બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભા.જ.પે. કોરોનાવિરોધી રસી મફત આપવાનું વચન આપ્યું. આ તે કોઈ મત માગવાની રીત છે? વિના મૂલ્યે રસીકરણનો જે કાર્યક્રમ દાયકાઓથી ચાલે છે, એની ચૂંટણીઢંઢેરામાં જાહેરાત કરવી અને મત માગવા એ તો તદ્દન શરમજનક બાબત છે.
ભારતમાં રસીકરણનો કાર્યક્રમ ૧૯૭૮માં શરૂ થયો. એ પહેલાં રસીકરણ દ્વારા જ દેશમાંથી શીતળા નાબૂદ થઈ ચૂક્યો હતો. ૧૯૮૫માં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ શરૂ થયો. ૧૯૭૮માં મોરારજી દેસાઈની અને ૧૯૮૫માં રાજીવ ગાંધીની સરકાર હતી. રાજીવ ગાંધીની સરકારે જ 'રાષ્ટ્રીય રસીકરણ મિશન' શરૂ કરેલું અને તેનું નામ નરેન્દ્ર મોદીની સરકારે બદલીને ૨૦૧૪માં 'મિશન ઇન્દ્રધનુષ' કરી નાખ્યું,
સરકારી રસીકરણ કાર્યક્રમ હેઠળ BCG, OPV, PCV, FIPV, MR, JE, DPT અને TT સહિતની અને તેમાં જુદા જુદા પ્રકારની ૨૦ રસીઓ બાળકો, કિશોરો અને સગર્ભા મહિલાઓને સરકારી દવાખાનાંમાં અને આરોગ્ય કેન્દ્રોમાં હાલ પણ મફત મૂકવામાં આવે છે. ધનવાનો સરકારી દવાખાને ન જાય અને ખાનગી ડોક્ટર પાસે જાય અને પૈસા ચૂકવે એ તેમની પસંદગીની વાત છે. ૧૯૭૦ના દાયકામાં શીતળા અને આ સદીમાં પોલિયો નાબૂદ થયો, તે પણ સરકારી રસીકરણ દ્વારા જ. તેને પરિણામે કરોડો લોકોને ફાયદો થયો અને અસંખ્ય મોત નિવારી શકાયાં. રસીકરણના મુદ્દે અદાણી, અંબાણી, તાતા, બિરલા કે બીજી કોઈ ખાનગી કંપનીએ કશું કર્યું નથી. હા, રસીનું ઉત્પાદન ખાનગી કંપનીઓએ કર્યું ખરું. પણ રસી થકી રોગનાબૂદીની સફળતા સરકારી છે. બધી બાબતોમાં ખાનગીકરણની દુહાઈ દેનારાએ આ હકીકત નજરઅંદાજ ન કરવી જોઈએ.
રસીકરણ માટે દાયકાઓ સુધી તમામ પક્ષોની રાજ્ય અને કેન્દ્ર સરકારોએ અબજો રૂપિયા ખર્ચ્યા તેમ જ સરકારી કર્મચારીઓએ હરિયાળી ક્રાંતિ માટે જે મહેનત કરી હતી, તેવી જ મહેનત કરી. દુનિયાભરમાં એ કાર્યક્રમ પ્રશંસા પામ્યો. કારણ કે બાળમૃત્યુ દર (IMR) અને માતૃત્વ મૃત્યુ દર (MMR) ઘટાડવામાં તેનો ફાળો નોંધનીય છે.
ભા.જ.પ.ના મફત રસીના વાયદાનો અર્થ એવો થાય ખરો કે દેશમાં ચૂંટણીઓ આવવાની જ ના હોત તો મોદી સરકાર મફતમાં કોરોના રસી આપત જ નહીં? ભલું થજો આંબેડકર, નહેરુ અને સરદાર સહિતના એ જમાનાના બંધારણ સભાના નેતાઓનું કે એમણે બંધારણમાં લોકશાહીની અને ચૂંટણીની વ્યવસ્થા રાખી. હવે સાચવવાની જવાબદારી આપણા સૌની.
e.mail : hema_nt58@yahoo.in
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 26 ઑક્ટોબર 2020; પૃ. 01