ભૂમિકા
યુનેસ્કો[UNESCO}ની કર્મશીલતા બે બાબતે વિશેષ કાર્યરત છે : કલ્યાણકારી પ્રાવૃત્તિક પ્રક્રિયા કરતા રહેવું અને વિરાસત, વૈભવી વારસાને સુરક્ષા બક્ષવી.
તાજેતરમાં ૫-૭-’૧૭થી ૭-૭-’૧૭ દરમિયાન પોલેન્ડના ક્રાકોવ નગરમાં યુનેસ્કોની વિશ્વ-વિરાસતી સમિતિની ૪૧મી બેઠક યોજાઈ ગઈ. તેમાં લાંબી ચર્ચા વિચારણા પછી અમદાવાદ શહેરને ‘વિશ્વ વિરાસતી શહેર’ તરીકે છોગું પ્રદત્ત કર્યું. ભારતનું આ પ્રથમ શહેર છે જેને આ વિરાસતી આભૂષણ હાથવગું થયું અને ઉપખંડનું એ ત્રીજું શહેર છે. અગાઉનાં બે શહેરમાં એક છે શ્રીલંકાનું, અને બીજું છે નેપાળસ્થિત.
હરખ હવે તું અમદાવાદ, કેમ કે અમદાવાદ મહાનગરપાલિકાએ ઉજવણાં કરવા નિમિત્તે દશ કરોડ રૂપિયા ખર્ચવાનો નિર્ણય કર્યો છે. શું થશે અને કેવી રીતે કરશે એ તો નિવડે વિશ્લેિષત કરવાનો ઉપક્રમ છે, જેમાં અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે થઈ હતી, એક તબક્કે આપણું આ વિરાસતી શહેર અમુક કિનારે હતું, કયા નામથી ઇતિહાસના સંદર્ભે અમદાવાદ ઓળખાવું જોઈએ અને ‘સાબ્રમતી મહાત્મ્ય’માં અમદાવાદ વિશે ક્યાં તીર્થ વિશેની માહિતી છે.
ઇતિહાસમાં આધાર અને અર્થઘટન બંને મહત્ત્વનાં છે. છેલ્લામાં છેલ્લા આધાર-સામગ્રી-જ્ઞાપકને ધ્યાને લઈને અર્થઘટિત વિશ્લેષણ કરવું એ બાબત ધ્યાને લેવી જોઈએ, કેમ કે જ્ઞાપક તો સમયાંતરે પ્રાપ્ત થતાં રહે છે અને તેથી અગાઉનાં અર્થઘટિત વર્ણન પરિવર્તનને અધીન રહે છે તે પણ એટલું જ મહત્ત્વનું છે.
અગાઉ નિર્દિષ્ટ મુદ્દાઓ પરત્વે પરત્વે વર્ણન કરીએ તે પહેલાં તત્કાલ આપણે શું કરવું આવશ્યક છે તેની સંક્ષિપ્ત જિકર કરીશું.
તત્કાલ લેવાનાં પગલાં
પ્રથમ તબક્કે આપણે સહુએ – નાગરિકોએ, ઇતિહાસવિદોએ, સત્તાધીશોએ, શિક્ષણ સંસ્થાએ – ‘રાષ્ટ્રીય વિરાસત નોંધણીપત્રક’ અંતર્ગત ‘અમદાવાદ વિરાસત નોંધણી ક્રમાંક’ની યોજના અમલી બનાવવી જોઈએ, બીજી મહત્ત્વની બાબત એ છે કે પૂર્વકાલીન કે પંરપરિત સ્મારકો-ઈમારતો-સ્થાપત્યકિય રચનાઓનો સમાવેશ તો કરીએ પણ વાંસોવાંસ આધુનિક પણ ઇતિકૃતિને પોષક એવી ઇમારતોનો સમાવેશ કરવા ‘એટલા’ જ ઉપાદેયી છે. ત્રીજી બાબત આ સંદર્ભે એ હોવી જોઈએ કે Outstanding Universal Values ધરાવતી સઘળી ઈમારત પણ આવરી લેવી જોઈએ, જે ભલે ઇતિહાસી કે પૂર્વકાલીન ના પણ હોય. એટલે વિરાસત એટલે કેવળ પૂર્વકાલીન સ્થાપત્ય નહીં પણ રાજકીય, સામાજિક, ઇતિહાસી, સાંસ્કૃિતક અને આર્થિક મહત્ત્વ દર્શાવતી અને સર્વકાલીન ઉપાદેયીતા હોય તેવી ઇમારત-સ્મારકનો સમાવેશ થવો જોઈએ. આવી ઇમારતો-સ્મારકો વિશે દૃશ્ય-ધ્વનિ સાથે સંક્ષિપ્તચક્ર (કોમ્પેક્ટ ડિસ્ક) સવેળા તૈયાર કરી બધી શિક્ષણસંસ્થાને પહોંચવાની યોજના સત્વરે અમલી બનાવવી રહી. ઉપરાંત, વિરાસતી સ્મારકોની તસવીરો તૈયાર કરી એક ફરતું સંગ્રહાલય નગરના પ્રત્યેક ભાગમાં જાય અને એની આગોતરી જાણ તે વિસ્તારના લોકોને થાય તેવી વ્યવસ્થા ગોઠવવી તાકીદનો તકાજો છે.
નગરની સ્થાપના કયા વર્ષે ?
જ્યારે વિશ્વવિરાસતના નકશે અહમદાબાદનો સિક્કો લાગ્યો છે ત્યારે એના સ્થાપના દિવસ-વર્ષની મીમાંસા કરવી એટલી જ જરૂરી છે. ‘ગુજરાતનું પાટનગર અમદાવાદ’માં રત્નમણિરાવ ફારસીના અભ્યાસી ના હોઈ તે ભાષામાં નોંધાયેલી વિગતોથી તેઓ અજ્ઞાત હોવાનો પૂરતો સંભવ છે. ત્યારે આપણી મદદે ડૉ. સૈયદ અકબરઅલી તિરમિઝી(જેઓ એસ.એ.આઈ. તિરમિઝીથી ખ્યાત છે)નાં અવલોકન ધ્યાનાર્હ બની રહે છે, કેમ કે તેઓ ઇસ્લામી ઇતિહાસના પ્રાધ્યાપક હતા અને ફારસી ભાષાના તજજ્ઞ હતા. વળી તેઓ રાષ્ટ્રીય અભિલેખાગારના નિયામકપદેથી નિવૃત્ત થયા હતા. આથી તેમણે अहमदाबादની સ્થાપના સબબ કરેલાં પૃથક્કરણ વિશેષ સ્વીકાર્ય અને પ્રમાણભૂત ગણાય છે. ઈન્ડિયન હિસ્ટરી કૉંગ્રેસ સંસ્થા તરફથી પ્રકાશિત ‘કૉમ્પ્રિહેન્સિવ હિસ્ટરી ઑફ ઇન્ડિયા’ શ્રેણીના ગ્રંથ પાંચમાના ‘ગુજરાત અને ખાનદેશ’ નામના પ્રકરણનાં પૃષ્ઠ ૮૫૧-૮૫૨ ઉપર આ બાબતે વિશ્લેિષત ચર્ચા કરી છે. આ અંગે ફારસીમાં લખાયેલા છ જ્ઞાપક ઉપલબ્ધ છેઃ Maasir-i-Mahmad Shahi (લેખક-અબ્દુલ હુસૈન) જે કોમનવેલ્થ રિલેશન ઑફિસ, ફાઈલ નંબર ૩૮૪૨માં ઉપલબ્ધ છે. (૨) Tabaqati-Mahmud Shahi (અબ્દુલ કરીમ) જે ETની College Libraryમાં ફાઈલ નંબર ૧૬૦, વર્ષ ૮૦૦માં ઉપલબ્ધ છે. (૩) ફરિસ્તાકૃત Tarikh-i-Ferishte, મુંબઈ, ૧૮૩૨. (૪) સિકંદરકૃત Mirat-i-Sikan-dari. આ હસ્તપ્રત ડૉ. સતીશચંદ્ર મિશ્રા અને એમ.એલ. રહેમાને સંપાદિત કરી છે, જે ૧૯૬૧માં વડોદરાથી પ્રકાશિત થયેલી છે. (૫) નિઝામુદ્દીનકૃત Takagati – Akbari, કોલકાતા, ૧૯૩૫ અને (૬) અલી મુહમ્મદકૃત Mirat-i-Ahmadi, વડોદરા, ૧૯૨૮. હુસૈન અને કરીમ ઇતિહાસકાર છે. ફરિસ્તા સલ્તનતકાળના લેખક છે. એમની પાસે વિદ્યમાન અને ઉપલબ્ધ દફતરો હાથવગાં હતાં. જ્યારે સિકંદર, નિઝામુદ્દીન અને અલી મુહમ્મદે લખેલા ઇતિહાસ સલ્તનતકાળના અસ્ત પછીના સમયના છે. આથી મુહમ્મદે લખેલા ઇતિહાસ સલ્તનતકાળના લેખકો છે. એમની પાસે વિદ્યમાન અને ઉપલબ્ધ દફતરો હાથવગાં હતાં. જ્યારે સિકંદર, નિઝામુદ્દીન અને અલી મુહમ્મદે લખેલા ઇતિહાસ સલ્તનતકાળના અસ્ત પછીના સમયના છે. આથી, ઇતિહાસલેખનના સંદર્ભે હુસૈન, કરીમ અને ફરિસ્તાનાં લખાણ વિશેષ ગ્રાહ્ય ગણી શકાય, અને પ્રમાણભૂત પણ. અર્થાત્ પ્રથમ ત્રણ લેખકોએ તૈયાર કરેલી તવારીખ પછીના ત્રણ લેખક કરતાં સો વર્ષથી વધુ સમય પહેલાંની છે.
અહીં કેટલાંક અવલોકન વિશ્લેિષત કરવાં જરૂરી છે : (૧) સુલતાન બનવાની ઉતાવળમાં અહમદ શાહે પોતાના દાદા મુઝફ્ફરને ઈસવી ૧૪૧૧માં ઝેર આપીને મારી નાંખ્યા, અને સ્વયં સુલતાન થઈ બેઠો. (૨) અહમદ શાહ ૧૩-૧૪ રમઝાન હિ.સં. ૮૧૩ના રોજ – ૧૦ જાન્યુઆરી ૧૪૧૧ના દિવસે ગાદીએ બેઠો. (૩) अहमदाबादની સ્થાપના ૩ જિલ્લાદ ૮૧૩ અને ૨૭-૨-૧૪૧૧ના રોજ થઈ. (૪) અહમદશાહ ગાદીએ બેઠો ત્યારે એના ચાર કાકા સાથે સંઘર્ષ થયેલો. (૫) અમદાવાદની પ્રથમ મસ્જિદનું નિર્માણકાર્ય હિ.સં. ૮૧૫ અને ઈસવી ૧૪૧૩માં હાથ ધરાયેલું.
આ તબક્કે સિકંદર, અલી મુહમ્મદ અને મહમૂદના જણાવ્યા મુજબ અહમદાબાદની સ્થાપના ૩ જિલ્લાદ, હિ.સં. ૮૧૩ (૨૭.૨.૧૪૧૧)ના રોજ થઈ, જ્યારે પ્રથમ મસ્જિદનો પાયો જિલ્કાદ ૮૧૫/ ઈસવીસન ૧૪૧૩માં થયો હોવાનું જણાવે છે. સમકાલીન અભિલેખિત પુરાવા પ્રમાણે અહમદાબાદની પ્રથમ મસ્જિદનો પાયો અમહદશાહે ૧ રજબ, હિ.સં. ૮૧૫ (૭-૧૦-૧૪૧૨)ના રોજ નંખાયો હતો. અર્થાત્ નગરનો પાયો ખોદાયો અને મસ્જિદનું નિર્માણકાર્ય આરંભાયું એ બે ધ્યાનાર્હ ઘટના વચ્ચે દોઢ વર્ષથી વધારે સમયનો ગાળો રહે છે. (૨૭-૨-૧૪૧૧ અને ૭-૧૦-૧૪૧૨) સવાલ એ ઉદ્ભવે છે કે અહમદશાહ (૧૪૧૩થી ૧૪૨૨) જેવો ધર્મપ્રેમી મુસલમાન ૨ જિલાદ, ૮૧૩માં નગરનું ખાતમૂહુર્ત કરે અને મસ્જિદનું બાંધકામ તે પછી કરે એ બાબત સ્વીકાર્ય જણાતી નથી. ચુસ્ત મુસલમાન અહમદશાહે ક્યારેય બપોરની નમાજ ના પઢી હોય એવું બન્યું નથી. તાત્પર્ય કે તે કોઈ પણ સંજોગોમાં પછીના સમયે મસ્જિદનું નિર્માણકાર્ય કરે તે ગ્રાહ્ય બનતું નથી. અર્થાત્ નગરનિર્માણ અને મસ્જિદ-નિર્માણ એ લક્ષે કાર્ય એક સાથે શરૂ થયાં હોય એ વધારે સ્વીકાર્ય જણાય છે.
આથી, ડૉ. એસ.એ.આઈ. તિરમિઝીના વિધાનને વિશેષ પ્રાધાન્ય આપી શકાય કે હુસેન, કરીમ અને ફરિસ્તાના જણાવ્યા મુજબ अहमदाबादની સ્થાપના ૩ જિલ્કાદ, હિ.સં. ૮૧૫; વિક્રમ સંવત ૧૪૬૯ના ફાગણ સુદ ૪ અને ૧૪૧૩ના ૪થી ફેબ્રુઆરીના રોજ થઈ હોવી જોઈએ.
અમદાવાદ યથાસમયે સમુદ્રકિનારે હતું
‘પદ્મપુરાણ’ના ઉત્તરખંડમાં साभ्रमती माहात्म्यમાં અમદાવાદમાં પાસેથી વહી રહેલી સાબરમતી નદીનો નિર્દેશ છે. અરવલ્લીની ગિરિમાળામાં અંબાભવાનીના તીર્થક્ષેત્ર નજીકથી ઉત્પન્ન થયેલી આનંદી ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા અને અમદાવાદ જિલ્લામાંથી ઊંચી ભેખડો વચ્ચેથી વહી રહી છે. આ ઊંચી ભેખડો અને ઊંડાં કોતરોને કારણે श्वभ्रवती, साभ्रमती, साबरमती જેવાં એનાં નામ યથાર્થ જણાય છે. સાબરમતી નદીની આવી પરિસ્થિતિ ફક્ત અમદાવાદમાં શાહીબાગ સુધી છે. પરંતુ અમદાવાદ પાસેથી શ્વભ્રવતી-સાબરમતી તેનું ભૂસ્વરૂપ એકાએક બદલે છે. અમદાવાદની દક્ષિણ અને પશ્ચિમ તરફ આવેલા ભાલપ્રદેશની ભૂ-તપાસ કરતાં જણાય છે કે સપાટ જમીન છેક સમુદ્ર સુધી ક્રમશઃ ઢળતી જાય છે. અહીં સાબરમતીમાં પ્રવાહ માત્ર પાંચેક મીટર કરતાં વધારે ઊંચાઈની ભેખડો ધરાવતો વહે છે. તેથી વિજાપુર, વડનગર પાસેના વિસ્તારોની ભેખડો જેમણે જોઈ હોય તેમને આ સાબરમતીની ભેખડોથી આશ્ચર્ય અવશ્ય થાય જ. પ્રશ્ન આથી ઉદ્ભવે છે કે સાબરમતી નદીએ અમદાવાદની દક્ષિણે ક્યાં કારણથી પોતાનું સ્વરૂપ બદલ્યું હશે.
અમદાવામાં સાબરમતીના પ્રવાહની કેટલીક વિલક્ષણતા વિશે અન્વેષકોનાં ધ્યાન પ્રમાણમાં ઓછાં ગયાં છે. અહીં ઉસ્માનપુરા અને પશ્ચિમના ભાગો ઉપર નદીની અગાસીઓ તૈયાર કરવાની અને ધોવાણ થયાની સ્પષ્ટ અસરો જોવી પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત અગાસીઓનું નિરીક્ષણ કરવાથી સમજાય છે કે પ્રથમ અગાસી આશરે પાંચ મીટરની ઊંચાઈએ છે, બીજી ત્યાંથી આશરે સાડા પાંચ મીટર જેટલી ઊંચાઈએ છે અને સૌથી ઉપરની જમીન બીજા અઢી મીટરની ઊંચાઈએ છે, બીજી ત્યાંથી આશરે સાડા પાંચ મીટર જેટલી ઊંચાઈએ છે, અને સૌથી ઉપરની જમીન બીજા અઢી મીટરની ઊંચાઈએ છે.
આમ, સહુથી ઉપરની સપાટીથી વિવિધ નિચાણ ઉપર આવેલી સપાટીની દરિયાઈ સપાટીથી ઊંચાઈ ગણવી હોય તો તે આ પ્રમાણે છેઃ વાડજ, જેવા વિસ્તાર દરિયાઈ સપાટીથી આશરે ૫૦-૫૨ મીટરની ઊંચાઈ ઉપર છે. તેથી સાબરમતીની ઉપલી અગાસી આશરે ૪૭ મીટર અને તેની નીચેની અગાસી ૪૨ મીટર ઉપર છે અને નદીની સપાટી આશરે ૩૭ મીટર છે. આ સપાટીએ ધ્યાને લેતાં સૌથી ઉપર આશ્રમ રોડ, તેની નીચે હરિહરેશ્વર મહાદેવ તથા આયુર્વેદિક ભવન અને રીઝર્વ બેંકનું મકાન અને તેની નીચે રામજી મંદિર આદિ વિસ્તાર છે.
આગાસીની તપાસ પછી સૂચિત થાય છે કે સાબરમતી નદીના પશ્ચિમ ભાગે ઉપર્યુક્ત પરિસ્થિતિ ઠક્કર કૉલેજ વિસ્તારમાં દેખાય છે. અહીં નદીના તળની પ્રથમ અગાશી આશરે પાંચ મીટર ઊંચાઈ પર છે. તે પછી તેની ઉપરની સપાટી આ સ્થળથી થોડે દૂર છે. આ વિસ્તારમાં વાસણા, વેજલપુર, મકરબા, સરખેજ વગેરે વિસ્તારમાં ભેખડ અર્ધચંદ્રાકાર હોઈ અહીં ભેખડની ઊંચાઈ આશરે ચાર મીટર જણાઈ છે. આવી નૈસર્ગિક પરિસ્થિતિને કારણે ૧૯૭૨ની રેલમાં નીચાણવાળી અગાસી ઉપર પાણી ભરાઈ ગયાં હતાં તેથી આપણે વિદિત છીએ જ. આ સમગ્ર તપાસમાં નદી ઉપર દેખાતી નીચલી અગાસીની સપાટી પૂર્વ તેમ જ દક્ષિણ અને પશ્ચિમ તરફ એક સરખી ઊંચાઈ ધરાવતી અને ક્રમશઃ ઢળતી દેખાય છે. આમ અમદાવાદની દક્ષિણે અને પશ્ચિમે ઘણા વિસ્તૃત પ્રદેશ ઉપર જોવા મળતું ભૂસ્વરૂપ તેની વિભિન્ન ઊંચાઈઓ બાબતે ધ્યાનાર્હ બને છે. આમ આ પરિસ્થિતિમાં સાબરમતીનું સ્તર અમદાવાદ વિસ્તારમાં આશરે ૩૮ મીટર જેટલું છે. અમદાવાદની દક્ષિણે ક્રમશઃ સપાટી સ્વાભાવિક રીતે નીચે થતી જાય છે.
અમદાવાદના ભૂપૃષ્ઠનું એક અન્ય સ્વરૂપ ધ્યાને લેવા જેવું છે. આ સ્વરૂપ અગાઉ નોંધ્યું તેમ અર્ધચંદ્રાકાર સ્વરૂપના વિવિધ ટીંબા કે ટેકરા વિશે છે. દા.ત. શ્રેયસ, જોધપુર, થલતેજ, દાણી લીમડા, ઘોડાસર, વટવા, હાથીજણ વગેરે વિસ્તારમાં ટેકરાઓનું સ્વરૂપ પવનથી ઊડેલ રેતનું છે. તેની દિશા જોતાં તે નૈઋત્યથી ઈશાન તરફ જતાં પવનોની ભાત સૂચવે છે. અહીંની ભૌગોલિક પરિસ્થિતિ જોતાં સૂચિત થાય છે કે આ બધા ટેકરા આશરે ૪૭ મીટર કરતાં ઉપરની સપાટી ઉપર દેખાય છે. તાત્પર્ય કે આ ટેકરા જ્યારે નિર્માણ થયા ત્યારે ૪૭ મીટરે હતા અને ઉપરની સપાટીએ જમીન હતી. હાલ સપાટીએ જમીન છે, જે ક્રમશઃ દરિયા તરફ જતાં ઘટતી જાય છે. અહીં ટેકરાનો અભાવ છે. આ જમીન ભાલથી ઓળખાય છે. ભાલપ્રદેશનું સામાન્ય લક્ષણ ત્યાંની કાળી જમીન અને તળમાં ખારું પાણી છે. આ પરિસ્થિતિ દશકોઈ વિસ્તારમાં પ્રમાણમાં ઓછી છે. અમદાવાદના વેજલપુર, શ્રેયસ આદિ ઊંચાણવાળા ભાગમાં મીઠું પાણી છે અને જુહાપુરા જેવા ભાગમાં ખારું પાણી મળે છે. સાણંદથી વિરમગામ તરફ જતાં આવી પરિસ્થિતિનો પ્રત્યય ધ્યાને લેવો જરૂરી છે.
આ સમગ્ર પરિસ્થિતિ અવલોકતાં સરખેજથી વાસણા સુધીની ભેખડો સાબરમતી નદીની પૂર્વમાં લાંબા અંતર સુધી જાય છે તે બાબત વિશેષ તપાસની છે. એક અર્થઘટન મુજબ સાબરમતીનો પ્રવાહ અમદાવાદની દક્ષિણે અટકી ગયેલો જોવો પ્રાપ્ત થાય છે જે વિશાળ પટમાં ભળી જતો દેખાય છે. આ વિશાળ પટ ૪૦ કિલોમીટર કરતાં વધુ પહોળો હતો. તેથી આ સમગ્ર વિસ્તારમાં સાબરમતી ભેખડ વિના વહેતી અને વારંવાર પોતાનો તટ બદલતી જણાય છે.
નદીઓનાં જે અધ્યયન ઉપલબ્ધ છે ત્યાં આવી પરિસ્થિતિ નદીના સાગરસંગમ પાસે જ શક્ય બને છે. તેથી સાબરમતીનું દક્ષિણ તરફથી ભૂસ્વરૂપ સાગરસંગમનું સૂચક હોવાનું સાધાર અનુમાન થઈ શકે છે અને તેને સેટેલાઈટે લીધેલાં ચિત્રો અને તે આધારે નિર્માણ પામેલા નકશાઓ પુષ્ટિ આપે છે. જ્ઞાતવ્ય એટલું જ કે જો સાગરસંગમનું અનુમાન કરીએ તો સમુદ્રકાંઠાની અન્ય પરિસ્થિતિમાં ઉત્પન્ન થતા રેતના અર્ધચંદ્રાકાર ટેકરા ધ્યાન ખેંચે છે તે મુજબની પરિસ્થિતિ આ પ્રદેશમાં જોવા મળે છે. તેથી સમુદ્રમાં થતાં સૂક્ષ્મ પ્રાણીઓના અશ્મીભૂત અવશેષ પણ અમદાવાદના ટીંબામાંથી હાથવગા થયા છે.
આમ પ્રસ્તુત બધા પુરાવા સમગ્ર દૃષ્ટિએ અમદાવાદ પાસે સમુદ્રકાંઠો હોવાના અનુમાનને પુષ્ટ કરે છે. તે બધાં સાધક પ્રમાણોની સહાયથી આ પ્રદેશમાં અમદાવાદનો વિસ્તાર એક કાળે સમુદ્રતટ ઉપર હતો એમ ખસૂસ દર્શાવે છે.
અમદાવાદ વિસ્તારના થલતેજ, શ્રેયસ, વટવા જેવા ભાગમાંથી ટેકરાઓ ઉપરથી અન્ત્યાશ્મયુગનાં પાષણઓજાર હાથ લાગ્યાં છે. આ યુગની કાલગણના વિશે વિચાર કરતાં ભારતના વિભિન્ન વિસ્તારમાંથી પ્રાપ્ત પાષણઓજારની સમય મર્યાદા ઈસવી પૂર્વ ૨૫૦૦થી શરૂ કરીને ઇસવી પૂર્વ ૧૩૦૦૦ સુધી વિસ્તરતી જણાય છે. આ સંદર્ભે અમદાવાદની વસાહતોને ગુજરાતમાંથી મળેલાં અશ્મઓજારના સમયાંકનની દૃષ્ટિએ ઈસવી સન પૂર્વ ૨૫૦૦ની આસપાસ ગણવામાં આવે તો જે ટેકરા ઉપર વસતી છે તે ટેકરા આશરે પાંચ હજાર વર્ષ પૂર્વે પણ વિદ્યમાન હોવાનું અનુમાન થઈ શકે. જો કે અન્ત્યાશ્મયુગના પ્રમાણોના સંદર્ભે અમદાવાદના અન્ત્યાશ્મયુગનો સમયગાળો હજી વધુ પાછળ પણ મૂકી શકાય.
આમ, પુરાવસ્તુકીય અવશેષો તથા કુદરતી પરિસ્થિતિનાં અવલોકન સંદર્ભે અમદાવાદ અને ભાલપ્રદેશનાં ભૂપૃષ્ઠ, જમીન વગેરે સ્વરૂપ દશેક હજાર વર્ષ પહેલાં ઘડાઈ ચૂક્યું હતું. સમગ્ર દૃષ્ટિએ આ પરિસ્થિતિ દશેક હજાર વર્ષ કરતાં વધુ જૂની હોવાનું આધાર અનુમાન થઈ શકે છે. જો માત્ર સાબરમતી નદીના ઉત્તર ગુજરાતની ભેખડોના કાલનિર્ણયની કસોટીએ આધાર રાખી વિધાન કરવું હોય તો આ સમયાવધિ ૪૦,૦૦૦ વર્ષ કરતાં જૂનો હોવાની સંભાવના વિચારાધીન બની રહે છે.
કયા નામે અમદાવાદને ઓળખવું
કોઈ પણ સ્થળનાં નામકરણ કેટલાંક કારણસર બદલાતાં રહે છે, ખાસ કરીને રાજકારણીઓની મમતને કારણે અથવા કોઈ કોમના દબાણને કારણે કે ક્યારેક રાજકીય લેખાંજોખાંને કારણે કે ધ્રુવીકરણના પરિપ્રેક્ષ્યમાં. અમદાવાદ શહેરના અહમદાબાદને સ્થાને કર્ણાવતીનું નામ રાખવાનું એક પ્રકારે રાજકીય વલણ, કહો કે હિન્દુવાદીઓના તરંગને લીધે, ઘણાં વર્ષથી જોવા મળે છે. અહીં તો આપણે શુદ્ધ ઇતિહાસના સંદર્ભે આની સંક્ષિપ્ત ચર્ચા કરવાનો ઉપક્રમ છે.
લિખિત જ્ઞાપકોને આધારે અમદાવાદના અતીતના કાલાનુક્રમે ગોઠવાતાં બાર તબક્કા હાથવગા થાય છે, જેની વિગત અત્રે જરૂરી નથી. તે માટે જિજ્ઞાસુએ આ લેખકની એક નોંધ ‘નિરીક્ષક’માં પ્રગટ થયેલી જોવા વિનંતી. (જુઓઃ કયા નામે ઓળખીશું अहमदाबादને? ૧૬-૧૦-૧૯૯૫ પૃષ્ઠ ૨૭થી ૨૯ અને ૩૩) અહીં તો આપણી નિસબત કર્ણાવતીના સંદર્ભે છે.
કર્ણાવતી એક લશ્કરી છાવણી હતી. તેનો સમય છે ૧૧મી-૧૨મી ઈસવી સન. આ લશ્કરી છાવણીની સ્થાપના મધ્ય અને દક્ષિણ ગુજરાતની રાજકીય સત્તાના સંબંધો અને જયપરાજયની પરંપરામાંથી થઈ હોવાનાં પ્રમાણ તામ્રપાત્રોથી હાથ લાગ્યાં છે, ખાસ કરીને કર્ણદેવને વડોદરા પાસે ઈસવી ૧૦૭૭માં હારનો અનુભવ-લશ્કરી હારનો અનુભવ થયો તે પછી આ છાવણી આશાવલની દક્ષિણે હતી. કર્ણાવતીની લશ્કરી છાવણીના ઉલ્લેખ પ્રમાણમાં ઘણા ઓછા ઉપલબ્ધ છે. સિદ્ધરાજના સમયમાં કર્ણાવતી અસ્તિત્વ ધરાવતું ન હતું. ૧૪મી સદીના ફારસી ઉલ્લેખોમાં કર્ણાવતીની માહિતી નથી, જ્યારે આશાવલ સારુ ૧૪મી-૧૫મીના ઉલ્લેખ ધ્યાન યોગ્ય ગણાય. રાજધાની આશાવલ અથવા આશાપલ્લી આશરે ૮મીથી ૧૧મી સદી દરમિયાન વિદ્યમાન હતું. આમ આશાવલના બંને વખતના અસ્તિત્વ વચ્ચે કર્ણાવતી પૂરાં સો વર્ષ સુધીનું આયુષ્ય પણ ભોગવી શક્યું ન હતું. કર્ણાવતીના નષ્ટભ્રષ્ટ થયા પછી મીર અબુ તુરાબ વલીએ ‘આશાવલ-એ-નવ’ વસાવ્યું એ સૂચક પરિસ્થિતિ કાળક્રમે પલટાતાં રાજકીય-સાંસ્કૃિતક દૃશ્ય પ્રસ્તુત કરે છે. આશા ભીલના વંશ દરમિયાન ઈસવી સન ૧૦૩૫નો એક લેખ કાચની મસ્જિદમાંથી મળ્યો છે. તાત્પર્ય એ કે લશ્કરી છાવણી કર્ણાવતીની સરખામણીમાં આશાવલ વિશેના નિર્દેશ વારંવાર અને લગભગ બધાં જ્ઞાપકમાં જોવા મળે છે. આથી વિપરીત લશ્કરી છાવણીના મથક તરીકે સિદ્ધરાજ-કુમારપાળના સમયમાં થયેલી પડતી અને ફારસી સામગ્રીમાં આ છાવણીઓ અનુલ્લેખ એ હકીકત સ્પષ્ટ કરે છે કે કર્ણાવતીનું એક લશ્કરી છાવણી તરીકેનું (હા, રાજધાની તરીકેનું બિલકુલ નહીં) અસ્તિત્વ ટૂંકા સમયનું અને રાજકીય-સાંસ્કૃિતક પરિપ્રેક્ષ્યમાં બિનમહત્ત્વનું હતું. જ્યારે આશાવલ એક રાજધાની હતું. તેમ જ આશાવલની સમૃદ્ધિઓનું રાજકીય મહત્ત્વ આ નગરના દીર્ઘકાલ પર્યંતના અસ્તિત્વની સાહેદી બક્ષે છે. આ દૃષ્ટિએ આશાવલ એ સલ્તનતકાલીન अहमदाबादની અને આજના અમદાવાદની પૂર્વાવૃત્તિ હતી, જેમાં કર્ણાવતીનું કોઈ મહત્ત્વનું નહતું.
અમદાવાદની સ્થાપના પછી પણ આપણે અવલોક્યું તેમ આશાપલ્લીના નિર્દેશ થતા રહ્યા છે તે હકીકત ધ્યાનાર્હ રહેતાં આજના અમદાવાદને અહમદાબાદ તરીકે કે પછી આશાવલ તરીકે ઓળખવું એ ઇતિહાસી પરંપરા ધ્યાને લેવી અત્યંત આવશ્યક છે. એટલે આપણા નગરને વિરાસતી શહેર તરીકેનું છોગું માર્યું છે ત્યારે અને જો નામ બદલવાની આવશ્યકતા જરૂરી જણાય તો એને आशापल्ली તરીકે જ ઓળખવું એ ઇતિહાસની સાહેદી છે. લશ્કરી છાવણી (કર્ણાવતી) ખપ પૂરતી સમયાવલિ દરમિયાન જરૂરી હોય પણ રાજકીય અને સંસ્કૃિતના પરિપ્રેક્ષ્યમાં તો आशापल्ली કે अहमदाबाद, નામ જ યોગ્ય ગણાય.
साभ्रमती माहात्म्यમાં અમદાવાદનાં તીર્થોનો ઉલ્લેખ
વિરાસતી શહેર તરીકે (અત્યારની પરિસ્થિતિમાં એ ૧૦૬૨નું હેરિટેજ સીટી તરીકે નામાભિધાન પાઠવું છું) ભલે પ્રજાકીય ઉજવણાં અલબત્ત સરકારી રાહે અને ધોરણે થતાં રહે પણ ત્યારે સાહિત્યિક નિર્દેશની અવગણના થવી જોઈએ નહીં.
‘પદ્મપુરાણ’ મૂળમાં પાંચ ખંડથી આવૃત્ત છે. ઉપરાંત એમાં છઠ્ઠો ખંડ ‘ઉત્તરખંડ’ તરીકે જાણીતો છે. આ છેલ્લા ખંડ અંતર્ગત ‘સાભ્રમતી’ માહાત્મ્યનો સમાવેશ થયેલો છે.’ ‘પદ્મપુરાણ’ના કાલનિર્ણયમાં એક મતી નથી અને તેથી ‘સાભ્રમતી માહાત્મ્ય’ના સમયનિર્ણયને નિશ્ચિત કરવો મુશ્કેલ છે. સામાન્યતઃ ૧૦મી-૧૨મી સદીનો સમય સૂચવી શકાય. એક અર્થમાં આ તીર્થમાહાત્મ્ય છે, જેમાં સાબરમતીના કિનારે આવેલાં તીર્થનાં અને અન્ય સ્થળવિશેષનાં વર્ણન છે. ઉત્તરખંડના પ્રકરણ ૧૩૪થી ૧૭૩માં એટલે કે ૪૦ પ્રકરણમાં ‘સાભ્રમતી માહાત્મ્ય’નું વર્ણન છે; જેમાંથી પ્રકરણ ૧૫૪થી ૧૫૯માં અમદાવાદ વિસ્તારમાંથી વહેતી સાબરમતી નદીના બંને કાંઠા ઉપર આવેલાં તીર્થનાં વર્ણન અહીં આપણી નિસબતને ઉપાદેયી છે. આ છ પ્રકરણમાં ખડ્ગધારેશ્વર, દુગ્ધેશ્વર, ચંદ્રશેખર, પિપ્પલાદ, પિંચુમંદાર્ક અને કોટરાક્ષી તીર્થની વિગતો આપણને હાથવગી થાય છે, જે શાહીબાગથી સપ્તર્ષિના આરા સુધીના સાબરમતી પ્રવાહના વિસ્તારમાં આવેલાં હતાં, – છે.
ખડ્ગધારેશ્વર તીર્થ શાહીબાગ વિસ્તારમાં અત્યારના ‘સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક’ની નજીક પૂર્વમાં અને સાબરમતીના ડાબા કિનારે હોવાનું સ્થળતપાસથી જાણી શકાયું છે. ‘દુગ્ધેશ્વર’ તીર્થ ચંદ્રભાગા નામના નાળાથી ખ્યાત સ્થળે સ્થિત છે. અહીં આ ઉપરાંત ચંદ્રશેખર અને પિપ્પલાદ તીર્થો આવેલાં હતાં. પુરાણકાર પિંચુમંદાર્ક તીર્થને સૂર્યના તીર્થ તરીકે ઓળખાવે છે. પિંચુમંદાર્ક તીર્થ અમદાવાદના રાયખડ વિસ્તારમાં અથવા વર્તમાન પંચનાથ મહાદેવ પાસે હોવાનું સ્પષ્ટ થાય છે. કોટરાક્ષી તીર્થ કેલિકો મિલ્સ પાસેના / પાછળના સપ્તર્ષિના આરા ઉપરના સિદ્ધક્ષેત્રમાં કોતરોમાં સ્થિત હોવાનું અમારી સ્થળતપાસમાં જાણવા મળ્યું છે. આમ, ‘સાભ્રમતી માહાત્મ્ય’નાં અધ્યયનથી એ સૂચિત થાય છે કે અમદાવાદમાં સાબરના કાંઠા ઉપર મહત્ત્વનાં શૈવ અને વૈષ્ણવ સંપ્રદાયનાં તીર્થ હતાં, જેથી સુદૃઢ સાંસ્કૃિતક પરંપરાનાં દર્શન થાય છે.
વિશેષ વાચન
આ લેખમાં વર્ણિત વિવિધ મુદ્દા પરત્વે સંક્ષિપ્ત વર્ણન પ્રસ્તુત છે. પણ ઇતિકૃતિના વિદ્યાર્થીએ અને જિજ્ઞાસુએ અહીં આપેલાં લખાણના સંદર્ભલેખ જોવા વિનંતી છે.
(૧) ‘અન્ત્યાશ્મયુગનું અમદાવાદ’, રસેશ જમીનદાર, સામિપ્ય, ૧૯૯૯, પૃષ્ઠ ૮ થી ૧૩.
(૨) અમદાવાદની પુરાવસ્તુ : એક અધ્યયન, ર.ના. મહેતા અને રસેશ જમીનદાર, અમદાવાદ, ૨૦૦૧
(૩) ‘અમદાવાદનો સમુદ્રકિનારો અને તેની વસવાટ ઉપર અસરો’, ર.ના. મહેતા અને રસેશ જમીનદાર, સ્વાધ્યાય પુ. ૨૬, અંક-૧, પૃ. ૧૭૩થી ૧૮૩.
(૪) ‘કયા નામે ઓળખીશું अहमदाबादને’ રસેશ જમીનદાર, ‘નિરીક્ષક’ ૧૬-૧૦-૧૯૯૫, પૃ. ૨૭થી ૨૯, ૩૩.
(૫) યુગાનુસાર અમદાવાદ, ર.ના. મહેતા અને રસેશ જમીનદાર, અમદાવાદ-૧૯૯૪.
(૬) ‘સાભ્રમતી માહાત્મ્ય’માં વર્ણિત અમદાવાદનાં તીર્થો’, રસેશ જમીનદાર, સામીપ્ય, ૧૯૯૯-૧૯૯૯, પૃ. ૧૩થી ૧૮.
(૭) સાબરમતી નદી-એક અધ્યયન, ર.ના. મહેતા, અમદાવાદ ૧૯૯૨.
(૮) ‘આશાવલ, કર્ણાવતી અને અમદાવાદ’, ર.ના. મહેતા, વિદ્યાપીઠ, મે-જૂન ૧૯૮૬, પૃ. ૧૧-૧૨.
(૯) ‘અમદાવાદની સ્થાપના ક્યારે ?’ નવેસરથી અવલોકન, રસેશ જમીનદાર, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ. ૨૦૧૨, પૃ. ૪૩થી ૪૫
(૧૦) ગુજરાતનું પાટનગર અમદાવાદ, રત્નમણિરાવ ભીમરાવ, બીજી આવૃત્તિ, ૨૦૧૪. આ ગ્રંથમાં રસેશ જમીનદારનો પૂર્તિલેખ ‘અમદાવાદના અતીતના અનુક્રમ’ પૃ. ૧૬૭થી ૧૯૯ અવશ્ય જોવો અને તેમાં નિર્દિષ્ટ અંગ્રેજી સંદર્ભની યાદી જોવી.
૨૮-૭-૨૦૧૭
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2017; પૃ. 09-12