દૈનિકના વિતરણમાં સીધી દખલગીરી છે. પાનાંની સંખ્યા ઘટાડવી વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય સાથે સીધી દખલગીરી છે. આ ભૂમિકા સાથે સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારની, દૈનિકની કિંમતને મર્યાદિત રાખવાની નીતિને રદ્દબાતલ ઠરાવી.
સર્વોચ્ચ અદાલતનું બીજું મહત્ત્વનું અવલોકન કે : બીજા મૂળભૂત અધિકારો જે સામાન્ય જનસમૂહના હિતમાં બનાવેલા કાયદાઓને આધીન છે, તેનાથી વિપરીત અનુચ્છેદ ૧૯(૨)માં સામાન્ય જનસમૂહના હિતની વાત નથી. પરંતુ તેમાં આઠ ચોક્કસ મુદ્દાની વાત છે. જે મુદ્દાઓની મર્યાદાઓમાં કાં તો વાણીસ્વાતંત્ર્યનું ઉલ્લંઘન આવે છે કે નથી આવતું. ઊભો થતો ઇજારો એ આઠમાંથી એકેય મુદ્દા નીચે આવતો નથી. તેથી કરીને વાણીસ્વાતંત્ર્યનો અધિકાર અબાધિત રહે છે. કેટલાંક વર્ષો પછી બેનેટ કોલોમેનના કેસ[Bennett Coleman Co. v. Union of India]માં મારા પિતાજી ઍડિશનલ સૉલિસિટર જનરલ હતા. એક યુવાન ઍડિશનલ સૉલિસિટર જનરલ તરીકે તેમણે પીઢ અને પ્રભાવી નાની પાલખીવાલા સામે રજૂઆત કરી હતી, અને ‘સકાળ’ દૈનિક જેવા મુદ્દામાં બચાવ પક્ષે રજૂઆત કરી હતી. તેમની દલીલોથી તેઓ ચારમાંથી એક ન્યાયાધીશ મૅથ્યૂ [Kuttyil Kurien Mathew]ને પોતાના પક્ષે લઈ શક્યા હતા. ચાર વિ. એકનો આ ચુકાદો અખબારી કાગળની આયાત ઉપર મૂકેલા અંકુશને વિશે હતો. અખબારી કાગળની આયાત પર મૂકેલા અંકુશની નીતિથી પાનાંની કિંમત નહીં, પરંતુ પાનાંની સંખ્યા દરેક અંક માટે મર્યાદિત થતી હતી. જેમ કે, એક અંકનાં દસથી વધારે પાનાં ન હોય, આ નીતિને આગળ જોઈ ગયેલા ‘સકાળ’ દૈનિકના કેસની જેમ સર્વોચ્ચ અદાલતે રદ્દબાતલ ઠરાવી અને કહ્યું કે અખબારનું વિતરણ એ વાણીસ્વાતંત્ર્ય સાથે સીધી રીતે સંકળાયેલું છે. અને વિતરણને અંકુશિત કરવાથી મુક્ત અભિવ્યક્તિ સાથે સીધી દખલગીરી થાય છે. વળી, અખબાર છેવટે તો લોકશાહીનો ચોકીદાર છે કારણ કે એ છાપે તે જનસમાજ વાંચે છે અને એ વાંચીને તેનાથી પ્રભાવિત થાય છે.
અમેરિકાની અદાલતમાં ચર્ચાયેલો ન્યૂયૉર્ક ટાઇમ્સ વિ. સલિવાન[New York Times Company v. Sullivan](૧૯૬૪)નો ચુકાદો ઉદારમતવાદી ન્યાયાધીશ બ્રેનને [William J. Brennan, Jr] આપ્યો હતો. આ ચુકાદાને આપણી અદાલતોએ વારંવાર ધ્યાને લીધો છે. કેસમાં વિવાદનો મુદ્દો એ હતો કે અખબારને માનહાનિના નુકસાન માટે જવાબદાર ગણી શકાય કે નહીં. જ્યારે કોઈ વ્યક્તિ ફરિયાદ કરે છે કે જુઓ, તમે મારા વિશે આમ લખ્યું છે, પણ તે સાચું નથી. અમેરિકાની સર્વોચ્ચ અદાલતે આ મુદ્દે અખબારી સ્વાતંત્ર્યનો મજબૂત રીતે રક્ષણ કરતો ચુકાદો આપ્યો : કોઈ વ્યક્તિ વિશે લખાયેલી વાત સ્પષ્ટ રીતે દ્વેષપ્રેરિત હોય એટલે કે લખાણ છાપતી વખતે જાણકારી હોય કે આ સરાસર ખોટી માહિતી છે, અને અખબાર સરાસર ખોટી માહિતી સમજીને તે છાપે છે અથવા સત્યને માટે બેદરકારીપૂર્વક ઉપેક્ષા હોય, જે એવી ધારણા બાંધવા પ્રેરે કે અખબારને છાપતી વખતે માહિતી ખોટી છે એવી ખબર હતી — આટલા સંજોગો બાદ કરતાં અખબારને માનહાનિના નુકસાનની જવાબદારી સામે રક્ષણ મળે છે. આપણા દેશમાં પણ આ જ તર્કને આપણે અનુસરીએ છીએ. આમ જોઈ શકાશે કે વાણી એ જ અભિવ્યક્તિ-સ્વાતંત્ર્યના મુદ્દે કેસ લો ક્રમશઃ વિકાસ પામ્યો છે. અને પ્રસ્થાપિત થયું છે કે આપણા સૌની વચ્ચે વિચારોનો મુક્ત રીતે પ્રસાર થાય. કારણ કે એનો ઉદ્દેશ છે વિચારોની વિવિધતા.
હવે આપણે અનુચ્છેદ ૧૯(૨) થકી વાણીસ્વાતંત્ર્ય ઉપર મુકાતા અંકુશો, આગળ જણાવેલા આઠ મુદ્દાઓ સંદર્ભે વિચાર કરીએ. સૌથી પહેલાં તો એના વિશે કાયદો પસાર કરવાની જરૂર રહે, કારણ કે વહીવટી કાર્યવાહી આવી બાબતે ચાલી શકે નહીં. બીજું એ કે કાયદાથી ઓછી દખલગીરીવાળી પદ્ધતિ નથી મળતી અને અમુક સંજોગોમાં કાયદો અનિવાર્ય બને એ ખાતરી થયા પછી જ કાયદો કરી શકાય. વળી, વિચારેલો કાયદો આગળ જણાવેલા આઠ મુદ્દાઓમાંના કોઈ એક પૈકી સાથે સીધો સંબંધ ધરાવતો હોવો જોઈએ. જો તે વિચારેલો કાયદો આ આઠ વિષયોની બહાર હોય તો તમે એની વિશે કાયદો બનાવી શકો નહીં.
વાણીસ્વાતંત્ર્ય પર અંકુશ લાવવા માટે સરકારને માટે સૌથી ફળદ્રુપ કારણ મળે છે તે ‘જાહેર વ્યવસ્થા’નો મુદ્દો. આપ સૌને યાદ હશે કે પહેલા સુધારાથી ‘જાહેર વ્યવસ્થા’નો મુદ્દો બંધારણમાં ઉમેરવામાં આવ્યો હતો. ‘જાહેર વ્યવસ્થા’નો મુદ્દો અને બીજા બે મુદ્દાઓ ‘કાયદો અને વ્યવસ્થા’ અને ‘રાજ્યની સુરક્ષા’ વચ્ચે સ્પષ્ટ ભેદ છે. ૧૯૬૬ના રામમનોહર લોહિયાના કેસ[Ram Manohar Lohia v. State of Bihar And Others]માં ન્યાયાધીશ હિદાયતુલ્લા[A.K. Hidayatullah]એ આ વાત ખૂબ ચિત્રાત્મક રીતે રજૂ કરી હતી. એમણે કહ્યું કે કલ્પના કરો ત્રણ કેન્દ્રલક્ષી વર્તુળોની : ‘કાયદો અને વ્યવસ્થા’, ‘જાહેર વ્યવસ્થા’ અને ‘રાજ્યની સુરક્ષા’; અને આ દરેક વર્તુળ ક્રમે ક્રમે નાનું થતું જ રહે છે. જેથી જ્યારે ‘કાયદો અને વ્યવસ્થા’માં ‘રાજ્યની સુરક્ષા’નો મુદ્દો ભળે ત્યારે જ વાણીસ્વાતંત્ર્ય પર અંકુશ મૂકી શકાય, નહીં કે તે ફક્ત ‘કાયદો અને વ્યવસ્થા’નો મુદ્દો હોય. તેથી ન્યાયાધીશે બે દારૂડિયાના વચ્ચેના ઝઘડા જેમાં તે બે દારૂડિયા એકબીજા સાથે હિંસક મારામારી કરી રહ્યા છે તેનો દાખલો આપ્યો. તેમણે કહ્યું કે આ કિસ્સો ફક્ત ‘કાયદો અને વ્યવસ્થા’નો છે. અને આ કિસ્સામાં તે લોકો શું બોલે છે તેમાં વચ્ચે પડી શકાય નહીં. બીજી તરફ ન્યાયાધીશે દાખલો આપ્યો કે બે જૂથ એકબીજા સાથે લડી રહ્યાં છે અને તે બે જુદા જુદા ધર્મનાં જૂથ છે. તેથી જો તેમને રોકીએ નહીં તો રમખાણ થાય. આવા કિસ્સામાં જ વચ્ચે પડી શકાય. અહીં મને યાદ આવે છે અમેરિકાની સર્વોચ્ચ અદાલતનો અત્યંત રસપ્રદ અને મહત્ત્વનો ચુકાદો, જેને આપણે પણ અનુસરીએ છીએ. જે મુજબ વાણીસ્વાતંત્ર્યના પરિણામે સ્પષ્ટ જોખમ તત્કાલ સામે છે, જેવું કે કોઈ હિંસક અને અનિચ્છનીય ઘટના મુક્ત વાણીના પરિણામે બની શકે તેવી સંભાવના ઊભી છે — ફક્ત તેવા જ કિસ્સાઓમાં વાણીસ્વાતંત્ર્ય પર અંકુશ મૂકી શકાય. ન્યાયાધીશ હોલ્મ્સે [Oliver Wendell Holmes Jr.] પ્રથમ વિશ્વયુદ્ધના સમયગાળા દરમિયાન અમેરિકામાં ઘણા ચુકાદાઓ આપેલા છે. હોલ્મ્સે વાણીસ્વાતંત્ર્યની કાનૂની વિભાવના વિશે ખૂબ સુંદર-સચોટ શબ્દોમાં લખ્યું છે. તેમણે અબ્રાહમના કેસ[Abrams v. United States]માં સાથી ન્યાયાધીશોથી જુદો મત વ્યક્ત કર્યો હતો. એમણે ત્યારે આ ‘સ્પષ્ટ અને તત્કાલ મોજૂદ જોખમ’ને અનુકરણ ન કરી શકાય એવી ભાષામાં મત વ્યક્ત કર્યો હતો. તેથી હું તેમના જ શબ્દો વાંચી સંભળાવું છું : “અભિપ્રાયોની અભિવ્યક્તિ સંદર્ભે સતામણી મને તાર્કિક લાગે છે. જો તમને તમારી મૂળ ધારણા વિશે અથવા તમારી અભિવ્યક્તિની શક્તિ વિશે શંકા ન હોય, અને તમે કોઈ ચોક્કસ પરિણામ લાવવા પૂરા હૃદયથી ઇચ્છતા હો, તો તમે તમારી ઇચ્છા સ્વાભાવિક રીતે કાનૂની ભાષામાં વ્યક્ત કરો, અને તેમ કરવાથી એક સપાટે બધા વિરોધને ખાળી દો. જ્યારે તમે એવું માનો છો કે વાણીમાં પરિણામ લાવવાની ક્ષમતા નથી. જેમ કે, જ્યારે માણસ એમ કહે કે તેણે વર્તુળને ચોરસ ખોખામાં નાંખ્યું. અથવા તો તમે પરિણામ પૂરા હૃદયથી ઝંખતા નથી અથવા તો તમે તમારી પોતાની ક્ષમતા કે ધારણા વિશે શંકા ધરાવો છો. ત્યારે તમે તમારી વાણીમાં વિરોધનો અવકાશ છોડો છો. પરંતુ માણસોને જ્યારે એવી સમજ પડે કે યુગકાળે ઘણી સંઘર્ષભરી ‘શ્રદ્ધા’ઓને વિક્ષુબ્ધ કરી નાખી છે, ત્યારે તેઓ એવું માનવા પ્રેરાશે કે, તેમના આચરણના આધારે જે વિશ્વાસ તેઓ ધરાવે છે તેના કરતાં પણ વધુ માનવાલાયક વાત એ છે કે, વિચારોના મુક્ત પ્રસાર દ્વારા ઇચ્છિત અંત સુધી વધુ સારી રીતે પહોંચી શકાય છે — વિચારોની સ્પર્ધામાં સત્યની શ્રેષ્ઠ કસોટી તે વિચારની પોતાની માન્યતા પ્રાપ્ત કરવાની તાકાતમાં છે, અને તે સત્ય એકમાત્ર આધાર છે કે જેના દ્વારા તમારા ઇચ્છિત પરિણામ સુધી સલામત રીતે પહોંચી શકાય. આમ તો તે જ આપણા બંધારણનો સિદ્ધાંત છે. તે એક પ્રયોગ છે, કેમ કે જીવનમાત્ર એક પ્રયોગ છે. દરેક વર્ષે, આમ તો દરરોજ, આપણી મુક્તિને વિશે આપણે જે જુગાર ખેલીએ છીએ તે કોઈક ને કોઈક અપૂર્ણ જ્ઞાન પર આધારિત પરિણામની અવધારણા છે. આમ તો તે પ્રયોગ આપણા લોહીમાં ભળેલો છે. પણ મને એવું લાગે છે કે આપણી એ સહજ પ્રક્રિયાથી આપણે સતત જાગ્રત રહેવું જોઈએ, જેમાં આપણને નહીં ગમતા વિચાર આપણે રોકવા મથીએ છીએ. જો કે કે તેવા વિચારો મૃત્યુ જેટલા ભયંકર છે. જો કે વિચારો ન્યાયસંગત અને કાનૂનને અભિપ્રેત હેતુઓનું તત્કાલ ઉલ્લંઘન અર્થાત્ ખતરો ઊભો કરે છે. તો દેશને બચાવવા માટે આપણા તેવા પ્રયત્નને તાત્કાલિક નિયંત્રણની જરૂર છે.” વાહ, કેટલાં સુંદર શબ્દો!
આ મને ૨૦૧૫ના આપણી અદાલતના શ્રેયા સિંઘલ[Shreya Singhal v. Union of India]ના એક મહત્ત્વના ચુકાદા પર લઈ જાય છે. જેમાં મેં મારા ચુકાદામાં અમેરિકાના ક્રમશઃ થયેલા ચુકાદાઓથી સંશોધિત થયેલો ‘સ્પષ્ટ અને તત્કાલ મોજૂદ જોખમ’ને માપદંડ આધાર તરીકે લીધો હતો. હવે આપણે એ અર્થ જોઈએ — કોઈ ગેરકાનૂની પ્રક્રિયાને ઉશ્કેરતો તત્કાલીન સંજોગ. એ સંજોગ સ્પષ્ટ રીતે તત્કાલ હોવો જોઈએ. જેમ કે તમે કોઈ વ્યક્તિને કોઈ હિંસા કરવા ઉશ્કેરો અથવા તો તેવી કોઈ ચેષ્ટા કરો. શ્રેયા સિંઘલના કેસમાં જે વિવાદનો મુદ્દો હતો તે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ, જે પ્લૅટફૉર્મ ઘણું અગત્યનું સ્થાન ધરાવે છે, જેમ કે આજનું મીડિયા. તો જ્યાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ હોય, ત્યાં ઇન્ફૉર્મેશન ટૅક્નૉલૉજી ઍક્ટની કલમ ૬૬A હોય, જેની જોગવાઈ છે કે કોઈ પણ નાગરિકે ઇન્ટરનેટ પર મૂકેલી કોઈ પણ વસ્તુ જો તે ઘોર અપમાનજનક અથવા ત્રાસજનક હોય, તો તે સંદર્ભે તે વ્યક્તિને ત્રણ વર્ષ સુધી જેલની સજા થઈ શકે છે. આ જોગવાઈ જે ન્યાયપીઠ સમક્ષ આવી તેમાં ન્યાયાધીશ ચેલેમેશ્વર [Justice Chelameswar] અને હું હતા. મેં મારા ચુકાદામાં આ જોગવાઈને ઘણાં કારણોસર રદ્દબાતલ ઠરાવી. અમે ‘સ્પષ્ટ અને તત્કાલ મોજૂદ જોખમ’ના માપદંડને અનુસર્યા. અમે એમ પણ કહ્યું કે ‘આ શબ્દો’ બહુ અસ્પષ્ટ અને જેનો સરળતાથી દુરુપયોગ થઈ શકે તેવા છે. અમે એમ પણ કહ્યું કે કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિને માટે ઘોર અપમાનજનક હોઈ શકે અને કોઈ બીજી વ્યક્તિ માટે ન હોઈ શકે. તેથી આમ ‘ઘોર અપમાનજનક અથવા ત્રાસજનક’નો માપદંડ અનુચ્છેદ ૧૯(૨)ના આઠના દાયરામાં બેસતો નથી.
આમ જોઈએ તો એ કેસમાં મુક્ત વાણીને લગતું જે કહેવાયું તે એમ કે : ચર્ચા, ભલામણ, ઉશ્કેરણી — આ ત્રણ મુદ્દાઓ વચ્ચે સ્પષ્ટ ભેદ કરવો જરૂરી છે. હવે આપણે એમ કહીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ પોતાને જે ગમે તે મુક્ત રીતે કહી શકે, તે વાત ભલેને ગમે તેટલી તેના પાડોશીને માટે ઘૃણાજનક હોય. પરંતુ જ્યારે તે વાત ઉશ્કેરણી કરે તેવી હોય, જેમાં હકીકતે તમે એક ટોળાને ઉશ્કેરો છો, દાખલા તરીકે, કોઈ ચૂંટણીપ્રચારના ભાષણમાં તમે લોકોને કશુંક કરવા માટે ઉશ્કેરો છો, ત્યારે તેવા શબ્દોને નિયંત્રિત કરવાની જરૂર પડે. પરંતુ ફક્ત તેવા અને તેવા જ સંજોગોમાં આમ કરી શકાય, બાકી નહીં. બીજી જે મહત્ત્વની વાત અમે કરી તે — મુક્ત અભિવ્યક્તિને સંદર્ભે જે બાબત ડરામણી અસર પાડી શકે તે સંદર્ભે અમે જેને સૂક્ષ્મ રીતે સંશોધિત દસ્તાવેજ કહી શકાય, તેવી વાત કરી. તેથી અમે તારણ મૂક્યું કે, સરકારી સત્તાધીશો, અથવા ૬૬A જેવી કલમ લોકોને સકંજામાં લે, અને, જેલની ત્રણ વર્ષની સજા ફરમાવે — કેમ કે તમે બીજાને ખૂબ અપમાનજનક લાગે, કે બીજાને ત્રાસજનક લાગે તેવી વાત કરી છે — ત્યારે તે પગલાંની બીજા લોકો પર ડરામણી અસર થાય. દા.ત. નીઅર વિ. મિનેસોટાના કેસમાં કેટલીક ઝેરી શાખાઓ કાપી નાખો, તો તેની સાથે સાથે મુક્ત વાણી પોતે જ કપાઈ જાય, તાંબાકૂંડીનાં પાણી સાથે બાળક પણ ફેંકી દેવાં જેવી વાત થાય.
શ્રેયા સિંઘલના કેસની પાછળ પાછળ જ એક બીજો રસપ્રદ ચુકાદો ૨૦૧૭માં ન્યાયાધીશ કાત્જુના કેસમાં આવ્યો. ન્યાયાધીશ કાત્જુ એ સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ છે. એમણે ગાંધીજીને ‘બ્રિટિશ એજન્ટ’ અને સુભાષચંદ્ર બોઝને ‘જાપાનના એજન્ટ’ કહ્યા. તેઓ સ્ફોટક વાણી માટે જાણીતા છે. અને તેમના, ઉપર કહેલા શબ્દો માટે સંસદે તેમને વિધિપૂર્વકનો ઠપકો આપ્યો. તેના જવાબમાં અનુચ્છેદ ૩૨ હેઠળ તેમણે સર્વોચ્ચ ન્યાયાલયમાં યાચિકા કરી. તેમાં તેમણે અનુચ્છેદ ૧૯/૧(A) હેઠળ ‘સ્વતંત્ર વાણી’ના અધિકાર વિશે દાવો કર્યો.
સર્વોચ્ચ અદાલતે તેમની યાચિકા હાથ પર લીધી. અને મહત્ત્વની અને રસપ્રદ એ વાત કરી કે, યાચિકર્તાએ પોતે જે કહ્યું તે કહેવાનો પૂરો હક છે. વળી, સંસદે ફક્ત ઠપકો આપ્યો છે અને સજાનું કોઈ ઠોસ પગલું ભર્યું નથી તેથી ન્યાયાલયે આમાં કશો આદેશ આપવાનો રહેતો નથી.
જો કે મને લાગે છે કે આજે હિંદુસ્તાન એ અનિશ્ચિતતાથી ચૌરાહા પર છે. અત્યારનો એક મોટો પ્રશ્ન એ પણ છે કે પ્રજામાંથી ખાસ કોઈ વિરોધનો સૂર નીકળતો નથી. એટલું જ નહીં; પ્રિન્ટ મીડિયા અને ટેલિવિઝન મીડિયા પહેલાં જે રીતે સરકારની ટીકા કરતાં તે રીતે આજે કરતાં નથી. આ હકીકતો તો આપણા સૌની સામે છે. અને એને આપણે ખુલ્લી રીતે વ્યક્ત ન કરીએ તોપણ તે હકીકતો રહે જ છે. વળી, આ મીડિયામાં તાજેતરના કેટલાક બનાવો બન્યા છે જે ખૂબ વ્યગ્ર કરે તેવા છે. જેમ કે, એક ઘટનાક્રમ એવો છે જેમાં કોઈક એક ખાસ ધાર્મિક લઘુમતીને લઈને વારંવાર નફરત જગાડવાનાં વિધાનો થાય છે. મેં મારા બીજા એક વક્તવ્યમાં આ વિશે વિગતે વાત કરી છે અને તેમાં મેં જણાવ્યું છે કે આ બાબત આપણા બંધારણના આમુખમાં અંકિત થયેલા ધોરી નસ જેવા ભ્રાતૃભાવ સાથે સીધી દખલગીરી કરે છે. આમુખમાં અંકિત થયેલી ભ્રાતૃભાવની ભાવના વ્યક્તિના ગૌરવની ખાતરી આપે છે તે ઉપરાંત રાષ્ટ્રની એકતાને મજબૂત કરે છે. અનુચ્છેદ ૫૧Aમાં આપણી મૂળભૂત ફરજો જણાવેલ છે. અને તે અનુચ્છેદની પેટાકલમ ‘E’ નીચે એવું સ્પષ્ટ રીતે મૂકવામાં આવ્યું છે કે દરેક નાગરિકની ફરજ છે કે ધર્મના વાડાઓને પાર કરીને સંવાદિતા તથા સર્વસાધારણ ભ્રાતૃભાવની ભાવનાને આચરણમાં મૂકવી. તે જ અનુચ્છેદની મૂળભૂત ફરજની પેટાકલમ ‘F’ નીચે એવું કહેવામાં આવ્યું છે કે આપણી સંસ્કૃતિ વિવિધ ઘટકોની બનેલી મિશ્ર સંસ્કૃતિ છે. જેનું આપણે દરેકે રક્ષણ કરવું જોઈએ. મારા એ વક્તવ્યમાં મેં એ પણ સૂચન કર્યું હતું કે નફરતભરી વાણીને પીનલ કોડમાં ક્રિમિનલ ગુના તરીકે જોવાની વ્યવસ્થા છે. તે ઉપરાંત નાગરિકો હવે એવા પણ કેસ દાખલ કરી શકે છે જેમાં આવી નફરતભરી વાણીની સામે પ્રતિબંધક અંકુશ મૂકે એટલું જ નહીં, પણ જે કેસમાં આવી વાણી બોલાઈ ચૂકી છે એમાં શિક્ષાત્મક વળતરનો પણ દાવો થઈ શકે. આમ, વર્તમાન વાતાવરણ અને સમયના આ સંદર્ભમાં મુક્ત વાણીની બાબતે આ એક ગંભીર પ્રશ્ન છે.
બીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે જેમાં કશુંક કરવા અથવા નહીં કરવા માટે પ્રતિબંધ જાહેર કરવામાં આવે છે અને રાજ્ય તેના પર જબરદસ્તીથી ફરજ પાડતું ઍક્શન લઈ શકે છે. અહીં હું અત્યારે આપણા ધ્યાનમાં આવેલો ‘બી.બી.સી.’ની બે ડૉક્યુમેન્ટરીઝના મુદ્દાનો સીધો ઉલ્લેખ કરું છું.
પહેલી ડૉક્યુમેન્ટરી આપણા વર્તમાન વડા પ્રધાન જ્યારે ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન હતા ત્યારે ગોધરા રમખાણોના સંદર્ભે શું કરવામાં આવેલું અથવા શું નહોતું કરવામાં આવ્યું હતું તેના વિશે છે. બીજી ડૉક્યુમેન્ટરી આપણા વડા પ્રધાન ભાગલાવાદી રાજકારણની નીતિથી રાષ્ટ્રને દોરી રહ્યા છે, અને તે કેવી રીતે તે ‘બી.બી.સી.’એ બતાવ્યું છે. તેમાં સિટીઝનશિપ ઍમેડમેન્ટ ઍક્ટ, ગૌરક્ષકો લોકોની હત્યા કરે છે તે બાબતો વણેલી છે. આ બંને ડૉક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂક્યા પછી હકીકતે શું બન્યું? હું એમ કહી શકું છું કે કોઈ બાબત પર પ્રતિબંધ મૂક્યા પછી સામાન્ય સંજોગોમાં જેટલા લોકો તે બાબત જુએ તેના કરતાં વધારે લોકો એને જોશે એ ખાતરી છે. કારણ કે તમે એવી વસ્તુ પર પ્રતિબંધ મૂકો છો જે ઇન્ટરનેટ પર અનેક જુદાં જુદાં સ્વરૂપે પ્રગટ થાય છે. તમે જો એમ કહો કે કોઈ બાબત યુટ્યૂબ પર પ્રતિબંધિત છે, અથવા આ કે તે મીડિયાની નીચે પ્રતિબંધિત છે … તો બીજું એવું માધ્યમ તરત ઊભું થઈ જશે જેમાં આપણા યુવાન મિત્રોમાંથી કોઈ એ પ્રતિબંધિત ‘બી.બી.સી.’ ડૉક્યુમેન્ટરીને બતાવશે. તેથી આ પ્રતિબંધ શરૂઆતથી જ નિષ્ફળ રહેશે. પણ જે કમનસીબ બાબત છે તે તો પ્રતિબંધ પોતે જ છે. અને જેમાં વધારે કમનસીબ બાબત છે પ્રતિબંધની પાછળ-પાછળ બીજા જબરદસ્તી કરતાં ભરાતાં પગલાં. આ કેસમાં ‘બી.બી.સી.’ની જુદી જુદી ઑફિસો પર ઇન્કમટૅક્સ વિભાગે રેડ પાડી. મારો પ્રિય મિત્ર અરુણ જેટલી જે કમનસીબે આપણી સાથે નથી તે મજબૂત રીતે વાણીસ્વાતંત્ર્યના હિમાયતી હતા. કેમ કે એમણે પોતે જ તે બાબતે દુઃખ વેઠ્યું હતું. તેમણે તે બાબતે ૧૯ મહિના ઇમરજન્સી કાળમાં જેલમાં ગાળ્યા હતા. અત્યારના મોટા ભાગના બીજા સજ્જનોએ તેવું કોઈ દુઃખ કે સજા વેઠ્યાં નથી. મને કહેતાં ગૌરવ થાય છે કે મારા પિતાજીના જુનિયર વકીલ તરીકે એક્સપ્રેસ અખબારના કેસ[Indian Express Newspapers v. Union of India & Ors]માં તેઓ લડ્યા હતા. તે કેસમાં ૧૯૮૫માં ચુકાદો આવેલો. આજે જે કંઈ થાય છે તેવું જ ત્યારે પણ બનેલું. તે સમયના દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે જેવું એ પદ ફેબ્રુઆરી, ૧૯૮૦માં ગ્રહણ કર્યું તેવું તરત જ એમણે બે નોટિસ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ને મોકલી. એક તો એ કે નવી દિલ્હીના બહાદુરશાહ ઝફર માર્ગના જે મકાનમાં એમની ઑફિસ બેસતી હતી તેનું લીઝ જપ્ત કરવું જોઈએ. કારણ કે કેટલીક બાબતે શરત ભંગ થઈ હતી. અને તે પ્રમાણે લેફ્ટનન્ટ ગવર્નરે જમીનવિકાસ કચેરી પાસે એ પગલું ભરાવડાવ્યું પણ ખરું. બીજી નોટિસ એમ હતી કે શો કોઝ નોટિસના બીજા હપ્તાથી મકાન તોડી પાડવું જોઈએ, કારણ કે ફ્લોર એરિયાના પ્રમાણથી કોઈક એક પ્લૅટફૉર્મ બહાર નીકળતું હતું. એક્સપ્રેસ અખબાર સીધું સર્વોચ્ચ અદાલત પાસે પહોંચ્યું અને અનુચ્છેદ ૧૯(૧)એ નીચે પોતાના અધિકારનો દાવો કર્યો. તેની સામે સરકારનો જવાબ હતો કે તમારી પિટિશન વજૂદ વગરની છે કારણ કે આ બાબત ફક્ત જમીનને લગતી છે અને વાણીસ્વાતંત્ર્ય સાથે કશી લેવાદેવા નથી. આ કેસમાં બહુમતી ચુકાદો આપતાં ન્યાયાધીશ એ.પી. સેને એવું કહ્યું કે સરકારની આ દલીલ ઠારી નાખે છે.
તેમણે આગળ કહ્યું કે તેમને લેશમાત્ર શંકા નથી કે આ પગલું દુર્ભાવથી — બદઇરાદાથી લેવાયેલું હતું. એમણે આ પગલાને ‘મૅલિફાઇડ’ (બદઇરાદાથી લેવાયેલું) પગલું કહ્યું. કારણ કે ૧૯૮૫ના તે દિવસોમાં ‘ડરામણી અસરવાળો’ સિદ્ધાંત જે આપણી પાસે આજે છે … ત્યારે નહોતો. તેથી તેમણે કહ્યું કે આ પગલું બદઇરાદાથી લેવાયેલું છે, અને એના વિશે કોઈ શંકા નથી કે અનુચ્છેદ ૧૯(A) નીચેના અધિકારોનું ઉલ્લઘંન છે. અને આ જ કારણોસર તેમણે લેફ્ટનન્ટ ગવર્નરની બંને નોટિસો રદ્દબાતલ ઠરાવી. ન્યાયાધીશ વૈંકટરામૈયા [Engalaguppe Seetharamiah Venkataramiah]એ વધુમાં કહ્યું કે આ નોટિસો મનસ્વી છે અને તે અનુચ્છેદ ૧૪ નીચે રદ્દબાતલ ગણાય. ત્રીજા વિદ્વાન ન્યાયાધીશ મિશ્રા [R. B. Misra] બંને સાથી ન્યાયાધીશો સાથે સહમત થયા. આ ચુકાદા વિશે શ્રીમાન અરુણ જેટલી અત્યંત ગૌરવ ધરાવતા હતા. મારે તમને કહેવું જોઈએ કે આ ચુકાદા વિશે તેમણે મને અને ઘણાબધાને અનેક વખત વાત કરેલી. જેટલી કહેતા સર્વોચ્ચ ન્યાયાલયે કેવી રીતે વર્તન કરવું જોઈએ … જ્યારે સંપૂર્ણ સત્તા ધરાવતી સરકાર અખબાર જગતના મુખરી એવા અખબાર પર જબરજસ્તીભર્યું પગલું ભરે. આ સંદર્ભે સર્વોચ્ચ ન્યાયાલયે જે વર્તન કરવું જોઈએ તેને માપદંડ તરીકે ગણી આ ચુકાદાની વાત કરતા. અને એમ કહી શકાય ત્યારે જે બન્યું તેવું આજે ઘણું બની રહ્યું છે. ફરક માત્ર એટલો છે કે તે વખતે જમીન અને વિકાસની કચેરીનો ઉપયોગ કર્યો અને આજે ઇન્કમટૅક્સ અને ઇ.ડી.ની કચેરીઓનો પણ ઉપયોગ કરાય છે. આજનો દાખલો આપતાં કહું કે ઇ.ડી.ની કચેરીએ નાણાંની હેરાફેરીનો આક્ષેપ કર્યો હતો. તે કેસમાં તાજેતરમાં ખૂબ કમનસીબ એવા સર્વોચ્ચ અદાલતના ચુકાદાના કારણે આરોપીઓને જામીન પર છોડવાનું મુશ્કેલ બની ગયું. સર્વોચ્ચ અદાલતનો આ ચુકાદો તે મારા પહેલાંના ચુકાદાથી બિલકુલ વિરોધમાં હતો. આવા કેસમાં ફક્ત ૦.૨ ટકા આરોપીઓને સજા થાય છે. તેમ છતાં કોઈ આરોપીને જામીન મળી શકે નહીં. તો રાજ્યનું જબરદસ્તી કરતું તંત્ર આ રીતે ઉપયોગમાં લેવાય તો જે ‘ડરામણી અસર’ વિશે કહેવાયું છે તે અમારા દરેક ચુકાદામાં મહત્ત્વનો મુદ્દો બને છે.
હવે હું આપણા ચુકાદાઓમાં અનેક વખત જેનો આધાર લેવામાં આવ્યો છે તેવા એક અતિસુંદર લખાણને વાંચી સંભળાવીશ. મેં અત્યાર સુધી જે કંઈ કહ્યું તે બધું જ અમેરિકાની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ બ્રાન્ડિસે [Louis Brandeis] વિટની વિ. કૅલિફૉર્નિયા [Whitney v. California] ચુકાદામાં કહ્યું છે. તેમનું તે સુંદર લખાણ હું વાંચીશ : “જેમણે આપણને આઝાદી અપાવી તેઓ માનતા હતા કે રાજ્યનું અંતિમ લક્ષ્ય નાગરિકો તેમની આવડતોનો વિકાસ કરવા માટે પોતાને મુક્ત અનુભવે તે છે. રાજ્યના વ્યવસ્થાતંત્રમાં મનસ્વી રીતે કામ કરતાં પરિબળોની ઉપર જઈને વિચારીને કામ કરતાં પરિબળોનું પ્રાધાન્ય રહેવું જોઈએ. તેમણે મુક્તિને સાધન અને સાધ્ય બંને તરીકે જોવું. તેઓ માનતા હતા કે મુક્તિ એ સુખનું મર્મ છે અને હિંમત એ મુક્તિનું રહસ્ય છે. તેઓ માનતા હતા કે તમે જેવું સહજ રીતે વિચારો તે વિચારવાની સ્વતંત્રતા અને તમે જેવું માનો છે તેવું બોલવાની સ્વતંત્રતા એ બંને સાધનો રાજકીય સત્યની ખોજ અને પ્રસાર માટે અનિવાર્ય છે. તે પ્રક્રિયા મુક્ત વાણી અને સમૂહચર્ચા વગર નિરર્થક છે. આમ વિષમય સિદ્ધાંતોના પ્રચાર સામે ચર્ચા સામાન્ય રીતે પૂરતું રક્ષણ આપે છે …”
આપણે યાદ કરીએ નીઅર વિ. મિનેસોટા … “મુક્તિ સામેનો સૌથી મોટો ખતરો પ્રજાની સુસ્તી છે. જાહેર ચર્ચા એ સ્વસ્થ રાજકારણની ફરજ છે. અને આ જ અમેરિકન સરકારનો મૂળભૂત સિદ્ધાંત હોવો જોઈએ.” … એની જગ્યાએ ભારત સરકારનો વિચાર કરીએ. “… આપણા નેતાઓને સંસ્થાઓનાં માનવસહજ જોખમોની ખબર હતી. પરંતુ તેમને એ પણ ખબર હતી કે શાંતિમય વ્યવસ્થા ફક્ત સજાના ભયથી સ્થાપી શકાય નહીં; ઉપરથી વિચાર અને કલ્પનાશક્તિને અવરોધવી અત્યંત જોખમી બાબત છે; ભય રૂંધાયેલા ગુસ્સાને જનમ આપે છે. અને રૂંધાયેલ ગુસ્સો નફરતને જનમ આપે છે; અને નફરત સરકારની સ્થિરતા સામે ભયાનક ખતરો છે. સલામતીનો રસ્તો તો એ જ છે કે, માનેલા પ્રશ્નો — તકલીફો તથા તેમના ઉકેલની ચર્ચા કરવાની છૂટ હોય; યોગ્ય ઉપાય તો એ જ છે કે દુષ્ટ સલાહની સામે સારી સલાહ મળે. તેમણે વિચાર્યું કે : જાહેર ચર્ચામાં મૂકેલા તર્કની તાકાત પર વિશ્વાસ કરવો તથા કાનૂનથી જબરદસ્તીથી સ્થાપેલી શાંતિથી દૂર રહેવું. ખરેખર તો ‘કાનૂન દ્વારા શાંતિ’ એ અત્યંત નિમ્ન દલીલ છે. બહુમતીથી ચાલતી સરકારોના પ્રસંગોપાત્ત જુલમની સંભાવના જોઈને તેમણે બંધારણમાં મુક્ત વાણી તથા સમૂહમાં ચર્ચા કરી શકવાની ખાતરી આપી.
“… મુક્ત વાણી તથા સમૂહચર્ચા ઉપર મૂકેલા અંકુશ ગંભીર ઈજાથી ઊભા થવાના ભયમાત્રથી વાજબી ઠરતા નથી. પુરુષોને ‘ડાકણો’ની બીક લાગતી તેથી સ્ત્રીઓને બાળી મૂકતા. પરંતુ વાણીનું કામ તો એ જ છે કે પુરુષોને આવા તર્કહીન ભયની ગુલામીથી મુક્ત કરવા. મુક્ત વાણી પર અંકુશ તો જ વાજબી બની શકે જો મુક્ત વાણીના કારણે ગંભીર અનિષ્ટ થશે એવી સંભાવના હોય. તેવો ભય સામે આવીને ઊભો એવું માનવા માટે વાજબી કારણો હોવાં જોઈએ. જે અનિષ્ટ રોકવાનાં છે તે ગંભીર છે તેવું માનવા માટે પણ વાજબી કારણો હોવાં જોઈએ …”
“…જે લોકોએ ક્રાંતિ કરીને આપણને સ્વતંત્રતા અપાવી તે કાયર નહોતા. તેમને રાજકીય સત્તાફેરની બીક નહોતી. તેમને મુક્તિના ભોગે વ્યવસ્થાની અગ્રતા ખપતી નહોતી. બહાદુર અને આત્મવિશ્વાસુ લોકો જેમને લોકમાન્ય સરકારની પ્રક્રિયાઓમાંથી પસાર થયેલા મુક્ત અને ભયરહિત તર્કમાં પૂરો ભરોસો છે — તેવા લોકોને સામાન્ય રીતે વાણીથી સ્પષ્ટ અને મોજૂદ ભય બનતો હોય તેવું લાગતું નથી. જો કે પૂરી ચર્ચાને અવકાશ મળે તે પહેલાં જ અનુભવાયેલો ભય એટલો મોજૂદ હોય કે તેના વિશે સતર્ક થવું પડે. — અપવાદ તરીકે જે પરિસ્થિતિમાં દુષ્ટ, જુઠ્ઠાણાં અને કુતર્ક ચર્ચા થકી ખુલ્લાં પાડવાં જરૂરી ચર્ચા માટે પૂરતો સમય હોય. જેનાથી શિક્ષણની પ્રક્રિયા કરીને અનિષ્ટને ટાળી શકાતું હોય તો તેવા સંજોગો ઉપર વધુ ચર્ચા છે. નહીં કે જબરદસ્તીથી લાદેલ શાંતિ.” ફક્ત આવી ઊભેલી કટોકટી દમનને યોગ્ય ઠરાવી શકે છે. જો સત્તા સ્વતંત્રતાથી સુમેળ પાડવા માંગતી હોય તો આ જ એકમાત્ર નિયમ છે …”
સુંદર શબ્દો! મને આવું જ એક બીજું લખાણ અહીં વાંચવાની લાલચ થાય છે. આ લખાણ ન્યાયાધીશ જૅક્સનનું છે. અમેરિકન કૉમ્યુનિકેશન્સ વિ. દાઉડ્સ[American Communications Ass’n v. Douds]ના કેસમાં તેમણે આપેલો ચુકાદો ખૂબ જ કદર પામ્યો છે. તેમાં તેઓ કહે છે કે વિચાર પરનો અંકુશ એ આપખુદતંત્રનો કૉપીરાઇટ છે. આપણને એ ના ખપે. નાગરિકને ભૂલ કરતાં અટકાવવો એ સરકારનું કામ નથી. તેથી ઊલટું, સરકારને ભૂલ કરતી અટકાવવી એ નાગરિકોનું કામ છે. સુંદર અભિવ્યક્તિ. હું તો છેવટે એમ જ કહીશ કે બંધારણને વફાદાર રહેવું અને એના ઉમદા આદર્શોને અનુસરવા તે આપણામાંની દરેક વ્યક્તિની ભારતના નાગરિક તરીકે અનુચ્છેદ ૫૧A નીચે મૂળભૂત ફરજ છે. આ આદર્શો બંધારણના આમુખમાં મૂકેલા છે જેની વાત મેં આજે તમને કરી. એ જ મૂળભૂત ફરજ સત્તાધીશોની પણ બને છે. બંધારણ નીચે લીધેલા શપથની રૂએ બંધારણનું હંમેશાં પાલન કરવું અને રક્ષણ કરવું.
અને આપણી સર્વોચ્ચ અદાલતે હંમેશાં વાણીમુક્તિની તરફેણ વારંવાર અને એક જ અવાજમાં વારંવાર કરી છે. તેમણે તે બાબતે નીચેના ચાર મુદ્દા સ્પષ્ટ રીતે દર્શાવેલા છે. પહેલો, વાણી અને અભિવ્યક્તિસ્વાતંત્ર્ય, બીજા અધિકારોની સરખામણીમાં અગ્રક્રમે છે કારણ કે લોકશાહીના યોગ્ય સંચાલન માટે તેનું હોવું અત્યંત અનિવાર્ય છે. બીજું, જો તમે તેના પર અંકુશ મૂકવા માંગતા હો તો સરકારે યાદ રાખવું ઘટે કે તે ખૂબ જ સીમિત અને કડક મર્યાદાઓની અંદર જ કરી શકાય. અનુચ્છેદ ૧૯(૨)માં મુકાયેલી એ મર્યાદાઓ વિશે મેં આગળ વાત કરી છે. ત્રીજું, કોઈ પણ વ્યક્તિની અનિશ્ચિતતા એ મુક્ત વાણીના સંદર્ભે સંપૂર્ણ વિરોધમાં છે. અને તેથી મુક્ત વાણી પર ડરામણી અસર કરવાવાળા સિદ્ધાંતને હંમેશાં દૂર રાખવો. ખાસ કરીને સરકારોએ દૂર રહેવું. તેથી હું સરકારને આહ્વાન કરવા ઇચ્છું છું કે આપણા બંધારણના ઉમદા આદર્શોને તથા આ મહાન મૂળભૂત અધિકારને સાથે રાખીને વ્યવસ્થાનું સંચાલન કરે. હાલમાં મૂકેલા પ્રતિબંધોને દૂર કરો અને પ્રતિબંધ પછીના જબરદસ્તી ભરેલાં પગલાંને પાછા ખેંચો. તે ઉપરાંત આવા પ્રતિબંધો ભવિષ્યમાં ન મુકાય તેની કાળજી લો. કારણ કે આપણે જો આદર્શો નહીં પાળીએ તો આપણી સાર્વભૌમિક, પ્રજાસત્તાક લોકશાહી ફક્ત નામની રહેશે.
પ્રગટ : “नवजीवनનો અક્ષરદેહ; મે 2023; પૃ. 563-581
અનુવાદ સહાય : દીનાબહેન પટેલ
મુદ્રાંકન સહાય : કિરણભાઈ કાપુરે