માનો ગરબો રે જમતો રાજને દરબાર …
રમતો જમતો રે, આવ્યો મેકડોનલ્ડને દ્વાર …
એલી મેકડોનલ્ડની નાર, તું તો સૂતી હોય તો જાગ,
માને ગરબે રે પિત્ઝા, બર્ગરિયા મેલાવ …
માનો ગરબો રે જમતો રાજને દરબાર ….
રમતો જમતો રે આવ્યો ચાઈનીસ હોટેલ દ્વાર,
એલા ચાઇનિસિયાની નાર, તું તો સૂતી હોય તો જાગ,
માને ગરબે રે ચિલ્લી, મન્ચુરિયન લઈ આવ …
માનો ગરબો રે જમતો રાજને દરબાર,
રમતો જમતો રે આવ્યો મદ્રાસીને દ્વાર,
એલી મદ્રાસીની નાર તું તો સૂતી હોય તો જાગ,
માને ગરબે રે ઈડલી સાંબર તું મુકાવ …
માનો ગરબો રે જમતો રાજને દરબાર,
રમતો જમતો રે આવ્યો મરાઠીને દ્વાર,
એલી મરાઠીની નાર તું તો સૂતી હોય તો જાગ,
માને ગરબે રે મિસળ, પુરણ પોળી લાવ …
માનો ગરબો રે જમતો રાજને દરબાર,
રમતો જમતો રે આવ્યો ગુજરાતીને દ્વાર,
એલી ગુજરાતીની નાર, તું તો સૂતી હોય તો જાગ,
માને ગરબે રે થાળી ગુજરાતી ખવડાવ …
000
e.mail : ravindra21111946@gmail.com
![]()


મોંઘવારીનું એવું છે કે એ સનાતન છે. કોઈ પણ કાળમાં એ હતી ને હશે. લોકો ગરીબ હતા ને છે, પણ જીવે છે. ના જીવાય તો મરવાની કોઈને બંધી નથી. કેટલાક મૂરખાઓ મોંઘવારીની બૂમો પાડ્યા કરે છે, પણ એ તરફ બહુ ધ્યાન આપવું નહીં. એમને રડવાની ટેવ પડી ગઈ છે. લોકો દેવું કરીને ઘી પીતા આવ્યા છે ને હજી પીશે. કોઈ ભલો જીવ કોઈ વસ્તુ મફત આપશે તો આ લલ્લુઓ બે માંગશે. આ પછી પણ જેને નથી મળતું, તેને નથી જ મળતું. એ જાણે ન મેળવવા માટે જ છે ! દૂધ-ઘીની નદીઓ વહેતી હતી, ત્યારે પણ કેટલાંક દૂધ-ઘી વગર જ રહ્યાં છે ને હવે મોંઘું મળે છે ત્યારે પણ દૂધ-ઘી વગર જ રહે છે. કેટલાક અળવીતરા લોકો મોંઘવારી માટે લખે-બોલે છે ને સરકારને વારંવાર ભાંડે છે તે બરાબર નથી. એને કેટલાક સરકાર વિરોધી કે દેશદ્રોહી પણ કહી દે છે, પણ આ મૂરખાઓ નથી તો દેશદ્રોહી કે નથી તો કોઈ પક્ષના કે એમ મન મનાવાય કે કૈં નહીં તો વિપક્ષી તો છે ! ચાલો, માની લઈએ કે સરકાર મોંઘવારી વધારે છે, પણ સરકર જ ન હોય તો બિચારી મોંઘવારીનું શું થાય એ તો વિચારો. એ તો સરકાર વગર મરવા જ પડે કે બીજું કૈં? ને એવું નથી કે ભા.જ.પ.ના રાજમાં જ મોંઘવારી છે ! એ અંગ્રેજોના વખતમાં હતી, કાઁગ્રેસનાં રાજમાં હતી ને ભા.જ.પ.ના રાજમાં પણ છે. મોંઘવારી સનાતન છે. તે સરકાર મુજબ બદલાતી રહે છે. સરકાર વિકાસ કરે તો મોંઘવારી વિકસ્યા વગર થોડી જ રહેવાની હતી ! સરકાર એટલે જ મોંઘવારી, એવું કોઈ પણ સરકાર માટે જોયા વગર જ કહી શકાય. જો કે, લોકોને મોંઘવારી બહુ નડતી નથી. તેનું કારણ છે. લોકોનો સ્વભાવ વેઠવાનો છે. કુંભાર ગધેડા પર બોજ મૂકતો જ જાય છે ને ત્યાં સુધી મૂકે છે જ્યાં સુધી તે ભૂંકતો નથી. જો ગધેડો ભૂંકતો હોય તો લોકોને તો અવાજ છે. સરકારને ખબર છે કે લોકો નથી બોલતા એનો અર્થ જ એ કે હજી તેઓ ઘણું ખમી શકે એમ છે.