સાહિત્યસર્જકો અને સાહિત્યના અધ્યાપકોનો પાયાનો સમ્બન્ધ વાણી અને લેખન સાથે છે. પ્રજાજનોની સરખામણીએ તેઓ સરસ બોલતા હોય છે, સરસ સરજતા હોય છે, લખતા હોય છે.
વાણી બાબતે આપણી ભાષામાં બે કહેવતો છે : બોલે તેનાં બોર વેચાય : ન બોલ્યામાં નવ ગુણ : બન્ને કહેવતો એકબીજાની વિરોધી લાગે છે.
અધ્યાપક પોતાના વર્ગમાં સાહિત્યના શિક્ષક તરીકે શુદ્ધ ભાષામાં બોલે, મધુર બોલે, ને અર્થપૂર્ણ વાત કરે તો એનાં બોર જરૂર વેચાય. વ્યાખ્યાન એ જો હસીને કરે તો ઘણાં વેચાય. બને કે દીવેલિયા મૉઢે બોલતા અધ્યાપક માટે વિદ્યાર્થીઓને – એમને આજે શું ખાધું હશે, જેવા પ્રશ્નો થાય.
ટી-ટેબલ પર અન્ય અધ્યાપકો વચ્ચે એ મૌન જાળવે એમાં એનું હિત છે. પણ ઘરે જઈને મૌન ન જાળવે એમાં ય એનું હિત છે. કેમ કે એને પાછો આવેલો જોઈને ઘરનાં તો ખુશ થઈ ગયાં હોય : પત્ની પૂછે, ચા હમણાં બનાવી દઉં કે થોડી વાર પછી? : જવાબમાં અધ્યાપકે ફટાફટ બે-ત્રણ હકારવાચક વાક્યો બોલી નાખવાં જેથી ચિન્તાળુ પત્નીને શાન્તિ થાય કે – ચાલો આજે પણ એમને બહુ કષ્ટ નથી પડ્યું. અધ્યાપક-દીકરીને પિતા પૂછે : બેટા, આવી ગઈ, સરસ; ટ્રાફિક તો ન્હૉતો નડ્યો ને? : એવા પ્રશ્નના જવાબમાં અધ્યાપક-દીકરી સસ્મિત જરાક મૌન પાળે અને તે પછી ટ્રાફિકનું લાંઆંબું વર્ણન કરે તો એ વધારે વ્હાલી લાગે. બાકી, કશું કહ્યા વિના સીધી એના રૂમમાં ચાલી જાય, તો – એવું તે શું થયું હશે, જેવા પ્રશ્નો જાગે.
વક્તાએ પોડિયમ પર પૂરી તૈયારી સાથે જવું, અગડમ્ બગડમ્ કે કવેતાઈ ન બોલવું. વાસી ન બોલવું કેમ કે બોરાં વેચનારા પણ તાજાં નવાં બોરાં લઈને ઊભા હોય છે. એણે એવી ઠાંસ ન રાખવી કે જે બોલીશ તે ઝિલાશે કેમ કે હું તો અનુત્તમ અછાન્દસકાર તરીકે સાહિત્યસમાજમાં વરસોથી છવાઈ ગયેલો છું. સભામાં કાનફૂસિયાં કે ફુસફુસાહટમાં એને માટે શું યે ક્હૅવાયેલું એની જાણ થોડીક વારમાં એના સિવાયનાં સૌને થઈ જતી હોય છે. એણે વિષય માગે તેટલું જરૂર બોલવું પણ એટલું ઓછું પણ ન બોલવું જેથી એ કંગાળ ભૂખડીબારસ લાગે. એણે એવી તુમાખી ન રાખવી કે સંસ્થાનો પ્રમુખ છું કે બેઠકનો અધ્યક્ષ છું એટલે જેટલું બોલીશ એટલું ચાલી જશે. આયોજક અને શ્રોતાઓ અદૃશ્ય ચીડથી એને વિશે શું યે બબડતા હોય તે તો હું યે નથી જાણતો. સૉરિ, જાણું છું પણ આ સ્થાને કહી નથી શકતો.
અધ્યાપકે તેમ જ કોઈપણ વક્તાએ સમજી રાખવું કે મૌન તત્ત્વાર્થમાં વાણીનું જ એક રૂપ છે. મૌનનો એક અર્થ સમ્મતિ થાય; બીજો, અસમ્મતિ થાય. મૌન સમ્મતિ અને અસમ્મતિ વચ્ચેનો સંમિશ્ર અર્થભાવ પણ સૂચવે. વાણી ઉપરાન્ત મૌનના એ બધા ભેદ સાચવી જાણે એને નવ તો નહીં પણ એક-બે ગુણ અવશ્ય લાધે.
લેખન બાબતે પણ આપણી ભાષામાં એક કહેવત છે : લખતાં લહિયો થાય : આ કહેવતને સમજવી જોઈએ – ઊંધું ઘાલીને લખ્યે રાખીશ તો એક દિવસ લહિયો થઈ જઈશ, અતિ ન લખીશ. અલબત્ત, એક જમાનામાં લહિયાઓ પણ માગ્યા મુજબનું ચૉકક્સ લખી આપતા’તા. કહેવતના ઉત્તરાર્ધમાં કહ્યું છે – પૂછતાં પણ્ડિત નીપજે. મતલબ, અતિ ન લખવું પણ બહુ પૂછવું જરૂર.
અધ્યાપકે સમજી રાખવું કે બોલવું, મૌન પાળવું તેમ વાંચવું ને ખૂબ જ પૂછવું એ એના અધ્યાપકીય જીવનની જીવાદોરી છે.
કેટલાક નિ:સામાન્ય નવલકથાના લેખકો એમની જાણ બ્હાર લહિયા થઈ ગયા હોય છે. એવો એક લહિયો લોકપ્રિય અને મોટો સાહિત્યસેવક હોય એમ અમારા ભાષાભવનમાં એના વક્તવ્ય દરમ્યાન આત્મપ્રશસ્તિ કરવા લાગેલો – જુઓ ને, લખી લખીને મને આંગળીએ કેવાં આંટણ પડી ગયાં છે. બાજુમાં બેઠેલા મને સજા જેવાં એનાં આંટણ જોતાં સારું લાગેલું. એવાઓ કોઈને કશું પૂછતા જ નથી, પૂછ્યા વિના કોઈનું તફડાવી લે છે ખરા. એમને કદીપણ પણ્ડિત તો થવું જ નથી હોતું. એટલું જ નહીં, પણ્ડિતોને સમીક્ષકોને કે અધ્યાપકોને ભૂતકાળમાં ગાળો દઈ ચૂક્યા હોય છે. કેમ? કેમ કે એઓએ એમની રચનાઓની ટીકાટિપ્પણી કરી હોય છે, અને ‘ટિકાટિપ્પણી’ સંજ્ઞાના તત્ત્વાર્થની એમને કશીયે ખબર હોતી જ નથી.
એ મુદ્દો જુદો છે કે ન લખવાથી સાહિત્યજગતને ફાયદો થાય કે નહીં.
પણ કેટલાક ક્હૅતા હોય છે કે હું તો પૂર્ણતાવાદી છું, પરફૅક્શનિસ્ટ, એકદમ સારું ન લખાય તો ન જ લખું. એ ભૂલી જાય છે કે એકદમ સારા માટે જેવો કે તેવો શુભારમ્ભ કરવો પડે છે અને જીવ માને નહીં ત્યાંલગી મંડ્યા રહેવું જરૂરી હોય છે. કેટલાક ક્હૅતા આવે છે, સુમનભાઈ, તમારી બધી વાત બરાબર, પણ સામ્પ્રતમાં સાહિત્યની કોઈને જરૂર જ નથી. સાહિત્યની વાત કે ચર્ચાની પણ કોને જરૂર છે? વિદ્યાર્થીને ડિગ્રી જોઈએ છે, જ્ઞાન નહીં. જવાબમાં હું એને કહેતો હોઉં છું કે સામ્પ્રત જો એવું દયાજનક છે તો સમજ, કે એ વાસ્તવિકતા જ તારે કે મારે લખવા માટેનું મોટું કારણ છે. મારી એ વાત પણ એને બરાબર લાગે એ માટે એ મને તાક્યા કરે છે.
ન લખવાથી શું થાય એ સમજી લેવાની જરૂર છે – ધીમે ધીમે લેખનશક્તિ નામે જે કંઈ હોય એનો નાશ થવા માંડે. પહેલાં, ફકરો ભરીને ઇમેઇલ કરે કે મૅસેજ મોકલે, પછી નાના ફકરા, પછી બે-ત્રણ વાક્યો, પછી એકાદ શબ્દગુચ્છ, એ પછી ઓકે, હા, હમ્મ, અને છેવટે, નમસ્કારનું કે કોઈપણ સગવડસાધક ઇમોજી.
તાત્પર્ય, એક દિવસ એવો આવે જ્યારે એ ઇચ્છે તો પણ લખી ન શકે – ન એક વાક્ય કે ન એક કાવ્યપંક્તિ. આંગળાં પેન પકડે ખરાં, પણ એની સર્જકતા વસૂકી ગઈ હોય એટલે કશું ટપકે જ નહીં. લેખક તરીકે એ મટી / મરી ગયો હોય. લેખક તરીકેનું પોતાનું જ અવસાન એ જીવતેજીવત અનુભવ્યા કરે. ઇમોજીઝ જોયા કરે. ઇમોજીને હું લેખકના અવસાનનું પ્રતીક સમજું છું.
ટૂંકસાર એ છે કે સાહિત્યકારજીવે નિરન્તર કંઈ-ને-કંઈ લખવું. એ જરૂરી નથી કે લખ્યું તે બધું પ્રકાશનયોગ્ય હોય. પણ મશહૂર ગાયકો, હરિપ્રસાદ કે શિવકુમાર, રોજ રિયાજ કરે, એમ સાહિત્યકારજીવે પણ રોજ સવારે બપોરે કે રાતે શબ્દની ઉપાસના-સાધના-આરાધના કરવી જરૂરી છે. અકારણ લખનારો જ કદાચ ખરો તપસ્વી છે.
કલાસર્જનના મર્મીઓ ‘પ્રતિભા’ અને ‘વ્યુત્પત્તિ’-ને સર્જનનો મહત્ હેતુ ગણે છે પણ એમ પણ સૂચવે છે કે ‘અભ્યાસ’ એટલે કે નિરન્તરની સાધના નહીં હશે તો એ બે મહત્ હેતુ વ્યર્થ નીવડશે; હું એટલે લગી કહું કે અજાગલની જેમ લટક્યા કરશે. દરેક માણસે ભોજન તો કરવું જ પડે છે – પ્રતિભાવન્ત અને વ્યુત્પન્ન મોટાએ – આપોપા મોટાએ – કે નવોદિતે. ‘અભ્યાસ’ લેખકમાત્રનો ખોરાક છે.
વાણીસંયમ, લેખનવિવેક વગેરે વિશે પણ કહી તો શકાય પણ સમજદારો વચ્ચે આટલા ઇશારા કાફી છે.
(September 14, 2022: USA)
અજાગલ = બકરીના ગળાના આંચળ
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર