આજે યોગ દિનની ઉજવણી, જળ-જંગલ-જમીન છિનવનાર સ્ટૅચ્યૂ ઑફ યુનિટી ખાતે થઈ રહી છે ત્યારે, આસામને જંગલ આપનાર જાદવ પાયેંગ નામના વનર્ષિના વૃક્ષયોગની વાત …
ગાંધીનગરમાં વૃક્ષો કાપવાના વિરોધમાં લોકઆંદોલનનાં મંડાણ થયાં છે. એક બાજુ વૃક્ષોની હત્યા કરતી જીવન-વિરોધી સરકારો છે, તો બીજી બાજુ એકલા હાથે આખું જંગલ બનાવનાર જાદવ પાયેંગ નામના માણસ આ દેશમાં છે. અતિશયોક્તિ લાગતી આ ઘટના બિલકુલ હકીકત છે તે ગયાં પાંચેક વર્ષમાં તેમને વિશે આવેલાં સંખ્યાબંધ લખાણો, અને તેથી ય વધુ તો યુ-ટ્યૂબ પર ડૉક્યુમેન્ટરિ ફિલ્મ્સમાં દેખાય છે.
https://www.youtube.com/watch?v=HkZDSqyE1do
આસામના જાદવ પાયેંગ નામના મહાપુરુષે ગયાં ચાળીસ વર્ષમાં બ્રહ્મપુત્રા નદીમાં આવેલાં મજુલી નામના ટાપુ પર 1,360 એકર (550 હેક્ટર) જમીન પર અસલ જંગલ બનાવ્યું છે. તેમાં સો જેટલા હાથી, પાંચ વાઘ, ઘણાં ગેંડા, રીંછ, બાયસન અને સેંકડો હરણ અવરજવર કરે છે. લોકોમાં ‘મોલાઈ કાથોની’ તરીકે ઓળખાતાં પાંચ ચોરસ કિલોમીટર ફેલાયેલાં આ નંદનવનમાં સો કરતાં વધુ ઔષધી વનસ્પતિ મબલખ પ્રમાણમાં છે, અને અલબત્ત, હજ્જારો વૃક્ષો છે. સહુથી મહત્ત્વની વાત એ કે દુનિયાના એક સૌથી મોટાં ‘રિવર આઇલૅન્ડ’ ગણાતાં મજુલી પર પાયેંગે ઝાડ ઊગાડવાનું શરૂ કર્યું, તે વખતે ત્યાં એ કેવળ રેતાળ, ઉજ્જડ, ઝાડપાન વિનાની થઈ ગયેલી જમીન હતી. અત્યારે પણ પાયેંગનું કામ ટાપુના નેકાહી નામના હિસ્સામાં ચાલુ છે. 2015માં પદ્મશ્રી સન્માન મેળવનાર જાદવ પાયેંગ ખરેખર તો કુદરતના ચારેકોર નાશના જમાનામાં, ભારતનું રત્ન છે.
પાયેંગનો જન્મ આસામનાં એક નાનાં ગામમાં મિશિંગ નામની આદિવાસી કોમનાં, ખેતી અને પશુપાલન પર નભતાં કુટુંબમાં 1963 માં થયો હતો. દસમા ધોરણ સુધીનું શિક્ષણ જોરહાટમાં લીધું. શાળાની નજીક ડૉ. જગન્નાથ બેઝબરુઆ નામના કૃષિવૈજ્ઞાનિકનું કામ ચાલતું. તે રસથી જોવા જતાં પાયેંગને તેમણે છોડ વાવતાં શીખવ્યું. એપ્રિલ 1979માં બ્રહ્મપુત્રામાં અતિવિનાશક પૂર આવ્યું. પછી તેનાં પાણી ઓસર્યાં, કડક તડકો પડ્યો. પાયેંગે મજુલી ટાપુના અરુણા સાપોરી નામના હિસ્સામાં પૂરનાં પાણી સાથે ખેંચાઈ આવેલાં અનેક સાપ જોયા. આ સાપ રેતાળ જમીન પર પાણી કે છાંયડા વિના ગરમીમાં તરફડતાં અને મરતાં હતાં. બીજાં પ્રાણીઓ પણ બેહાલ હતાં. ખૂબ દુ:ખી થયેલા પાયેંગે આવું ન થાય તેના રસ્તા શોધવાની શરૂઆત કરી. નજીકનાં ગામનાં આદિવાસીઓએ તેમને વાંસ ઉગાડવાનો રસ્તો બતાવ્યો. પાયેંગે વાંસનાં પચાસેક છોડ ઊગાડ્યાં, પછી બીજાં ઝાડ. ત્યારથી એ આજ સુધી તે ચાળીસ વર્ષ લગભગ દરરોજ ઝાડ વાવતાં જ રહ્યા છે.
પાયેંગે વાંસ વાવ્યાં તે અરસામા આસામની સરકારે એ વિસ્તારમાં વનીકરણનું કામ હાથ પર લીધું. તેમાં સોળેક વર્ષના પાયેંગ હવે મજૂર તરીકે જોડાયા. એ વખતે એ માતપિતા વિનાના થઈ ગયેલા. સરકારની યોજના તો ટલ્લે ચડી પણ આ વૃક્ષ-ઋષિનો યજ્ઞ ચાલુ થયો. વીસેક વર્ષ તદ્દન એકલા હાથે એક જ રઢ લઈને દરરોજ ઝાડ વાવતાં જ રહ્યા. બીજ મેળવવાનાં, રોપવાનાં, રોપાં વાવવાનાં, કલમો કરવાની, ટપક સિંચાઈનાં નુસખા શોધવાના એમ ચાલતું જ રહ્યું. જંગલમાં જ લાકડાનાં ઘરમાં રહેવાનું. આવક માટે ગાય-ભેંસો અને ભૂંડ પાળ્યાં. તેમને ખોરાક પણ જંગલમાંથી મળી રહે. ઓગણચાળીસ વર્ષે લગ્ન કર્યાં. બાળકોનાં શિક્ષણ માટે જોરાહટ પાસે એક ગામમાં નાનું ઘર કર્યું. પણ જંગલમાં દરરોજ જવાનું. તેના માટે પરોઢે સાડા ત્રણે ગામથી સાયકલ સાથે હોડીમાં બેસીને બ્રહ્મપુત્રા પાર કરવાની, મજુલી આવવાનું, ત્યાંથી દસેક કિલોમીટર સાયકલ પર અરુણા સાપોરી ખાતે બનાવેલાં જંગલમાં પહોંચીને કામ કરવાનું. જતી વખતે સાયકલ પર સાધનો તેમ જ બિયારણનાં મસમોટાં કોથળા અને પાછા આવતી વખતે જંગલ પેદાશોના કોથળા. શક્ય હોય ત્યારે પત્ની પણ જંગલમાં આવે. દીકરી પણ જંગલને ચાહે, મુલાકાતીઓ સાથે દુભાષિયાનું કામ કરે. એક દીકરો ‘સેકન્ડ પાયેન્ગ’ બનવાનું સપનું જુએ છે. તે પિતાની જેમ વનને, તેનાં પક્ષીઓને, પ્રાણીઓને ચાહે છે.

પ્રાણીઓ માટે આ જંગલ એટલું બધું કુદરતી છે કે તેમાં કાઝીરંગા અભયારણ્યમાંથી વર્ષનાં ચારેક મહિના હાથીઓ પણ આવે છે. તે મજુલી પરનાં લોકોનાં ખેતરો અને ઘરોમાં વિનાશ વેરતા. પાયેંગનું ઘર પર એમણે તોડ્યું હતું. એટલે ગામ લોકોએ જંગલ કાપી નાખવાની પેરવી કરી, પાયેંગને એમની સાથે ભારે સંઘર્ષ થયો. પણ પાયેંગે કહી દીધું ‘પહેલાં મને કાપો, પછી ઝાડને’. સાથે લોકોને એ પણ સમજાવ્યું કે વારંવાર ગામોમાં ફરી વળતાં બ્રહ્મપુત્રનાં પાણી અને જમીનનું ધોવાણ મોટાં પાયે ઝાડ વાવીને કેમ અટકાવી શકાય. તદુપરાંત એમણે હાથીને ગમતાં કેળનાં અને અન્ય ઝાડ ગામ અને જંગલ વચ્ચેની સરહદે ઊગાડવાની શરૂઆત કરી, ગજરાજ ગામોમાં આવતાં અટક્યા. પાયેંગનું ઘર પણ એક વખત હાથીએ તોડ્યું છે, તેમનાં ઢોર વાઘ ઉપાડી ગયા છે. પણ પાયેંગ માને છે કે પ્રાણીઓ માત્ર ખોરાક ખાતર જ આક્રમક બને છે. અન્યથા સહુથી હિંસક અને વિનાશકારી પ્રાણી તો માણસ જ છે. પાયેંગ મુલાકાતોમાં પાણી, માટી, છોડ, ઝાડ, પાંદડાં, ફૂલ, ફળ, બીજ, પ્રાણી, પક્ષી આ બધાંની એકબીજા સાથે અદ્દભુત રીતે ગોઠવાયેલી સાંકળથી જંગલ કેવી રીતે વિસ્તરે છે એ સરસ રીતે ટૂંકમાં સમજાવે છે. દુનિયા સાથે અસમિયા ભળેલી હિન્દી બોલતા આ સાક્ષાત્ વનદેવ સમા આ સાલસ ઇન્સાન કહે છે કે તે ઝાડ અને પ્રાણીઓ સાથે મૂક સંવાદ કરતા રહે છે. ચાળીસેક વર્ષથી બધી મોસમોમાં ખુલ્લામાં બારેક કલાક સખત મહેનત કરનાર વનપુરુષને માંદગી અને દવા, ડર અને થાકની જાણે ખબર જ નથી. આ બધું નથી, અને સતત વધતો આનંદ છે : ‘એક છોડ વાવી-ઉછેરીને ખુશી મળે, બીજો વાવો એટલે તે વધે, ને જેટલાં વાવો એટલો આનંદમાં વધારો જ થતો રહે.’
અલબત્ત, પાયેંગ નિજાનંદી વનવાસી નથી. ક્લાઇમેટ ચેઇન્જ અને ગ્લોબલ વૉર્મિન્ગની તેમને બરાબર જાણ છે. પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમોમાં દેશ અને દુનિયામાં બિલકુલ સાદાં કપડાંમાં ભાગ લે છે. રસ ધરાવતાં બાળકો, યુવાનો, અભ્યાસીઓ, અધિકારીઓ, પત્રકારોને તેમનાં કામમાં સામેલ કરે છે. પૃથ્વીને બચાવવાનો એકમાત્ર ઉપાય તે ઝાડ ઉછેરવામાં જુએ છે. સોંસરી રીતે બધે એક વાત વારંવાર કહે છે કે આખા દેશમાં, શાળાપ્રવેશ વખતે દરેક બાળક બે છોડ વાવે અને તેમાંથી પોતે ઉછેરેલાં ઝાડ બતાવે ત્યારે તેને દસમા કે બારમાનું પ્રમાણપત્ર આપવામાં આવે. પદ્મશ્રી સન્માન વખતે તેમણે કહ્યું હતું : ‘જો મારી ધરિત્રી જ ન રહેવાની હોય તો આ સન્માનનું મારે શું કરવાનું ? પણ છતાં સવા કરોડ લોકોના દેશનું આ સન્માન અને તેમને જાગૃત કરવા માટે હું લઉં છું.’
પાયેંગનું જંગલ ન્યુયૉર્કનાં શહેરી જંગલ ‘સેન્ટ્રલ પાર્ક’ કરતાં પાંચસો એકર મોટું છે. મોદી સરકારે બાંધેલ સ્ટૅચ્યૂ ઑફ યુનિટી એ ન્યુયૉર્કનાં સ્ટૅચ્યુ ઑફ લિબર્ટી કરતાં નેવું મીટર ઊંચું છે. આમાં મોદી સરકાર અમેરિકા કરતાં આગળ વધી તે ગુજરાતનાં કેટલાંક લોકોનાં જીવન-જળ-જંગલ-જમીન છિનવીને. એકલવીર પાયેંગે અનાયાસે અમેરિકાથી આગળ વધ્યા તે આસામના લોકોને જંગલ આપીને. આજે ગુજરાતના મુખ્યમંત્રી સ્ટૅચ્યૂ ઑફ યુનિટી ખાતે યોગ કરવાના છે ત્યારે સહેજ આસામના આ વૃક્ષયોગીની પણ વાત.
*****
19 જૂન 2019
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘નવગુજરાત સમય”, 21 જૂન 2019
![]()



સાંપ્રદાયિકતાનાં વિભાજક રાજકારણ સામે સંઘર્ષ ઊપાડનારા સાહિત્યકારો-કલાકારોએ કર્નાડ પણ હતા. ચિકમંગલૂર ખાતે આવેલા બાબાબુધનગિરી નામના સેક્યુલર સૂફી દર્શનસ્થાનને કટ્ટર હિંદુત્વવાદીઓ ‘દક્ષિણનું આયોધ્યા’ બનાવવા માંગતાં હતા. તેની સામે ઝુઝારુ પત્રકાર ગૌરી લંકેશે ડિસેમ્બર 2003માં શરૂ કરેલી લડતમાં કર્નાડે ખ્હોબ મહેનત લીધી હતી. ગયાં પાંચ વર્ષમાં તો લિન્ચિન્ગ, દલિતો પર જુલમો, મહિલાઓ પર અત્યાચાર, કોમવાદ સામેના અનેક જાહેર કાર્યક્રમોમાં તે સામેલ થતા રહ્યા હતા. પૂનાનાં જનવાદી યુવા ગાયકવૃંદ ‘કબીર કલા મંચ’ પર સરકારે ચલાવેલ દમનના વિરોધમાં તે મંચની એક સી.ડી.ના પ્રકાશન કાર્યક્રમમાં અભ્યાસ અને આક્રોશ સાથે બોલ્યા હતા. પોતે બીફ ખાતા નહીં, પણ રાજ્ય સરકારોએ માત્ર હિન્દુત્વના રાજકારણને ધ્યાનમાં લાદેલા બીફ પ્રતિબંધનો તેમણે વારંવાર વિરોધ કર્યો.
ધારવાડના રૅશનાલિસ્ટ એમ.એમ. કાલબુર્ગીની ઑગસ્ટ 2015માં થયેલી હત્યાના વિરોધ પ્રદર્શનમાં તે ગૌરી લંકેશની સાથે હતા. ગૌરી લંકેશની હત્યાની વરસી પરની સભામાં ગયાં વર્ષે પાંચમી સપ્ટેમ્બરે બંગલુરુની સભામાં તે નાકમાં ઓક્સિજન માટેની ટ્યૂબ અને ગળામાં ‘મી ટૂ અર્બન નક્સલ’ એવું પાટિયું લટકાવીને બેઠા હતા. ‘અર્બન નક્ષલ’ ગણીને પૂનાની પોલીસે સાત કર્મશીલોની કરેલી ધરપકડથી તે ગૌરી લંકેશની હત્યાથી જન્મેલો તેટલો જ અજંપો અનુભવતા હતા. તેમણે કર્મશીલો પર પોલીસે કરેલાં અરોપોનો ઉલ્લેખ કરીને સભામાં ધીમા પણ ધૈર્યવાન અવાજમાં કહ્યું હતું : ‘આ બતાવે છે કે પોલીસ એમ સૂચવવા માગે છે કે અમારે જે કહેવું હોય એ અમે કહી શકીએ એટલે કે અમારે જે કરવું હોય એ અમે કરી શકીએ.’ તે પછી આ સંદર્ભમાં ‘હિન્દુ’ અખબારને આપેલી એક મુલાકાતમાં તેમણે દેશમાં ફેલાઈ રહેલા ફાસીવાદ અંગે તીવ્ર વ્યથા વ્યક્ત કરી હતી. તેમણે એમ પણ કહ્યું : ‘આજે તમે જે કંઈ જુઓ છો તે બધાંનાં મૂળ 1975માં લાદવામાં આવેલી કટોકટીમાં છે. અત્યારની આપણી સ્થિતિ તરફ માત્ર આર.એસ.એસ.ના સર્જન તરીકે જોવાની જરૂર નથી, એ ખરેખર કૉન્ગ્રેસનું સર્જન છે.’ જો કે 2014ની લોકસભાની ચૂંટણીમાં તેમણે ભા.જ.પ.નો વિરોધ કરીને કૉન્ગ્રેસના બંગલુરૂના ઉમેદવાર નંદન નિલેકણીનો પ્રચાર કર્યો હતો.
મસમોટાં વ્યવસ્થાતંત્રોની બેદરકારી અને મોટા ભાગના નાગરિકોની સંવેદનહીનતાની વચ્ચે, એકલા હાથે સેંકડો ઝાડ ઉછેરી પોતાના વિસ્તારોને હરિયાળા રાખનારા એકલવીર વૃક્ષપ્રેમીઓ વિરોધાભાસ અને પ્રેરણા બંને પૂરાં પાડે છે. કર્ણાટકનાં 106 વર્ષનાં થિમ્માકા એમાંનાં જ એક છે. આ વર્ષે માર્ચ મહિનામાં તેમને પદ્મશ્રી સન્માન એનાયત કરવામાં આવ્યું. થિમ્માક્કાએ ગયાં પાંસઠ વર્ષમાં આઠ હજાર ઝાડ ઊછેર્યાં છે, જેમાં 384 જેટલાં વડનાં ઝાડનો પણ સમાવેશ થાય છે. થિમ્માકા બેંગલોરથી સિત્તેરેક કિલોમીટર પર આવેલાં હુલિકલ ગામમાં રહે છે. અહીંથી ચાર કિલોમીટર પર આવેલાં કુદુર ગામની વચ્ચેના રસ્તાની બંને બાજુએ તેમણે વાવેલાં વડથી લીલી કમાન બની ગઈ છે. આ શીતળ રસ્તો ય થોડાંક વર્ષો પહેલાં જેમને આકરો લાગતો હતો તેવા વૃક્ષશત્રુઓએ કેટલાંક વડ કાપવા માટેની હિલચાલ શરૂ કરી, જેનો ગામના સભાન નાગરિકોએ વિરોધ કર્યો, પોલીસ ફરિયાદ થઈ, માધ્યમોમાં વાત ઝળકી અને થિમ્માક્કાનું કામ કર્ણાટકમાં કંઈક જાણીતું થયું. અત્યારે તેઓ દુનિયાભરમાં જાણીતાં છે. બી.બી.સી.એ 2016માં થિમ્માક્કાનો વિશ્વનાં સહુથી પ્રભાવશાળી અને પ્રેરણાદાયી એવી સો મહિલાઓની યાદીમાં સમાવેશ કર્યો. ઉપરાંત તેમને દેશ અને દુનિયાનાં અનેક સન્માનો મળી ચૂક્યા છે. રાષ્ટ્રપ્રમુખે તેમને પદ્મશ્રી સન્માન આપ્યું ત્યારે તેમણે રામનાથ કોવિંદને માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. દેશના ઇતિહાસમાં આવો આ પહેલો જ કિસ્સો હતો. કોવિંદે તેમની ટ્વિટમાં આ મતલબનું લખ્યું : ‘પદ્મ પુરસ્કારના સમારંભમાં ભારતની સહુથી ઉત્તમ અને સુપાત્ર વ્યક્તિઓને માન આપવાનો વિશેષાધિકાર રાષ્ટ્રપતિને હોય છે. પણ આજે દેશનાં સૌથી મોટી ઉંમરના પદ્મ સન્માનિત વ્યક્તિ એવાં, કર્ણાટકનાં 107 વર્ષનાં પર્યાવરણવિદ્દ સાલુમરદા થિમ્માક્કાએ મને આશીર્વાદ આપવાનું ઉચિત માન્યું તે વાત મને સ્પર્શી ગઈ છે.’ થિમ્માક્કાને કન્નડામાં લોકો ‘સાલુમરદા’ એટલે કે ‘વૃક્ષોની હરોળ વાવનાર’ તરીકે ઓળખે છે. તેમના ગૌરવ માટે વપરાતા બીજા કેટલાક શબ્દો છે ‘વનમિત્ર’, ‘નિસર્ગરત્ન’, ‘વૃક્ષશ્રી’, ‘પરિસરમાતા’ અને ‘વૃક્ષમાતા’.
