અમદાવાદના વાહનોથી ધમધમતા રસ્તાઓ પર આજકાલ લગભગ દરેક ચાર રસ્તા પર લાલ લાઇટ થાય એટલે સ્કુટર કે કારવાળા સ્ટૉપલાઇનની નજીક જઈને અટકવાને બદલે આસપાસ જે ઝાડ હોય તેના છાંયડા હેઠળ એકઠા થાય છે.
શહેરી તાપમાનના દુનિયાભરના અભ્યાસીઓએ સૂચવ્યું છે કે ફૂટપાથ પર ઊભી રહેલી વ્યક્તિ કરતાં ઝાડ નીચે ઊભી રહેલી વ્યક્તિ 5થી 7 સેન્ટિગ્રેડ ઓછું તાપમાન અનુભવે છે. જળવાયુ પરિવર્તનના ક્ષેત્રે આ પ્રકારના અભ્યાસ ‘આઇલૅન્ડ ઇફેક્ટ’ અથવા ‘ફૉસ્ટર્સ રુલ’ નામની વિભાવના હેઠળ કરવામાં આવે છે.
વૃક્ષ નીચે ઓછું તાપમાન જોવા મળે એ બાબત શિન્જિ યોશિદા નામના અભ્યાસીના Adaptation Measures for Urban Heat Islands નામના પુસ્તકમાં વાંચવા મળે છે. એમાંથી પસાર થતાં એમ થાય છે કે આ વર્ષે શહેરે તેના રહીશોને કાળઝાળ ગરમીથી રક્ષણ આપવા માટે શું કર્યું ?
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનો દાવો છે કે તેણે 2019 અને 2021 એમ બે વખત ‘મિશન મિલિયન ટ્રીઝ’ (દસ લાખ વૃક્ષારોપણ ઝુંબેશ) નામની ઝુંબેશ કરીને 27.72 લાખ છોડ ઊગાડ્યાં છે.
જો કે ઊગાડેલાં આ છોડમાંથી કેટલાં ટક્યાં છે એનો આંકડો કૉર્પોરેશન આપતી નથી.
જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં બહાર પડેલાં ફૉરેસ્ટ સર્વે ઑફ ઇનિયા 2021ના આંકડા મુજબ વીતેલા દાયકામાં અમદાવાદ શહેરના વૃક્ષાવરણમાં (ટ્રી કવરમાં) 8.55 ચો.કિલોમીટરનો ઘટાડો થયો છે. આ ઘટાડો દેશના બધાં મુખ્ય શહેરોનાં વૃક્ષાવરણમાં ગયા દાયકામાં થયેલા ઘટાડા કરતાં વધારે છે.
તદુપરાંત, અમદાવાદમાં દરેક અમદાવાદીને મળતી માથાદીઠ શહેરી હરિત ભૂમિ (Uraban Green Space – UGS) 3.91 ચોરસ મીટર છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગનાઇઝેશન(WHO)ના ધોરણ મુજબ દરેક શહેરવાસીને માથાદીઠ ઓછામાં ઓછી 9 ચોરસ મીટર હરિત ભૂમિ મળવી જોઈએ. ચંડીગઢ, દિલ્હી અને બંગળુરુ જેવાં થોડાંક જ શહેરો WHOના ધોરણો જાળવી શક્યાં છે, અને મુંબઈ, અમદાવાદ, સૂરત, ચેન્નાઈ અને હૈદરાબાદ જેવાં શહેરો આ ધોરણથી ઘણાં દૂર છે.
બંગળુરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સના અભ્યાસમાં 2020માં ચેતવણી આપવામાં આવી છે કે ગયા બે દાયકામાં અમદાવાદનું વૃક્ષાવરણ (tree-cover) 46%થી ઘટીને 24% પર આવ્યું છે, અને વિકાસનાં દબાણો હરિત ભૂમિ(green space)નો ભોગ લેતાં તો 2030માં વૃક્ષાવરણ 3% પર પહોંચી જશે.
વનસ્પતિશાસ્ત્રી સંતોષ યાદવ કહે છે : ‘મુંબઈ અને પુણેમાં થયું છે તેવું tree mapping અમદાવાદમાં થવું જરૂરી છે. અમદાવાદીઓએ એ જાણવાની જરૂર છે કે વૃક્ષારોપણ ઝુંબેશ બાદ કયાં ઝાડ ટક્યાં છે અને ક્યાં ટક્યાં નથી. વૃક્ષનું આર્થિક મૂલ્ય ધ્યાનમાં લેવાતું નથી, અને એટલે સત્તાવાળાઓ વૃક્ષોના વિનાશની નોંધ લેતા નથી.’
‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ સાથે વાત કરતાં એક કૉર્પોરેશનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું : ‘અત્યારના આપણાં બાંધકામ પેટાનિયમો મુજબ, બાંધકામ કરવામાં 10% ખુલ્લી જગ્યા open space છોડવાની હોય છે. આ જગ્યા બાંધકામ વિસ્તારમાં વસ્તીની ગીચતાનું પ્રમાણ સાથે કોઈ સંબંધ નથી. અમદાવાદની 2021ની વિકાસ યોજના મુજબ થોડાંક તળાવોની આસપાસ green spaces બતાવવામાં આવી છે. નગર આયોજનની જુદી જુદી યોજનાઓમાં થોડીક સંખ્યામાં land pooling system દ્વારા થોડીક સંખ્યામાં open spaces માટેની જોગવાઈ કરવામાં આવી છે.
‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’નું કહેવું છે કે 1965થી લઈને અત્યાર સુધીની અમદાવાદની દરેક વિકાસ યોજનામાં શહેરને હરિયાળું બનાવવા અને open spaces વધુ સંખ્યામાં રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે. પણ વીતેલા ચારેક દાયકામાં સુધરાઈએ આ દિશામાં ભાગ્યે જ કંઈ કર્યું છે.
શહેરી વિકાસ આયોજનમાં સંખ્યાબંધ યોજનાઓ એવી છે કે જેમાં ગુજરાત ટાઉન પ્લાનિન્ગ ઍક્ટમાં ફરજિયાત બનાવવામાં આવેલી સંખ્યામાં વૃક્ષો અને open spaces નથી. હવે શહેર આયોજનની પ્રક્રિયામાં શહેરના લોકોને સામેલ કરવા એ મહત્ત્વની બાબત છે. જાહેર જનતાની ભાગીદારી સાથેના કાર્યક્રમોનું વિચારપૂર્વક આયોજન કરવું જોઈએ અને તે અંગેની જાણકારી આ યોજનાઓની સાથે સંકળાયેલા સહુને આપવી જોઈએ.
(સૌજન્ય : ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’, 01મે 2022)
05 મે 2022
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર