નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બી.જે.પી.ને ૨૦૧૪ કરતાં પણ મોટી બહુમતી મળી ત્યારે મારું બીજું અનુમાન એવું હતું અને હજુ આજે પણ છે કે તેઓ આર્મી ઓફ ટ્રોલ્સને સમેટી લેશે અને અર્ણવ ગોસ્વામીઓ જેવા ભાટોને ડામીને રાખશે. આને કારણે તેમની પ્રતિષ્ઠા ખરડાય છે. આખરે તેઓ જગતના સૌથી મોટા લોકશાહી દેશના વડા પ્રધાન છે. હવે જ્યારે સુખે બીજી મુદ્દત માટે શાસન કરવાનો મોકો મળ્યો છે ત્યારે એક શાણા શાસક તરીકે આવો ખોટનો સોદો નહીં કરે એમ આપણે માની શકીએ. બહુ રાહ જોવી નહીં પડે, થોડા દિવસમાં ખબર પડી જશે કે આ અનુમાન સાચું નિવડવાનું છે કે નહીં.
મહાપુરુષો માટે એમ કહેવાય છે કે તેમને તેમના અનુયાયીઓ જ મારે છે. વિચારધારાઓ માટે એમ કહેવાય છે કે તેની પ્રવાહિતા રોકીને તેને અનુસરનારાઓ જ મારે છે. આપખુદ મહત્ત્વાકાંક્ષી લોકો માટે એમ કહેવાય છે કે તેને ખુશામતખોરો પરાજિત કરે છે. આ સનાતન સત્યો છે. નરેન્દ્ર મોદી આપખુદ મહત્ત્વાકાંક્ષી માણસ છે એટલે તેમણે સાબદા રહેવાની જરૂર છે. ઇન્દિરા ગાંધીની બાબતમાં આવું જ બન્યું હતું. મતલબી લોકો ખુશામત કરીને ઈમરજન્સીના દિવસોમાં ઇન્દિરા ગાંધીને અંધારામાં રાખતા હતા અને પોતાનો ઉલ્લુ સીધો કરતા હતા. ઇન્દિરા ગાંધીને આની જાણ થઈ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું.
જો કે ઇન્દિરા ગાંધીમાં અને નરેન્દ્ર મોદીમાં ફરક છે. ઇન્દિરા ગાંધીની આરતી ઉતારનારાઓ કાંઈક પામવા માટે આવું કરતા હતા. તેમાં ઇન્દિરા ગાંધીનો કોઈ સીધો હાથ નહોતો. હા, એ ખરું કે ઇન્દિરા ગાંધીને એ ગમતું હતું. ‘ઇન્ડિયા ઈઝ ઇન્દિરા અને ઇન્દિરા ઈઝ ઇન્ડિયા’ જેવાં સૂત્રો વહેતાં થયાં ત્યારે ઇન્દિરા ગાંધીએ તેમ કરનારાઓને વાર્યા નહોતા. આને કારણે અનેક અર્થમાં સફળ વડાં પ્રધાન હોવા છતાં ઇન્દિરા ગાંધી આપખુદ શાસકની પ્રતિષ્ઠા ધરાવે છે. ઇન્દિરા ગાંધીની યાદ આવતાની સાથે બંગલાદેશનાં યુદ્ધમાં ભારતને વિજય અપાવનારાં ઇન્દિરા ગાંધીની યાદ નહીં આવે, દેશ પર ઈમરજન્સી લાદનારાં આપખુદ ઇન્દિરા ગાંધીની યાદ પહેલી આવશે. ઇન્દિરા ગાંધી માટે એ ખોટનો સોદો હતો.
ઇન્દિરા ગાંધીથી ઊલટું નરેન્દ્ર મોદી અને તેમના સલાહકારોએ તો એક યોજનાના ભાગરૂપે ટ્રોલ્સ અને અર્નવો પેદા કર્યા છે. આ પહેલી સ્થિતિ કરતાં પણ વધુ જોખમી રમત છે. વિરોધી અવાજને દબાવી દેવા માટે, વિરોધી અવાજને ડરાવવા માટે, દેશના વિકાસના પ્રશ્નોને કિનારે કરવા માટે, અસંતોષ તરફથી ધ્યાન બીજે દોરવા માટે, અસત્યને સત્ય ઠરાવવા માટે, દેશપ્રેમ અને રાષ્ટ્રવાદને બહેકાવવા માટે ખાસ એક જમાત પેદા કરવામાં આવી છે. તેઓ ચોવીસે કલાક બોલે છે અને બીજાને બોલવા દેતા નથી. જગતના કોઈ લોકશાહી દેશમાં આ પહેલાં આવું નથી બન્યું. આ ખેલ ખતરનાક છે.
કેટલાક ટ્રોલ્સને વડા પ્રધાન ફોલો કરે છે અને હજુ આજે પણ કરે છે. આ બધાં કારણે વડા પ્રધાન અને તેમની સરકારને જરૂર કેટલોક ફાયદો થયો છે, પરંતુ તેમણે એ ન ભૂલવું જોઈએ કે તેમની પ્રતિષ્ઠા ખરડાઈ છે. બીજું, બીકાઉ માણસો જ્યારે પ્રસંશા કરે ત્યારે તેમાં પ્રમાણભાન નથી રહેતું. તેમને બે પ્રશસ્તિવચનો બોલવા કહ્યું હોય તો બાવીસ બોલે. બે વિશેષણો વાપરવા કહ્યું હોય તો બાવીસ વાપરે. તેઓ ભાટ છે અને ભાટનું કામ પૈસા ફેંકનારને ખુશ રાખવાનું છે. તેમની પોતાની કોઈ પ્રતિષ્ઠા હોતી નથી એટલે શરમ તેમને સ્પર્શતી નથી. આવા લોકો પ્રમાણભાન ગુમાવીને પ્રસંશા કરે છે અને જેની પ્રસંશા કરવામાં આવતી હોય તેને હાસ્યાસ્પદ બનાવે છે. નરેન્દ્ર મોદીને તેમની પહેલી મુદ્દતમાં આ હકીકતનો અનુભવ થયો હશે.
કબીરનું એક વચન છે : ‘નિંદક નીઅરે રાખીએ’. આપણું ભલું એમાં છે કે આપણી મર્યાદા આપણને મોઢામોઢ કહી શકે એવા લોકોને સાથે રાખીએ. તેમને અભિપ્રાય આપવાની સ્વતંત્રતા હોવી જોઈએ, તેઓ ભયમુક્ત હોવા જોઈએ અને તેમની વાત સાંભળવા જેટલી ઉદારતા હોવી જોઈએ. આમાં સરવાળે શાસકને જ ફાયદો છે. તે ભૂલો કરતો અટકશે. નોટબંધી આનું ઉદાહરણ છે. જો આવા કેટલાક લોકો હોત તો વડા પ્રધાને નોટબંધીનું સાહસ ન કર્યું હોત અને જો કર્યું પણ હોત તો પુરતી તૈયારી સાથે કર્યું હોત.
બીજું, જો સામે ચાલીને નિંદકોને નજીકમાં ન રાખીએ તો જેઓ દૂર ઊભા રહીને બહારથી નિંદા કરે છે તેમને સાંભળવા જોઈએ. દરેક વ્યક્તિ આંધળી ટીકા કરે છે, પૂર્વગ્રહદૂષિત છે, ઈર્ષાળુ છે એમ માની લેવાની જરૂર નથી. પ્રત્યેક વિષયોનું તટસ્થતાપૂર્વક વસ્તુનિષ્ઠ મૂલ્યાંકન કરનારાઓ આ દેશમાં અને જગતમાં મોટી સંખ્યામાં છે. કોઈ ટીકા કરે એને કારણે ઈમેજ ખરડાય એમ માની લેવાની જરૂર નથી. આપણા યુગમાં ગાંધીજીની કોઈ ઓછી ટીકા થઈ છે અને થઈ રહી છે? એનાથી ગાંધીજીની પ્રતિષ્ઠાને કોઈ આંચ આવી નથી. મુદ્દો એ છે કે ટીકા કે પ્રસંશા સ્વતંત્ર હોવાં જોઈએ, કરાવવા ન જોઈએ. ગાંધીજીની ટીકા એક યોજનાના ભાગરૂપે કરાવવામાં આવતી હોવા છતાં ગાંધીજી આજે પણ વિશ્વવંદ્ય છે એ હકીકત છે. નક્કર સોનું હોય તેને કોઈ કથીર સાબિત નથી કરી શકાતું અને કથીર માટે ગમે એટલા પ્રયત્નો કરવામાં આવે તો પણ નથી સોનું સાબિત કરાતું.
આમ વડા પ્રધાનને વણમાગી સલાહ એ છે કે તેમણે પોતાની શક્તિ-મતિ મુજબ બને તેટલાં પ્રજાહિતનાં કામ કરવાં જોઈએ. ઇતિહાસને ચોપડે એ જ નોંધાશે અને બોલશે, બાકી ઢોલ-નગારાં સત્તા પરથી ઉતરતાની સાથે શાંત થઈ જશે અથવા તો તમારા આશ્ચર્ય વચ્ચે, તમારી નજર સામે, તમારા વિરોધીઓની તેઓ આરતી ઉતારતા નજરે પડશે. તેમનું એ કામ છે. માલિક બદલાય એમ ભાષા બદલાય. હું એવા લોકોને ઓળખું છું જેઓ પાક્કા કૉન્ગ્રેસ તરફી હતા, ઇન્દિરા ગાંધીના સમર્થક હતા, ઈવન ઈમરજન્સીનો બચાવ કરતા હતા એ અત્યારે નરેન્દ્ર મોદીની આરતી ઉતારે છે.
હા, ઇતિહાસ કઈ રીતનો ન્યાય કરશે એની ચિંતા ન હોય અને વર્તમાનમાં સત્તા ભોગવવામાં જ જીવનની સાર્થકતા હોય તો જૂદી વાત છે.
મને એમ લાગે છે કે વડા પ્રધાન પહેલી મુદ્દતમાંથી એટલું તો શીખ્યા હશે કે વડા પ્રધાન માટે પ્રમાણભાન ભૂલીને ખૂબ બોલનારાઓ અને વડા પ્રધાન ખાતર બીજાને નહીં બોલવા દેનારાઓએ તેમની પ્રતિષ્ઠાને ઝાંખી પાડી છે. એ ખોટનો સોદો હતો જે હવે સુધારી લેવો જોઈએ અને સુધારી લેવામાં આવશે એવું મારું માનવું છે. જોઈએ શું થાય છે.
18 જૂન 2019
સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 20 જૂન 2019