આપણે જોયું કે ૧૯મી સદીમાં ભારતીય રાષ્ટ્રવાદ વિકસતો જતો હતો. ભારત નામની કલ્પના (અંગ્રેજોમાં કહીએ તો આઈડિયા ઓફ ઇન્ડિયા) આકાર લેતી હતી ત્યારે પ્રારંભમાં જ મુખ્યત્વે બે વ્યક્તિએ તેને પડકાર આપ્યો હતો. એક હતા સર સૈયદ અહમદ ખાન અને બીજા હતા મહાત્મા ફૂલે. સામે મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોરથી લઈને સદીના અંત ભાગમાં પ્રવેશેલા સ્વામી વિવેકાનંદ સુધીના મનીષીઓ હતા. તેઓ ખરા અર્થમાં મહામાનવ હતા અને સકળ જગતનું હિત ઇચ્છતા હતા. લોકમાન્ય તિલકની વાત જૂદી હતી. તેઓ ગળાડૂબ રાજકારણી હતા એટલે તેમણે બહુજન સમાજના પ્રશ્નને રાજકીય લાભાલાભનાં ચશ્માંથી જોયો હતો. તેમના સમર્થકો રૂઢિચુસ્ત સનાતની હિંદુઓ હતા.
આમ છતાં ય કોઈને એમ ન થયું કે એક મુસ્લિમ નેતા અને એક બહુજન સમાજનો નેતા આપણે કહીએ છીએ એનાથી જુદી વાત કરે છે અને આપણી વાતનો વિરોધ કરે છે તો તેમને સાંભળવા જોઈએ. તેમની સાથે સંવાદ કરવો જોઈએ. તેઓ માત્ર વિરોધ નહોતા કરતા, હિંદુઓની પ્રજાકીય કે રાષ્ટ્રીય એષણા બર ન આવે એ રીતે અંગ્રેજોને મદદ કરતા હતા. સર સૈયદ મુસલમાનોને કહેતા હતા કે હિંદુઓથી દૂર રહો અને જ્યોતિબા ફૂલે બહુજન સમાજને કહેતા હતા કે સવર્ણ હિંદુઓથી દૂર રહો. બંને અંગ્રેજોને ટેકો આપતા હતા અને હિંદુ સવર્ણોની આકાંક્ષાઓની આડે આવતા હતા. આમ છતાં કોઈને એમ નહોતું થયું કે વ્યાપક રાષ્ટ્રીય હિતનો વિરોધ કરનારાઓ અથવા કંઈ નહીં તો આપણા હિતોનો વિરોધ કરનારાઓ વિરોધ શેને માટે કરે છે અને તેમને શું જોઈએ છીએ એ સમજી લઈએ.
આશ્ચર્યની વાત છે કે જે ૧૯મી સદી પ્રબોધનની સદી તરીકે ઓળખાય છે પણ એ સંવાદની સદી ન બની શકી. આમ કેમ ન બન્યું એનું એક કારણ હિંદુઓની ટીપિકલ ઉદાસીનતા છે. બીજું કારણ હું આગળના લેખમાં કહી ગયો છું, પરંતુ અહીં ચર્ચાનો પ્રસંગ છે એટલે ફરી કહેવું પડે એમ છે. તેમને એમ લાગતું હતું કે સવર્ણ હિંદુઓએ – ખાસ કરીને બ્રાહ્મણોએ અને હજુ વધારે ઉદાર બનો તો શ્રમણ-બ્રાહ્મણે મળીને હિંદુદર્શન, જીવનદર્શન અને હિંદુસંસ્કૃતિનો જે ગાભો વિકસાવ્યો છે એ જ હિંદુ ધર્મની ટકોરાબંધ ઓળખ છે, એ જ એનો પાયો છે, એના ઉપર જ ચણતર થઈ શકે એમ છે અને દરેક શક્યતાઓ એમાં જ રહેલી છે. એણે જ આક્રમણોનો સામનો કર્યો છે, એણે જ સમયની થપાટો ખાધી છે અને સહન કરી છે અને એણે જ ગમે તેવા અવરોધોની વચ્ચે ટકી રહેવાનું રસાયણ વિકસાવ્યું છે. આ જ એક માત્ર સમયસિદ્ધ, ટકાઉ, ભરોસાપાત્ર પદાર્થ છે એટલે નવજાગૃત હિંદુએ આને જ પરિષ્કૃત કરવો રહ્યો.
છેવટે આ જ તો ચીજ છે જે હિંદુઓને અનોખી ઓળખ આપે છે. એમાં કેટલાક લોકોના પ્રવેશને નકારવામાં આવ્યો છે તો એમાં સુધારો થવો જોઈએ. દયાનંદ સરસ્વતીએ કહ્યું હતું કે ભારતમાં જન્મેલ દરેક હિંદુ આર્ય છે અને દરેકનો વેદો પર સમાન અધિકાર છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે દરેક નીચલી જાતિના લોકોએ પોતાને બ્રાહ્મણ જાહેર કરવા જોઈએ. એનાં બે પરિણામો આવશે. એક તો એ વડે આપોઆપ વર્ણવ્યવસ્થાનો કે જ્ઞાતિગત ભેદભાવનો અંત આવશે અને બીજું બ્રાહ્મણોએ વિકસાવેલી બ્રાહ્મણી સંસ્કૃતિ ઉપરની બ્રાહ્મણોની ઈજારાશાહીનો અંત આવશે અને બહુજન સમાજ પણ એ ટકાઉ, ભરોસાપાત્ર, સત્ત્વશીલ સંસ્કૃતિના ભાગીદાર બનશે.
તેમનો આ અભિગમ ઉદાર હતો તો પણ વ્યવહારુ નહોતો. એક તો એ કે તેમણે તેમનો આ દૃષ્ટિકોણ બહુજન સમાજને ગળે ઊતરે એ રીતે કહી બતાવ્યો નહોતો. તેમણે તેમની સાથે કોઈ સંવાદ કર્યો નહોતો. તેમણે તેનો વિરોધ કરનારા સનાતનીઓ સામે મોરચો નહોતો માંડ્યો. સ્વામી વિવેકાનંદે દલિતોને બ્રાહ્મણ તરીકે દીક્ષિત કરવાનું આંદોલન કર્યું નહોતું અને જો કર્યું હોત તો તેમને સનાતનીઓના મિજાજનો અને વ્યવહારુ મુશ્કેલીઓનો પરિચય થાત. આ સિવાય સુધારકોની સનાતનીઓ સાથે જે ચર્ચા ચાલતી હતી એ તેમના સમાજની અંતગર્ત સામાજિક સુધારાઓના પ્રશ્ને ચાલતી હતી, કોઈ સુધારકે બહુજન સમાજનું ઉપરાણું લઈને સનાતનીઓ સામે સંઘર્ષ નહોતો કર્યો. દયાનંદ સરસ્વતીએ પણ નહીં અને સ્વામી વિવેકાનંદે પણ નહીં. તમે પણ આર્ય છો કે તમે પણ બ્રાહ્મણ છો અને વેદ તેમ જ વેદાંત આપણો સહિયારો વારસો છે એમ કહેવાથી કામ નથી ચાલતું.
તેમના ઉપદેશનું કોઈ નક્કર પરિણામ નહોતું આવતું તેની તેમને જાણ હતી. નક્કર પરિણામ લાવવું હોય તો બહુજન સમાજનું ઉપરાણું લઈને સનાતનીઓ સાથે લડવું પડે એની પણ તેમને જાણ હતી. તેઓ આટલે દૂર નથી જતા એટલે બહુજન સમાજ તેમના પર ભરોસો નહોતો રાખતો તેની પણ તેમને જાણ હતી. પરસ્પર વિશ્વાસના અભાવમાં બહુજન સમાજ સવર્ણ હિંદુઓના હિતોની વિરુદ્ધ વર્તે છે અને અંગ્રેજોને ટેકો આપે છે એની પણ તેમને જાણ હતી. આમ છતાં કોઈને એમ નહોતું લાગ્યું કે આપણે પહેલાં બહુજન સમાજ સાથે અને એ પછી મુસલમાનો સાથે સેતુ બાંધવો જોઈએ. પહેલા કોઈ તમારા ઈરાદા વિષે શંકા ઊઠાવે, પછી પ્રશ્નો કરે, પછી વિરોધ કરે અને છેવટે હિતશત્રુ બને તો પણ ચર્ચા કરવા કોઈ આગળ ન આવે એવું તો માત્ર ભારતમાં હિંદુ સમાજમાં જ બને.
અહીં પ્રશ્ન થાય છે કે ધારો કે ૧૯મી સદીના હિંદુ મનીષીઓએ બહુજન સમાજ સાથે અને મુસલમાનો સાથે પ્રમાણિકતાપૂર્વક ખુલ્લી ચર્ચા કરી હોત તો? હિંદુઓ અને મુસલમાનો વચ્ચે અને હિંદુઓમાં સવર્ણ અને અવર્ણ હિંદુઓ વચ્ચે જે વિભાજનરેખાઓ ૧૯મી સદીમાં જ ખેચાઈ ગઈ હતી તેને પાતળી પાડવા તેમણે પ્રયત્ન કર્યો હોત તો? એ સમયે બહુમતી હિંદુ માનસ સનાતની હતું, એટલે ચઢાણ કપરાં હતાં, પણ એકાદ કોઈ સવર્ણ હિંદુ મનીષીએ બહુજન સમાજનું ઉપરાણું લઈને સનાતનીઓ સામે ખુલ્લો સંઘર્ષ કર્યો હોત તો? ખુલ્લો સંઘર્ષ. તેઓ પણ માણસ છે એવો ભાષાકીય ઉપદેશ નહીં.
મને એમ લાગે છે કે જો એમ બન્યું હોત તો આજે ભારતનો વર્તમાન જુદો હોત. જો એમ બન્યું હોત તો ભારતને જોડવામાં ગાંધીજીને સફળતા મળી હોત.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 12 જુલાઈ 2020