આજથી દાયકા પછી, હોલીવૂડમાં મનુષ્ય અને રાક્ષસો વચ્ચે લડાઈની ફિલ્મ બનશે, તો તેમાં વિલન તરીકે કોરોના વાઈરસ હશે, તેવી કલ્પના અસ્થાને નથી. ફિલ્મસર્જકોએ અનેક વેમ્પાયર અને ઝોમ્બીની કલ્પના કરી છે. કોરોનાએ તેમાં વધુ એક સંભાવનાનો ઉમેર્યો કર્યો છે, પણ ફિલ્મસર્જકો તેને જીવતા રાક્ષસ તરીકે કલ્પે, તે પહેલાં કોરોના વાઈરસે વૈજ્ઞાનિક સમજને પણ પડકાર ફેંક્યો છે તેની વાત કરીએ.
દુનિયાભરમાં લગભગ ૨૪ લાખ લોકોનો ભોગ લેનારી અને બીજા લાખો લોકોને બીમાર કરી દેનારી કોવિડ-૧૯ની મહામારીના કેન્દ્રમાં ચીકણા જીન્સનો ૧૦૦ નેનોમીટર વ્યાસનો એક પરપોટો છે. પરપોટો શબ્દ પણ મોટો લાગે. નેનોમીટર એટલે એક સેંકડમાં આંગળીના નખ જેટલા વધે તે. એક ઇંચમાં ૨૫,૪૦૦,૦૦૦ નેનોમીટર હોય. એક કાગળની જાડાઈ ૧,૦૦,૦૦૦ નેનોમીટર હોય છે. માણસના વાળની જાડાઈ ૮૦,૦૦૦-૧,૦૦,૦૦૦ નેનોમીટર હોય છે. કોરોના વાઇરસ એટલો ટચુકડો છે કે એવા ૧૦ ટ્રીલ્યન વાઈરસ ભેગા થાય, તો તેમનું વરસાદના એક ટીપા કરતાં પણ ઓછુ વજન થાય.
દાખલા તરીકે, શ્વાસોશ્વાસની ક્રિયામાં જે સૂક્ષ્મ ટીપાં ઊડે, તેની લંબાઈ ૫થી ૧૦ માઈક્રોમીટરની હોય. તેનો અર્થ એ થયો કે જે વ્યક્તિમાં કોરોનાનો ચેપ હોય, તેના એક ઉચ્છવાસમાં વાઈરસના હજારો કણ હોય, જે સામે વાળી વ્યક્તિમાં ચેપની સંભાવનાને વધારી દે. કોરોના વાઈરસ આપણા સફેદ અને લાલ રક્તકણોથી પણ નાના છે, જે નરી આંખે દેખાતા નથી. તેની સામે પોલન, મીઠું કે રેતીના કણ વાઈરસ કે બેક્ટેરિયા કરતાં મોટા હોય છે, જેથી તેમને બ્લોક કરવામાં આપણા શરીરને આસાની રહે છે. વાઈરસના અદ્રશ્ય કદ સામે શરીર લાચાર થઇ જાય છે.
એક વર્ષ સુધી અંધારામાં ગોથાં માર્યા પછી, વૈજ્ઞાનિકો કોરોના વાઈરસના બંધારણને લઈને થોડીક જાણકારી એકઠી કરી શક્યા છે, પણ પૃથ્વી પર આટલો બધો હાહાકાર મચાવનાર વાઇરસને લઈને એક પ્રશ્નનો ઉત્તર હજુ મળતો નથી, અથવા એવું કહેવાય કે વૈજ્ઞાનિક સમુદાય ઉત્તરને લઈને વહેંચાયેલો છે : કોરોના વાઈરસને સજીવ કહેવાય? જેના કારણે આટલા બધા લોકો મરી ગયા હોય અને બીમાર પડી ગયા હોય, તેની તાકાત જીવતા મનુષ્યો કરતાં પણ અનેક ઘણી વધારે કહેવાય. તો પછી એ માણસ ય કરતાં મોટો જીવ ન થયો?
વૈજ્ઞાનિકો પરંપરાગત રીતે વાઈરસને સજીવ નથી ગણતા, પરંતુ કોરોના વાઇરસે આ સમજણને પડકારી છે, અને હવે વૈજ્ઞાનિકો ચર્ચા કરી રહ્યા છે કે કોરોનાને જીવિત બેક્ટેરિયાના વર્ગમાં મુકવો કે નહીં. સોએક વર્ષથી વૈજ્ઞાનિક સમુદાય વાઈરસને લઈને અભિપ્રાય બદલતો રહ્યો છે. અગાઉ તેને ઝેર ગણવામાં આવતો હતો, પછી જીવ રૂપ (લાઈફ ફોર્મ) કહેવામાં આવ્યો, આધુનિક સમયમાં તેને બાયોલોજીકલ કેમિકલ નામ આપવામાં આવ્યું અને હવે તે સજીવ અને નિર્જીવની વ્યાખ્યા વચ્ચે ઝોલાં ખાય છે.
તમને થશે કે આ ચર્ચાનો અર્થ શું? આપણે તો તેના ઉપચારથી મતલબ છે, નામથી નહીં. વાત સાચી છે. સાધારણ માણસો માટે વાઈરસ જીવ કહેવાય કે નિર્જીવ, તેનો સીધો કોઈ મતલબ નથી, પરંતુ આડકતરો છે. વૈજ્ઞાનિકો પૃથ્વી પરના તમામ જીવોનો અભ્યાસ કરી ચુક્યા છે (જેનાથી બાયોલોજીકલ વિજ્ઞાનમાં ઘણી પ્રગતિ થઇ), પણ વાઈરસ તેમાંથી છટકી ગયો, કારણ કે તેને તે જીવ ગણતા ન હતા.
વૈજ્ઞાનિકોની વ્યાખ્યા પ્રમાણે જે જાતે પોતાની પ્રતિકૃતિ બનાવી શકે, તે સજીવ કહેવાય. વાઈરસ પરજીવી છે. વાઈરસ ખાઈ-પીને, વિકસીને કે પ્રજનન કરીને તેમનો ગુણાકાર નથી કરતા. તે બીજા સજીવ કોષના ઘરમાં ઘુસી જઈને 'ઊંઘી' જાય છે, અને પછી સજીવ કોષ દિવસરાત વાઇરસનો ગુણાકાર કરવાની મજૂરી કરે છે. એ મહેમાનગતિ યજમાનને ભારે પડી જાય છે, પણ વાઇરસ સજીવ ન હોવાથી વૈજ્ઞાનિક સંશોધકોએ તેની ઉત્ક્રાંતિનો અભ્યાસ કરવાનું ટાળ્યું. કોઈપણ સંશોધન સેવાભાવે નથી થતું. તેમાં સરકારો કે ઉધોગોના કરોડો રૂપિયાનું પીઠબળ હોય છે.
વાઈરસને સજીવ ગણવામાં વૈજ્ઞાનિકો આનાકાની કરે છે તેનું એક કારણ એ છે પણ છે કે તેનું પરીક્ષણ કરતા દરેક લેન્સમાંથી વાઈરસ જુદો નજર આવે છે. વાઈરસથી ઘાતકી રોગ થતા હતા એટલે શરૂઆતમાં તેને ઝેર ગણવામાં આવ્યા હતા, પરંતુ ૧૯મી સદીમાં અમુક સંશોધકોને ખ્યાલ આવ્યો કે હડકવા અને પાલતું પ્રાણીઓમાં થતો ફૂટ એન્ડ માઉથ રોગ બેક્ટેરિયા જેવા પણ ઘણા નજીવા વિષાણુંઓથી થાય છે. એ વિષાણુંઓ ખુદ બાયોલોજીકલ હતા અને શારીરિક અસરો છોડીને એક પ્રાણીમાંથી બીજા પ્રાણીમાં ફેલાતા હતા એટલે વાઈરસને સૌથી સાદામાં સાદું જીવન સ્વરૂપ માનવામાં આવ્યું.
અનેક ચિંતકો અને વૈજ્ઞાનિકોએ સજીવની જે વ્યાખ્યા બનાવી છે, તે મુજબ તેમાં સાત વિશેષતાઓ હોવી જરૂરી છે: દરેક સજીવ ઉત્તેજના (સ્ટિમ્યુલી) સામે પ્રતિક્રિયા આપે, ક્રમશ: તેનો વિકાસ થાય, પ્રજનન કરે, શરીરનું તાપમાન સ્થિર જાળવી રાખે, પાચન દ્વારા ઉર્જા ઉત્પન્ન કરે, એકથી વધુ કોષ હોય અને આસપાસના વાતાવરણ સાથે અનુકૂલન સાધે.
આ વ્યાખ્યામાં અપવાદ છે. દાખલા તરીકે, (ઘોડા-ગધેડાની મિશ્ર ઓલાદ) ખચ્ચર જેવા હાઈબ્રીડ પશુ પ્રજનન નથી કરી શકતાં, છતાં તે સજીવ ગણાય છે. પથ્થર નિર્જીવ છે, પણ તેની ઉપર અન્ય દ્રવ્યો પથરાતાં રહે એટલે પથ્થર મોટો થતો રહે છે. એ અર્થમાં પથ્થર પણ નિષ્ક્રિય રીતે સજીવ કહેવાય. બહુ બધા લોકો સસલાને સજીવ નથી માનતા. આપણા શરીરમાં જે જીનોમ છે તે સજીવ કહેવાય કે નિર્જીવ?
નિર્જીવ કહેવાતા વાઇરસ કરોડો વર્ષોથી પૃથ્વી પર ટકી રહ્યા છે. આ વિરોધાભાસ છે; જીવે છે અને છતાં નિર્જીવ છે. વિજ્ઞાન તેને મારી નથી શકતું તેનું કારણ જ એ છે કે મારવાની દવા તો સજીવની હોય, નિર્જીવને કેવી રીતે મારી શકાય? કોરોના વાઈરસ ‘મહેમાન’ના ઘરમાં સક્રિય થઇ જાય છે. બહાર નિષ્ક્રિય હોય છે. અમુક કેસમાં પ્લાસ્ટિક પર ૨૪ કલાક અને સ્ટેનલેસ સ્ટીલ પર ત્રણ દિવસ તે જીવતો રહ્યો હતો. ૨૦૧૪માં, વૈજ્ઞાનિકોએ સાઈબેરિયામાં જમીન નીચેથી ૩૦,૦૦૦ વર્ષ જૂના થીજી ગયેલા પિથોવાઈરસનું સેમ્પલ એકત્ર કર્યું હતું. તેને લેબમાં સક્રિય કરવામાં આવ્યું, તો તે અમીબાને ચેપ લગાડવા સક્ષમ નીકળ્યું હતું.
એક વૈજ્ઞાનિકે કહ્યું હતું કે કોરોના વાઇરસ સજીવ અને નિર્જીવ છે. બીજા એક વૈજ્ઞાનિકે તેને બાયોલોજી અને કેમેસ્ટ્રી વચ્ચેનું એક સ્વરૂપ ગણાવ્યું હતું. આને સ્યુડો-સજીવ કહેવાય; આમ નિર્જીવ હોય, પણ સજીવ હોવાનો દેખાવ કરે. ભૌતિકશાસ્ત્રમાં અણુ માટેની એક થિયરી કહે છે કે અણુ તેના બુનિયાદી સ્વરૂપે ઘડીકમાં તરંગ (વેવ) અને ઘડીકમાં રજકણ (પાર્ટીકલ) હોય છે. કોરોના સજીવ છે કે નિર્જીવ? એ પ્રશ્ન એવું પૂછવા બરાબર છે કે પ્રકાશ વેવ છે કે પાર્ટીકલ?
પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 18 ઍપ્રિલ 2021