કાળી ચૌદશની રાત્રે — બરાબર મધરાતે જો નાક કાપ્યું હોય તો બીજે દિવસે સવારે સોનાનું નાક ઊગે છે, એમ લોકવાર્તા કહે છે. જે કોઈ મનુષ્ય કલ્યાણકારી છે તેની દુર્ગતિ થતી નથી એમ ભગવદ્ગીતામાં કહ્યું છે. સામાન્ય માણસનો આ બંને વચનો પર સરખો જ અવિશ્વાસ હોય છે, કેમ કે બંને વચનોનો પ્રત્યક્ષ અનુભવ કોઈને નથી. બચાવમાં ભોળો માણસ કહેશે કે ‘નાક ન ઊગે તો વાંક આપણો. જ્યોતિષ પ્રમાણે કાળી ચૌદશ નક્કી કરવામાં ભૂલ થઈ હશે, અથવા બરાબર મધરાતની ક્ષણ હાથ નહીં આવી હોય, તેથી સોનાનું નાક ન ઊગ્યું. પૂર્વજોનાં વચનો ખોટાં પડે જ નહીં. આપણી જ કંઈક ભૂલ હોવી જોઈએ.’ શ્રદ્ધાળુ માણસ કહેશે, ‘કલ્યાણકારી ધર્મરાજા પર ભલે આફત આવી પડી. એ સાચી આફત જ ન હતી. બાહ્ય લાભાલાભની કિંમત શી? સાક્ષાત્ ભગવાનનો સહવાસ અખંડ મળ્યો એના કરતાં જુદી સદ્ગતિ વળી કઈ હશે? કષ્ટ વેઠવાં પડે એને તો કાયરો જ વિપત્તિ ગણે. કલ્યાણકારીની દુર્ગતિ થવાની જ નથી એ ભગવાનની ખોળાધરી છે.’
પ્રાકૃત માણસ આ બંને બચાવથી અસંતુષ્ટ રહે છે. એની દૃષ્ટિએ બંને વચનો પરનો વિશ્વાસ આંધળાપણાની સરખી જ નિશાની છે. દંભનું પડ કાઢી નાંખીએ, ઔપચારિક ધર્મનિષ્ઠા દૂર કરીએ તો આવા પ્રાકૃત લોકોની સંખ્યા જ આજના જગતમાં વધારે દેખાશે.
છતાં ઉપર કહેલાં બે વચનો અને તે ઉપરની શ્રદ્ધા શું સરખાં જ ગણી શકાય? પહેલું વચન ભૌતિક જગત વિશે ખોટો નિયમ બાંધે છે, જ્યારે બીજું વચન આધ્યાત્મિક સિદ્ધાન્તનું પ્રતિપાદન કરે છે. પહેલા વિધાનની સત્યતા તપાસવા માટે જે જાતની કસોટી જોઈએ છે તે જાતની કસોટી બીજું વિધાન માગતું નથી. માણસને નવું નાક જોઈએ જ શા માટે? એ સોનાનું હોવાની શી જરૂર? કાળી ચૌદશ સાથે એને શી લેવાદેવા? મધરાતમાં એવી તે કેવી જાદુઈ અસર કરે છે? જ્યોતિષ પ્રમાણે કાળી ચૌદશ નક્કી કરવી, અને મધરાતની ક્ષણ બરાબર સાચવવી, એ વસ્તુઓ અઘરી ભલે હોય, પણ અશક્ય તો નથી જ. પ્રત્યક્ષ અનુભવ વગર આવી વસ્તુ સાચી મનાય જ નહીં. અને આવો વિચિત્ર અનુભવ કરાવતાં પહેલાં એ વચનોમાં કશો બુદ્ધિપ્રયોગ કે વજૂદ છે કે નહીં એ જ પ્રથમ તપાસવું જોઈએ. આવું વચન સાંભળ્યું કે તરત તેનો અમલ કરી જોયો એવો બેવકૂફ સાચી સૃષ્ટિમાં તો કોઈ મળે નહીં.
બીજું વચન આધ્યાત્મિક છે. સામો માણસ ઉપકાર કરે કે ન કરે, અથવા અપકારે કરે, તોયે એનો વિચાર કર્યાં વગર બધા જ પ્રત્યે જેઓ સજ્જનતાથી વર્તે છે એવા કલ્યાણકારી આર્ય પુરુષોને આંતરિક સમાધાન મળે છે એ તો પ્રત્યક્ષ અનુભવની વાત છે. બાહ્ય આપત્તિઓ એના પર ગમે તેટલી આવી પડે, પોતાના હૃદયની મહત્તા જ એને અખૂટ આનંદ આપે છે. તેથી એ અસ્વસ્થ નથી થતો. સમાજ પણ જાણે છે કે આપત્તિમાં પણ આવો માણસ દીપી ઊઠે છે. એના ચારિત્રની અસર વધુ ને વધુ થતી જાય છે. એની બુદ્ધિ પ્રસન્ન રહે છે. અને તેથી એની દુર્ગતિ થતી નથી. આવો પ્રત્યક્ષ અનુભવ ધારો કે ન થયો તોયે શું? દુરાચરણ કયા આર્ય હૃદયને પસંદ પડે? ગમે તે પ્રલોભનમાં પણ પોતે દુરાચરણ તરફ વળ્યો નહીં એ સમાધાન જ એને ભારે શાંતિ આપનારું હોય છે. બદલો લેવા ખાતર પણ જ્યારે માણસ કંઈ હીન કૃત્ય કરે છે ત્યારે તેની આત્મપ્રતિષ્ઠા હણાય છે. સમાજ એને ભલે વખાણે, એ સામાજિક પ્રતિષ્ઠાની કિંમત હૃદયની નાપસંદગી આગળ કશી જ નથી. આત્મપ્રતિષ્ઠા ખોઈને માણસ સામાજિક પ્રતિષ્ઠા મેળવે ત્યાં એ એને સદતી જ નથી. માણસ ભલે ગમે તેટલા આવેશથી પોતાનો બચાવ કરે, પણ એને પોતાને જ એ બધું પોલુપોલું લાગે છે. તેથી જ કલ્યાણકારીની દુર્ગતિ નથી થતી એ વસ્તુ સ્વયંસિદ્ધ છે એમ હૃદય કબૂલ કરે છે. એ વચનનો ભાવાર્થ હૃદયધર્મ સાથે એટલો બધો સમરસ છે કે હૃદય એ વચનને અનુભવની કસોટી પર પણ ચડાવવા માગતું નથી.
ધાર્મિક શ્રદ્ધાએ નોધેલાં વચનો અને વહેમનાં વચનો વચ્ચે જમીન આસમાનનું અંતર હોય છે. આજનો પ્રાકૃત જમાનો કેટલીક વેળા ધાર્મિક શ્રદ્ધા સાથે ધર્મને નામે ચાલતા તમામ વહેમોને ટકાવવા માગે છે. અને એનાં માઠાં ફળ અનુભવીને અકળાતાં લોલકને સામો હીંચકો આપી વહેમો સાથે ધાર્મિક શ્રદ્ધાને પણ ઉડાવી દેવા માગે છે.
હાથની કોણી વતી બે વેંત જમીન ખોદવાથી પાતાળ દેખાય છે એ વચનની, અને આદર્શ બ્રહ્મચારી સંપૂર્ણ નીરોગી અને પ્રસન્નપ્રજ્ઞ હોય છે એ વચનની પ્રાકૃત લોકો સરખી જ કદર કરે છે; તેથી કાંઈ એ બે વચનો સરખી કોટિનાં થઈ શકતાં નથી. કાયિક સાથે માનસિક બ્રહ્મચર્યનો અનુભવ કરનાર લોકો આજે એટલા ઓછા છે કે બ્રહ્મચર્ય વિશેનું વિધાન ઘણા લોકોને અતિશોક્તિભર્યું જણાય તો એમાં નવાઈ નથી. પણ જે લોકોએ એ દિશામાં કંઈક સંગીન અને લાંબો અનુભવ કર્યો છે તેઓ પોતાના અનુભવ પરથી અનુમાન બાંધી એ વચનને સંપૂર્ણપણે સ્વીકારવા તૈયાર હોય છે. તેઓ કહેશે કે ઘર્ષણ વિનાનું યંત્ર તૈયાર કરવું જેમ મુશ્કેલ છે, પણ જેમાં ઘર્ષણ ઓછામાં ઓછું હોય એવાં નવાં નવાં યંત્રો વધુ ને વધુ સફળતાપૂર્વક તૈયાર કરી શકાય છે, તેમ સંપૂર્ણ બ્રહ્મચર્યની કોટિએ પહોંચેલો દેહધારી મળી આવવો દુર્લભ હોય તોયે તેથી એને વિશે કહેવાયેલા વચનને આંચ આવે એમ નથી. ગણિતમાં અને અનંતશ્રેણી વિશેના સિદ્ધાંતો જેમ નિર્વિવાદ સત્ય હોય છે, તેમ સરળ કોટિ વિશેના આધ્યાત્મિક સિદ્ધાંતો પણ સત્ય છે જ છે.
વહેમ અને શ્રદ્ધા વચ્ચેનાં સામ્ય અને વિરોધ ધ્યાનમાં લઈ આપણે ધર્મસંસ્કરણમાં પ્રવૃત્ત થવું જોઈએ. મંદ અગ્નિ ઉપર જેમ રાખ વળે છે અને એ અગ્નિને ધીમે ધીમે ગુંગળાવી મારે છે, તેમ ધર્મમાં દાખલ થયેલા અસંખ્ય વહેમો ધર્મને ગુંગળાવી મારે છે. વહેમો-અજ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે. જ્ઞાન વિશેની, સત્ય વિશેની પ્રખર જિજ્ઞાસાને અભાવે એ ટકે છે. વહેમ એ શુદ્ધ નાસ્તિકતા જ છે. બેદરકરાર વૈદ જેમ ગમે તેવી દવા ગમે તે દરદીને બેવકૂફી કે બેદરકરાથી આપે છે, તેમ જેમને સત્યની સાચી ધાર્મિકતાની પડી નથી હોતી એવા મૂઢ લોકો જ વહેમોને ચાલન આપે છે, અને ખોટા આશ્વાસનથી શાંતિ મેળવવા માગનાર દુર્બળ હૃદયો એવા વહેમોને સંઘરે છે. જેને સાજા થવું છે તે જેમ પોતાની તબિયત સાથે દવાની પણ પૂરેપૂરી ચિકિત્સા કરે છે, તેમ જેને ધાર્મિકતા કેળવવી છે, સત્યરૂપી આરોગ્ય મેળવવું છે તે દરેક માણસ એકેએક માન્યતાને બુદ્ધિ અને અનુભવની કસોટી પર કસ્યા વગર નહીં રહે.
ધર્મ વિશે આપણો સમાજ એટલો બધો બેદરકાર થયો છે કે લોકોને સનાતન શ્રદ્ધાઓ કેળવવાનીયે પડી નથી, અને સમાજની જ્ઞાનશક્તિ અને પ્રાણશક્તિને કોતરી ખાનાર અસંખ્ય વહેમો વખોડી કાઢવાની પણ પડી નથી. સમાજમાં અને ખાસ કરીને નિષ્પાપ અને મહેનતુ આમવર્ગમાં જે અકર્મણ્યતા, નિરાશા અને ઘડપણ આવી ગયાં છે તેનું કારણ જેટલે અંશે ભૂખમરો છે તેટલે અંશે અશ્રદ્ધા અને વહેમો છે. એ દૂર કરીને ધર્મસંસ્કરણ જ્યાં સુધી નથી કર્યું ત્યાં સુધી સમાજનું સંજીવન થવાનું નથી. ભૂખમરો ટાળીશું તો જ લોકો આપણા શબ્દો સાંભળવા તૈયાર થશે. પણ જ્યારે તેમ સાંભળવા તૈયાર થાય ત્યારે વહેમોનો નાશ કરનારી અને શ્રદ્ધા નીપજાવનારી વેદવાણી એમને સંભળાવવા સમાજસેવકોએ તૈયાર રહેવું જોઈશે. આંધળા આંધળાને દોરી ન શકે.
[નવજીવન, તા. ૨૪-૭-૧૯૨૭]
સૌજન્ય : नवजीवनનો અક્ષરદેહ, ઑગસ્ટ-સપ્ટેમ્બર 2019; પૃ. 311-312