એવું જ છે – વાલને વખાણવા જેવા નથી ને … જો કે, ચણા હવે છોલે થયા છે ને વાલની ઘણાંને ખબર ન હોય એમ બને. મુદ્દો એ છે કે બેમાંથી કોઈ એક સારું હોય તો આશ્વાસન રહે, પણ બંને જ નામુકર જાય તો કહેવાનું થાય કે વાલને વખાણવા જેવો નથી ને ચણાને ચાખવા જેવો … આ વાત કેન્દ્ર સરકાર અને વિપક્ષ સંદર્ભે યાદ આવી.
વાત એવી છે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન આવતી 28મીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તે થવા જઇ રહ્યું છે, ત્યારે ટેવ મુજબ વિપક્ષોએ હોબાળો એવો કર્યો છે કે દેશના વડા રાષ્ટ્રપતિ છે તો ભવનનું ઉદ્ઘાટન તેમને હસ્તે થવું જોઈએ. હાલના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આદિવાસી મહિલા છે (એ પણ કમાલ છે કે રાષ્ટ્રના વડા મહિલા હોય ત્યારે તેને માટે યોગ્ય શબ્દ હજી આપણે શોધી શક્યા નથી ને મહિલાને પણ ‘રાષ્ટ્રપતિ’ તરીકે જ સંબોધીએ છીએ) ને વિપક્ષો એ હઠ લઈને બેઠાં છે કે ઉદ્ઘાટન તેમને હાથે જ થાય. શિવસેના(ઓદ્ધવ જૂથ)ના નેતા સંજય રાઉતે તો સ્પષ્ટ કહ્યું છે કે પોતાનું નામ તકતી પર ઉદ્ઘાટક તરીકે નોંધાય એટલે વડા પ્રધાન ઉદ્ઘાટન પોતાને હાથે થાય એવો આગ્રહ રાખી રહ્યા છે. આવી ઐતિહાસિક્તાનો મોહ વડા પ્રધાનને છે કે કેમ તે ખબર નથી, પણ વડા પ્રધાને પોતે સામે ચાલીને આ તક ઝડપી છે એ સાચું નથી. હકીકત એ છે કે સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાનું વિધિવત આમંત્રણ લોક સભાના હાલના સ્પીકર ઓમ બિરલાએ આપ્યું છે એટલે વડા પ્રધાને રાષ્ટ્રપતિનો હક માર્યો છે એવું કહી શકાશે નહીં. ખરેખર તો 18 મે ને રોજ લોક સભા સચિવાલય તરફથી બહાર પડેલાં નિવેદનમાં કહેવાયું છે કે વડા પ્રધાન આત્મનિર્ભર ભારતના પ્રતીક તરીકે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. એનું આશ્ચર્ય જ છે કે રાષ્ટ્રપતિને ઉદ્ઘાટક તરીકે તો ઠીક પણ, સમારંભમાં ઉપસ્થિત રહેવાનું પણ આમંત્રણ નથી. વિપક્ષોને એમાં રાષ્ટ્રપતિનું અપમાન દેખાયું છે. એવો કોઈ ઇરાદો સરકારનો હોય તો તે બરાબર નથી. શક્ય હોય તો શાસકોએ રાષ્ટ્રપતિને આમંત્રણ આપીને ભૂલ સુધારી લેવી જોઈએ.
શાસકો ભૂલ સુધારે કે ન સુધારે, પણ વિપક્ષો રાષ્ટ્રપતિને આગળ કરીને પોતાનો રોટલો તો શેકી જ રહ્યા છે. લાગે છે એવું કે 140 કરોડનો મસમોટો તવો દેશમાં ચડાવી રખાયો છે ને લાગ મળે છે તો શાસકો પોતાનો રોટલો શેકી લે છે ને એ ખાલી પડે છે તો વિપક્ષો પોતાનો રોટલો શેકાવા નાખે છે. એ તો શેકાય ત્યારે શેકાય, પણ 140 કરોડનો તવો તો શેકાઈ શેકાઈને કોલસો થવા લાગ્યો છે તેનું ભાન કોઈને પડતું નથી એ દુ:ખદ છે. અત્યારે તો આખો દેશ શાસક અને વિપક્ષની અંગત પ્રવૃત્તિઓ પર જ નિર્ભર છે. એક તરફ વિપક્ષોને તોડી તોડીને શાસક પક્ષ પોતાનું કદ વધારવામાં પ્રવૃત્ત છે, તો વિપક્ષો ભેગા થઈને ય કોઈ સ્વસ્થ પ્રતિકાર કરી શકતા નથી તે પણ હકીકત છે. કર્ણાટકની હાર અને રાહુલ ગાંધીની યાત્રાથી ભા.જ.પ. ચિંતામાં છે જ, તો લો કસભાની ચૂંટણીમાં વિપક્ષો કૈં ઉકાળી શકવાના નથી તેવી શેખી પણ તે મારે છે, પણ નાનો તો ય રાઈનો દાણો એ વાત વિપક્ષો સંદર્ભે ભા.જ.પે. ધ્યાને લેવાની રહે જ છે. તે ધ્યાનમાં લે પણ છે, એટલે જ સંસદીય મંત્રી પ્રહલાદ જોશીએ વિપક્ષને ફેર વિચારણા કરીને ઉદ્ઘાટનમાં જોડાવાનો અનુરોધ કર્યો છે.
ખરું તો એ છે કે ફેર વિચારણા સરકારે પણ કરવા જેવી છે, પણ એ તો કરે ત્યારે ખરી ! એટલું છે કે વિપક્ષો ન જોડાય તો પણ ઉદ્ઘાટન થશે ને રંગેચંગે થશે એમાં શંકા નથી. હા, 39માંથી કાઁગ્રેસ, તૃણમૂલ કાઁગ્રેસ, આમ આદમી પાર્ટી, શિવસેના (ઉદ્ધવ જૂથ), સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, સી.પી.આઇ., જે.ડી.યુ. જેવા 20 જેટલા વિપક્ષોએ જાહેર કર્યું છે કે તે ઉદ્ઘાટનનો બહિષ્કાર કરશે. વિપક્ષનું માનવું છે કે રાષ્ટ્રપતિને બદલે વડા પ્રધાન દ્વારા ઉદ્ઘાટનનો આગ્રહ લોકશાહી પર સીધો હુમલો છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી પણ દાખલ કરવામાં આવી છે, જેમાં રાષ્ટ્રપતિને સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાનો નિર્દેશ આપવામાં આવે એવી દાદ માંગવામાં આવી છે. અરજીકર્તાનું કહેવું છે કે લોક સભા સચિવાલયે રાષ્ટ્રપતિને ઉદ્ઘાટન માટે આમંત્રણ ન આપીને બંધારણનું ઉલ્લંઘન કર્યું છે.
વિપક્ષોને બીજો વાંધો 28મી તારીખનો પણ છે. એ અકસ્માત હોય કે કાવતરું, તે સરકાર જાણે, પણ 28 મે, વીર સાવરકરની જન્મતારીખ છે. વિપક્ષોને લાગે છે કે 28મીએ નવાં સંસદ ભવનનું ઉદ્ઘાટન કરીને ભા.જ.પ. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાવરકરની હિન્દુવાદી વિચારધારાને દેશ પર થોપવા માંગે છે. સાવરકરને અમર કરવાનો આ પ્રયત્ન વિપક્ષોને મંજૂર ન હોય તે સમજી શકાય એવું છે. ભા.જ.પે. સાવરકરને મુદ્દે તો કોઈ ફોડ પાડ્યો નથી, પણ વિપક્ષો એની તુલનામાં ક્યાં ય ટકે એમ નથી એવી શેખી તો મારી જ છે.
ચારેક વિપક્ષોએ પોતાની સ્થિતિ હજી સ્પષ્ટ કરી નથી, તો બીજી તરફ ભા.જ.પ. સહિત શિવસેના (શિંદે જૂથ), શિરોમણિ અકાલી દળ, તેલુગુ દેશમ પાર્ટી, એ.આઈ.એ.ડી.એમ.કે., બસપા જેવા 17 પક્ષોએ સરકારનું આમંત્રણ સ્વીકાર્યું છે. એક તબક્કે એમ લાગતું હતું કે ઉદ્ઘાટનનો કાર્યક્રમ ભા.જ.પ.નો કે તેને સમર્થન આપતા પક્ષોનો જ કાર્યક્રમ બની રહેશે, પણ હવે અન્ય પક્ષો પણ તેમાં જોડાય એમ લાગે છે. એ ખરું કે ભવનના ઉદ્ઘાટનને મામલે બંધારણના નિષ્ણાતોનો મત જુદો પડે છે. તેમનું કહેવું છે કે આ ઉદ્ઘાટન બંને ગૃહોના સ્પીકર ઓમ બિરલા ને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કરવું જોઈએ. એવું પણ થાય એમ લાગતું નથી. મત કોઈ પણ પડે, પણ ઉદ્ઘાટન વડા પ્રધાન જ કરશે એ નિશ્ચિત છે.
કાઁગ્રેસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધી અને પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે તો માને જ છે કે ઉદ્ઘાટનની વિધિ રાષ્ટ્રપતિને હસ્તે જ સંપન્ન થવી જોઈએ. આ વાત કરતી વખતે કાઁગ્રેસ એ વાત સિફતથી ભૂલી જાય છે કે ઓગસ્ટ 1975માં સંસદ એનેક્સી બિલ્ડિંગનું બાંધકામ પૂરું થયું ત્યારે તેનું ઉદ્ઘાટન તે વખતનાં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ કર્યું હતું, એ ઉપરાંત સંસદ લાઇબ્રેરી 1987માં બની ત્યારે તેનું ઉદ્ઘાટન તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીએ કર્યું હતું. તો, કયે મોઢે કાઁગ્રેસ કહે છે કે ઉદ્ઘાટન વડા પ્રધાને ન કરતાં રાષ્ટ્રપતિએ જ કરવું જોઈએ? જોવાની ખૂબી એ છે કે કાઁગ્રેસ વિરોધ ને બચાવ એક સાથે કરે છે. બચાવ એ રીતે કે તે વખતના કાઁગ્રેસી વડા પ્રધાનોએ કરેલાં ઉદ્ઘાટનો તો નાનાં યુનિટનાં હતાં, તો સવાલ એ થાય કે એ યુનિટો એટલાં જ નાનાં હતાં તો બબ્બે વડા પ્રધાનો ઉદ્ઘાટનની લાલચ રોકી કેમ ન શક્યા? જો એવી નાની તક તેઓ જતી ન કરી શક્યા હોય તો વર્તમાન વડા પ્રધાન નવાં સંસદ ભવનનું ઉદ્ઘાટન કરે તેમાં બંધારણનો ભંગ થાય છે કે રાષ્ટ્રપતિના અધિકારનું ઉલ્લંઘન થાય છે – જેવું ડહાપણ ડહોળવાની કાઁગ્રેસે જરૂર ખરી? બીજી તરફ ભા.જ.પ. પણ દલીલ કરે છે કે એ વડા પ્રધાનોએ ઉદ્ઘાટનો કર્યાં તો હાલનાં વડા પ્રધાન ઉદ્ઘાટન કેમ ન કરે? આવી વાતો પણ છોકરમતથી વધારે કૈં નથી. પક્ષ કે વિપક્ષ, બંને, ડાહી સાસરે ન જાય ને ગાંડીને શિખામણ આપે-ની જેમ જ વર્તે છે. વિપક્ષ છે તો વિરોધ જ કરવો ને શાસક છે તો વિપક્ષને લેખામાં ન જ લેવો એ ન્યાયે આખો કારભાર ચાલે છે.
ઉદ્ઘાટન તો નિમિત્ત છે, પણ પક્ષ કે વિપક્ષ કેવળ સત્તામાં રહેવા કે આવવા જે કરવું પડે એ સિવાયનો બીજો કોઈ હેતુ ધરાવતા નથી. આટલા વિપક્ષો છતાં, એટલી ક્ષમતા બધા મળીને પણ દાખવી શક્યા નથી કે શાસક પક્ષે ચેતીને ચાલવું પડે. કેમ એ સ્થિતિ ઊભી નથી થતી? તે એટલે કે નાના સ્વાર્થો જ એટલા છે કે દેશ હિતનો વિચાર કરીને કોઈ પણ સમસ્યાને વ્યાપક સંદર્ભે જોવાની દૃષ્ટિ જ વિપક્ષો પાસે નથી. એને કારણે દરેક વિપક્ષ પોતાની સત્તાનું જ વિચારે છે. સત્તા વગરનો બીજો વિચાર જ એની પાસે નથી. આ સ્થિતિ હોય ત્યાં વિપક્ષી એકતાની કલ્પના જ કેવી રીતે થાય? સબળ વિપક્ષ જ સત્તા પર આવતો હોય છે ને નબળો વિપક્ષ તો વિપક્ષમાં બેસવાની લાયકાત પણ સમય જતાં ગુમાવે છે. એની સામે સત્તાધારી પક્ષ જે રીતે વર્તે છે તે પણ શરમજનક છે. તેને ખબર છે કે દરેક પક્ષમાં થોડા કરોડથી પક્ષ છોડીને ખેંચાઈ આવનારા સ્વમાન વગરના લાલચુઓ છે જ. તે રૂપિયા ફેંકીને સામેનો પક્ષ તોડે છે ને પોતાનો પક્ષ મજબૂત કરે છે. જેમને લાગે કે પોતાની ડિપોઝિટ પણ પાછી આવે એમ નથી એ પક્ષ છોડીને સત્તાધારી પક્ષમાં પદ કે પૈસાની લાલચે દોડે છે ને સત્તાના પાયા મજબૂત કરે છે. ભા.જ.પ.નું જયાં શાસન નથી ત્યાં ફૂટ પડાવીને સત્તા હાંસલ કરવાના પ્રયત્નો થાય છે. જ્યાં એ શક્ય નથી ત્યાં સુપ્રીમ કોર્ટના હુકમની ઉપરવટ જઈને, વટહુકમ લાદીને પોતાનો કક્કો ખરો કરવાનો પ્રયત્ન પણ થાય છે. દિલ્હીમાં કેન્દ્ર સરકાર ભા.જ.પ.ની હોય ને રાજ્ય સરકાર ‘આપ’ની હોય એનો આઘાત લાગે જ, પણ એ વ્યક્ત કરવાની રીતોમાં ક્યાં ય કોઈ સિદ્ધાંત, કોઈ નીતિ, કોઈ આદર્શ જણાતાં નથી. જો કે, સિદ્ધાંત કે આદર્શ તો વિપક્ષમાં પણ ક્યાં જોવા મળે છે? એટલે જ કહેવાનું થાય કે વાલને વખાણવા જેવા નથી ને ચણાને ચાખવા જેવા …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 મે 2023